બીજા કોઈ રાજ્યમાં ન હોય એટલો રોગચાળો ગુજરાતમાં પરીક્ષાનો ફાટ્યો છે ને પરીક્ષા લીધા વગર શિક્ષણ વિભાગથી જીવાવાનું જ ન હોય એમ રોજ જ પરીક્ષા પરીક્ષાનું નાટક ચેટક ચાલે છે. બોર્ડની પરીક્ષાઓ મે મહિનામાં લેવાનું આયોજન થયું ને કોલેજનાં મહત્ત્વનાં વર્ષોની પરીક્ષા લેવાય ત્યાં સુધી એ બધું બરાબર હતું, પણ લોકોએ અને ચૂંટણીએ એ સ્થિતિ સર્જી કે આખા રાજ્યને વેન્ટિલેટર પર મૂકવું પડે. અત્યારે તો ઘણા વ્યવહારો પર કાપ મૂકવા પડ્યા છે, પણ કોણ જાણે કેમ, શિક્ષણ વિભાગનું પરીક્ષા લેવાનું ઝનૂન ઘટતું નથી. શિક્ષણ વિભાગ પરીક્ષા લેવાની મનોગ્રંથિથી પીડાતો હોય તેમ છાશવારે પરીક્ષા લેવાના પરિપત્રો બહાર પાડતો જ રહે છે. શિક્ષણ વિભાગને, સંજોગો કાબૂ બહાર જતા હોય ત્યારે યોગ્ય નિર્ણયો લેવાનું ભાગ્યે જ ફાવ્યું છે. ખાસ કરીને કોરોના કાળના તેના નિર્ણયો અપવાદરૂપે જ તરંગી નથી રહ્યા.
અન્ય રાજયોની તુલનામાં ગુજરાતનું ધોરણ કથળતું જાય છે તેમ તેમ શિક્ષણ વિભાગ, સ્તર વધુ કેમ કથળે તેની સારી એવી મહેનત કરે છે. એ સાચું કે કોરોનાએ આખી દુનિયાની હાલત કફોડી કરી છે, એ સ્થિતિમાં કેટલુંક કાબૂ બહાર જાય એ સમજી શકાય એમ છે. ગુજરાત પણ એમાં બાકાત ન જ રહે, પણ એવી સ્થિતિમાં રાજ્યે વધુ ગંભીર અને સ્વસ્થ નિર્ણયો અન્ય ક્ષેત્રોની જેમ શિક્ષણ બાબતે પણ લેવાના રહે. કમનસીબે એવું ઓછું થયું છે. વર્ગમાં મહિનાઓ સુધી શિક્ષણ બંધ રહ્યું, એનો વિકલ્પ ઓનલાઈન શિક્ષણમાં જોવાયો. એ બહુ સારો વિકલ્પ નહોતો જ, પણ ન મામા કરતાં કાણો મામો સારો – એ ન્યાયે મહિનાઓ સુધી ઓનલાઈન શિક્ષણ પણ ચાલ્યું. એમાં ભણવા – ભણાવવાનું થોડું થયું પણ ખરું, તે સાથે જ કેટલાક વિદ્યાર્થીઓએ ઊંઘ કાઢી તો કેટલાક શિક્ષકોએ ઝોકું ખાઈ લઈને ફરજ બજાવ્યાનો સંતોષ પણ લીધો. જો કે, એમાં પણ ભણવા – ભણાવવા કરતાં એકમ કસોટીઓનો મહિમા જ વધારે રહ્યો. એમાં જેમની પાસે ઓનલાઈન ભણવાની વ્યવસ્થા ન હતી, અંતરિયાળ ગામડાંઓમાં તો નહોતી જ, ત્યાંનું શિક્ષણ તો નહિવત જ રહ્યું, પણ જ્યાં સાધનો ઊભાં કરાયાં ત્યાં પણ પરીક્ષાનો મહિમા જ વધારે થયો. ભણાવાય કે ન ભણાવાય, પણ પરીક્ષા તો લેવાય જ એ આગ્રહ તીવ્ર રહ્યો. જ્યારે પણ શિક્ષણ વિભાગ બોલ્યો, પરીક્ષા વિષે બોલવાનું તે ભાગ્યે જ ચૂક્યો.
શિક્ષણમંત્રીશ્રીનો એ આગ્રહ અચૂક પ્રશંસનીય હતો કે માસ પ્રમોશનનો લાભ વિદ્યાર્થીઓને ન જ આપવો, ને પરીક્ષાઓ તો લેવી જ, પણ ભણાવીને પરીક્ષા લેવી એ ધ્યાન ઓછું જ રહ્યું. જ્યાં પરીક્ષા લેવાઈ ત્યાં પણ, પરીક્ષાની ગંભીરતા ન હતી. એ તો જવા દો, કોરોના પહેલાં બોર્ડની પરીક્ષા લેવાઈ, તેમાં પણ 5 માર્કવાળાને 21 માર્કસનું ગ્રેસિંગ અપાયાની વાત બહાર આવી. બોર્ડની, કોરોના પહેલાંની પરીક્ષાનું આ ધોરણ હોય તો કોરોના દરમિયાન લેવાતી પરીક્ષામાં કેટલો ભલીવાર હોય તે ન કહેવામાં જ સાર છે.
ઓનલાઈન લેવાયેલી કસોટીઓમાં એસાઇનમેન્ટ અને એક્ઝામ વચ્ચે ભેદરેખા ના રહી. વિદ્યાર્થી કોઈની પણ દેખરેખ વગર જવાબો જાતે લખે કે તે કશાક્માં જોઈને લખે કે કોઈ લખાવે કે લખી આપે એવી ઘણી ગરબડો વચ્ચે પરીક્ષાનું નાટક ચાલ્યું. એમાં ગામડાંના વિદ્યાર્થીઓનું શું થયું એની વિગતો તો બહાર નથી આવી એટલે એની તો અટકળ જ કરવાની રહે.
એ પછી સ્કૂલો ચાલુ થઈ. એ દરમિયાન પણ પરીક્ષાનું નિરંતર રટણ તો ચાલુ જ રહ્યું. મે મહિનામાં બોર્ડની પરીક્ષાઓ લેવાશે એ સંકીર્તન વચ્ચે ધોરણ ત્રણથી આઠની પરીક્ષાઓ લેવાની જાહેરાત થઈ. વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી. સભા સરઘસો, વિજયયાત્રા, લગ્નો, મેળાવડાઓ ને મહેફિલોની મોસમ બેઠી ને બધું એવી રીતે ચાલ્યું કે રાજ્યમાં કોરોનાનો ‘ક’ – કદી હતો જ નહીં જાણે ! મોટેરા સ્ટેડિયમમાં T20ની બબ્બે મેચો, ફેંકી દેતાં પચાસ પચાસ હજાર પ્રેક્ષકોની હાજરીમાં, બધી સાવચેતીની ઐસીતૈસી કરીને રમાઈ. અહીં આવનારા પ્રેક્ષકો, અન્ય રાજ્યો અને દેશોમાંથી આવનારા પણ હતા. આવામાં કોરોનાએ ના ફેલાવું હોય તો પણ પરાણે ફેલાવું જ પડે એવી સ્થિતિ સર્જાઈ ને તેણે વધુ ક્રૂરતાથી પોતાનો પ્રભાવ પાથરવા માંડ્યો.
18મીએ પ્રગટ થયેલા આંકડા સાચા માનીએ તો ગુજરાતમાં 1,122 કેસ નવા ઉમેરાયા છે ને 3 મૃત્યુ નોંધાયાં છે. તેમાં સૌથી વધુ કેસ સુરતમાં 345 છે ને 271 કેસ સાથે અમદાવાદ બીજા નંબરે છે. દેશની વાત કરીએ તો નવા 28,903 કેસ 24 કલાકમાં ઉમેરાયા છે ને 188 મૃત્યુ નવાં નોંધાયાં છે. અત્યાર સુધીના માર્ચમાં 16 રાજયોના 70 જિલ્લાઓમાં 150 ટકાનો કોરોના કેસમાં વધારો નોંધાયો છે. ગુજરાત પૂરતી વાત કરીએ તો ચૂંટણી, ક્રિકેટ અને રાજકીય તથા સાંસ્કૃતિક મેળાવડાઓએ કોરોનાને વકરાવવામાં મુખ્ય ભાગ ભજવ્યો છે. આ બધું છતાં, પરીક્ષામાં ઓટ આવી નથી. બીજા કોઈ રાજ્યમાં પરીક્ષાનો આટલો વકરાટ સંભળાયો નથી, પણ કોણ જાણે કેમ, શિક્ષણ વિભાગની પરીક્ષાની ખંજવાળ મટતી નથી.
15મીથી 3થી 8 ધોરણની પરીક્ષાઓ ચાલી છે. 3થી 5ની પરીક્ષા ઓનલાઈન ને 6થી 8ની પરીક્ષા શાળામાં લેવાનું ચાલ્યું. એમાં પણ જ્યાં વ્યવસ્થા ન થઈ શકી ત્યાં પરીક્ષાની સામગ્રી 6થી 8માં પણ ઘરે મોકલી આપવામાં આવી. હાલત વધારે કથળી, શિક્ષકો ને વિદ્યાર્થીઓ સંકર્મિત જણાયા તો ક્યાંક વર્ગો બંધ કરવામાં આવ્યા, તો પણ એ રટણ તો ચાલુ જ રહ્યું કે ઓફલાઇન પરીક્ષાઓ ચાલુ રહેશે. જો સ્કૂલો બંધ કરવાનો આદેશ અપાયો હોય તો એવું ક્યાં લખેલું છે કે ઓફલાઇન પરીક્ષા લેવાય તો કોરોના ડિસ્ટર્બ નહીં જ કરે? કોરોનાએ સાબિત કરી આપ્યું છે કે દેશમાં તઘલખ એક જ ન હતો ને નથી.
આટલું ઓછું હોય તેમ ધોરણ 9 અને 12ની પરીક્ષા આજથી શરૂ થઈ રહી છે. કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા હોય ત્યારે ને સ્કૂલો-કોલેજો બંધ થવા માંડી હોય ત્યારે, 9થી 12ની પરીક્ષાઓ સંદર્ભે બોર્ડ કહે છે કે આંતરિક મૂલ્યાંકન માટે ને વર્ગ બઢતી માટે આ પરીક્ષા જરૂરી છે ને વિદ્યાર્થીઓના હિતમાં છે. ટૂંકમાં, આ પરીક્ષાઓ ફરજિયાત છે. એમાં એક વિકલ્પ એવો પણ રાખ્યો કે કોરોનાને કારણે જે વિદ્યાર્થીઓ પરીક્ષાઓ ન આપી શકે કે કન્ટેન્મેન્ટ ઝોનમાં હોવાને કારણે શાળા સુધી ન પહોંચી શકે તો તેમની પરીક્ષાઓ નવા પ્રશ્નપત્રો સાથે પછીથી લેવાશે. એ ઉપરાંત કોઈ શાળા પોતે જ કન્ટેન્મેન્ટ ઝોનમાં હોય તો પરીક્ષાનું આયોજન પછીથી કરવાનું રહેશે, એવી સૂચના પણ અપાઈ છે. એક બાજુએ શાળાઓ બંધ કરાવાતી હોય, કોરોનાના કેસો ખરાબ રીતે વધી રહ્યા હોય ત્યારે આ રીતે પરીક્ષાઓ લેવાનું માનવીય છે?
ગમ્મત તો એ છે કે રાજય સરકારે 4 મહાનગરો – અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ-માં 10 એપ્રિલ સુધી સ્કૂલ – કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય લીધો છે, એટલું જ નહીં, આજથી જ શરૂ થનારી કોલેજો અને યુનિવર્સિટીઓની પરીક્ષાઓ પણ 10 એપ્રિલ સુધી મોકૂફ રાખવામા આવી છે. જો કે, આજથી જ શરૂ થનારી 9થી 12ની પરીક્ષાઓ અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી એટલે એવું લાગે છે કે પરીક્ષાઓ લેવાનું નિશ્ચિત છે. અહીં સવાલ એ થાય કે યુનિવર્સિટી અને કોલેજોની પરીક્ષાઓ 10 એપ્રિલ સુધી મુલતવી રખાઈ હોય તો 9થી 12ની પરીક્ષા એનાથી પણ વધારે મહત્ત્વની છે કે તે લેવી જ પડે? બધી કાળજી લેવાતી હોય તો પણ અત્યારનું વાતાવરણ એવું નથી કે જીવને જોખમે પરીક્ષાઓ લેવી જ પડે. વિદ્યાર્થીઓ ને શિક્ષકો પરીક્ષા નિમિત્તે ભેગા થાય એ સ્થિતિ સ્વાસ્થ્ય ને સુરક્ષા સંદર્ભે હાલ ઇચ્છવા જેવી નથી. બીજું, વારંવાર બદલાતાં વાતાવરણમાં વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ પરીક્ષા આપવા જેટલી સ્વસ્થ કઈ રીતે હોય તે નથી સમજાતું. વારુ, પરીક્ષા ન આપી શકનાર કે ન લઈ શકનાર શાળાઓ માટે પાછળથી પરીક્ષા લેવાનો વિકલ્પ અપાયો જ હોય તો બધાની જ પરીક્ષાઓ વાતાવરણ સુધરે પછી લેવાય તો તે વધુ હિતાવહ છે એવું નહીં?
બોર્ડે અત્યારના દિવસોને હળવાશથી લેવા જેવા નથી. આ પરીક્ષાઓ લેવાય તો વાતાવરણ વધુ બગડે એવા પૂરા સંજોગો છે, સ્કૂલો-કોલેજોમાં કેસો પોઝિટિવ આવ્યા તેથી તો તે બંધ કરવાની નોબત આવી. ભણાવાય તો જોખમ અને પરીક્ષા લેવાય તો વાઇરસ ન જ વકરે એવું શિક્ષણ વિભાગને લાગતું હોય તો નવાઈ નહીં, તે વગર એ સ્કૂલો-કોલેજો બંધ કરવાનો અને શાળાની પરીક્ષાઓ ચાલુ રાખવાનો નિર્ણય લે? સૌથી પહેલાં તો શિક્ષણ વિભાગે તટસ્થ અને તંદુરસ્ત વલણ અપનાવીને કેવળ પરીક્ષાલક્ષી અભિગમ બદલવાની જરૂર છે. એ સાચું કે કપરા સંજોગોમાં સ્વસ્થતા જાળવવાનું અઘરું હોય છે, પણ મહત્ત્વનું તો એ જ બને ને કે વિશિષ્ટ સંજોગોમાં જ સ્વસ્થતાથી મહત્વના નિર્ણયો લેવાય. આડે દા’ડે તો ઘોડું દોડે જ, મહત્ત્વનું તો ત્યારે કે એ દશેરાએ દોડે, એટલીસ્ટ, દશેરાએ તો દોડે જ –
0 0 0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 માર્ચ 2021