Opinion Magazine
Number of visits: 9487757
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમસ્યા એ છે કે દેશમાં શાસકો ઓછા અને રાજકારણી વધુ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|24 June 2021

દેશનું દુર્ભાગ્ય જ કહેવું જોઈએ કે દેશ એક સાથે અનેક વિકરાળ સમસ્યાઓથી ઘેરાયેલો છે ત્યારે દેશના શાસકો, શાસકો ઓછા છે અને રાજકારણીઓ વધુ છે. તેમની નજર માત્ર અને માત્ર ચૂંટણીઓ જીતીને સત્તા પર કબજો કરવા ઉપર છે અને શાસનના મોરચે જરા પણ નથી. વિદેશનીતિના મોરચે, અર્થનીતિના મોરચે, કોરોનાસંકટના મોરચે, કાયદો અને વ્યવસ્થાના મોરચે કે બીજા કોઈ પણ મોરચે સરકાર સમ ખાવા પૂરતો પણ સફળતાનો દાવો કરી શકે એમ નથી. શાસન તેમની પ્રાથમિકતા નથી. તેમની પ્રાથમિકતા છે; સત્તા અને એ દ્વારા હિંદુઓની કહેવાતી રાજકીય-સામાજિક સરસાઈ, જેને તેઓ હિંદુરાષ્ટ્ર કહે છે. નિર્બળને ધોલ મારવાની ચેષ્ટા જો હિંદુરાષ્ટ્રમાં હિંદુઓની શક્તિ ગણાતી હોય તો એ હિંદુરાષ્ટ્રની દયા જ ખાવી જોઈએ. ઇતિહાસ એમ કહે છે કે માથાભારેપણાની કિંમત માથાભારેપણું કરનારા લોકો જ સૌથી વધુ ચૂકવતા હોય છે. જે લોકો સાથે માથાભારેપણાનો વહેવાર થતો હોય એ લોકો ચેતીને જીવતા શીખી જાય છે અને ચેતતો નર સદા સુખી એવી કહેવત તો તમે સાંભળી જ હશે.

ખેર, આ દેશમાં એવા કેટલાક લોકો છે જેમને લઘુમતી કોમ સામે બહુમતી કોમની કોમી સરસાઈમાં જ રસ છે પછી દેશ ભલે ખાડે જાય. તેમને ખબર છે કે આ માટે સત્તા જરૂરી છે અને માટે તેઓ કોઈ પણ સંજોગોમાં વર્તમાન શાસકોને ટેકો આપવાના છે. પરંતુ આ દેશમાં એવા લોકો પણ મોટી સંખ્યામાં છે જેમને ધોરણસરનું શાસન કરનારા શાસકો જોઈએ છે. એવા શાસકો જેઓ લોકોની ઈચ્છા અને એષણાનો આદર કરે. એવા શાસકો જેઓ લોકોની ફરિયાદને કાન આપે. એવા શાસકો જેઓ લોકતંત્રની મર્યાદાઓનું પાલન કરે અને લોકતાંત્રિક સંસ્થાઓના અધિકારોનો આદર કરે. એવા શાસકો જે સમસ્યાઓ અને પ્રશ્નોથી ભાગે નહીં પણ તેનો સામનો કરે. એવા શાસકો જેઓ પોતાથી ચડિયાતા તેજસ્વી માણસોની સલાહ અને સેવાનો લાભ લે. એવા શાસકો જેઓ લઘુતાગ્રંથિથી ન પીડાતા હોય. એવા શાસકો જેઓ અન્ય રાજકીય પક્ષોની રાજકીય હાજરીનો આદર કરતા હોય. એવા શાસકો જેઓ રાજ્યોના બંધારણીય અધિકારો(ફેડરલિઝમ)નો આદર કરતા હોય.

હકીકત એ છે કે જેને આપણે ભક્તો તરીકે ઓળખાવીએ છીએ એવા આંધળા ટેકેદારોની સામે ધોરણસરનું શાસન અને મર્યાદાનું પાલન કરનારા ધોરણસરના શાસકોની ઈચ્છા ધરાવનારા ભારતીય નાગરિકોની સંખ્યા ચાર ગણી છે. તેઓ વિકલ્પની તલાશમાં છે અને તે વિષે સતત ચર્ચા ચાલી રહી છે. માત્ર ભારતમાં નહીં, વિદેશોમાં પણ ભારતનાં લોકતંત્રના ભવિષ્ય વિષે ચર્ચા ચાલી રહી છે.

આમ જુઓ તો અહીં જે વિવેચન કરવામાં આવ્યું છે અને જે મુદ્દાઓ ઉપસ્થિત કરવામાં આવ્યા છે એમાં જ વિકલ્પ રહેલો છે. જો માથાભારે રાજકારણ વર્તમાન સત્તાધારીઓનો માર્ગ હોય તો તેનો વિકલ્પ ધોરણસરનું શાસન જ હોઈ શકે. કયો રાજકીય પક્ષ કે રાજકીય પક્ષોનો મોરચો બી.જે.પી.નો વિકલ્પ બની શકે એ વિષે વિચારવાની જગ્યાએ સૌથી પહેલા તો અત્યારે જે જે રાજ્યોમાં ગેરબી.જે.પી. રાજકીય પક્ષોની સરકારો છે તેણે પોતાનાં રાજ્યમાં ધોરણસરનું જવાબદાર શાસન આપવું જોઈએ. શાસકીય અભિગમ સભ્યતા અને મર્યાદાવાળો હોવો જોઈએ અને શાસનના કેન્દ્રમાં ભેદભાવ વિના પ્રજાની સુખાકારી અર્થાત્ વિકાસ હોવો જોઈએ. દિલ્હીમાં આમ આદમી પાર્ટીને જે સફળતા મળી છે એ આનું પરિણામ છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે પણ મરાઠી અસ્મિતા અને મરાઠી માણસને ન્યાયનું રાજકારણ કરવાની જગ્યાએ સભ્યતા અને મર્યાદાવાળું ધોરણસરનું વિકાસલક્ષી શાસન કરી રહ્યા છે તેને કારણે એક શાસક તરીકેની તેમની પ્રતિષ્ઠામાં ખૂબ મોટો વધારો થયો છે. આવો જ પ્રયાસ છતીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ અને ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન પણ કરી રહ્યા છે. ઓડીશામાં નવીન પટનાયક પણ ધોરણસરનું શાસન આપી રહ્યા છે.

તામિલનાડુમાં તાજાતાજા અને પહેલીવાર મુખ્ય પ્રધાન બનેલા એમ.કે. સ્તાલીને પણ કમાલ કરી બતાવી છે. તેમણે આર્થિક સલાહકાર સમિતિની રચના કરી છે અને એમાં જે વ્યક્તિઓની તેમણે પસંદગી કરી છે તેમનાં નામ સાંભળશો તો આભા થઈ જશો. રીઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન, ગયા વરસે નોબેલ ઇનામ મેળવનારાં એસ્થર ડફલો, કેન્દ્ર સરકારના આર્થિક સલાહકાર રહી ચૂકેલા અરવિંદ સુબ્રમણ્યમ્‌, વિશ્વભરમાં વિકાસના અર્થશાસ્ત્રમાં નામના ધરાવનારા અને સ્વેચ્છાએ ગરીબની જિંદગી જીવનારા ગરીબ તરફી અર્થશાસ્ત્રી જૉં દ્રેઝ અને કેન્દ્ર સરકારનાં નાણા સચિવ રહી ચૂકેલા એસ. નારાયણ તામિલનાડુ સરકારની આર્થિક સલાહકાર સમિતિના સભ્યો છે. પાળવા તો વાઘ પાળવા બાકી ગલુડિયાં પાળીને શો લાભ! એવા માણસો કોઈ ખપના નથી જે કોણ છે એ શોધવા માટે ગૂગલનો આશરો લેવો પડે.

તો વાતનો સાર એ છે કે તમામ રાજ્યોમાં ગેરબી.જે.પી. સરકારના શાસકોએ લોકતાંત્રિક મર્યાદા, માનવીય સભ્યતા અને ભેદભાવરહિત વિકાસકેન્દ્રી શાસન કરવું જોઈએ. આ ત્રણ ચીજ એવી છે જેનો બી.જે.પી.ના રાજમાં સાર્વત્રિક અભાવ છે અને ઉપર કહ્યું એમ ભારતના સોમાંથી ૭૫ નાગરિક એને માટે ઝંખે છે.

અહીં એક વાત જણાવી દેવી જોઈએ કે ભારતનો સમવાય ઢાંચો હિન્દીભાષિક રાજ્યોને છોડીને મૂળભૂત રીતે અસ્મિતાજન્ય છે. હિન્દીભાષિક રાજ્યો પણ થોડેઘણે અંશે પોતાની અસ્મિતા ધરાવે છે. હિંદુ રાષ્ટ્રવાદી અસ્મિતા જેટલી આક્રમક બનશે અને પ્રાદેશિક અસ્મિતાઓને હાંસિયામાં ધકેલશે એટલી પ્રાદેશિક અસ્મિતાઓ પ્રતિકાર કરનારી જવાબી બનશે. આ સ્થિતિમાં પ્રાદેશિક પક્ષોએ પ્રાદેશિક અસ્મિતાઓનું રાજકારણ કરવાની જરૂર નથી. તેઓ જો સત્તામાં આવે તો તેમણે ભેદભાવરહિત વિકાસલક્ષી શાસન કરવું જોઈએ. હિંદુ અસ્મિતાના આક્રમણનો ભોગ બની રહેલી પ્રાદેશિક અસ્મિતાઓ એની મેળે પ્રતિકારક બનશે. જે રાજકીય પક્ષો અત્યાર સુધી અસ્મિતાઓનું રાજકારણ કરી રહ્યા છે તેમણે પણ શાસક તરીકે અસ્મિતાઓ ઘૂઘરો ફગાવી દેવો જોઈએ, જે રીતે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેએ ફગાવી દીધો છે. રાજ્યોના મતદાતાઓને એની મેળે જ જાણ થશે કે કહેવાતું હિંદુ રાષ્ટ્ર હિંદુ ધાર્મિક અસ્મિતાનું માથાભારે રાજ છે જેમાં અમારી પ્રાદેશિક અસ્મિતાને પાછળ ધકેલવામાં આવે છે. હિંદુ રાજ અન્યાયી તો છે જ અને ઉપરથી એમાં વિકાસની તો કોઈ વાત જ કરવામાં નથી આવતી. એક દિવસ કદાચ એવો પણ આવશે કે સમવાય ભારત (એટલે કે રાજ્યો) કેન્દ્ર સામે મોરચો માંડશે.

અને છેલ્લી જરૂરિયાત છે કપરાં સંજોગોમાં પણ હાર કબૂલ નહીં કરવાનો આત્મવિશ્વાસ અને થાક્યા વિનાની અખૂટ મહેનત. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ આનો પરિચય કરાવ્યો હતો. એ સિવાય મહારાષ્ટ્રમાં શરદ પવારે, આંધ્રપ્રદેશમાં જગન મોહન રેડ્ડીએ, બિહારમાં તેજસ્વી યાદવે, છતીસગઢમાં ભૂપેશ બઘેલે અને દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે આત્મવિશ્વાસ સાથે હામ હાર્યા વિના જે મહેનત કરી હતી તેનું પરિણામ આપણી સામે છે. બિહારમાં તેજસ્વી યાદવના પક્ષ રાષ્ટ્રીય જનતા દળને સૌથી વધુ બેઠકો મળી હતી. બિહારમાં વિજેતા તેજસ્વી યાદવ છે.

રહી વાત પરંપરાગત ગઠબંધનો અને કોના કેટલા વોટના સમીકરણોની તો મને એમ લાગે છે કે એ પ્રકારનું રાજકારણ હવે અપ્રાસંગિક બની રહ્યું છે. મર્યાદા, માણસાઈ, ભેદભાવરહિત વિકાસ, આત્મવિશ્વાસ અને મહેનત આ પાંચ ચીજો જ્યાં હશે ત્યાં બી.જે.પી.ને પરાસ્ત કરી શકાય છે. છેલ્લાં કેટલાંક વરસોનો અનુભવ આમ કહે છે. બી.જે.પી. પાસે છેલ્લી બે ચીજ છે, પહેલી ત્રણનો અભાવ છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 24 જૂન 2021

Loading

24 June 2021 admin
← સુખાકારીના ભોગે આબકારીનો ખેલ
ગાયને દોહીને બકરીને પાવા જેવું છે … →

Search by

Opinion

  • કોમનવેલ્થ ગેઇમ્સ માટે અમદાવાદ યજમાનઃ ખેલ વિશ્વ એટલે વૈશ્વિક રાજકારણમાં સોફ્ટ પાવર અને કૂટનીતિ
  • તાલિબાની સરકારના વિદેશ પ્રધાન ભારતની મુલાકાત લે એમાં આશ્ચર્ય ન થવું જોઈએ
  • ચલ મન મુંબઈ નગરી—311
  • વિજયી ભવઃ
  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી

Poetry

  • પિયા ઓ પિયા
  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved