જ્યારે આખા મુંબઈની રખેવાળી ૧૫૮ પોલીસ કરતા
ચોરીના ગુના માટે ફાંસીની સજા!
ગ્રેટ વેસ્ટર્ન બિલ્ડિંગના અનેક અવતાર
આખા મુંબઈની રખેવાળી કરવા માટે કેટલા પોલીસ જોઈએ? આજે ૪૦ હજાર પોલીસ પણ ઓછા પડે છે. પણ ઈ.સ. ૧૭૯૩માં ફક્ત ૧૫૮ પોલીસ આખા મુંબઈ(ત્યારે તેની સીમા માહિમ સુધીની જ હતી)ની રખેવાળે કરતા. તેમાંના ૨૮ ગોરા ‘કોન્સ્ટેબલ’ હતા, ૧૩૦ ‘દેશી’ ‘પિયુન’ હતા! શહેરમાં ૧૪ જગ્યાએ તેમની ટુકડી રખેવાળી કરતી. દરેક ટુકડીમાં બે ગોરા કોન્સ્ટેબલ અને ઓછામાં ઓછા ૬ અને વધુમાં વધુ ૧૨ પિયુન રહેતા. આ ૧૪ ટુકડીઓ જ્યાં રાખવામાં આવેલી એ જગ્યાઓ હતી : ધોબી તળાવ, બેક બે, પાલવા, ગિરગાંવ, ગામદેવી, પીલાજી રામજી (?), મુંબાદેવી, કાલબાદેવી, શેખ મેમણ સ્ટ્રીટ, બુચર્સ માર્કેટ (?), કાઝી માર્કેટ, ઈબ્રાહીમ ખાન માર્કેટ, સાત તાડ સ્ટ્રીટ, પોર્ટુગીઝ ચર્ચ, કાવેલ. આ સિવાયના વિસ્તારોમાં કાં તો જુદી જુદી વાડીઓ હતી અથવા જંગલ હતાં. એ વિસ્તાર ‘ડોંગરી અને જંગલ’ તરીકે ઓળખાતો અને તેમાં ચોર-લૂટારાનો વસવાટ રહેતો. જ્યાં બાર પોલીસ ચોકીઓ હતી એ વિસ્તારમાં પણ નહોતા પાકા રસ્તા કે નહોતી સ્ટ્રીટ લાઈટ. એટલે ડોંગરી અને જંગલ વિસ્તારમાંથી ચોર-લૂંટારા રાતે ગમે ત્યારે ત્રાટકતા. આ પોલીસ ટુકડીઓને કારણે લૂંટફાટ ઓછી થતી, પણ બંધ તો નહોતી જ થઈ. જ્યારે માહિમ, શિવ (સાયન) અને શિવરી જેવી જગ્યાઓએ ફક્ત દેશી પોલીસની ટુકડીઓ તહેનાત કરવામાં આવતી હતી. દરેક ટુકડીનો વડો પણ દેશી જ હતો. એ જમાનામાં મુંબઈના રસ્તાઓની દશા આજે છે તેના કરતાં પણ ઘણી વધારે ખરાબ હતી. એટલે સર્વેયર્સ ઓફ રોડ્ઝ મિસ્ટર લેન્કહટના મૃત્યુ પછી રસ્તાઓને સંભાળનું ખાતું પણ સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસને સોંપવામાં આવેલું. ઈ.સ. ૧૮૦૦માં મુંબઈની બધી બજારોની દેખરેખ પણ પોલીસને સોંપાઈ, અને ૧૮૦૧માં માહિમ ખાતેની પોલીસ ટુકડી પણ સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસ નીચે કામ કરતી થઈ. આ બધા વધેલા કામને પહોંચી વળવા માટે ડેપ્યુટી સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસની નવી જગ્યા ઊભી કરવામાં આવી. ૧૮૦૮ સુધી એ જગ્યાએ જેમ્સ ફીશર રહ્યા.
ગોરા સાર્જન્ટ અને ‘દેશી’ પોલીસ
પણ આ બધું કરવા છતાં મુંબઈની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરી નહિ, બલકે વધુ બગડી. ગુનેગારી સતત વધતી જતી હતી. ૧૮૦૬ અને ૧૮૦૭માં સશસ્ત્ર ધાડપાડુઓની ટોળી બહારથી મુંબઈમાં ઘૂસી આવી હતી. લોકોને ધમકાવી-મારીને આ લોકો લૂંટ ચલાવતા. આ ટુકડીઓ પોતાનું કામ પતાવીને તરત મુંબઈ બહાર ચાલી જતી, પણ તેમાંની એક પણ ટુકડીને પોલીસ પકડી શકી નહોતી! પરિણામે મુંબઈમાં ઠેર ઠેર ચોરીનો માલ – ખાસ કરીને સોના-ચાંદીની જણસો – વેચાતો થયો હતો. આથી સરકારે સત્તાવાર સોનીઓ અને સરાફોની નિમણૂક કરી હતી. તેઓ સોના-ચાંદીની કે રોકડ રકમની જે લે-વેચ કરે તેની વિગતો તેમણે દર મહીને પોલીસને આપવી પડતી. શહેરની બીજી એક મુશ્કેલી હતી ભાગી છૂટેલા ખલાસીઓ. કંપની સરકારનાં કે રોયલ નેવીનાં વહાણો જ્યારે મુંબઈ બંદરે નાંગરતાં ત્યારે ઘણી વાર થોડા ખલાસીઓ વહાણ છોડીને શહેરમાં સંતાઈ રહેતા. વહાણ જાય પછી નાની-મોટી ટોળીઓ બનાવીને શહેરમાં ચોરી-લૂંટ કરતા. તેઓ દેશી પિયુન સાથે સાંઠગાંઠ કરી લેતા એટલે ભાગ્યે જ પકડાતા. વળી દેશી પોલીસો ફરજને સમયે ભાગ્યે જ હાજર રહેતા, સિવાય કે તેમને ખબર પડી હોય કે આજે તો ગોરા સાહેબ આવવાના છે. બાકીનો વખત તેઓ દારૂ-જુગાર વગેરેમાં ગાળતા.
૧૮૧૨થી આવો હતો પોલીસનો યુનિફોર્મ
તો બીજી બાજુ એ વખતે પોલીસ સુપરિટેન્ડન્ટના હાથમાં ઘણી વધારે પડતી સત્તા હતી. પકડાયેલા કોઈ પણ ગુનેગાર પર પોલીસ ચોકીમાં જ કામ ચલાવીને તેને તાત્કાલિક સજા કરવાની તેને સત્તા હતી. આ સજા પણ પોલીસ ખાતાએ ઘડેલા નિયમો પ્રમાણે અપાતી. એ નિયમો સરકારે ક્યારે ય મંજૂર કર્યા નહોતા! કેટલાક ગુનેગારોને સાંકળથી બાંધીને બાંધકામનાં કે બીજાં જાહેર કામોમાં જોતરવામાં આવતા. તો કેટલાક ગુનેગારોને તડીપારની સજા થતી. ૧૮૦૮ના ૪૭મા કાયદા દ્વારા પોલીસ ખાતામાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા. આથી ૧૮૦૯માં મુંબઈ સરકારે પોલીસ ખાતા અંગે વિચારણા કરવા માટે એક સમિતિ નીમી. મુંબઈ સરકારના ચીફ સેક્રેટરી એફ. વોર્ડનના વડપણ હેઠળ રચાયેલી આ સમિતિએ પોતાનો અહેવાલ ૧૮૧૦ના નવેમ્બરની ૧૫મી તારીખે સુપ્રત કર્યો. તેમાં ગુનેગારને સજા કરવાની પોલીસની સત્તા લઈ લેવામાં આવી અને તેને બદલે ત્રણ પોલીસ મેજિસ્ટ્રેટ નીમવામાં આવ્યા. જો કે આ પોલીસ મેજિસ્ટ્રેટ પણ જે સજાઓ કરતા તે આજે તો આપણને જંગલી લાગે. જેમ કે ૧૭૯૯માં ચોરીના ગુના બદલ ઈસ્માઈલ શેખ નામના વહોરાને ફાંસી અપાઈ હતી. ૧૮૦૪માં ખોટી જુબાની આપવા માટે એક સ્ત્રીને પાંચ વરસની કેદની સજા થઈ હતી. એટલું જ નહિ, દર વરસે ઓક્ટોબરમાં એક દિવસ કોર્ટ હાઉસની બહાર તેણે આખો દિવસ ઊભા રહેવું પડતું હતું. એ દિવસે એની પીઠ અને છાતી પર તેના ગુનાની વિગતો જણાવતાં પાટિયાં પહેરાવવામાં આવતાં. એ જ વરસે હરજીવન નામના ગુનેગારને ફાંસીની સજા તો થઈ જ હતી, પણ તે પછી પણ તેના મૃતદેહને જાહેરમાં લટકાવવામાં આવેલો. ૧૮૦૬માં એક ઘડિયાળની ચોરી કરવા માટે એક શખ્સને બે વરસ માટે મુંબઈની ગોદીમાં મજૂરી કરવાની સજા થયેલી.
ડોંગરી વિસ્તારમાં ધાડપાડુઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી
ચિત્ર: ૧૮૧૬માં પ્રગટ થયેલા પુસ્તક ‘Qui Hi in Hindostan’માંથી
૧૯મી સદીની શરૂઆત સુધી ગુનેગારોને જાહેરમાં થાંભલા સાથે બાંધીને ફટકા મારવાની સજા તો બહુ મામૂલી ગણાતી! આજે જ્યાં મ્યુનિસિપાલિટીની ઈમારત આવેલી છે તે જગ્યાએ આ માટેના થાંભલા ખોડવામાં આવેલા. છેલ્લે ૧૮૩૪માં બે ગુનેગારોને અહીં થાંભલા સાથે બાંધવામાં આવ્યા હતા અને તેમને એક કલાક સુધી સડેલાં ટમેટાં, ઈંડાં, કાદવ અને નાના પથ્થર મારવાનું છોકરાઓને કહેવામાં આવ્યું હતું! અને તે દરમ્યાન કોર્ટના ભંડારી નોકરોએ મોટે મોટેથી ભૂંગળ બજાવી હતી. અને આ સજા કરી હતી એ વખતની મુંબઈની સુપ્રિમ કોર્ટે. આ સુપ્રિમ કોર્ટ તે આજની બોમ્બે હાઈકોર્ટની પુરોગામી કોર્ટ. અને છતાં એ વખતના અખબારોમાં ચોરી અને ધાડના અહેવાલો લગભગ રોજ છપાતા. તેમાં ય ગિરગાંવ, મઝગાંવ, ભાયખળા, અને તેની આસપાસના વિસ્તારોમાં ધાડપાડુઓનો ભય સતત રહેતો. તેમની ટોળીઓ પાસે તલવાર અને પિસ્તોલ જેવાં હથિયારો જ નહિ, બ્રિટિશ લશ્કરના સૈનિકો વાપરતા તેવી મસ્કેટ પણ રહેતી. અને રાતે ધાડ પાડતી વખતે એવી ટોળીઓ હાથમાં મશાલો લઈને ફરતી – પોલીસની સહેજ પણ બીક રાખ્યા વગર. લશ્કરના દેશી સૈનિકોની ચોથી રેજિમેન્ટના સૈનિકો ધાડપાડુઓ સાથે મળેલા હતા એમ કહેવાતું હતું. એક વાર એક મેજિસ્ટ્રેટે શંકાને આધારે ૧૧મી રેજિમેન્ટના બે સૈનિકોને પકડ્યા ત્યારે એ રેજિમેન્ટના બીજા સૈનિકોએ મેજિસ્ટ્રેટ પર પથ્થરમારો કર્યો હતો! તે પછી પૂનામાં રહેલી લશ્કરી ટુકડીના ૫૦ સૈનિકોને મુંબઈ લાવીને રોજ રાતે રસ્તાઓની રખેવાળી કરવાનું કામ તેમને સોંપવું પડ્યું હતું.
આવી સ્થિતિને કારણે પૈસાદાર વર્ગના લોકો પોતાનાં ઘર કે ધંધાની જગ્યાનું રક્ષણ કરવા માટે ખાનગી ‘પગી’ઓ રાખતા, જેમ આજે સોસાયટીઓ, ઓફિસો, કારખાનાં ખાનગી સિક્યુરિટી ગાર્ડ રાખે છે તેમ જ!
ગ્રેટ વેસ્ટર્ન હોટેલ
જ્યાં ગુનેગારોને સજા અપાતી તે કોર્ટ હાઉસનો ઇતિહાસ પણ મજેનો છે. ૧૭૧૫માં બંધાયેલું આ મકાન આજે પણ ઊભું છે, અને મુંબઈની કેટલીક જાણીતી કંપનીની ઓફિસો તેમાં આવેલી છે. મુંબઈમાં આવેલું ખાનગી માલિકીનું આ જૂનામાં જૂનું મકાન છે. હોર્નબી રોડ અને હોર્નબી વેલાર્ડ નામ જેમના પરથી પડેલાં તે મુંબઈના ગવર્નર વિલિયમ હોર્નબીનું આ સત્તાવાર નિવાસસ્થાન હતું. તેમના પછી ૧૭૭૦થી ૧૭૯૫ સુધી તે એડમિરાલ્ટી હાઉસ તરીકે ઓળખાતું હતું અને બ્રિટિશ નૌકા દળના વડા અહીં રહેતા હતા. ઈ.સ. ૧૮૦૦ના અરસામાં મુંબઈ સરકારે આ મકાન ખરીદી લીધું હતું અને તેમાં રેકોર્ડર્સ કોર્ટ શરૂ કરી હતી. ૧૮૭૮ સુધી આ કોર્ટ અહીં કામ કરતી હતી. મૂળે આ મકાનના આગળના ભાગમાં પોર્ચ હતો પણ રસ્તો પહોળો કરવા માટે તે તોડી નાખવામાં આવ્યો હતો. સરકાર પાસેથી આ મકાન પહેલાં રૂસ્તમજી જીજીભાઈએ ખરીદી લીધું હતું અને પછી તે ડેવિડ સાસુનના કુટુંબને વેચ્યું હતું. પણ ફરી ૧૪ ઓગસ્ટ, ૧૮૬૨ના દિવસે બોમ્બે હાઈકોર્ટની સ્થાપના થઈ ત્યારે સરકારે આ મકાન પોતાને હસ્તક લીધું અને તેમાં હાઈકોર્ટની શરૂઆત કરી. ત્યાર બાદ હાલનું મકાન બાંધવાની શરૂઆત થઈ હતી, અને ૧૦ જાન્યુઆરી ૧૮૭૯થી બોમ્બે હાઈ કોર્ટની કામગીરી નવા મકાનમાંથી શરૂ થઈ હતી. હાઈ કોર્ટે ખાલી કાર્ય પછી આ મકાનમાં ગ્રેટ વેસ્ટર્ન હોટેલ શરૂ થઈ હતી. એ વખતે મૂળ મકાનની બાજુમાં પાંચ માળનું એક નવું મકાન બંધાયું હતું. તેની ડિઝાઈન તે વખતના પ્રખ્યાત સ્થપતિ એસ.એમ.એન. ચાંદાભાઈએ તૈયાર કરી હતી. પછીથી ખાસ બ્રિટિશ મહેમાનો માટે અલગ વ્યવસ્થા કરવા માટે ત્રણ માળનું વધુ એક મકાન બંધાયેલું. આ હોટેલ ચોક્કસ ક્યારે બંધ થઈ તે જાણવા મળતું નથી. પણ તે પછી તેના ઓરડાઓ જુદી જુદી કંપનીઓને ભાડે આપવામાં આવ્યા.
મુંબઈ વિષે વાત કરવાની આ એક મજા છે. એક વાતમાંથી બીજી વાતમાં ક્યારે સરી પડાય એની ખબર જ ન પડે. પણ આવતે વખતે પાછા પોલીસદાદાની વધુ વાતો કરશું.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 17 ઍપ્રિલ 2021