Opinion Magazine
Number of visits: 9448650
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાગળનાં કોડિયાંનો લીધો અવતાર, પછી દાઝ્યાથી દૂર કેમ રહીએ?

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|17 June 2021

હૈયાને દરબાર 

સુગમ સંગીતનાં બે કર્ણપ્રિય ગીતો તાજેતરમાં સાંભળ્યાં. ગુજરાતી ગીતો બહુ ગવાતાં નથી કે સંભળાતાં નથી, એવી ફરિયાદ હંમેશ માટે ઘણાને રહી છે. વાતમાં તત્ત્વ તો છે, પરંતુ એક નાનકડો વર્ગ છે જે ગુજરાતી સુગમ સંગીતને ભરપૂર પ્રેમ કરે છે, એ ગીતો સાંભળે છે તથા ગુજરાતી ગીતોમાં રસ ધરાવતા ચાહકોમાં વહેંચે છે. અમદાવાદ, વડોદરા, સુરત અને મુંબઈમાં માત્ર સુગમ સંગીતને સમર્પિત વોટ્સએપ ગ્રુપ્સ પણ છે. સૌરાષ્ટ્ર બાજુ ય હશે, પરંતુ મને એની જાણ નથી. ટૂંકમાં, વિશ્વભરમાં એક વર્ગ ખરેખર ઉત્તમ ગુજરાતી કવિતાઓ, ગીતો અને સ્વરાંકનોનો ચાહક છે. મુંબઈના હાર્દિક ભટ્ટ, પ્રતીક મહેતા, સુરતના સંજય રાઠોડ, વડોદરાના પ્રણય વસાવડા અને લંડનના ગિરીશ ચાંદેગ્રા પાસે સુગમ સંગીતનો અલભ્ય ખજાનો છે. ગુજરાતી ભાષામાં અસંખ્ય ગીતો લખાયાં છે અને સ્વરબદ્ધ થયાં છે. એ રીતે વિચારું તો ‘હૈયાને દરબાર’ કોલમમાં કદાચ સો વર્ષ ચાલે એટલાં ગીતો મળે, પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે ગુજરાતી ગીતોના લેવાલ બહુ ઓછા છે. આ કોલમ શરૂ કરવાનો ઉદ્દેશ એ જ હતો કે આપણી માતૃભાષાનાં મીઠાં ગીતો લોકો સુધી પહોંચે. મારા આ પ્રયાસમાં મને સામેથી પણ ઘણી વાર સુંદર ગીતો ગુજરાતી સુગમ સંગીતના ચાહકો મોકલતા હોય છે. ‘કાગળનાં કોડિયાં’ ગીત લંડનથી ગિરીશ ચાંદેગ્રાએ મોકલ્યું અને ખૂબ ગમી ગયું. સુરતના જાણીતા કવિ, લેખક રવીન્દ્ર પારેખના આ ગીતને સ્વરબદ્ધ કર્યું છે આશિત દેસાઈએ અને ગાયું છે સુરેશ વાડકરે.

સુરેશ વાડકર હિન્દી તેમ જ અન્ય ભાષાઓના પાર્શ્વગાયક છે. મુખ્યત્વે એમણે મરાઠી અને હિન્દી ચલચિત્રોમાં પાર્શ્વગાયક તરીકે યોગદાન આપેલું છે. આ ઉપરાંત એમણે ભોજપુરી, કોંકણી, મલયાલમ, ગુજરાતી, બંગાળી, સિંધી ચલચિત્રો માટે પણ પોતાના કંઠે ગીતો ગાયાં છે. તેઓ ખાસ કરીને સુગમ સંગીત, ભાવગીતો તેમ જ ભક્તિગીતોના ગાયક તરીકે પ્રસિદ્ધ થયા છે. હિન્દી ફિલ્મોમાં ‘સીને મેં જલન’, ‘સાંજ ઢલે’, ‘મેઘા રે મેઘા રે’, ‘લગી આજ સાવન કી ફિર વો ઝડી હૈ’ જેવાં સરસ સ્વરાંકનો એમને ભાગે આવ્યાં હતાં. હિન્દી સિનેમાના સોનેરી યુગની એ આખરી પેઢીના કલાકાર કહી શકાય.

સુરેશ વાડકરનું પ્રદાન હિન્દી ફિલ્મ જગત ઉપરાંત મરાઠી અને ગુજરાતી સંગીત ક્ષેત્રે પણ રહ્યું છે. મરાઠી તો એમની માતૃભાષા છે, પરંતુ ગુજરાતીમાં એમણે લગભગ દોઢસો જેટલાં ગીતો ગાયાં છે.

સંગીતકાર આશિત દેસાઈ આ ગીત વિશે કહે છે, ‘આ ગીત મેં સિત્તેરના દાયકામાં ગુજરાતી સુગમ સંગીતની શિબિર વખતે સ્વરબદ્ધ કર્યું હતું. એ પછી રેડિયો પર ‘આ માસમાં ગીતો’ માટે સુરેશ વાડકર પાસે ગવડાવ્યું હતું. સુરેશજી સાથે અમારે અંગત સંબંધો છે. એમને હંમેશાં મારાં કંપોઝિશન્સ ગમે છે. આ ગીત એમણે બહુ જ સહજ-સરળ રીતે રેડિયો પર રજૂ કર્યું હતું. પ્રોફેશનલ કલાકારો કોઈ પણ ભાષામાં ગાઈ શકે છે, ફક્ત ઉચ્ચારો ક્યારેક સુધારવા પડે. મારાં સ્વરાંકનોની ખાસિયત એ છે કે કાવ્યમાં મને દૃશ્ય દેખાય તો મજા આવે. આ ગીતમાં કલ્પના એવી છે કે ‘કાગળનાં કોડિયાંનો લીધો અવતાર પછી દાઝ્યાથી કેમ દૂર રહીએ?’ કવિતાનો સાર એ જ છે કે ક્ષણભંગુર જિંદગીમાં જે મળ્યું છે એ સ્વીકારીને રહેવાનું છે. જગતના નાટ્યમંચ ઉપર આપણે જે વેશ ભજવવાનો નિર્ધારિત છે એ જ ભજવવો પડશે. જીવન ઊનનાં કોકડા જેવું છે. ઊન ઉકેલીએ તો પણ એના વળ તો એના એ જ રહે છે. એમ ઉતાર-ચડાવના વળાંકો જેવા જીવનનો છેડો છેવટે તો ભીંજાવાનો છે સૂકી રાખમાં. આ પંક્તિ, ‘ખોળિયાએ જ્યારે પંખેરી નામ પહેર્યું જ છે તો ટહુકાથી દૂર કેવી રીતે રહી શકાય?’ બહુ સચોટ છે. આ ગીત જાહેર કાર્યક્રમોમાં મેં પુષ્કળ ગાયું છે. કવિતાનો લય તરત મળી જાય તો સ્વરબદ્ધ કરવું આસાન થઈ જાય. આ ગીતમાં લય સરસ હોવાથી રિધમ પણ જળવાય છે. ગીત બની જાય પછી મને કાવ્યનું ચિત્ર તો દેખાય, એના કલર્સ પણ દેખાય.’

આ ગીત નજર સમક્ષ એક દૃશ્ય ખડું કરે છે. છેલ્લી પંક્તિઓમાં નાશવંત મનુષ્યદેહની નશ્વરતા સરસ રૂપકો દ્વારા કવિએ પ્રયોજી છે. સુરેશ વાડકરના કંઠે તો નીખરી જ ઊઠ્યું છે, પણ આશિતભાઈના અવાજમાં સાંભળવું એ ય લહાવો.

*****

બીજું માધવ રામાનુજનું ગીત, ‘એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું …’ સાંભળીને મારું બાળપણ યાદ આવી ગયું. માધવ રામાનુજને અંગતપણે મળવાનું થયું નથી, પરંતુ એમની કવિતાઓ અને ગીતો સ્મરણપટ પર નાનપણથી સજ્જડ અંકાઈ ગયાં છે.

મારા પિતાશ્રી જયંત પંડ્યા કવિ-લેખક તો હતા જ, પણ કાવ્યપઠન સરસ કરતા હતા. અમે નાનાં હતાં એ વખતે અમારે ત્યાં નવું નવું જર્મનીનું સાઉન્ડ મશીન આવ્યું હતું. પપ્પા લંડન-જર્મની ગયા હતા ત્યાંથી એમણે ખાસ મોકલ્યું હતું. સ્પૂલ ટેપમાં અમારે માટે બાળકવિતાઓ અને મમ્મી માટે એમને ગમતી કવિતાઓનું પઠન રેકોર્ડ કરીને મોકલતા. ‘પોઢો પોપટ, પોઢે સૃષ્ટિ’ જેવી બાળકવિતાઓ તો અમને ગમતી જ, પરંતુ મને હજુ પણ યાદ રહી ગયેલી પપ્પાની બે પ્રિય કવિતાઓ, જેમાંની એક લાભશંકર ઠાકરની ‘વહી જતી પાછળ રમ્ય ઘોષા’ અને બીજી માધવ રામાનુજની ‘દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન ..!’ આ બંને કવિતાઓનું ભાવવાહી પઠન પપ્પાએ કર્યું હતું. એ કુમળી વયે કવિનું નામ તો ક્યાંથી ખબર હોય પણ આજે આટલાં વર્ષે કવિતાના હૃદયસ્પર્શી શબ્દો અને પપ્પાનું રસપ્રદ પઠન મનમાં બિલકુલ અકબંધ છે. આ નાનપણનું સ્મરણ.

યુવા વયે મેં સુગમ સંગીત શીખવાનું શરૂ કર્યું ત્યારે માધવભાઈની અન્ય કવિતા, ‘એક વાર યમુનામાં આવ્યું’તું પૂર …’નો પરિચય થયો. મુંબઈના સંગીતકાર મોહન બલસારા પાસે હું ઘણી વાર ગીતો શીખવા માટે જતી હતી. સાહિત્યકાર કનુભાઈ સૂચકને ત્યાં મોહનભાઈ આવે એટલે સુગમ સંગીતની મહેફિલ જામે. એમણે મને એક વાર ‘યમુનામાં આવ્યું પૂર’ શીખવાડ્યું અને ખૂબ ગમી ગયું હતું. જો કે આ ગીત બીજા ઘણા સંગીતકારોએ સ્વરબદ્ધ કર્યું છે, પરંતુ મોહનભાઈએ શિખવાડેલી તરજ હજુ પણ ભુલાઈ નથી.

એ પછી હજુ ચારેક વર્ષ પહેલાં જ અમદાવાદમાં ગાયિકા વિભા દેસાઇને મળવાનું થયું. એમના ઘરે ગઈ ત્યારે વાતો તો ખૂબ કરી પણ એમનો જુદો જ લહેકો ધરાવતો અવાજ સાંભળ્યા વિના તો મુલાકાત પૂરી થઈ જ શકે નહીં એટલે મેં એમને કોઈક સરસ ગીત સંભળાવવાનું કહ્યું. એમણે શરૂ કર્યું, ‘કોઈના અનહદ સ્મરણમાં આંખ ભીની, કોઈ અનહદના સ્મરણમાં આંખ ભીની.’ અમર ભટ્ટનું સ્વરાંકન હતું અને વિભાબહેને એટલું સરસ એ ગાયું કે ઘરે પહોંચી ત્યાં સુધી એ ગીત સતત મનમાં ઘૂમરાયા કરતું હતું. કવિ કોણ છે પૂછતાં તેમણે કહ્યું, માધવ રામાનુજ. આ ગીત મુંબઈના સ્વરકાર પરેશ નાયકે પણ સરસ સ્વરબદ્ધ કર્યું છે અને હિમાલી વ્યાસ નાયકે ગાયું છે. હવે ચાર દિવસ પહેલાંની વાત. ગુજરાતી સુગમ સંગીતના ચાહક અને સંશોધક પ્રણય વસાવડાએ એક ગીત મોકલ્યું, ‘એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું …!’ શબ્દો સ્પર્શી ગયા. ગાયિકાનું નામ વાંચ્યું તો અન્વેષા દત્તગુપ્તા. ટેલિવિઝનના રિયાલિટી શો ‘છોટે ઉસ્તાદ’માં ઐશ્વર્યા મજમુદાર સાથે સ્પર્ધામાં જે હતી અને ખૂબ સરસ ગાતી હતી એના અવાજમાં આ ગીત સાંભળીને વિશેષ આનંદ થયો. આમ તો અમદાવાદમાં યોજાતા ‘સમન્વય’ કાર્યક્રમમાં એણે ગાયું હતું, પરંતુ શબ્દો અને સ્વરાંકન સુંદર હોવાથી ફરી ફરી સાંભળ્યું. શ્યામલ-સૌમિલ મુન્શીએ સ્વરબદ્ધ કરેલું આ ગીત મૂળ કવિતા કૃષ્ણમૂર્તિના અવાજમાં રેકોર્ડ થયું છે. ગીતના કવિનું નામ શોધ્યું તો જડ્યા માધવ. પછી તો ખાતરી થઇ ગઈ કે સંવેદનશીલતાની વાત આવે તો અત્ર-તત્ર-સર્વત્ર બધે માધવ જ છે. માધવ રામાનુજ સંવેદનાના કવિ છે અને યોગાનુયોગે એમનાં ગીતો મારા જીવનમાં અનાયાસે પ્રભાવ પાડી ગયાં છે.

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું,
સોણલાંની વાડી ઝાકમઝોળ;
કોણ રે ચૂંટે ને કોણ ચપટી ભરે;
મઘમઘ સુવાસે તરબોળ, સગપણ સાંભર્યું …!

દુનિયાનો કોઈ પણ સંબંધ હોય એ માત્ર ને માત્ર બે જ વસ્તુ પર ટકેલો હોય છે, એક છે વિશ્વાસ અને બીજી લાગણી. એવું કોઈક અજાણ્યું સગપણ સાંભરે ત્યારે બત્રીસે કોઠે દીવા પ્રગટે અને સોણલાંની વાડી ઝાકમઝોળ થઈ જાય. આ બંને ગીતો ઈન્ટરનેટ પર મળે તો સાંભળજો. —————

કાગળનાં કોડિયાંનો લીધો અવતાર,
પછી દાઝ્યાથી દૂર કેમ રહીએ?
ખોળિયાએ પહેર્યું જ્યાં પંખેરી નામ,
પછી ટહુકાથી દૂર કેમ રહીએ?
ઊકલેલા ઊન જેવું જીવતર ખૂલે ને
એનો છેડો ભીંજાય સૂકી રાખમાં,
પાણી લઈ સૂરજને ધોવાનું ભોળું
વરદાન મળે બળતા વૈશાખમાં,
બળવું જો કાજળની હોડી થઈ જાય,
ત્યારે દરિયાથી દૂર કેમ રહીએ.
શ્વાસોની સળિયુંને ભેગી મેલીને
કોઈ બાંધે છે હૈયામાં માળો,
ઝાડવાને ફૂટે જેમ લીલેરું ઘેન,
એમ યાતનાને રંગ ફૂટે કાળો,
ઘરને રે મોભ ચડી બોલે કાળાશ,
ત્યારે મરવાથી દૂર કેમ રહીએ

કવિ : રવીન્દ્ર પારેખ    •   સ્વરાંકન : આશિત દેસાઈ    •   ગાયક : સુરેશ વાડકર

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 17 જૂન 2021

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=692899

Loading

17 June 2021 admin
← વહીવટી વાવાઝોડું : આપણી જવાબદારી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આવા શિક્ષકોને કારણે ઊજળી છે … →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved