Opinion Magazine
Number of visits: 9446714
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સત્ય સ્વયં કોઈ અસ્તિત્વ ધરાવતું નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|21 March 2021

અમેરિકન પ્રમુખ જૉ બાયડને વ્હાઈટ હાઉસમાંની તેમની ઓવલ ઑફિસમાંથી બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટનને વિજય અપાવનારા બ્રિટિશ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલનું બાવલું હટાવી દીધું છે. એ ઘટના અંગે પ્રતિક્રિયા આપતાં બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના પ્રવક્તાએ કહ્યું છે કે અમેરિકન પ્રમુખને તેમની ઑફિસ કેવી રીતે ડેકોરેટ કરવી એ તેમનો અખત્યાર છે. આ પહેલાં બરાક ઓબામાએ ચર્ચિલનું બાવલું હટાવી દીધું હતું ત્યારે અત્યારના બ્રિટિશ વડા પ્રધાન જ્હોન્સન લંડનના મેયર હતા અને તેમણે ઓબામાની ટીકા કરી હતી. તેમણે ‘ધ સન’ નામના અખબારમાં લખ્યું હતું કે ઓબામા કેનિયન મૂળ ધરાવે છે એટલે તેમના મનમાં બ્રિટિશ સામ્રાજ્ય માટેનો અણગમો હોવો જોઈએ. બોરિસ જ્હોન્સન એક સમયે પત્રકાર હતા અને તેમણે અનેક પુસ્તકો લખ્યાં છે જેમાં ‘ચર્ચિલ ફેક્ટર’ નામનાં ચર્ચિલનાં જીવનચરિત્રનો પણ સમાવેશ થાય છે. જ્હોન્સન ચર્ચિલના ફેન છે અને પોતાના વિષે કહે છે કે તેઓ પોલિટીકલ કૉન્ઝર્વેટીવ છે પણ સોશ્યલી લિબરલ છે. સામાજિક બાબતે તેઓ ઉદારમતવાદી છે.

લંડનથી પ્રકાશિત થતાં ‘ધ ગાર્ડિયન’ નામના અખબારમાં બુધાવરે પ્રિયંવદા ગોયલનો ‘વ્હાઈ કાન્ટ બ્રિટન હેન્ડલ ધ ટ્રુથ અબાઉટ વિન્સ્ટન ચર્ચિલ?’ [https://www.theguardian.com/commentisfree/2021/mar/17/why-cant-britain-handle-the-truth-about-winston-churchill] નામનો લેખ પ્રકાશિત થયો છે. લેખ લખવાનું કારણ વ્હાઈટ હાઉસની ઘટના નથી, પણ કૅમ્બ્રિજની ચર્ચિલ કૉલેજનો સેમિનાર છે. ચર્ચિલ કૉલેજે ‘ચર્ચિલ, ઍમ્પાયર એન્ડ રેસ’ એ વિષય ઉપર ત્રણ દિવસના સેમિનારનું આયોજન કર્યું હતું, જેમાં બીજા દિવસના મોડરેટર પ્રિયંવદા ગોયલ હતાં જે એ કૉલેજમાં જ ભણાવે છે. સેમિનારમાં વિન્સ્ટન ચર્ચિલની ટીકા કરવામાં આવી એ બ્રિટનના રાષ્ટ્રવાદી દેશપ્રેમી રૂઢિચુસ્તોને ગમ્યું નહોતું અને તેમણે હોબાળો મચાવ્યો હતો. ચર્ચિલના પૌત્રએ કૉલેજના સંચાલકોને લખ્યું હતું કે ચર્ચિલનું નામ જે કૉલેજ સાથે જોડાયેલું છે એ કૉલેજમાં હવે પછી ચર્ચિલની બદનામી ન થવી જોઈએ.

એ બદનામી હતી કે મૂલ્યાંકન? ચર્ચિલ શ્વેત પ્રજાની સર્વોપરિતામાં માનતા હતા. ચર્ચિલ શ્વેત પ્રજાના અશ્વેત પ્રજા ઉપર શાસન કરવાના દૈવી અધિકારમાં માનતા હતા. ચર્ચિલ હિટલરની માફક આર્યવંશના લોહીની સર્વોપરિતા(સૂપ્રીમસી ઑફ આર્યન સ્ટોક)માં માનતા હતા. ચર્ચિલ સંસ્થાનવાદી હતા અને ભારત જેવા દેશોની પ્રજાની આઝાદીની માગણીનો વિરોધ કરતા હતા. તેમણે ગાંધીજીને અર્ધનગ્ન ફકીર અને વિચારધારાનો વેશ પરિધાન કરનારા અસભ્ય માણસ તરીકે ઓળખાવ્યા હતા. તેમણે આંતરવંશીય બૉક્સિંગ મેચ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો કે જેથી કોઈ શ્વેત ખેલાડી અશ્વેતના મુક્કા ખાતો નજરે ન પડે અને પરાજિત ન થવો જોઈએ. જો બીજા વિશ્વયુદ્ધમાં જર્મની અને ઇટલી સામે લડવાનું ન હોત, તો વિચારધારાને લાગેવળગે છે ત્યાં સુધી તેઓ હિટલર અને મુસોલિનીના સમર્થક હતા. બીજું વિશ્વયુદ્ધ ખુલ્લા સમાજ અને બંધિયાર સમાજ વચ્ચેનું યુદ્ધ છે એ દાવો ચર્ચિલને લાગેવળગે છે ત્યાં સુધી ખોટો છે.

ચર્ચિલ વિષે કૉલેજના સેમિનારમાં જે કહેવાયું હતું એમાં એક શબ્દ ખોટો નહોતો, પણ કેટલાક અંગ્રેજો સત્ય સાંભળવા તૈયાર નથી ત્યાં સ્વીકારવાની વાત તો દૂર રહી. આજકાલ આ જે નવી રમત રમાઈ રહી છે એને અંગ્રેજીમાં ‘કેન્સલ કલ્ચર’ તરીકે ઓળખાવવામાં આવે છે. ઇતિહાસ, ઐતિહાસિક મહાનુભાવો અને વર્તમાનમાં બની રહેલી ઘટનાઓમાંથી જે માફક ન આવે તેને ભૂંસી નાખો, ભૂલવાડી દો, રદ્દ કરો. તેના તરફ જોવાનું જ નહીં.

ફેસબુકની શરૂઆત ૨૦૦૪માં થઈ. અત્યારે જગતની ૧૧૧ ભાષાઓમાં તેનો ઉપયોગ કરનારાઓની સંખ્યા બે અબજ ૮૦ કરોડ લોકોની છે. વ્હૉટ્સૅપની શરૂઆત ૨૦૦૯માં થઈ અને અત્યારે તેનો ઉપયોગ કરનારાઓની સંખ્યા બે અબજ લોકોની છે અને આજની તારીખે રોજ સો અબજ મેસેજીસની લોકો આપ-લે કરે છે. બે અબજ લોકો સો અબજ સંદેશાઓની આપ-લે કરે છે. દેખીતી રીતે આનો રાજકીય ખપ છે.

વીતેલા દાયકામાં આ માધ્યમોનો રાજકીય ઉપયોગ કરવાની શરૂઆત થઈ ઇસ્લામોફૉબિયાથી. પ્રજાને એક દુ:શ્મન આપો અને એ દુ:શ્મનનો ડર દેખાડો. ડર ભલે કાલ્પનિક હોય પણ એટલો ડર દેખાડો કે પ્રજા દરેક સમસ્યા માટે ઈસ્લામને અને મુસલમાનોને જવાબદાર ઠેરવતી થઈ જાય. ગયા વરસે ભારતમાં કોવિડની શરૂઆત દિલ્હીમાં ભેગા થયેલા મુસલમાનોને કારણે થઈ હતી એ વાયકા યાદ હશે. આવી ભાતભાતની ડરાવનારી વાયકાઓ રચવાની. ડરેલી પ્રજાની પહેલી અને સ્વાભાવિક પ્રતિક્રિયા કોઈની આંગળી પકડી લેવાની હોય છે. ઘરમાં ડરેલા બાળકને આંગળી પકડતાં જોયું હશે.

ઇસ્લામોફૉબિયા પછી શરૂ થયું પોસ્ટ-ટ્રુથ. સત્ય પછીનું સત્ય. સત્ય તો પોતાની જગ્યાએ છે જ પણ એ નજરે ન પડે એ માટે તેના પર અસત્યના અને અર્ધ-સત્યના લેપ કરવાના, પણ એ એવી રીતે કરવાના કે કોઈને અસત્ય ન લાગે. લોકોને એમ લાગવું જોઈએ કે અત્યાર સુધી અસત્યને સત્ય કહીને આપણને બેવકૂફ બનાવવામાં આવતા હતા, પણ હવે ભગવાનનો પાડ કે આપણું રાજ્ય આવ્યું અને ‘સાચું’ સત્ય જાણવા મળ્યું. ભગવાને આંખ ઉઘાડી એવું લોકોને લાગવું જોઈએ. એક તો અસત્યને હજમ કરે અને ઉપરથી ઓશિંગણ થઈને ગદગદ રહે. માટે પોસ્ટ-ટ્રુથ. સત્ય પછીનું સત્ય. ખાસ પેદા કરવામાં આવેલું અને તમારા સુધી પહોંચાડવામાં આવેલું ‘સત્ય.’

પોસ્ટ-ટ્રુથ પછી શરૂ થયું ‘કેન્સલ કલ્ચર’. ઇતિહાસ હોય કે વર્તમાન, ઐતિહાસિક વ્યક્તિ હોય કે સમકાલીન, જે માફક ન આવે એને રદ્દ કરી નાખવાનું એટલે કે ભૂંસી નાખવાનું, ભૂલવાડી દેવાનું. વિન્સ્ટન ચર્ચિલ આવા એટલે આવા. બીજી બાજુ જોઈએ જ નહીં પછી ગમે એટલી સાચી હોય. હલ્દીઘાટીના યુદ્ધમાં રાણા પ્રતાપનો વિજય થયો હતો એટલે થયો હતો. રાણા પ્રતાપના પરાજયની વાત જ નહીં કરવાની. અમને માફક આવે એ સત્ય, સત્ય સ્વયં કોઈ અસ્તિત્વ ધરાવતું નથી. માફક આવે એવા સત્યને સત્ય તરીકે સ્થાપિત કરવા માટે ટકોરાબંધ સત્યને ભૂંસી નાખવાનું, ભૂલવાડી દેવાનું. ટકોરાબંધ સત્યની વાત જ નહીં કરવાની.

એક ઉદાહરણ આપું. જો હું મારી કૉલમમાં ચીનના ભારતની ભૂમિ ઉપરના કબજા વિષે લખું તો અનેક વાચકોને એમ લાગશે કે આ ભાઈ તો સાહેબની પાછળ પડી ગયા છે, ચીનનો એવો કોઈ પ્રશ્ન જ નથી અને છતાં આ ભાઈ પાછળ પડી ગયા છે, જો હોત તો બીજા લોકો બોલતા ન હોત! હકીકત ઊલટી છે. સાંપ્રત ભારતમાં ચીનનો પ્રશ્ન સૌથી વધુ ગંભીર છે, પણ તે કેન્સલ કલ્ચરનો શિકાર બની ગયો છે. તેને લોકમાનસમાંથી ભૂંસી નાખવામાં આવ્યો છે, ભૂલવાડી દેવામાં આવ્યો છે. સત્ય જાણવું હોય તો જગતનાં અખબારો, સામયિકો, પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સની વેબસાઈટો અને જર્નલો તેમ જ ભારતમાં સ્વતંત્ર ન્યુઝ પોર્ટલો અને બે-ચાર અખબારો જોઈ જાઓ.

અને ચોથી રમત છે, ન્યુ નોર્મલ. જે બની રહ્યું છે તેને સ્વાભાવિક, રાબેતા મુજબ અને વાસ્તવિક તરીકે સ્વીકારી લો. હવે પછીથી સમાજ-જીવનનું આ જે નવું સત્ય છે તેને જ કાયમી સત્ય તરીકે  સ્વીકારી લો. રાણા પ્રતાપ જીત્યા હતા એટલે જીત્યા હતા, જાવ થાય એ કરી લો. ભારતમાં રહેવું હશે તો રાણા પ્રતાપની જીત સ્વીકારવી પડશે. આજથી અમારો આ નવો ઇતિહાસ છે.

તો આ ચાર પાયાના ખાટલા ઉપર ભક્તો સૂતા છે અને અર્ણવ ગોસ્વામીઓ હાલરડાં ગાય છે અને ચામર ઢોળે છે. આવા સુખના દિવસો સહેજે થોડા મળે અને એ પણ આખા જગતમાં એક સાથે! 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 માર્ચ 2021

Loading

21 March 2021 admin
← ચલ મન મુંબઈ નગરી—87
આપણે બોલવું જોઈએ તે બોલી શકીએ છીએ ? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved