Opinion Magazine
Number of visits: 9483388
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરકારનો ઇરાદો ગ્રાન્ટેડ કોલેજો બંધ કરાવવાનો છે તે પ્રજાએ વહેલી તકે સમજી લેવાનું રહે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|20 August 2021

સરકારને ખાનગીકરણની ધૂન ચડી છે ને તેણે અન્ય ક્ષેત્રોને ખાનગી કરવાની સાથોસાથ શિક્ષણને પણ ખાનગીકરણ તરફ ધકેલવાનું શરૂ કરી દીધું છે. પ્રજા તરીકે આપણે એ સમજી લેવાનું રહે કે ‘સેવા’ શબ્દ આઉટડેટેડ થઈ ગયો છે ને કોઈ હવે સેવા કરતું નથી. બધાં જ ધંધો કરે છે ને એમાં શરૂઆત સરકારથી થાય છે. અગાઉ ક્યારે ય ન હતી એવી મૂંગી પ્રજા અત્યારે છે. એને એ ખબર નથી પડતી કે એની ચૂપકીદી અનેક ક્ષેત્રોમાં અનેક અનર્થો સર્જી રહી છે.

શિક્ષણની જ વાત કરીએ તો આ વર્ષથી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, સાર્વજનિક યુનિવર્સિટી તરીકે અસ્તિત્વમાં આવી. સોસાયટીએ, યુનિવર્સિટી તરીકે પ્રગટ થવા સરકારમાં અરજી કરી ત્યારે તેણે સ્પષ્ટ કરી દીધું હતું કે તે પોતાની સાથે સેલ્ફ ફાયનાન્સ કોલેજો જ રાખશે અને તેનું સ્ટેટસ ખાનગી યુનિવર્સિટી તરીકેનું જ રહેશે. સરકારે એ શરતે મંજૂરી આપી કે તે એક પણ રૂપિયાની મદદ નહીં કરે. સાર્વજનિક યુનિવર્સિટીને એ મંજૂર હતું ને એને ખાનગી યુનિવર્સિટી તરીકેની મંજૂરી આ વર્ષથી મળી પણ ગઈ. ખાનગી યુનિવર્સિટી બનવાનું સોસાયટીએ કેમ સ્વીકાર્યું તેનો જવાબ હોદ્દેદારો એમ આપે છે કે કેટલાક કોર્સિસ ખાનગી યુનિવર્સિટી તરીકે શરૂ કરવામાં સરળતા રહે ને જરૂરી ફી લઈને તે શરૂ કરી શકાય. એવા કયા કોર્સિસ છે જે ખાનગીમાં જ શરૂ કરી શકાય અને ગ્રાન્ટેડમાં ન થઈ શકે તેનો ખુલાસો થયો નથી, પણ એટલી સ્પષ્ટતા જરૂર થઈ છે કે સાર્વજનિક યુનિવર્સિટી ધંધો કરવાને ઇરાદે જન્મી નથી. સ્પષ્ટતા તો એવી ય થઈ છે કે કેટલાક સેલ્ફ ફાયનાન્સ કોર્સિસમાં સોસાયટી ખોટ પણ કરે છે. આ સાચું હોય તો એમ સ્વીકારવું પડે કે ખાનગી કોલેજો પણ ખોટ કરે છે, તો પ્રશ્ન એ થાય કે ગ્રાન્ટેડમાં અને ખાનગીમાં ફેર શું રહે છે? જો ખાનગીમાં ખોટની શક્યતા રહેતી હોય તો સરકાર ખાનગીકરણ ખોટ ખાવા કરે છે? ખાનગીમાં પણ ખોટ જ જવાની હોય તો ગ્રાન્ટેડનો વેપલો શું ખોટો છે?

સાચું કે ખોટું તો સોસાયટી કે સાર્વજનિક યુનિવર્સિટી જાણે, પણ યુનિવર્સિટી બનવાની ઉતાવળમાં સોસાયટીએ ઘણી ગરબડો કરી છે. સોસાયટી બરાબર જાણતી હતી કે પોતાની 100થી વધુ વર્ષથી ગુજરાતમાં પ્રતિષ્ઠા છે. તેની સાથે એમ.ટી.બી. જેવી શતાબ્દી વટાવી ચૂકેલી કોલેજ ઉપરાંત કે.પી., વિ.ટી. ચોક્સી જેવી નામી ગ્રાન્ટેડ કોલેજો જોડાયેલી છે. જો ખાનગી યુનિવર્સિટી બનવાનું આવે તો આ કોલેજોનું ભાવિ શું, તેનો વિચાર કર્યા વગર સોસાયટીએ સામેથી સરકારને કહી દીધું કે તે યુનિવર્સિટી થાય તો પોતાની સાથે માત્ર સેલ્ફ ફાયનાન્સ કોલેજો જ રાખશે. બીજા શબ્દોમાં, તે ગ્રાન્ટેડ કોલેજોને સાથે રાખવા માંગતી નથી. એટલે થયું એવું કે વીર નર્મદ યુનિવર્સિટી કોલેજોનું જોડાણ રદ્દ કરે એ પહેલાં તો સાર્વજનિક યુનિવર્સિટી એ પોતે જ સાથે જોડાયેલી ગ્રાન્ટેડ કોલેજો સાથેનો છેડો ફાડી નાખ્યો. છેડો ફાડવો જ પડે એમ હતું, કારણ ગ્રાન્ટેડ કોલેજોની ફી ઓછી ને પગાર ધોરણ ઊંચું હતું જેનો બોજ ઉપાડવાનું સાર્વજનિક યુનિવર્સિટી માટે શકય ન હતું. સરકારી ગ્રાન્ટથી એ કોલેજો ચાલે છે. હવે ખાનગી યુનિવર્સિટીને એ ગ્રાન્ટ તો સરકાર આપે નહીં, એટલે ગ્રાન્ટેડને જોડવાની ઇચ્છા હોય તો પણ સાર્વ. યુનિ. એ જોડી ન શકે એ સ્થિતિ છે. સરકારે 2009, 2011 અને 2021માં કાયદામાં સગવડ પ્રમાણે ફેરફારો કર્યે રાખીને લાગતા વળગતા સૌને મૂરખ બનાવ્યા છે. તેના તઘલખી નિર્ણયો મુજબ, સરકારે ખાનગી યુનિવર્સિટી સાથે ખાનગી કોલેજો જ જોડાશે એવું ફરમાન બહાર પાડ્યું. ખાનગી યુનિવર્સિટીને સરકારી કોઈ મદદ નહીં મળે તેવું પણ ઉમેરાયું, પાછળથી ખાનગી સાથે ગ્રાન્ટેડ કોલેજો જોડી શકાશે તેવું આવ્યું ને ગ્રાન્ટેડ કોલેજો ખાનગી યુનિવર્સિટી સાથે જોડાશે તો વિદ્યાર્થીઓને ફીનું ધોરણ ગ્રાન્ટેડનું જ લાગુ પડશે અને અધ્યાપકોનાં પગાર ધોરણમાં ને નિવૃત્તિના લાભોમાં પણ કોઈ ફેર નહીં પડે.

તો સરકાર માઇબાપને એ પૂછવાનું થાય કે જો ફીમાં કે પગારમાં ફેર પડવાનો ન હોય તો નર્મદ યુનિવર્સિટી સાથે ગ્રાન્ટેડ કોલેજોનું જોડાણ ચાલુ રાખવામાં શું તકલીફ હતી? તેને ખાનગી સાથે જોડવાનો આગ્રહ શું કામ? પણ સરકારનો હેતુ અહીં સ્પષ્ટ નથી. તે ગ્રાન્ટેડની ફી અને પગાર, ખાનગી યુનિવર્સિટીને આપવાનું તો કહે છે, પણ કાનૂની રીતે બંધાવા તૈયાર નથી. ધારો કે સરકાર ગ્રાન્ટેડની જવાબદારી ઉપાડે છે તો તેમાં પણ કરામત જ હશે. હાલ બે ત્રણ વર્ષ ધારો કે અધ્યાપકનો પગાર કે નિવૃત્તિના લાભો સરકાર આપે છે કે ફીનું ધોરણ ઓછું રાખે છે, પણ પછી નવા અધ્યાપકો કે નવા વિદ્યાર્થીઓનો બોજ લાંબો સમય તે ઉપાડે એ શક્ય નથી. જો એ જ કરવું હતું તો ગ્રાન્ટેડની હાલની સ્થિતિ ચાલુ રાખતાં તેને કોણ રોકતું હતું? પણ, સરકારનો ઇરાદો સાફ છે. તે ગ્રાન્ટેડનું સ્ટેટસ જ નાબૂદ કરવા માંગે છે. ગ્રાન્ટેડનો લાભ ખાનગી યુનિવર્સિટીને સરકાર આપશે, પણ એ પ્રકરણ લાંબું નહીં ચાલે. આવનારા સમયમાં વિદ્યાર્થીએ વધારે ફી ભરવાનું થશે ને અધ્યાપકે પણ ખાનગીનું ધોરણ અપનાવીને જ નોકરી કરવાનું થશે તે કહેવાની જરૂર નથી.

સાર્વજનિક યુનિવર્સિટી અને એવી બીજી ખાનગી યુનિવર્સિટીની સંખ્યા આવનારા સમયમાં વધવાની છે. ખાનગી ટ્રસ્ટોને યુનિવર્સિટી બનાવવાની લાલચો આપીને તેની સાથે ખાનગી કોલેજો જોડવાનો ધંધો ફૂલેફાલે એવા સંજોગો છે જ, એમાં સાર્વજનિક યુનિવર્સિટી જેવી સંસ્થાઓનો ઉપયોગ કરીને સરકારે શરૂઆત કરી દીધી છે. સરકારને આગળ જતાં બે લાભ છે. શિક્ષણની જવાબદારી ખાનગી સંસ્થાઓ ઉપાડશે ને જેની પાસે પૈસા હશે તે ભણશે ને ભણાવશે, એટલે સરકારની જવાબદારી ખાસ રહેશે નહીં. બીજું, કરવેરાઓ દ્વારા આવક ઊભી કરીને સરકાર પોતાની મજબૂતાઈના માર્ગો ખોળી કાઢશે. સાર્વજનિક યુનિવર્સિટી સ્થપાતાં સરકારને એ ખબર હતી કે યુનિવર્સિટી સાથે ગ્રાન્ટેડ કોલેજો નથી ને એ વીર નર્મદ સાથે જ જોડાયેલી છે, છતાં સરકારે એ કોલેજોનું જોડાણ રદ્દ કરવાનો આદેશ આપ્યો. આ અજાણતાં થયું હોય એવું લાગતું નથી, પણ પરિણામ એ આવ્યું કે ગ્રાન્ટેડ કોલેજો ન તો વીર નર્મદ યુનિવર્સિટી સાથે રહી કે ન તો સાર્વજનિક યુનિવર્સિટી સાથે. સાર્વજનિક યુનિવર્સિટીએ પણ એ ન વિચાર્યું કે વર્ષોથી સાથે રહેલી ગ્રાન્ટેડ કોલેજોનું શું થશે? સરકારને તો કોલેજની ઐતિહાસિકતાની કદાચ બહુ ખબર ન હોય, પણ સોસાયટી તો એ જાણતી હતી કે તે ભવ્ય ઇતિહાસ સાથે સંકળાયેલી હતી. તેનું એક પણ પગલું એવું કેવી રીતે હોય જે ઈતિહાસ અને ભૂગોળ જ બદલી નાખે? એ વિચાર ન થયો ને આજે એ કોલેજો ન ઘરની કે ન ઘાટની સ્થિતિમાં આવી પડી છે. સાર્વજનિક એજયુકેશન સોસાયટી કે એમ.ટી.બી. અને બીજી કોલેજો શરૂ થઈ તે શ્રેષ્ઠીઓના દાનથી ! દાતાઓનો ઇરાદો સસ્તું ને સારું શિક્ષણ અપાય એવો હતો. એમાં કમાઈ ખાવાની દાનત ન હતી. એમણે કલ્પના પણ નહીં કરી હોય કે એમની ભૂમિ પર ખાનગીનો વેપાર શરૂ થશે ને સોસાયટીનો, સરકાર, હાથા તરીકે ઉપયોગ કરીને વાતને ગૂંચવી મારશે. સરકાર ગ્રાન્ટેડનું કોકડું ઉકેલે એમ લાગતું નથી. ઉકેલવાનો ઇરાદો જ ઓછો છે. તે એ રીતે કે થાકી હારીને વિદ્યાર્થીઓ ને વાલીઓ જ ખાનગી કે દૂરની કોઈ ગ્રાન્ટેડ કોલેજમાં જોડાય, કારણ અહીં ઓગસ્ટના વીસ દિવસ વીતવા છતાં એડમિશનનાં ઠેકાણાં નથી ને નજીકમાં ઠેકાણું પડે એમ લાગતું નથી. એટલે જતે દિવસે ગ્રાન્ટેડ કોલેજોમાં કોઈ એડમિશન લેવાવાળું જ ન રહે ને એ કોલેજો બંધ થાય એમ બને. એમ થાય તો સરકારને તો ટાઢે પાણીએ ખસ જશે, પણ સોસાયટી પોતાને કઈ રીતે માફ કરી શકશે એ પ્રશ્ન છે.

સુરતની ગ્રાન્ટેડ કોલેજોની જેમ જ બલિનો બકરો બારડોલીની કોલેજો પણ થઈ છે. એણે તો કોઇની સાથે જોડાવા કોઈ અરજી કરી નથી તો એને ખાનગી યુનિવર્સિટી સાથે જોડવાનું દબાણ સરકાર કેમ કરી રહી છે તે સમજાતું નથી. બારડોલીની કોલેજોમાં આદિવાસી વિસ્તારોનાં ગામોમાંથી ગરીબ વિદ્યાર્થીઓ આવે છે, એમને ખાનગીની ફી ભરવાની આવે તો ભણવાનું છોડવું જ પડે. એવા વિદ્યાર્થીઓને ખાનગી યુનિવર્સિટી સાથે જોડવાનું કોઈ રીતે યોગ્ય નથી. સરકાર કહે છે કે એમની ફીમાં વધારો નહીં થાય કે અધ્યાપકોને પણ કોઈ અસર નહીં થાય. એ જો એટલું જ સાચું છે તો વીર નર્મદ સાથે એને જોડાયેલી રાખવામાં શો વાંધો છે? વિદ્યાર્થીઓ ખાનગી યુનિવર્સિટીનું પ્રમાણપત્ર મેળવવા જ રાજી ન હોય તો એને ખાનગી યુનિવર્સિટી સાથે જોડવાનું કોઈ રીતે યોગ્ય નથી. સાર્વજનિક યુનિવર્સિટી થઈ એટલે સુરતની ગ્રાન્ટેડ કોલેજોને વીર નર્મદ યુનિવર્સિટીએ અલગ કરી દીધી, પણ બારડોલી કોલેજ તો કોઈ સાથે જોડાયેલી નથી તો એને અલગ કરવાનું સરકારે અને યુનિવર્સિટીએ કેમ કર્યું તેનો ખુલાસો થવો જોઈએ.

સાચી વાત તો એ છે કે કોઈ વિદ્યાર્થીએ ખાનગી યુનિવર્સિટી સાથે જોડાવાની ઇચ્છા કરી નથી કે નથી તો  અધ્યાપકોએ ખાનગી યુનિવર્સિટીમાં જવું. સોસાયટી યુનિવર્સિટી થાય એવી માંગ વિદ્યાર્થીઓએ કરી છે? નર્મદ સાથેનું જોડાણ રદ્દ થાય એવું વિદ્યાર્થીઓએ કહ્યું છે? જો આમાંનું કશું પણ વિદ્યાર્થીઓએ માંગ્યું નથી તો એમને રઝળતા મૂકવાનું શું કામ યુનિવર્સિટીને સરકાર કરી રહી છે? આ આખા ય વેપલામાં એમનો શું વાંક છે? જો નથી તો એ બધા વિના વાંકે દંડાઈ રહ્યા છે એનો વિચાર કોઈએ જ કરવાનો નથી? ખાનગી યુનિવર્સિટી સામેનો અને સરકાર સામેનો વિરોધ ઊગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં સરકારે આ કોકડું ઉકેલવું જોઈએ ને બીજું કૈં સરકાર કરી શકે એમ ન હોય તો સંબધિત કોલેજોને પૂર્વવત્‌ સ્થિતિમાં મૂકીને વહેલી તકે એડમિશન્સ શરૂ કરી દેવાં જોઈએ. બીજું સત્ર 15 નવેમ્બરથી શરૂ થવાની વાત છે, પણ પહેલું ક્યારે શરૂ થશે તે કોઈ કહેશે કે કેમ? કે સીધું બીજું સત્ર જ શરૂ થવાનું છે? અત્યારે તો શિક્ષણ જગત, સમયનો ગુનાહિત બગાડ કરી રહ્યું હોય એમ લાગે છે.

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 ઑગસ્ટ 2021

Loading

20 August 2021 admin
← ટૂંકીવાર્તાની કલા વિશે મારાં મન્તવ્યો (2)
સિનિયર ‘સિટિઝન’નું ગીત →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved