Opinion Magazine
Number of visits: 9448697
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘વીસમી સદી’માં ‘ઘનશ્યામ’ બન્યા કનૈયાલાલ મુનશી

દીપક મહેતા|Opinion - Literature|10 June 2014

ધારાવાહિક નવલકથાના પ્રકાશન અંગે શરૂઆતમાં એક એવો ચાલ જોવા મળે છે કે મોટે ભાગે સામાયિકના ‘અધિપતિ’ (તે વખતે તંત્રી માટે વપરાતો શબ્દ) પોતાની જ નવલકથા છાપતા. ઈચ્છારામ સૂર્યરામે ‘ગુજરાતી’ સાપ્તાહિકમાં પોતાની નવલકથાઓ છાપી હતી. જાણીતા સાક્ષર અને સમાજ સુધારાની બાબતમાં રૂઢીવાદી વલણ ધરાવતા મણિલાલ નભુભાઈએ ૧૮૮૫માં મુખ્યત્વે સ્ત્રીઓને ધ્યાનમાં રાખીને ‘પ્રિયંવદા’ માસિક શરૂ કર્યું તેમાં પોતાની ‘ગુલાબસિંહ’ નવલકથા હપ્તાવાર પ્રગટ કરી. અલબત્ત, આ તેમની મૌલિક નવલકથા નહોતી. રમણભાઈ નીલકંઠની ‘ભદ્રંભદ્ર’ પુસ્તક રૂપે તો ૧૯૦૦માં પ્રગટ થઈ, પણ તે પહેલાં તે તેમના ‘જ્ઞાનસુધા’ માસિકમાં હપ્તાવાર પ્રગટ થઈ હતી. સમાજ સુધારા અંગે મણિલાલ કરતાં સામા છેડાના મત ધરાવનાર રમણભાઈએ ૧૮૯૨માં ‘જ્ઞાનસુધા’ શરૂ કર્યું અને એ જ વર્ષના માર્ચના અંકથી તેમણે તેમાં ‘ભદ્રંભદ્ર’નું પ્રકાશન શરૂ કર્યું. આ ધારાવાહિક પ્રકાશન છેક ૧૯૦૦ના જાન્યુઆરી-જૂન અંકમાં પૂરું થયું, એટલે કે લગભગ આઠ વર્ષ સુધી ચાલ્યું. આમ થવાનું કારણ એ નહોતું કે નવલકથા બહુ લાંબી હતી. એ છે તો ૩૨૭ પાનાંની. પણ કારણ એ હતું કે ‘જ્ઞાનસુધા’નું પ્રકાશન સતત ખૂબ અનિયમિત રહ્યું હતું. ક્યારેક તો વર્ષમાં તેના એક કે બે જ અંક પ્રગટ થતા. જે અંકમાં તે પૂરી થઈ તે છ મહિનાનો સંયુક્ત અંક છે. અહીં એ નોંધવું જોઇએ કે ‘જ્ઞાનસુધા’માં આ નવલકથા છપાઈ ત્યારે તેની સાથે લેખક તરીકે કોઈનું નામ છપાતું નહોતું. જો કે તેના લેખક રમણભાઈ છે એ વાત ઝાઝો વખત છાની રહી શકી નહોતી. આ નવલકથા લખવાનું શરૂ કર્યું ત્યારે રમણભાઈની ઉંમર હતી ૨૪ વર્ષની. પુસ્તક રૂપે પ્રગટ થઈ ત્યારે ઉંમર હતી ૩૨ વર્ષ. પોતાના મૂળ નામ ‘દોલત શંકર’માં આવતા ‘દોલત’ જેવા યાવની શબ્દને કારણે એ નામ ત્યજી, પ્રાયશ્ચિત્ત કરી, ભદ્રંભદ્ર’ એવું નામ ધારણ કરનાર વિશેની આ નવલકથા પુસ્તક રૂપે પ્રગટ થઈ ત્યારે એના પ્રકાશક હતા દોલતરામ મગનલાલ શાહ. પોતાના ‘દેશભક્ત’ નામના પત્ર માટે તેમણે આ નવલકથા પુસ્તક રૂપે છાપી હતી. અને આ ‘દેશભક્ત’ના એક ભાગીદાર હતા આપણા યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈના પિતા વસંતલાલ સુંદરલાલ દેસાઈ. ૧૯૧૬ના એપ્રિલથી હાજી મહમદ અલારખિયાએ એ વખતે અનન્ય કહી શકાય એવું માસિક ‘વીસમી સદી’ શરૂ કર્યું. એ જ વર્ષના જુલાઈ અંકથી તેમણે પોતાની ‘દિલારામ’ નામની નવલકથાનું ધારાવાહિક પ્રકાશન તેમાં શરૂ કર્યું.

૧૯૧૨ના ડિસેમ્બરની પાંચમી તારીખે ઈચ્છારામનું અવસાન થયું તે પછી તેમના પુત્ર મણિલાલ ‘ગુજરાતી’ના અધિપતિ બન્યા. તેમણે નવલકથા માટે બહાર નજર દોડાવી. અને તેઓ એક નવા જ નવલકથાકારને લઈ આવ્યા. એમનું નામ ઘનશ્યામ વ્યાસ. ૧૯૧૩ના ઓગસ્ટના અંકથી તેમની નવલકથા ‘ગુજરાતી’માં ધારાવાહિક રૂપે પ્રગટ થવા લાગી. આ ઘનશ્યામ વ્યાસ તે બીજું કોઈ નહિ, પણ કનૈયાલાલ મુનશી. અને તેમની ધારાવાહિક તે તેમની પહેલી નવલકથા ‘વેરની વસૂલાત.’ ‘ગુજરાતી’માં આ નવલકથા છપાવાનું શરૂ થયું તે પહેલાં મુનશીની પહેલી ટૂંકી વાર્તા ‘મારી કમલા’ ઉપનામથી નહિ, પણ મુનશીના પોતાના નામથી અમદાવાદથી પ્રગટ થતા ‘સુંદરી સુબોધ’ માસિકના ૧૯૧૨ના જૂન અંકમાં પ્રગટ થઈ હતી અને બીજી કેટલીક વાર્તાઓ પણ અન્ય સામયિકોમાં પ્રગટ થઈ હતી. ‘વેરની વસૂલાત’ના પ્રકાશનને એક રીતે ટર્નિંગ પોઈન્ટ કહી શકાય, કારણ ત્યારથી અધિપતિની નવલકથા છાપવાને બદલે અન્ય લેખકની નવલકથા છાપવાના ચાલે આપણાં સામયિકોમાં જોર પકડ્યું. એપ્રિલ ૧૯૧૭ના અંકથી ‘વીસમી સદી’માં મુનશીની ‘ગુજરાતનો નાથ’ ધારાવાહિક રૂપે શરૂ થઈ. અલબત્ત, શરૂઆતમાં તેના લેખક તરીકે ‘રા. ઘનશ્યામ’નું નામ છપાતું હતું. પણ એપ્રિલ ૧૯૧૮ના અંકથી તેના હપ્તા મુનશીના નામ સાથે છપાતા થયા. આ નવલકથાના દરેક હપ્તા સાથે છપાતાં રવિશંકર રાવળનાં ચિત્રોએ પણ અનેરું આકર્ષણ જગાવ્યું હતું. ‘ગુજરાતનો નાથ’ની અગાઉ લખાયેલી ‘પાટણની પ્રભુતા’ પણ ‘ઘનશ્યામ’ ઉપનામથી ‘ગુજરાતી’ના વાર્ષિક ભેટ પુસ્તક રૂપે છપાઈ હતી, ઘણા માને છે તેમ ધારાવાહિક રૂપે નહિ.

અલબત્ત, એ વખતે પણ કેટલાંક સામયિકો એવાં હતાં કે જે સભાનપણે ધારાવાહિક નવલકથાના પ્રકાશનથી દૂર રહ્યાં હતાં. પણ તે અંગેની વધુ રસિક વાતો હવે પછી ક્યારેક. 

સૌજન્ય : ‘ડાયરી’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 08 જૂન 2014

Loading

10 June 2014 admin
← સશક્તિકરણ અને વિકાસવાર્તા છતાં …
ઑપરેશન બ્લુસ્ટારના કેટલાક સૂચિતાર્થો : ૨૦૧૪ માટે ૧૯૮૪નું વર્ષ લેસન સમાન →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved