આજકાલ પોઝિટિવિટીનો પવન ફૂંકાયો છે. સોશિયલ મીડિયામાં, એ દ્વારા થોડું જૂઠાણું નભાવી લેવાની વાતો કહેવાતી રહે છે. એ સાચું છે કે કોરોના કાળમાં સતત નકારાત્મકતા જ ઝીંકાતી રહે છે ને સારો માણસ પણ ભયભીત થઈને માનસિક સમસ્યાનો ભોગ થઈ પડે છે, એવે વખતે હકારાત્મક વલણ ટકવા માટેનું પરિબળ બને જ એમાં શંકા નથી, પણ હકારાત્મકતા ક્યાં સુધી તે વિચારવાનું રહે. અનેક લોકો સ્વજનોને કે પારકાંને બચાવવા જીવ પર આવી જઈને પ્રયત્ન કરતાં હોય છે, પણ બધાં એવું ન કરી શકે ને બીજા ક્ષેત્રની કોઈ વ્યક્તિ જે તે ક્ષેત્રમાં રહીને પ્રયત્ન કરે તો તેને પણ સમજવાનો રહે. દાખલા તરીકે કોઈ પત્રકાર જે તે સ્થિતિ ઊભી કરનાર સરકાર કે આરોગ્યતંત્રની પ્રશંસા કે ટીકા કરે તો તે તેનો ધર્મ બજાવે છે, પણ તેવો પ્રયત્ન ઘણાંને કોઈક કારણસર ગમતો નથી. એમને એમ લાગે છે કે પત્રકારે ઓક્સિજન કે ઇન્જેક્શન દરદીને પહોંચાડવાં જોઈએ, એ એમ કરી શકતો હોય તો તેમ કરવું પણ જોઈએ, પણ તેમ ન કરે ને લેખો લખીને પ્રજાનું કે તંત્રનું ધ્યાન દોરે તો તે ખોટું કરે છે એમ કહી શકાય નહીં. ઘણાનું એમ માનવું છે કે સાચી હકીકત જાણીને કેટલાકની હિંમત તૂટે છે, એ ખરું, પણ સાચું જાણીને કેટલાંક કેમ ટકવું એની હિંમત ભેગી કરી શકે એવું પણ ખરું કે કેમ?
કોરોનાને કારણે સતત મૃત્યુના આંકડા જ અપાયા કરે તો તેને લીધે વ્યક્તિમાં નિરાશા વ્યાપે એમ બને, એવે વખતે કેટલા સાજા થયા તેના આંકડા પણ અપાવા જોઈએ, પણ મૃત્યુ વિષે ચૂપ રહેવામાં જ જો પોઝિટિવિટી આવી જતી હોય તો એ બરાબર નથી. એ તો મૃત્યુ છુપાવવા કે નકારવા જેવું થાય. પત્રકારનો ધર્મ સત્ય છુપાવવાનો નથી. સરકાર મરણના આંકડા છુપાવે કે હોસ્પિટલની અસુવિધા વિષે હકીકત ન કહે કે ઓક્સિજનની અછત અંગે છાવરે તો કોર્ટ સાચી વાત જણાવવા દબાણ કરે છે. તો, એમ કહીશું કે કોર્ટ નકારાત્મક વલણ દાખવે છે? સરકાર આંકડા છુપાવે ને સાચું ચિત્ર લોકો સમક્ષ પ્રગટ ન કરે તો એ સરકારનું હકારાત્મક વલણ છે એમ કહી શકાશે? જેમ છુપાવવું હકારાત્મકતા નથી એમ જ હોય તેનાથી વધુ બતાવવું કે જોવું પણ હકારાત્મકતા નથી.
કેટલાંક બી પોઝિટિવ-નો મંત્ર જપતા રહે એમાં પોતાનું બ્લડ ગ્રૂપ સૂચવવા માંગતાં હોય ને આપણે તેને પોઝિટિવ ગણીને અહોભાવથી જોઈ રહીએ એમ બને. એ પણ ખરું કે આ કહેવાતી પોઝિટિવિટી પણ ગણતરી વગરની નથી હોતી. કોઈ વ્યક્તિ સરકારની તટસ્થતાથી આલોચના કરે તો શાસકપક્ષના સમર્થકો ગિન્નાતા હોય છે. સરકારને ન લાગે એટલું એ સમર્થકોને લાગી આવતું હોય છે. એની સામે એ જ ટીકા વિપક્ષને ઓછી પણ લાગતી હોય છે. તેને થાય છે કે હજી સરકાર વિરુદ્ધ ઘણું કહી શકાયું હોત. એટલે એક જ ટીકા એક ને ઓછી ને એકને વધારે લાગે છે. અહીં જો ટીકા કરનારે તટસ્થ ચિત્ર આપ્યું હોય તો તેને તે રીતે જોવાનું રહે. એવું કેમ છે કે ટીકા કરનાર સરકાર વિરોધી અને ન કરનાર વિપક્ષનો સમર્થક ગણાવાતો હોય છે? એવું પણ બનેને કે કોઈ વ્યક્તિ શાસક પક્ષમાં ન હોય એ સાથે જ તે વિપક્ષમાં પણ ન હોય. એવી વ્યક્તિને આ દેશમાં સ્થાન છે કે કેમ? એવી વ્યક્તિ કોઈ પણ ગણતરી વગર સ્પષ્ટ ચિત્ર આપવા માંગે તો તેને શાસક કે વિપક્ષનાં ચશ્માં ચડાવ્યાં વગર જોઈ જ ન શકાય?
પોઝિટિવ હોવું એ સારી વાત છે, પણ સાચું કહેવું કે જાણવું એ શું પોઝિટિવિટી નથી? રણમાં તોફાન આવે તો શાહમૃગ રેતીમાં માથું ખોસી દે છે. આપણે એને શાહમૃગી વૃત્તિ પણ કહીએ છીએ. તે એમ સૂચવે છે કે ભય છતાં તે નથી એવા ભ્રમમાં રહેવું. આ પોઝિટિવિટી નથી. ભય હોય તેના કરતાં વધુ ન માનવો, પણ ભય હોવા છતાં ભય નથી એમ માનવું તે ભ્રમ છે. કોરોનાએ દાટ વાળ્યો છે એનો દુનિયા ઇન્કાર ન કરી શકે. એ વરવી વાસ્તવિક્તાનો સ્વીકાર કરી તેનો સામનો કરવા કટિબદ્ધ થવું એ પણ પોઝિટિવ વલણ જ છે, પણ ઘણાનું કહેવું છે કે સતત મરણની, માંદગીની વાતો ન ફેલાવો, એની મન પર વિપરીત અસર પડે છે, એ સાચું છે. સોશિયલ મીડિયા પર, છાપાંઓમાં એવી એવી વાતો આવે છે કે માથું ભમી જાય. જે જાણે છે તે ને નથી જાણતો તે પણ, ઉદ્ધારકની ભૂમિકામાં આવી જાય છે ને ઇરાદો એવો રાખે છે કે લોકો તેને સૌથી વધુ સબસ્ક્રાઈબ ને ફોરવર્ડ કરે. એમાં કેટલુંક સાચું પણ હશે, પણ મોટે ભાગે તો એમાં હેતુ પ્રચારનો જ હોય છે. ઘણીવાર તો લોકોને ભયભીત રાખવાનું કાવતરું ચાલતું હોવાનો વહેમ પડે છે. ઉપચારને નામે, મરણને નામે, રોગનાં લક્ષણને નામે એટલી બધી પંચાત થાય છે કે સ્વસ્થ માણસ પણ વગર રોગે મરવા પડે. આવું થતું હોય તો તેનો વિરોધ થઈ શકે, તેને નકારવામાં પણ હકારાત્મકતા છે, પણ તેનો અર્થ એવો નથી કે જે સાચું છે તેને પણ નકારવું.
એક દિવસમાં સાડા ત્રણ લાખથી વધુ લોકો દેશમાં સંક્રમિત થયા હોય ને સવા બે લાખ નજીકનો આંકડો સાજા થયાનો હોય તો તે સ્વીકરવો પડે, તે સાથે જ 2,760થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા તે વાત પણ માનવી પડે, પણ ઘણા કહેવાતા પોઝિટિવ પંથીઓને એમ લાગે છે કે મરણની વાત ન કરવી જોઈએ. ન કરવાથી ગયેલા પાછા આવે એમ હોય તો ન જ કરવી જોઈએ, પણ સૌ જાણે છે કે એવું નથી. દિલ્હીનીહોસ્પિટલોમાં ઓક્સિજનની અછતને કારણે બે દિવસમાં પચાસ કોરોના દરદીઓએ જીવ ગુમાવ્યા એ કરુણ વાસ્તવિક્તા છે. એની સામે પોઝિટિવિટીને નામે આંખ આડા કાન ન કરી શકાય. મૃત્યુ થયાં હોય તો એ નથી થયાં એવું તો કેમ મનાય? મૃત્યુનો અસ્વીકાર તો વ્યક્તિ જગતમાં હતી જ નહીં એવું સૂચવે. આવી વાત કરનારાઓ ભડકતી ચિતાઓ બધી ચેનલો પર જોઈ વળે છે ને પછી સલાહ આપે છે કે આટલી બધી ચિતા ચેનલોએ ન બતાવવી જોઈએ. જેણે એ ન જોવું હોય તેના હાથમાં રિમોટ છે જ કે છાપું પણ બાજુ પર મૂકી શકે, પણ તેનો અર્થ એવો નથી કે મીડિયાએ કે પત્રકારે સાચી વિગતો ન આપવી. કોઈ પત્રકાર છાપામાં દિવ્યાંગ અને નિવૃત્તિને આરે આવેલા શિક્ષકોને કોવિડ-૧૯ની કામગીરી સોંપાય તેનો વિરોધ કરે ત્યારે એ શિક્ષકનો દલાલ નથી, પણ ફરજના ભાગ રૂપે વિરોધ દર્શાવે છે, ત્યારે એના વિરોધને વિવેક બુદ્ધિથી જોવો તપાસવો એ પણ પોઝિટિવ એટિટ્યૂડ જ છે. કેન્દ્રના કે રાજ્યના આરોગ્ય મંત્રી કોરોનાના કપરા કાળમાં વર્તાય જ નહીં, તો એમને શોધીને ટપારવાનું કોઈ કરે કે કોઈ વિધાનસભ્ય બાંકડા આપતા આપતા લાકડાં આપવાનું ગૌરવ લે ને તેને કોઈ ટકોરે તો એની પીઠ ભલે ના થાબડીએ, પણ પોઝિટિવિટીને નામે તેને નાહિંમત પણ ના કરીએ.
એ છે કે ક્યારેક મીડિયા કે પત્રકાર પણ ભ્રષ્ટ નીવડે છે ને વધારે કે ઓછું જણાવે છે, પણ એ તો વાચક કે દર્શકે વિવેક બુદ્ધિથી નક્કી કરવાનું રહે કે કોનું કેટલું માનવું? આમ પણ પ્રમાણિક અને સંનિષ્ઠ પ્રયત્નો ઓછા જ છે, ત્યારે કોઈ સાચું જણાવે તો એવી જ સચ્ચાઈ અને તટસ્થતાથી વાચકે કે દર્શકે જોવા- જાણવાનું રહે. તેને બદલે કેટલાક સદ્દભાવથી એવી સલાહ આપતા હોય છે કે ગમે તેટલું લખો તો પણ કોઈ ફેર પડવાનો નથી. એ સાચું હશે, પણ હંમેશ માટે સાચું નથી.
કોઈ એકલદોકલના પ્રયત્નથી એકાએક ફેર ન પડે એમ બને, પણ સામૂહિક પ્રયત્નો વારંવાર થાય તો તેની લાંબે ગાળે અસર થતી હોય છે. અત્યાર સુધી કોર્ટ કે સરકાર કોરોનાના ફેલાવા માટે લોકોને જવાબદાર ઠેરવતી રહી, પણ મીડિયાએ સતત હથોડા માર્યા કે લોકો જવાબદાર હોય તો પણ, સરકાર તેની જવાબદારીમાંથી છટકી શકે નહીં. એનું પરિણામ એ આવ્યું કે ચૂંટણી પ્રચારમાં મંદી આવી. ઓક્સિજનની અછત દૂર કરવાની જવાબદારી સરકારની છે એવું વારંવાર મીડિયાએ નોંધ્યું, એની અસર એ પડી કે કોર્ટે સરકારને કહેવું પડ્યું કે ગમે તે કરો, પણ ઓક્સિજન લાવો. દિલ્હી કોર્ટે સાફ કહ્યું છે કે ઓક્સિજન સપ્લાયમાં જે કોઈ બાધા ઊભી કરશે એને ફાંસી આપી દઈશું. આવા ઊહાપોહને કારણે કેન્દ્ર સરકાર ઓક્સિજન પ્લાંટની, ઓક્સિજન એક્સપ્રેસ દોડાવવાની પેરવીમાં પડી છે. ઓક્સિજન મેનેજ કરવાનું પણ સહેલું નથી. તે પ્રાણવાયુ છે, તો પ્રાણઘાતક પણ છે. બગદાદની એક હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્કમાં સ્પાર્ક થતાં 80થી વધુ લોકોનાં મોત થયાં છે. એટલું છે કે સરકાર મીડિયા, કોર્ટની પ્રતિક્રિયાને કારણે ગંભીર થઈ છે. એનાં શું પરિણામો આવશે, તે તો સમય કહેશે, પણ ફેર નથી જ પડતો એવું નથી.
પોઝિટિવ થિંકિંગ ને નામે નિષ્ક્રિયતા વકરતી હોય તો તે અંગે પુનર્વિચાર થવો ઘટે. કહેવાનું તાત્પર્ય એ છે કે પોઝિટિવ થિંકિંગથી વિવેક જાગૃત રહેવો જોઈએ. વિવેક જ ન રહે તો એ થિંકિંગ પોઝિટિવ હોય કે નેગેટિવ, હાનિકારક જ છે ને ગમે એટલી પોઝિટિવ વ્યક્તિ પણ કોરોના પોઝિટિવ ઈચ્છે છે? કેમ? વિચારીએ –
0 0 0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 ઍપ્રિલ 2021