Opinion Magazine
Number of visits: 9448907
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આમ તો કૉન્ગ્રેસને કોઈ ઇચ્છતું નથી, પણ ભા.જ.પ.ને પણ કોઈ ઇચ્છે એટલું કરવાનું તો રહે જ છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 September 2021

ગુજરાત પ્રદેશ કારોબારીની બેઠકો કેવડિયા ખાતે ચાલી રહી છે, તેમાં 2022માં આવી રહેલી ગુજરાતની ચૂંટણી અંગે પણ ચિંતન ચાલવાનું છે. આ કારોબારીમાં કેન્દ્રીય રક્ષા મંત્રીની વિશેષ ઉપસ્થિતિ ઉપરાંત, અન્ય રાષ્ટ્રીય કક્ષાના મંત્રીઓ, પ્રદેશ પ્રમુખ અને રાજ્યના મુખ્ય મંત્રી સહિત 600થી વધુ અગ્રણીઓ ભાગ લઈ રહ્યા છે. આ બેઠકો ત્રણ દિવસથી ચાલે છે ને તેનો આજે છેલ્લો દિવસ છે. કારોબારીની  કામગીરીનો ખ્યાલ તો આવતાં આવશે, પણ તમામ કારોબારી સભ્યોને 750 જેટલાં ટેબલેટ અપાયાં છે તે વિશેષ ઉપલબ્ધિ ! આ ઉપરાંત કામગીરીને બિરદાવતા ઠરાવો, પ્રવચનો ચાલે છે, તે સાથે જ 2022નો રોડમેપ પણ નક્કી થઈ રહ્યો છે. રક્ષા મંત્રીએ શસ્ત્રોનાં ઉત્પાદનમાં ભારત મોખરે હશે એવું કહીને બે વર્ષમાં ભારતે 17 હજાર કરોડની નિકાસ કરી હોવાનું જણાવ્યું, તો રાજ્ય કક્ષાના ટેક્સટાઇલ મંત્રીએ પણ ટેક્સટાઇલને આત્મનિર્ભર બનાવવાની દાંડી પીટી લીધી છે. સંરક્ષણ મંત્રીએ ગુજરાતમાં પરફોર્મન્સનું પોલિટિક્સ હોવાનું જણાવી મુખ્ય મંત્રી અને પ્રદેશ પ્રમુખની પીઠ થાબડી છે. ગુજરાત ડિજિટલ કનેક્ટનું ગ્રાન્ડ લોંચિંગ પ્રદેશ પ્રમુખનો ડ્રીમ પ્રોજેકટ છે ને એનાં લોંચિંગમાં ભા.જ.પ.ના રાષ્ટ્રીય અધ્યક્ષ વિશેષ રૂપે ઉપસ્થિત રહેવાના છે. કારોબારીનું સમાપન થાય ત્યાં સુધીમાં ઘણી મહત્ત્વની વાતો થશે, પણ આ લખાય છે ત્યાં સુધીમાં થયેલાં કામની પ્રશંસા કરવાનું અને પીઠ થાબડવાનું જ વધારે ચાલ્યું છે. એ ભલે થાય, પણ એટલું પૂરતું નથી. દેશમાં કે રાજ્યમાં કોઈ પ્રશ્નો ન હોય ને પ્રશંસા થાય તેનો આનંદ જ હોય, પણ પ્રશ્નો હોય અને દેખાય નહીં, તે બરાબર નથી. કેન્દ્રમાં ભા.જ.પ.ની સરકાર રિપીટ થઈ પછી, પ્રશ્નો ન જોવાની ટેવ સરકારોને પડી હોય એવું વધારે લાગે છે.

એક બાબત તમામ શાસકોએ સમજી લેવાની જરૂર છે કે દાયકાઓ સુધી કૉન્ગ્રેસે કેન્દ્રમાં એકહથ્થુ સત્તા ભોગવી છે. એવો સમય પણ હતો કે કૉન્ગ્રેસનો કોઈ વિકલ્પ ન હતો ને છતાં, 2014માં સત્તા પલટો થયો ને ભા.જ.પ.ની સરકાર આવી ને તેને ભારે બહુમતીએ બીજી ટર્મ પણ પ્રજાએ આપી. આજે એવું વાતાવરણ છે કે ભા.જ.પ.નો કોઈ વિકલ્પ જડતો નથી. જો કે, એવી ખાંડ કમ સે કમ ભા.જ.પે. ખાવા જેવી નથી. જો કૉન્ગ્રેસ ઘરભેગી થઈ શકતી હોય તો ભા.જ.પ.નો સૂર્ય આથમે જ નહીં એવું ક્યાં ય લખેલું નથી. કૉન્ગ્રેસી શાસનમાં વિપક્ષ મજબૂત થતો આવતો હતો, એ સ્થિતિ અત્યારે નથી ને તેનો લાભ ભા.જ.પ.ને મળી રહ્યો છે. કૉન્ગ્રેસ, આપ અને બીજા પક્ષો એટલા નબળા છે કે એમને, અત્યારની ગતિએ સત્તા કોઈ ચમત્કાર થાય તો જ મળે એમ છે. કૉન્ગ્રેસને પરિવારવાદનું વળગણ છૂટતું નથી. તેની પાસે સરકારની ખામી કાઢવા સિવાય કોઈ કામ નથી. તે સરકારના કામ પર નભે છે. સરકાર કૈં ન કરે તો કૉન્ગ્રેસ પણ કૈં ન કરે. સરકાર પેટ્રોલનો ભાવ વધારે કે સિલિન્ડર મોંઘાં કરે તો કૉન્ગ્રેસને બોલવાનું થાય છે, બાકી પોતાની કોઈ મૌલિક વિચારધારાથી સજીવ અને સક્રિય રહેવાનું તેને સૂઝતું જ નથી. આપ જેવી પાર્ટી દિલ્હીમાં થઈ એટલી સફળ અન્યત્ર થઈ નથી. તેને એક સારી તક સુરતમાં મળી છે ને તે ધારે તો 2022ની ચૂંટણીમાં સારો દેખાવ કરી શકે, પણ તેના અહીંના નેતાઓ ને કાર્યકરો પાસે કોઈ ચોક્કસ વિઝન નથી. તેનું અહીંનું કામ તોડફોડનું કે આક્રમણનું જ વધારે રહ્યું છે. આ નકારાત્મકતા ને કારણે આપ પાર્ટી, તેને સુરતે આપેલી તક ગુમાવી રહી છે. તેને સુરતમાં આટલી સીટ સાથે પ્રવેશ મળ્યો ત્યારે થયેલું કે તે કૈં કરી બતાવશે, પણ કમનસીબે તેવું ખાસ થયું નથી. કોઈ ચોક્કસ હકારાત્મક નીતિ સાથે આપ સુરતમાં સક્રિય થાય તો તેનો પડઘો આવનારી ચૂંટણીમાં જરૂર પડે એમ છે, પણ એને માટે સ્વસ્થતા અને સંયમ અનિવાર્ય બને. તે વિપક્ષ તરીકેની નહીં, પણ શાસક તરીકેની ભૂમિકાને મનમાં રાખીને તૈયારી કરે તે જરૂરી છે.

રહી વાત ભા.જ.પ.ની, તો તેણે ફરી સત્તા પર આવવા જેટલી ગરજ તો દાખવવાની રહે જ છે. તેના નાનામાં નાના કાર્યકરમાં વિવેક ને પ્રમાણિક્તા અપેક્ષિત છે. એક પ્રકારની તીવ્રતા અને આક્રમકતા આ પક્ષમાં પણ જોવા મળી રહી છે ને તે પુનર્વિચાર માંગે છે. ઉદાહરણ તરીકે, વિધર્મીઓ ધાર્મિક રીતે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હોય તો તેને રોકી શકાય, પણ તે ન રોકાય તો સામે એવું જ ધાર્મિક પ્રદૂષણ તે પણ ફેલાવે, તો તેમાં ઉકેલ તો મળતો નથી, હા, સમસ્યા જરૂર બેવડી થઈ જાય છે. અગાઉ ક્યારે ય ન હતી એવી આત્મ નિરીક્ષણની જરૂર અત્યારે ભા.જ.પ.માં વર્તાય છે. ભા.જ.પ.ની કેન્દ્રની કે રાજ્યની સરકારોએ કામ નથી કર્યું એવું નથી. કોરોના કાળમાં ચાલેલું રસીકરણ, 370ની નાબૂદી, સર્જિક્લ સ્ટ્રાઈક … જેવું ઘણું ભા.જ.પ.ને જમા પક્ષે બોલે છે. બીજી તરફ વેચાણ કે ખરીદીને નિમિત્તે મળતા કરવેરા, રેલવે દ્વારા થતી આવક, જી.એસ.ટી. ને અન્ય કમાણી ઘટતાં દેશનું અર્થતંત્ર મુશ્કેલીમાં મૂકાયું,  તે સાથે ચીન, પાકિસ્તાનનો સરહદી ઉપદ્રવ, આ બધું કોઈ પણ રાષ્ટ્રને ઉજાગરો કરાવે તેવું છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતની જામેલી શાખ ટકાવવાનું પણ મુશ્કેલ હતું, છતાં ભારતે શક્ય તેટલા પ્રયત્નો કરીને સુરક્ષા અને અર્થતંત્રને હેમખેમ બહાર કાઢવાની કોશિશ કરી છે. એ સાથે જ ઘરના ઘંટી ચાટે જેવું પણ થોડું થયું છે.

વસતિ નિયંત્રણ અઘરું છે, એને કારણે ભારત, ચીનની બરાબરી કરવા સુધી આવ્યું છે. એને કારણે સંસાધનોની ટાંચ ઊભી થાય અને ગરીબીમાં વધારો થાય એમ બનવાનું. સરકાર એટલા બધા મોરચે લડે છે કે તે મોંઘવારી રોકવાની વાત તો દૂર રહી, સરકાર જ મોંઘું કરી રહી હોય એવો વહેમ પડે છે. અગાઉ ન થઈ હોય એટલી કમાણી સરકારે પેટ્રોલ – ડીઝલમાંથી કરી છે. એ બાકી હોય તેમ ઘરેલું ગેસમાં સરકારે 25 રૂપિયાનો અને કોમર્શિયલ ગેસમાં સિલિન્ડર દીઠ 75નો વધારો ઝીંકયો છે. છેલ્લા બે અઠવાડિયામાં એલ.પી.જી. ગેસમાં 50 રૂપિયાનો વધારો થયો છે. તે ઉપરાંત માત્ર ઓગસ્ટની વાત કરીએ તો જી.એસ.ટી.માં, 1.12 લાખ કરોડની કમાણી થઈ છે. એ સાથે જ સરકારે લાખો કરોડોના પેકેજિસ પણ જાહેર કર્યાં છે, છતાં મોંઘવારી વધી છે ને કહેવાતી મદદ ખરેખર ક્યાં ને કેટલી પહોંચી છે એ પણ પ્રશ્ન જ છે. સાફ વાત એ છે કે સરકાર કે રાજકીય નેતાઓ ભલે એમ માનતા હોય કે ભા.જ.પ.નું કમળ ખીલવામાં કોઈ વાંધો નહીં આવે ને એવું થાય તો પણ, સાધારણ પ્રજા મોંઘવારીથી ત્રાસી છે તે હકીકત છે. બીજો કોઈ વિકલ્પ ન હોય ને પ્રજા ભા.જ.પ.ને મત આપે તો પણ, મોંઘવારી વધી છે એ વાત જો સરકાર ધ્યાન પર નહીં લે તો કમળને કરમાતાં વાર નહીં લાગે તે નક્કી છે.

વધારે નહીં તો ગુજરાતમાં યોજાયેલી જન આશીર્વાદ રેલીને મળેલો મોળો પ્રતિભાવ ભા.જ.પ.નું આકર્ષણ ઘટ્યું હોવાની સાક્ષી પૂરે છે. ભા.જ.પ. 150 બેઠકો મળવાનો દાવો ભલે કરે, પણ આપ પાર્ટીનું ફેક્ટર ગુજરાતની ચૂંટણીમાં અગાઉ ન હતું તે ભૂલવા જેવું નથી. ભા.જ.પ.ની સીટો સુરતમાં ઘટી છે ને એની અસર 2022ની ચૂંટણીમાં નહીં દેખાવાને કોઈ કારણ નથી. લેન્ડ ગ્રેબિંગનો કાયદો થયો ને તેના કેસ પણ થયા, પણ લોકોને પોતાની જમીનની ચિંતા ઊભી જ છે. બધાં જ ટાઈટલ્સ ક્લિયર કરીને કોઈ ફ્લેટ ખરીદે ને હાઇકોર્ટ તેને ગેરકાયદે ઠેરવે તો ખરીદનારનો વાંક શો? સુરત એરપોર્ટની આસપાસના રહેણાંક વિસ્તારો પર તવાઈ આવી છે. આવું થાય ત્યારે પ્રજાનો વહીવટ પરથી ભરોસો ઊઠે એમ બને. ભા.જ.પ.ના પ્રધાનો વચ્ચેની ખેંચતાણને કારણે સોલર પર મળતી સબસિડી અપાઈ નથી. એને કારણે ખેડૂતો નારાજ થાય એ સમજી શકાય એવું છે. આ ઉપરાંત કોરોનાની સારવારમાં રહેલી ભ્રષ્ટતા અને વાવાઝોડાને કારણે થયેલાં નુકસાનને કારણે મળવી જોઈતી મદદ ન મળી હોય તો પણ પ્રજા નારાજ રહે એમ બને. ભા.જ.પ.માં પણ ભ્રષ્ટાચારે આડો આંક વાળ્યો છે. આ બધી બાબતો સંવેદનશીલ છે અને એનો વિચાર શાસકોએ કરવાનો રહે જ છે. આમ છતાં પ્રજાએ નબળામાંથી ઓછા નબળાને ચૂંટવાનો રહે છે, કારણ 2022 સુધીમાં એવું તો બને એમ નથી કે કૉન્ગ્રેસ કે અન્ય વિપક્ષો રાતોરાત કોઈ ચમત્કાર કરે અને પ્રજા તેને ચૂંટવાનું વિચારે. કરુણતા એ છે કે કૉન્ગ્રેસ હવે લૂંટી શકે એમ નથી ને ભા.જ.પ. લૂંટવામાં બાકી રાખે એમ નથી, નહિતર અનેક બહાને લોકોને ખંખેરવાનો ઉદ્યમ તો ચાલુ ન જ રાખે ને ! કોરોના પછી એટલું થયું છે કે પ્રજા વધુ સ્પષ્ટ અને પ્રેક્ટિકલ થઈ છે ને સરકાર વધુ અસ્પષ્ટ અને લોભી થઈ છે. બીજું કૈં નહીં તો સરકાર કોઈ પણ જીવલેણ રોગની સારવાર સસ્તી કરે, કારણ મોંઘવારી કરીને સરકાર મારે ને સારવાર કરીને તબીબ મારે, તો પ્રજા તે લાંબો સમય સુધી ચલાવી લે એટલી અમીર નથી. સરકાર સમજે તો સારું જ છે, નહીં તો પ્રજા સમજી જશે તો સરકારને સમજવાની જગ્યા નહીં રહે એ નક્કી !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 સપ્ટેમ્બર 2021

Loading

3 September 2021 admin
← આનંદલોકમાં અઠવાડિયું …..
ચલ મન મુંબઈ નગરી—111 →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved