Opinion Magazine
Number of visits: 9448714
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વહીવટી વાવાઝોડું : આપણી જવાબદારી

ડંકેશ ઓઝા|Opinion - Opinion|16 June 2021

કોરોનાનો વાઇરસ જ્યારથી વિશ્વના દેશોની પ્રજાઓને વળગ્યો છે, ત્યારથી જેમનું ધ્યાન ન હતું, તેવા લોકોનું ધ્યાન પણ જાહેર વહીવટની ગેરવ્યવસ્થા તરફ જવા લાગ્યું છે. બધાંને ખબર પડી છે કે આપણે વહીવટમાં નબળા છીએ. આપણે કામચોર અને અનિર્ણયાત્મક છીએ. નિયમોનું પાલન કરવાનું કે શિસ્તમાં રહેવાનું કદાચ આપણાં લોહીમાં નથી. ધીરજ અને સહિષ્ણુતા બન્ને આપણે બહુ ઝડપથી ખોઈ બેસીએ છીએ. આ અને બીજાં અનેક કારણોસર આપણે ત્યાં કાયદાનું શાસન એટલે કે ધોરણસરની વ્યવસ્થા સ્થાપવામાં આપણે કાચા પડીએ છીએ.

આપણી લોકશાહીની વ્યવસ્થા કંઈક એવી છે જેમાં સૌથી ટોચ પર ચુંટાયેલી સરકાર છે. તેનામાં કોઠાસૂઝ અને પ્રસ્થાપિત નિયમો અને પરંપરા પ્રત્યે જે પ્રકારનાં આદર અને સન્માન હોવાં જોઈએ, તે વરતાતાં નથી. ઘણી બધી વખત તો પોલીસ ઇન્સ્પેક્ટરની અદાથી આખું વહીવટી તંત્ર ચલાવાય છે. રાજકીય દખલગીરી ઘટવી જોઈએ. તેના બદલે અતિશય પ્રમાણમાં તે વધતી ચાલી છે. વાત તો સારા વહીવટની અને ઓછા વહીવટની થતી હતી, પણ એ તો પોથીમાંનાં રીંગણાં સમાન બની રહેલ છે. આપણે ત્યાં રાજકીય દખલ ઘટે એ અપેક્ષિત છે, પરંતુ આખો માહોલ વિપરીત દિશાનો છે.

ગુજરાત વાવાઝોડાંમાંથી પ્રમાણમાં ઓછા નુકસાનથી બહાર આવી ગયું, પરંતુ ‘યસ’ નામના વાવાઝોડાએ ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં ઘણું નુકસાન વેર્યું છે. આપણા વડા પ્રધાન કોઈ પણ ચૂંટણી વખતે બેફામ વાણી-વિલાસમાં વિહરતા હોય છે. પછી બધું સમથળ થવા દેવાને બદલે રાજકીય કિન્નાખોરી, દ્વેષ અને વેરભાવના પ્રગટાવતાં રહે છે. પશ્ચિમ બંગાળમાં મુખ્ય સચિવ સાથેની જે કંઈ ઘટના બની તે અત્યારનું અતિ મહત્ત્વનું ઉદાહરણ પૂરું પાડે છે. આ બધા ઘોંઘાટમાં ઓરિસ્સાના મુખ્ય મંત્રી નવીન પટનાયકે કેન્દ્ર સરકાર કોવિડમાં વ્યસ્ત હોવાને કારણે તેની પાસે કોઈ મોટા રાહત પૅકેજની માંગણી ન કરી એ ‘પૉઝિટિવ’ સમાચાર ભાગ્યે જ અખબારોમાં હેડલાઈન બનીને ચમક્યા ! સંજોગો અને પરિસ્થિતિ મુજબનું આદર્શ વર્તન કેવું હોઈ શકે તેનું ઉદાહરણ આ મુખ્ય મંત્રીએ પૂરું પાડ્યું.

આપણું રાજ્ય સમવાયતંત્રી છે. એટલે કે સત્તા વિકેન્દ્રિત રીતે રાજ્યોમાં વહેંચાયેલી છે, રાજ્યો કેન્દ્ર સાથે જોડાયેલાં છે. કેન્દ્ર અને રાજ્ય બન્ને પરસ્પર અનેક રીતે જોડાયેલાં છે. બંધારણે અનેક રીતે આ સંબંધની શક્તિ અને મર્યાદા કેટલીક જોગવાઈઓ દ્વારા સ્પષ્ટ કરી આપી છે. કેન્દ્રનો હાથ ઉપર રહે એ સ્વાભાવિક છે પરંતુ રાજ્યો એવા તાબેદાર નથી એ રીતે કેન્દ્રે વર્તવાનું છે. રાજ્યપાલની નિમણૂક વખતે કે મુખ્ય સચિવની નિમણૂક વખતે તેણે આદર્શ પરામર્શકની ભૂમિકા અદા કરવાની છે. આદર્શો વ્યવહારમાં ક્યાં ય જણાતા નથી એ જ મોટી મુશ્કેલી છે.

ટોચનો વહીવટી સંવર્ગ પણ પોતાની ભૂમિકા બરાબર સમજતો નથી અને અદા કરતો નથી. રાજકીય સરકારો વફાદારીની અપેક્ષા રાખે છે અને આ સર્વોચ્ચ અધિકારીઓ સ્થૂળ લાભો મેળવવા માટે સ્પર્ધામાં ઉતરે છે. છાણના દેવને કપાસિયાની આંખો જેવો ઘાટ ચાલ્યા કરે છે. તેઓ અંતે વહીવટી પ્યાદાં બનીને અટકી જાય છે.

અદાલતોએ આ સમયમાં ઘણું જોર બતાવવા માંડ્યું છે. તેથી પ્રશ્ન એ ઊભો થાય છે કે રાજવહીવટ સરકાર ચલાવશે કે અદાલતો ? પારદર્શકતા અને આંકડાઓની પારદર્શકતા એનો તો ઘડોલાડવો થઈ ગયો છે. કોઈ પણ બાબતના અધિકૃત આંકડા, વિશ્વસનીય આંકડા આપણી પાસે ઉપલબ્ધ ન હોય, તો કરવામાં આવતું આયોજન ધૂળ પરનું લીંપણ બની રહે તે સાવ સ્વાભાવિક છે. સરકારોએ પોતાના સ્વાર્થી રાજકારણથી વહીવટની કમર તોડી નાખી છે. સંનિષ્ઠ, પ્રામાણિક, હિંમતવાળા, કાયદાની શિસ્ત પ્રમાણે ચાલનારા અધિકારીઓ આજના સમયમાં ખૂણો પાળવો પડે એવી દશામાં મુકાઈ ગયા છે. મુખ્ય સચિવને વહીવટી રીતે નાથવામાં નિષ્ફળ જતું તંત્ર હવે વેરભાવનાથી ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઍક્ટ હેઠળ તેને સજા કરવા પર આવી ગયું છે!

પ્રત્યેક વરિષ્ઠ સનદી અધિકારીનું સ્વપ્ન કારકિર્દી દરમિયાન મુખ્ય સચિવપદે પહોંચવાનું હોય છે. પછી મુખ્ય સચિવપદની ગરિમા તંત્રના એક ઑમ્બુડ્ઝમેનની રીતે અદા કરવાની હોય છે. આવી વ્યાપક ફરજ અને નિષ્ઠા તેમનામાં રોપાયેલી છે, એવી સમજ તેમનામાં પણ ઊતરતી નથી. પૂર્વસરકારોને દોષ દેવાથી પોતે ઊજળા દેખાઈ શકતા નથી ત્યારે ઘાંઘા થયા સિવાય કે અંધારામાં આથડવા સિવાય બીજી કોઈ નિયતિ તેમની પાસે બચતી નથી. જે જોઈ શકે છે, તેને આ બધું અતિ સ્પષ્ટ રીતે દેખાય છે, પરંતુ કેટલાક આંખ આડા કાન કરવામાં અને કોઈકના ખોળે બેસી જવામાં વફાદારીની સલામતી શોધે છે.

પત્રકાર રમેશ ઓઝા ગાઈ-વગાડીને વારંવાર કહે છે તે મુજબ જમણેરી વિચારધારાનાં તંત્રો ધોરણસરનું શાસન કરવામાં માનતાં નથી હોતાં અને ધોરણસરનો વહીવટ આપી નથી શકતા. પોતાના અસ્તિત્વને અને પોતાની પ્રભાવી સત્તાને ટકાવી રાખવા માટે આવી અવ્યવસ્થા સર્જવી અને ચાલવા દેવી એ એમની કદાચ વ્યૂહરચના હોય છે. આવા નિરાશાજનક માહોલમાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની હાલની ભૂમિકા કંઈક આશા જગવે છે, જેના અણસાર સી.બી.આઈ.ના વડાની પસંદગીના પ્રક્રિયામાં અને રાજદ્રોહનો કેસો અને તેની કાયદાકીય જોગવાઈ બાબતે જે પુનઃવિચારણા તેઓ હાથ ધરી રહ્યા છે, તેમાં વર્તાય છે. એમાંથી પ્રેરણા લઈને પ્રત્યેક જાગ્રત અને સંવેદનશીલ નાગરિકે પોતે જ્યાં હોય ત્યાંથી પોતાને ફાળે આવતી જવાબદારી વ્યાપક દેશહિતમાં અદા કરવાની રહે છે.

સરહદ ઉપર સલામતી જોખમાય તેવાં છમકલાં થાય છે ત્યારે આપણી જે રીતે ઊંઘ ઊડી જાય છે તેવું દેશના આંતરિક માહોલમાં સર્જાય છે ત્યારે મોટે ભાગે આપણને ખબર સુધ્ધાં પડતી નથી. આપણે સબસલામતની આલબેલ પોકારીને લાંબી સોડ તાણતા રહીએ છીએ. લોકશાહી આપણી પાસે સતત જાગૃતિ અને સતત સાવધાનીની અપેક્ષા રાખે છે.

e.mail : dankesh.oza20@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2021; પૃ. 10

Loading

16 June 2021 admin
← કાન જ ગાયબ !
શું ચીન જેવી સફળતા મેળવવા તેમની શાસન રીતિ-નીતિ અપનાવીશું ? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved