Opinion Magazine
Number of visits: 9449541
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જાન જાય તો ભલે, પણ જાન તો કાઢો જ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|4 December 2020

ખાસ કરીને જ્યારે રાજ્યમાં દિવાળી પછી કોરોનાએ તેનો રાક્ષસી પંજો ફેલાવ્યો છે ને સરકાર તથા તંત્રો તેને અટકાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે, ત્યારે આપણા રાજકારણીઓ માણસાઈ બાજુ પર મૂકીને જે બેશરમીથી વર્તી રહ્યા છે તે ઘોર નિંદાને પાત્ર છે. એક તરફ હોસ્પિટલો છલકાઈ રહી છે, ઘણાં વેન્ટિલેટર પર જિંદગી માટે તરફડી રહ્યાં છે ને રોજના પંદર સત્તર લોકો મરી રહ્યાં છે, તો બીજી તરફ રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ પોતાની સંપત્તિનું વરવું ને નિર્લજ્જ પ્રદર્શન કરી રહ્યાં છે તે કોઈ પણ રીતે માનવતાને છાજે એવું નથી. આ આછકલાઈ છે ને સત્તાના મદનું, અહંકારનું છીછરું પ્રદર્શન છે ને તે ઘૃણાને પાત્ર છે.

દિવાળી પછી કોરોનાનો વકરાટ વધતાં રાજ્ય સરકારે રાત્રિ કરફ્યુ દાખલ કર્યો ને લગ્નમાં ભીડ ન થાય એટલે 100 માણસોની મર્યાદા નક્કી કરી. એમાં વળી સ્પષ્ટતા કરી કે એ સોમાં કેટેરર્સ કે કેમેરા સંભાળનાર ને બીજા કેટલાકનો સમાવેશ નથી. આનો ગેરલાભ ઉઠાવનારાઓ પણ નીકળ્યા, પણ સરકારની તમામ ગાઈડ લાઇન્સને હવામાં ઉડાવી દેવા પૂર્વ મંત્રી કે સાંસદ કે ઉદ્યોગપતિએ લગ્ન કે સગાઈને મામલે સંપત્તિનો દુર્વ્યય કર્યો ને હજારો લોકોની જિંદગી જોડે રમત કરી, તેનો જોટો જડવો મુશ્કેલ છે.

સોનગઢ વિસ્તારના એક પૂર્વ મંત્રીએ તેની પૌત્રીની સગાઈમાં હજારોની ભીડ કરી અને અનેક લોકો તેમાં ડી.જે.ને તાલે નાચ્યા. આડે દિવસે આ બધું થયું હોત તો તે એક અવસર ગણાયો હોત ને લોકો ખાઈ, પીને ભૂલી ગયા હોત, પણ એ વિસ્તારમાં પોઝિટિવ કેસ મળ્યા હોય ત્યારે માજી મંત્રીશ્રીનું આ કૃત્ય ગુનાહિત ગણાય. એમનો પુત્ર ગામનો સરપંચ છે ને તેણે પણ દીકરીને ઉજવવામાં માઝા મૂકી. કીડિયારું ઉભરાયું. મંત્રીશ્રીએ પોતે કબૂલ્યું કે બે હજાર માણસની રસોઈ બનાવી હતી. આ સાચું હોય તો એમને માફ ન કરી શકાય. બે હજારની રસોઈ કરી એનો અર્થ એ કે એટલા લોકો તો આમંત્રિત હતા જ. આ સંજોગોમાં આ વ્યવસ્થા કોરોનાના વકરાટ વચ્ચે કોઈ રીતે હિતાવહ ન હતી. મંત્રીશ્રી જાણતા ન હતા કે સો માણસોથી વધુ નિમંત્રી શકાય એમ નથી? મંત્રીજી બરાબર જાણતા હતા કે ગાઈડલાઇન્સ શું છે ને તે જાણવા છતાં તેમણે કોઇની પણ પરવા ન કરી ને એવા વહેમમાં આખો વેપલો કર્યો કે કોઈ કૈં ઉખાડી લેવાનું નથી. જો આ માનસિકતા હોય તો તે તિરસ્કાર યોગ્ય છે.

આમાં સૌથી વરવી ભૂમિકા પોલીસની છે. પોલીસ અંધારામાં ન હતી. પોલીસ અધિકારીઓને નિમંત્રણ હતું. એકથી વધારે પોલીસ અધિકારીઓ સગાઈમાં હાજર હતા ને એમની સાક્ષીએ આ પ્રસંગ ઉકેલાયો. એમને એ ન જ દેખાયું કે બધા નીતિનિયમોની ઐસીતૈસી કરીને માજી મંત્રીશ્રીને ત્યાં સગાઈ થઈ રહી છે. બધા જ જાણતા હતા કે ખોટું થઈ રહ્યું છે ને છતાં તમામ સત્તાધીશોએ આંખ આડા કાન કર્યા ને હજારો લોકોની જિંદગી દાવ પર લગાડી.

આ કોઈ એક જ ઘટના છે એવું નથી. આ પહેલાં વિમાનમાં જાન લઈ જવાના વૈભવી બનાવો બન્યા જ છે, પણ ત્યારના સંજોગો જુદા હતા ને અત્યારની વાત જુદી છે. ઘણા ને એમ જ લાગે છે કે કોરોના પોતાનું કૈં બગાડી લેવાનો નથી, એવું હોત તો, તો વાંધો જ ન હતો, પણ દુનિયામાં લાખો માણસો મર્યાં છે તે ગમ્મત નથી. જે મર્યાં તેમાં કૈં મરવાની એક્ટિંગ નથી, તેઓ ખરેખર જ મૃત્યુ પામ્યાં છે ને ફરી કદી આ દુનિયામાં પાછા ફરવાના નથી. દિવાળી પછી જે વકરાટ કોરોનાનો વધ્યો છે, તેમાં રોજના લગભગ 1,500થી વધુ સંક્રમિત થાય છે. સુરતની જ વાત કરીએ તો રોજના અઢીસોથી વધારે લોકો સંક્રમિત થાય છે. આ જાણ્યા પછી પણ રાજકારણીઓ ને લોકો એની ગંભીરતા ન સમજે ત્યારે બધાં જ જોખમને સામે ચાલીને બોલાવી રહ્યા છે એવો જ એનો અર્થ થાય.

સોનગઢની ઘટના પછી વ્યારામાં પણ કોઈ મહિલાએ નાચગાનવાળા લગ્નનું આયોજન કર્યાંના સમાચાર છે. એમાં પણ હજાર માણસોની ભીડ થયાની વાત છે. એટલું ઓછું હોય તેમ ખંભાળિયામાં એક ઉદ્યોગપતિએ લગ્નમાં રાજકારણીઓ, ગાયકો, આગેવાનોની ભીડ કરી અને જાન હેલિકોપ્ટરમાં કાઢી. એમાં કોરોનાના બ્રાન્ડ એમ્બેસેડરની હાજરી પણ હતી, પણ એણે અટકાવવાને બદલે નિયમોના ધજાગરા કર્યા અને સૌએ કોરોનાની જરા પણ ચિંતા કર્યા વગર જલસામાં પૂરી બેશરમીથી ને નફફટાઈથી ભાગ લીધો.

આવી ઘટનાઓ બીજે પણ બની હશે ને બનશે, પણ આમાં બે વાત આંખે ઊડીને વળગે એવી છે. એક તો રાજકારણીઓ ને ઉદ્યોગપતિઓ ભાગ્યે જ સંયમથી વર્તી શકે છે. એમની પાસે અઢળક સંપત્તિ છે ને તે લોકોને દેખાડવા માટેનું બહાનું શોધતા રહે છે ને લગ્ન કે સગાઈ એવા પ્રસંગો છે, જેમાં વેવાઈને બતાવી દેવા ને લોકોને આંજી નાખવા સંપત્તિવાનો ધરાઈને પ્રયત્નો કરતા હોય છે. આ સંપત્તિ કેવી રીતે મેળવાઈ છે તે સૌ જાણતા હોય છે, પણ પ્રજાને એનો રૂઆબ બતાવીને આવા લોકો, લોકોને એડી નીચે રાખી શકાય છે એનો સંકેત આપતા રહે છે. આવાં પ્રદર્શનો ભાગ્યે જ કશી સમજ કે સંવેદના ધરાવતા હોય છે ને છેવટે તો તે વરવું પ્રદર્શન જ બની રહે છે.

બીજી આંખે ઊડીને વળગે તેવી વાત તંત્રોની ઉદાસીનતાની કે મતલબી સક્રિયતાની છે.

એક સમાચાર એક ગર્ભવતી મહિલાને પોલીસે દંડ્યાની છે. સુરત પોલીસ કમિશનર કચેરી પાસેથી એક મહિલા તેના પતિ સાથે કારમાં પસાર થઈ રહી હતી. તેની ગાડી પોલીસે ઊભી રખાવી. મહિલાના પતિએ માસ્ક પહેર્યું હતું, પણ તેનું પોતાનું માસ્ક નાક પર ન હતું. લટકતું હતું. પોલીસે હજાર રૂપિયા દંડ વસૂલ્યો. મહિલાએ ગર્ભવતી હોવાનું ને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી એટલે માસ્ક નીચું કર્યું હતું એવું કહ્યું, પણ પોલીસ ન માની. તેણે ધરાર હજાર રૂપિયા વસૂલ્યા. વાત ચર્ચાઈ. ડી.સી.બી. ટ્રાફિક સુધી વાત પહોંચી. એમણે પણ આ ઘટનાની ટીકા કરી ને આવું ફરી નહીં થાય એવી તાકીદ કરી. એ સારું થયું, વધારે સારું એ થયું હોત જો સાહેબે દંડ પરત કરાવ્યો હોત.

તો, આ સ્થિતિ છે, એક તરફ એકલ દોકલ દંડાય છે ને બીજે આખું કોળું દાળમાં જાય છે, પણ કોઈ ફરક પડતો નથી. રાજકીય જલસાઓમાં પોલીસ પોતે જ હોસ્ટની ભૂમિકામાં આવી જતી હોવાનો વહેમ પડે છે. ઢગલો પોલીસો વચ્ચે સગાઈમાં હજારો માણસો મહાલ્યા તે પોલીસ જોતી, જાણતી હતી, પણ ત્યાં તેણે જાણી જોઈને મનમાની થવા દીધી. કોણ જાણે કેમ પણ પોલીસ પહેલેથી જ રાજકારણીઓની શરમ ભરતી રહી છે ને ઘણીવાર ઘણી બાબતોમાં ઢીલ મૂકે છે. કદાચ કોઈ ખુશ કરી દેતું હોય એટલે પણ પોલીસ આમ કુરનીશ બજાવતી હશે, પણ એમાં ફરજ ચુકાતી હોય છે તે કહેવાની જરૂર નથી. એક તરફ એકલદોકલ સાથે જડતાપૂર્વકનું ફરજપાલન અને બીજી તરફ રાજકીય સમૂહમાં ઈરાદાપૂર્વકની બેદરકારી એ આજની પોલીસની ઓળખ છે. બંને સ્થિતિમાં વિવેક ચુકાય છે તે ઠીક નથી.

માજી મંત્રીનો સોનગઢિયો કિસ્સો એટલો ચગ્યો છે કે હાઈકોર્ટે તેની ટીકા કરી છે ને મંત્રીશ્રી સહિત 18 જણાંની ધરપકડ થઈ છે એ સાથે જ પી.આઈ. સસ્પેન્ડ થયા છે ને બીજા પોલીસોની પણ અટક થઈ છે. આ જાણીને આનંદ થતો નથી, પણ પ્રજા અને તંત્ર જ્યારે સૌથી વધુ સાવચેતી રાખવાની હોય ત્યારે જે અમાનવીય રીતે વર્તે છે તે કોઈ રીતે ન્યાયી નથી. આપણી ઐયાશી કે આછકલાઈ કે બેદરકારી, અનેકોના જીવ જોખમમાં મૂકે એવી તો કેવી રીતે હોય? દરેક કુટુંબમાં લગ્ન આનંદનો પ્રસંગ છે એની ના જ નથી, પણ તે અનેકોનાં મરણની આગોતરી વ્યવસ્થા કરનારો તો ન જ હોય ને ! એવું તો કેમ કહેવાય કે જાન જાય તો ભલે, પણ જાન તો કાઢો જ !

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : લેખકની ‘આજકાલ’ નામક કટાર, “ધબકાર” દૈનિક, 04 ડિસેમ્બર 2020

Loading

4 December 2020 admin
← નાતાલનો નજારો …
ગઈકાલના લેખના અનુસન્ધાનમાં … →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved