Opinion Magazine
Number of visits: 9446349
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોઈ ભા.જ.પ.નું ન હોય એટલે માણસ પણ ન હોય એવું નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|18 January 2021

આપણે બધાં જાણીએ છીએ કે દેશ આઝાદ થયો ત્યારે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ હતા, વડા પ્રધાન જવાહરલાલ નહેરુ હતા ને ગૃહ મંત્રી સરદાર પટેલ હતા. એ સાચું કે વડા પ્રધાન સરદાર બન્યા હોત તો દેશની સ્થિતિ જુદી હોત, પણ એ ન થયું. સરદારને અન્યાય થયો એવું માનનારો એક વર્ગ આજે પણ છે, પણ ગમે તેટલું જુદું વિચારીએ તો પણ તે વખતે કૉન્ગ્રેસનું શાસન હતું એ હકીકત છે ને એ શાસન, વચ્ચેનાં થોડા વર્ષ બાદ કરીએ તો 2014 સુધી રહ્યું. એ પછી ભા.જ.પ.ની સરકાર આવી ને એને એમ લાગ્યું કે સરદારને અન્યાય થયો છે તો સરદારને પુન: સ્થાપવાના પ્રયત્નો થયા ને તેની સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા વૈશ્વિક સ્તરે પુન: પ્રતિષ્ઠા પણ થઈ.

કાલથી છ રાજ્યોમાંથી કેવડિયા સુધીની નવી આઠ ટ્રેનને વડા પ્રધાન દ્વારા લીલી ઝંડી અપાઈ. ભા.જ.પ. સરકારની એ મુદ્દે ભૂરી ભૂરી પ્રશંસા કરવાની રહે કે તેણે કૉન્ગ્રેસી હોવા છતાં સરદારને વૈશ્વિક સ્તરનું ભરપૂર માન આપ્યું. આવી અપેક્ષા કૉન્ગ્રેસ પાસેથી ન રખાય. એ જુદી વાત છે કે પેસેંજર ટ્રેનો શરૂ નથી થતી ને આઠ આઠ નવી ટ્રેનો કેવડિયા ખાતે ઠાલવવાનું શરૂ થયું છે. એ સારી વાત છે કે સરકારે કામધંધા તો ચાલુ કરી દીધા છે, પણ ટ્રેનો શરૂ ન થવાને કારણે અપડાઉન કરનારા હજારો લોકો નોકરીએ જતાં પહેલાં જ હાંફી જાય છે ને એનું બધું ભારણ સરકારી ને ખાનગી બસો પર આવે છે. નોકરીએ જવા માટે એક એક કિલોમીટર લાંબી લાઇનમાં ઊભા રહેવું પડે છે એ હકીકત છે. ઇચ્છીએ કે આ સ્થિતિમાં સુધારો થાય.    

કૉન્ગ્રેસે દાયકાઓ સુધી કેન્દ્રમાં સત્તા ભોગવી ને વંશવાદ ચલાવ્યો. એમાં દેવેગૌડા ને મનમોહનસિંહ જેવા વડા પ્રધાન પણ આવ્યા, પણ તેમનો પ્રભાવ પડવો જોઈએ એટલો પડ્યો નહીં. દેવેગૌડા જેવા મહાવિદ્વાન વડા પ્રધાનનો આ દેશ અને કૉન્ગ્રેસ લાભ ના લઈ શક્યાં કમનસીબી છે. વિશ્વકક્ષાના અર્થશાસ્ત્રી આ દેશમાં હોવા છતાં મનમોહનસિંહ તેમના જ પક્ષ દ્વારા દુષ્પ્રભાવમાં રહ્યા એ પણ કેવું?

એક સમય એવો આવ્યો કે ઇન્દિરા ઈઝ ઈન્ડિયા – સૂત્ર પ્રચારમાં આવ્યું. ઇન્દિરાના કાળમાં જ 26 જૂન, 1975થી ઈમરજન્સી દેશભરમાં લાગુ થઈ ને દેશને કાળી ટીલી લાગી. મનમોહન પાસે ઇન્દિરાનો અવાજ હોત અને ઇન્દિરા પાસે મનમોહનનો સંયમ હોત તો પણ વાત જુદી હોત. જો કે એ વાત કરવાનો હવે અર્થ નથી, કારણ ઘડિયાળ હવે અવળું ફરે એવી શક્યતા નથી, પણ એક વાત છે કે આખા દેશમાં એક સમયે કૉન્ગ્રેસી સરકાર હતી ને આજે એ જ કૉન્ગ્રેસનાં વળતાં પાણી છે ને હવે કૉન્ગ્રેસ પાણી વગરની થાય તો નવાઈ નહીં. આઝાદી કાળથી સત્તા ભોગવતી કૉન્ગ્રેસ આજે પડી ભાંગી છે ને વિપક્ષમાં બેસતો ભા.જ.પ. આજે સત્તા પર છે. વાજપેયી જેવા એક ઉત્તમ વડા પ્રધાન ભા.જ.પે. આપ્યા ને એથી પણ વધારે દબદબો એક ગુજરાતી નરેન્દ્ર મોદીનો વડા પ્રધાન તરીકે આજે છે. સાચું તો એ છે કે સમયનું ચક્ર ફરે છે ને તે ઉપરનીચે કરતી વખતે કોઇની શરમ રાખતું નથી.

ઇન્દિરા ઈઝ ઈન્ડિયા-ની જેમ મોદી ઈઝ ઈન્ડિયા – થાય તો નવાઈ નહીં, પણ, લોકશાહીમાં વ્યક્તિ નહીં, દેશ સૌથી ઉપર રહે એ અપેક્ષિત છે. એવું જરા પણ નથી કે ભા.જ.પ.ની સરકારે કૈં કર્યું નથી. નોટબંધીનો શો ફ્લોપ થયો હોય તો પણ મોદીએ દેશ-વિદેશમાં ભારતનો ધ્વજ માનભેર લહેરાવ્યો છે તેની ના પાડી શકશે નહીં. સર્જિકલ સ્ટ્રાઈક, 370ની નાબૂદી, વિદેશી રોકાણ ને વિદેશી કંપનીઓ કે યુનિવર્સિટીને અહીં સક્રિય થવાનું આમંત્રણ, કોરોના સામે રસીકરણ પ્રોજેકટ જેવાં ઘણાં કામો સરકારને નામે છે જ ! કેટલાકમાં બફાયું પણ છે. ચીનની કનડગત સામે સરકારે સખત વાંધો ઉઠાવીને વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ચીની એપ બંધ કરીને અને ચીન સાથેના કોન્ટ્રાક્ટ રદ્દ કરીને ચીનને વિચારવાની સરકારે ફરજ પાડી છે, તો બુલેટ ટ્રેનનો મસમોટો રેલવે પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ 2021ની શરૂઆતમાં જ ચીનને સોંપીને ચીન સામેનો વિરોધ કેટલો પોકળ છે તે પણ સાબિત કર્યું છે. એક તરફ ચીને કોરોના આખા વિશ્વમાં ફેલાવ્યો હોય, ભારત સાથે અનેક વખત સરહદી ચેડાં કર્યાં હોય ત્યારે ભારત સરકાર ચીનને રેલવે કોન્ટ્રાક્ટ આપીને લાભ ખટાવે એ કોઈ રીતે યોગ્ય નથી.

સરકારે અમુક મર્યાદામાં શો બિઝનેસ કરવો પડે એ સમજી શકાય, પણ દેશમાં જ દેખાડો કરવાનો તો અર્થ નથીને ! આ દેખાડો વડા પ્રધાન સુધી હોય તો કૈંકે ક્ષમ્ય, પણ તેનો લાભ રાજ્યના મુખ્ય મંત્રીઓ કે મેયરો પણ ઉઠાવતા હોય તો ક્યાંક તો મર્યાદા રાખવાની રહેને ! રોજ જ મોદીની સાથે રૂપાણી પણ “રૂપ” છલકાવ્યા કરે તો પ્રજાને કંજક્ટિવાઈટિસ થવાનો ભય રહે એવું નહીં?

ભા.જ.પ.નો કે તેના આદર્શોનો અહીં જરા પણ વિરોધ નથી, પણ તેના સત્તાધીશોમાં જે છાક વર્તાય છે તે અંગે ઉપલા સ્તરે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. બધા કાયદા કાનૂનો પ્રજાને જ લાગુ પડે ને ભા.જ.પ.ને તેમાંથી મુક્તિ હોય એવું તો ના હોયને ! કે ભા.જ.પ.નો સભ્ય પ્રજામાં ન ગણાય એમ સમજવાનું છે? ભા.જ.પ.નો હોદ્દેદાર હોય એટલે વિવાહમાં હજારો માણસોને બોલાવી શકે ને સાધારણ માણસને પોલીસ નિયમો બતાવે એ યોગ્ય છે? ભા.જ.પ.ની રેલી ને તેનાં સરઘસો કોરોનાની ગાઈડલાઇન્સથી અલગ ગણવાના છે? એને સોશિયલ ડિસ્ટન્સિંગ કે માસ્ક પહેરવામાંથી મુક્તિ અપાઈ હોય એવું તો જાહેર થયું નથી, તો આ ભેદભાવ કેમ?

કોણ જાણે કેમ પણ સાધારણ ભા.જ.પી. કાર્યકર પણ ભેજામાં રાઈ રાખીને ફરતો હોય છે ને એમાં સ્થિતિ ચા કરતાં કિટલી ગરમ-ની વિશેષ છે. તાજો જ દાખલો એક ભા.જ.પી. ધારાસભ્યનો છે. ધારાસભ્ય સુધારાસભ્ય હોય તો ગમે, પણ એવું ઓછું જ છે. સુરતના એક ધારાસભ્યે ભા.જ.પી. કાર્યકરોને એવી ધરપત આપી કે પોલીસ રોકે તો એને પેજ કમિટીનું કાર્ડ બતાવી દેજો ને પછી પણ ન માને તો મને ફોન કરજો. શહેરમાં કેટલાક સમયથી પેજ કમિટીનું કામ ચાલે છે ને એ કામ કરનારને પેજ કમિટી પ્રમુખનું કાર્ડ આપવામાં આવે છે. એ સંદર્ભે ભા.જ.પી. ધારાસભ્યે પોતાને ફોન કરવાની ડિંગ મારી.

સારી વાત છે કે ભા.જ.પી. કાર્યકરો સક્રિય છે ને તે સારી રીતે કામ કરી શકે એ માટે તેને કાર્ડ આપવામાં આવ્યા છે. એમાં પોલીસની કનડગત થાય તો ધારાસભ્યે કહ્યું કે પોલીસને કાર્ડ બતાવી દેજો ને પછી પણ પોલીસ ન માને તો ફોન કરજો. આવી શેખી મારવાના જે સૂચિતાર્થો છે તેનાથી પ્રજામાં ખોટા મેસેજ જાય તેમ છે. જેમ કે ભા.જ.પી. કાર્યકર બધાં વિધિવિધાનોથી પર છે, એમનું પોલીસો પણ કૈં બગાડી ન શકે, બગાડે તો ધારાસભ્ય એને ઠેકાણે કરી શકે વગેરે ….

પહેલો પ્રશ્ન તો એ થાય કે ભા.જ.પી. કાર્યકર પક્ષનું કામ કરે તો તેને પોલીસ રોકે શું કરવા? પોલીસો કાનૂની કામોને પણ રોકે એવી દહેશત રાખવાનું એ ધારાસભ્યને કયું કારણ છે? પોલીસ રોકે તો કયા સંજોગોમાં? માસ્ક ન પહેર્યું હોય કે સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતું હોય કે રાત્રિ કરફ્યુમાં કાર્યકર કામ કરતો હોય તો પોલીસ રોકે. એમ રોકવાનું ગેરકાનૂની તો નથી ! પોલીસે એ કરવાનું કામ છે ને એ કરે ને કોઈ કાર્યકરને રોકે તો ધારાસભ્ય તેને બચાવવાની વાત કરે તે વાજબી છે? પોલીસને કામ કરતાં રોકવાનો કે તેને તેની ફરજથી વિમુખ કરવાનો ધારાસભ્યને અધિકાર ખરો? રાત્રિ કરફ્યુ દરમિયાન ભા.જ.પ.નો કાર્યકર પક્ષનું કામ જાહેરમાં કરે તો તે ગુનો છે. એવો ગુનો, કાર્યકરને તે ભા.જ.પી. હોવા માત્રથી ક્ષમ્ય નથી. બીજી વાત એ કે રાત્રિ કરફ્યુ દસ પછી શરૂ થાય છે ને સવારે છ સુધી હોય છે. એ સમય દરમિયાન પેજ કમિટીનું કામ થતું હોવાનો સંભવ નથી, તો પોલીસને રોકવાનું કયું કારણ રહે તે નથી સમજાતું. કયા હેતુથી ધારાસભ્યે કાર્યકરોની ઢાલ બનવાનું સ્વીકાર્યું તે સ્પષ્ટ નથી. એમ લાગે છે કે ધારાસભ્યે પોતાનો રૂવાબ છાંટવા જ આવી વાત કરી છે.

આવું ઘણાં કાર્યકરોમાં, કોર્પોરેટરોમાં, ધારાસભ્યોમાં, સાંસદોમાં, મંત્રીઓમાં જોવા મળે છે. આ યોગ્ય નથી. ગમે એવી મહાસત્તાઓ અહંકારમાં આથમી ગઈ છે ને એના ઢગલો દાખલાઓ આપણી પાસે છે. સત્તાનો દુરુપયોગ સારાં પરિણામો આપતો નથી એ ભા.જ.પ. સિવાય કોણ વધારે સારી રીતે કહી શકે એમ છે? સરમુખત્યારો પ્રજાને નકારીને લાંબું ટકી શક્યા નથી ને લોકશાહીમાં પ્રજા સર્વોપરી છે એવું જે સત્તાધીશો નથી સ્વીકારતા તેને પ્રજા પણ સ્વીકારતી નથી. પ્રજા જે સત્તાની ભક્તિ કરે છે તેને લાયક સત્તાએ બનવું પડે ને ન બને તો ભક્તો ઈશ્વર બદલી નાખે છે તો કોઈ પણ સત્તા તે શી વિસાતમાં ? સત્તા સાનમાં સમજે તે જરૂરી છે ને ના સમજે તો સમય સમજાવશે. ઈચ્છીએ કે ભા.જ.પી. સત્તાધીશો કોઈ વહેમમાં ન રહે ને વિવેક ને પ્રમાણ ભાન ન ચૂકે.

0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 જાન્યુઆરી 2021

Loading

18 January 2021 admin
← ગાંધીની આઝાદી માત્ર અંગ્રેજોથી આઝાદી નહોતી !
શતદલ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved