Opinion Magazine
Number of visits: 9504402
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મેળમાથા વિના બોલવું વડા પ્રધાન પદની ગરિમા લજવનારું છે

રમેશ ઓઝા|Opinion - Opinion|1 April 2021

વડા પ્રધાને બંગલાદેશમાં બંગલાદેશના વડા પ્રધાનની ઉપસ્થિતિમાં દાવો કર્યો હતો કે તેમણે બંગલાદેશની મુક્તિ માટેના સત્યાગ્રહમાં ભાગ લીધો હતો, એટલું જ નહીં તેને માટે જેલમાં પણ ગયા હતા. આ કથન પછી વડા પ્રધાનની સોશ્યલ મીડિયા પર ઠેકડી ઉડાડવામાં આવી રહી છે. દેશના વડા પ્રધાનની ઠેકડી ઉડતી હોય એ જોઇને દુઃખ કરતાં શરમ વધુ અનુભવાય છે. શા માટે આવી મેળમાથા વિનાની વાતો કરીને તેઓ પોતાની અને દેશની પ્રતિષ્ઠા ઘટાડે છે અને એ પણ વિદેશની ભૂમિમાં? આવું પાછું આ પહેલીવાર નથી બન્યું અનેકવાર બન્યું છે. ગમે તે બોલવું એ તેમની રોકી ન શકાય એવી આદત છે કે પછી તેમની રાજકીય શૈલીનો હિસ્સો છે એવો પણ સવાલ લોકો કરે છે.

બંગલાદેશની મુક્તિ માટે ભારતમાં કોઈ સત્યાગ્રહ શા માટે કરે? કરે તો કોની સામે કરે? ભારત સરકારે પશ્ચિમ પાકિસ્તાનના લશ્કર દ્વારા પૂર્વ પાકિસ્તાનના ગરીબ લાચાર બંગાળી મુસલમાનો ઉપર કરવામાં આવી રહેલા અત્યાચારો રોકવા માટે પહેલ કરવી જોઈએ કે દરમ્યાનગીરી કરવી જોઈએ એવી માગણી સાથે સાહેબે સત્યાગ્રહ કર્યો હતો એવો ખુલાસો પણ આપી શકાય એમ નથી, કારણ કે આવી માગણી કોઈ કરે એ પહેલાં જ ભારત સરકાર પૂર્વ પાકિસ્તાનના મામલામાં સક્રિય હતી. હકીકતમાં ભારત સરકાર અને ભારતીય લશ્કર બંગલાદેશનાં મુક્તિદાતા અને સ્થાપક બન્ને છે. બંગલાદેશ વિષે સેંકડો પુસ્તકો લખાયાં છે જેમાં એક સરખી આ જ વાત કહેવાઈ છે. લેફ્ટનન્ટ જનરલ જે.એફ.આર. જેકબે લખેલી આત્મકથા ‘સરન્ડર એટ ઢાકા: બર્થ ઑફ અ નેશન’માં પણ મુત્સદીપૂર્વક આ જ વાત કહેવાઈ છે. બંગલાદેશ પૂર્વ બંગાળના નાગરિકોએ જીત્યું છે એનાથી વધુ ભારતે તે જીતીને આપ્યું છે. પાકિસ્તાનને આ વાતની ચીડ છે અને તેનું વેર વાળવા પાકિસ્તાન ત્રાસવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. ભારતે કાશ્મીર(૧૯૪૭)નું વેર બંગલાદેશ(૧૯૭૧)માં વાળ્યું હતું અને પાકિસ્તાન તેનું વેર કાશ્મીરમાં વાળવાનો પ્રયાસ કરી રહ્યું છે.

બીજું, નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક છે અને સંઘને મુસલમાનોની મુક્તિમાં રસ હોય એની તમે કલ્પના પણ કરી શકો? ત્રીજું જે સંગઠને ભારતના (ભારતના હિંદુઓને કહો) આઝાદી અપવવા માટે ક્યારે ય કોઈ સત્યાગ્રહ નહોતો કર્યો કે નહોતો સત્યાગ્રહમાં ભાગ લીધો એ બંગલાદેશના મુસલમાનો માટે સત્યાગ્રહ કરે? અને ચોથું, હિન્દુત્વવાદીઓ સત્યાગ્રહને ગાંધી નામના નમાલા માણસનાં નમાલાં સાધન તરીકે ઓળખાવે છે અને પોતાને બહાદુર. તેઓ વળી ક્યારે ગાંધીનો માર્ગ અપનાવવા લાગ્યા? હા, કેટલાક લોકોએ (ખાસ કરીને સમાજવાદીઓએ) ભારતમાંની પાકિસ્તાનની એલચી કચેરી સામે અત્યાચાર રોકવાની માગણી સાથે દેખાવો કર્યા હતા, પણ સંઘે અને જનસંઘે તો દેખાવો પણ નહોતા કર્યા. તેમને મુસલમાનો માટે કોઈ સહાનુભૂતિ જ નથી એ તો જગજાહેર છે. તો પછી વડા પ્રધાને બાવીસ વરસની કાચી ઉમંરે સત્યાગ્રહ કોની સામે કર્યો અને કોના નેતૃત્વમાં કર્યો? જેલમાં ગયા હતા તો જેલનો રેકોર્ડ પણ હશે. કોઈ ભક્ત પાસે કોઈ પ્રમાણ હોય તો જરૂર આપે.

ખેર, એ વાત જવા દઈએ. વડા પ્રધાન જે દિવસે બંગલાદેશમાં હતા એ જ દિવસે એટલે કે ૨૭મી માર્ચે પડોશમાં મ્યાનમારમાં ચૂંટાયેલી સરકાર પાસેથી સત્તા છીનવી લેનારા લશ્કરી સરમુખત્યારોએ લશ્કરી પરેડ યોજી હતી જેમાં ભારતના લશ્કરના એટેચીએ હાજરી આપી હતી. વાચકોને યાદ હશે કે મ્યાનમારમાં પહેલી ફેબ્રુઆરીએ લશ્કરે બળવો કરીને ચૂંટાયેલી સરકાર ઉથલાવી હતી અને ભારતે હજુ સુધી એ ઘટનાની નિંદા કરી નથી. એ પરેડમાં માત્ર સાત દેશોએ હાજરી આપી હતી જેમાં ભારત એક હતું. જે દેશો તેના દરેક અર્થમાં લોકતાંત્રિક છે એવા એક પણ દેશે હાજરી નહોતી આપી. ચીન, રશિયા, પાકિસ્તાન, વિએતનામ જેવા દેશોના પ્રતિનિધિઓની સાથે ભારતના લશ્કરી એટેચી બેઠા હતા. વડા પ્રધાન જ્યારે બંગલાદેશનાં મુસલમાનોની મુક્તિ માટે જેલ જવાનો દાવો કરતા હતા એ જ દિવસે લગભગ એ જ સમયે આઝાદી માટે અથવા સરમુખત્યારશાહીથી મુક્તિ મેળવવા લડનારા બર્મીઝ નાગરિકોએ દેખાવો કર્યા હતા અને લશ્કરે નિર્દોષ નાગરિકો ઉપર ગોળીબાર કર્યો હતો જેમાં ૯૦ જણા માર્યા ગયા હતા. ભારત સરકારે એ ઘટનાની નિંદા કરવાની પણ બાકી છે.

હજુ એક સ્મરણ અપાવી દઉં. ૨૩મી માર્ચે સંયુક્ત રાષ્ટ્રસંસ્થાની નાગરિક અધિકાર પરિષદમાં શ્રીલંકાએ જાફનામાં તમિલો સાથે જે અત્યાચાર કર્યા તેની નિંદા કરતો પ્રસ્તાવ આવ્યો હતો. વાચકોને યાદ હશે કે ૨૦૦૯ની સાલમાં શ્રીલંકાની સરકારે જાફનામાં તમિલો માટે અલગ ભૂમિની માગણી કરનારા તમિલોનો નરસંહાર કર્યો હતો. એમ કહેવાય છે કે વીસથી પચીસ હજાર તમિલોને લશ્કરી જવાનોએ મારી નાખ્યા હતા. નાગરિક અધિકાર પરિષદના ૪૭ સભ્ય દેશોમાંથી બાવીસ દેશોએ નિંદાના પ્રસ્તાવની તરફેણમાં મત આપ્યો હતો, ૧૧ દેશોએ તેની વિરુદ્ધમાં મત આપ્યો હતો અને ૧૪ દેશો મત આપવામાં ગેરહાજર રહ્યા હતા. શ્રીલંકાના હિંદુ તમિલોના નરસંહારની નિંદા કરવાથી બચવા માગનારા દેશોમાં એક દેશ ભારત હતો. ભારતે શ્રીલંકન હિંદુ તમિલોની તરફેણમાં મત નહોતો આપ્યો.

બોલો, બાવીસ વરસની ઉંમરે બંગલાદેશના બંગાળી મુસલમાનોને ન્યાય મળે એ માટે સત્યાગ્રહ કરનારા અને જેલ જનારા નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી મ્યાનમારમાં બર્મીઝ નાગરિકોના અધિકારોનું અને શ્રીલંકામાં તમિલ નાગરિકોના અધિકારોનું દમન કરનારાઓનો વિરોધ તો કરતા નથી, ઊલટું હાજર રહીને કે ગેરહાજર રહીને સમર્થન કરે છે. અહીં જણાવી દેવું જોઈએ કે મ્યાનમારમાં લોકશાહી માટે લડનારાં સુ કીને આગળની કૉંગ્રેસ સરકારે પણ ટેકો નહોતો આપ્યો. એવી જ રીતે શ્રીલંકામાં તમિલો ઉપર અત્યાચાર કરનાર શ્રીલંકાની સરકારની નિંદા કરનારા આ પહેલાના પ્રસ્તાવ વખતે ભારત ગેરહાજર રહ્યું છે. આ લખનારે એ દરેક વખતે કૉંગ્રેસ સરકારની ટીકા કરી હતી. ફરક એ છે કે એ સમયના વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ જ્યાં જાય ત્યાં તમારે માટે મેં શહીદી વહોરી હતી એવા દાવા નહોતા કરતા. લોકો ઠેકડી ત્યારે ઉડાડે જ્યારે દાવો ખોટો પણ હોય અને હજમ થઈ શકે એનાથી મોટો પણ હોય. હસતા હસતા માણસ કોળિયો થુંકતો જાય એવું ન બોલવું જોઈએ.

મ્યાનમારમાં અને શ્રીલંકામાં ભારત મૂલ્યોના પક્ષે ઊભું રહી શકતું નથી એનું કારણ છે ચીન. ચીને ભારત ફરતે ભરડો લીધો છે. ભારત મૂંગું રહે છે અથવા હળવો ટેકો આપે છે તો ચીન આ બે દેશોને અને દક્ષિણ એશિયાના બીજા બધા દેશોને ખુલ્લો ટેકો આપે છે. સરવાળે આમાં ભારત ગોળો અને ગોફણ બન્ને ગુમાવી રહ્યું છે.

દરમ્યાન ઉપર ઉપસ્થિત કરેલા સવાલ વિષે વિચારો. મેળમાથા વિના ગમે તે બોલવું એ તેમની રોકી ન શકાય એવી આદત છે કે પછી તેમની રાજકીય શૈલીનો હિસ્સો છે? વિચારો.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 01 ઍપ્રિલ 2021

Loading

1 April 2021 admin
← સ્ત્રીઓનાં ફાટેલાં જીન્સમાં અટવાતી ભારતની ૨૧મી સદી
इतिहास को भूलने का खतरा →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved