Opinion Magazine
Number of visits: 9447876
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ દેશમાં ન્યાયતંત્ર અને ચૂંટણીપંચ સ્વતંત્ર છે એમ કહેવાનું સાહસ કોઈ બેવકૂફ જ કરી શકે

રમેશ ઓઝા|Opinion - Opinion|22 November 2020

આદર રળવાનો હોય કે માગવાનો હોય? સર્વોચ્ચ અદાલતના વકીલ પ્રશાંત ભૂષણે એક ટ્વીટ કરીને સર્વોચ્ચ અદાલતની અને દેશના મુખ્ય ન્યાયમૂર્તિની ટીકા કરી ત્યારે આ સવાલ પૂછવામાં આવ્યો હતો. આદર અધિકાર છે કે સામેની વ્યક્તિ દ્વારા જાળવવામાં આવતો વિવેક છે? એ સમયે આ પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો હતો.

દેશની અને સર્વોચ્ચ અદાલતની વાત બાજુએ મુકીએ, આપણાં પોતાનાં ઘરમાં જો વડીલો કે ઘરના મુખ્ય કર્તા ન્યાયબુદ્ધિથી ન વર્તે, પક્ષપાત કરે તો તેમના પ્રત્યેના આદરમાં વધારો થાય કે ઘટાડો? શરૂઆતમાં આદરપૂર્વક વડીલનું ધ્યાન દોરવામાં આવે કે તમારું વલણ બરોબર નથી. એ પછી હજુ વધારે સ્પષ્ટતાથી કહેવામાં આવે કે તમે જે કરી રહ્યા છો એ બરાબર નથી. એ પછી પણ વડીલ જો ન્યાયબુદ્ધિથી ન વર્તે તો કુટુંબના નજીકના હોય એવા બીજા કોઈ વડીલ દ્વારા કહેવડાવવામાં આવે કે તેમણે ન્યાયબુદ્ધિથી વર્તવું જોઈએ. એ પછી પણ જો વડીલ પક્ષપાત કરે તો વડીલનો ધર્મ યાદ કરાવવામાં આવે અને એ પછી પણ જો વડીલ ન સુધરે તો? તો દીકરો બાપની જાહેરમાં આબરૂ કાઢે.

પરિવારના વડીલ તરીકેનો આદર સ્વાભાવિકપણે, કહો કે એક પ્રકારના અધિકારના ભાગરૂપે મળતો હોય છે. પરિવારના સભ્યો કુટુંબના મોભીનો એ અધિકાર સ્વીકારી લેતા હોય છે અને કોઈને તેની સામે વાંધો હોતો નથી. પણ પછી વડીલ તરીકેના અધિકારરૂપે મળેલો આદર જાળવી રાખવાની અને તેમાં ઉમેરો કરવાની જવાબદારી વડીલની કે પરિવારના સભ્યોની? વડીલ કાંઈ પણ કરે અને મારા માટેનો આદર મારો અધિકાર છે અને તારે આપવો જ રહ્યો એ તારી ફરજ છે એવું કહે તો એ લાંબો વખત ચાલે ખરું? વડીલ ‘બેશરમ’ બનીને ટીકા કરનારને નુકસાન પહોંચાડી શકવાની તાકાત ધરાવતા હોય તો કદાચ ડરના માર્યા પરિવારના સભ્યો ચૂપ રહે પણ કોઈ તો એવો નીકળે જે મોઢે સંભળાવી દે. આ ઉપરાંત પડોશીઓ અને આખું જગત વાતો કરે એનું શું? કેટલા મોઢે ગળણાં બાંધવા જશો? અહીં બેશરમ શબ્દ અવતરણ ચિહ્નમાં વાપરીને વજન આપ્યું છે એનું કારણ છે. ઊઘાડો પક્ષપાત કરતા રહ્યા પછી પણ અધિકારના ભાગરૂપે આદરની અપેક્ષા રાખે અને જો આદર નહીં આપે તો સજા કરીશ એવું જો કોઈ કહે કે કરે તો એવી વ્યક્તિને ‘બેશરમ’ તરીકે જ ઓળખાવી શકાય.

આપણા દેશમાં સર્વોચ્ચ અદાલતની હાલત પરિવારના પક્ષપાતી વડીલ જેવી છે. સર્વોચ્ચ અદાલતે અને એકંદર ન્યાયતંત્રે આદર રળવાનું અને આદરમાં ઉમેરો કરવાનું તો ક્યારનું છોડી દીધું છે. આદરમાં ઉમેરો ત્યારે થાય જ્યારે ન્યાયમૂર્તિ પ્રામાણિક હોય, કાયદાનો જાણકાર વિદ્વાન હોય, જેના ઉપર દેશનું ભવિષ્ય અવલંબિત છે એ બંધારણનો રખેવાળ હોય, જેને સૌથી વધુ ન્યાયની જરૂર છે એને પહેલો ન્યાય આપતો હોય અને જે નિર્ભય હોય. આ હું નથી કહેતો, બંધારણ ઘડનારાઓએ સર્વોચ્ચ અદાલતના જજો પાસેથી આવી અપેક્ષા રાખી છે. ભારતના અદના નાગરિકની છેલ્લી આશા સર્વોચ્ચ અદાલત છે અને ત્યાં તો તેને અન્યાય ન જ થવો જોઈએ અને ન્યાય મળવો જ જોઈએ એ માટે વિદ્વતા, પ્રામાણિકતા, નિર્ભયતા, પ્રતિબદ્ધતા અને પ્રાથમિકતાની અપેક્ષા રાખવામાં આવી છે.

હવે સ્થિતિ કેવી છે? સર્વોચ્ચ અદાલતમાં એવા જજો પણ છે અને ઠીકઠીક સંખ્યામાં છે જેનામાં ઉપર કહ્યા એ પાંચ ગુણમાંથી એક પણ ગુણ નથી. કોણ નથી જાણતું આ? ઉઘાડું સત્ય છે? આ પાંચેય વાના હોય એવા જજ તો રણમાં મીઠી વીરડીની માફક ભાગ્યે જ જોવા મળે છે. જજોની પસંદગીનો ચાળણો જ એવો રાખવામાં આવ્યો છે કે ચાલાક લોકો ચાળણાની દીવાલ પકડીને બચી જાય છે અને ઉપરના પાંચેય ગુણ હોય એવા ખરા અર્થમાં ‘ન્યાયમૂર્તિ’ ચળાઈ જાય છે. ચાળણો બનાવનારા એ, ચાળળો ચલાવનારા એ, માફક આવે એવા ન હોય એને ચાળી નાખનારા એ, માફક આવે એને બચાવી લેનારા પણ એ. લાભ કરાવી આપે એવા સમર્થોની ખિદમત કરનારા પણ એ. ઉપરથી તેઓ આદરની અપેક્ષા રાખે છે. ન આપો તો માગે છે. અધિકારના ભાગરૂપે માગે છે. ટીકા કરો તો ડરાવે છે, સજા કરે છે.

જ્યારે કોઈ ટીકા કરે ત્યારે ટીકાનું વાજબીપણું સાબિત કરવાની જવાબદારી ટીકા કરનારની છે. જેની ટીકા કરવામાં આવી હોય એનો એ અધિકાર છે કે તે ટીકા કરનારને પડકારે કે તું ટીકાનું વાજબીપણું સિદ્ધ કર. જજોએ પણ ટીકા કરનારાઓને પડકારવા જોઈએ કે ટીકાનું વાજબીપણું બતાવ. પ્રશાંત ભૂષણે તો સામે ચાલીને બે હાથ જોડીને કહ્યું હતું કે હું ટીકાનું વાજબીપણું સાબિત કરવા તૈયાર છું મને મોકો આપવામાં આવે. શા માટે મોકો આપવામાં નહીં આવ્યો? કારણ કે કોઠીમાં કાદવ ભર્યો છે. આક્કાઓના ગુલામ છે અને એ જાહેર થઈ જાય.

પ્રશાંત ભૂષણને ટીકાનું વાજબીપણું સાબિત કરવાનો મોકો આપવામાં ન આવ્યો એને કારણે, હું ફરી કહું છું કે એને કારણે સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરા ટીકા કરવામાં એક ડગલું આગળ ગયા છે. તેમણે ટ્વીટ કરીને સર્વોચ્ચ અદાલતની આકરી ટીકા કરી છે, સર્વોચ્ચ અદાલતના મકાનને ભગવા રંગે રંગ્યું છે અને ઉપર દેશના રાષ્ટ્રધ્વજની જગ્યાએ ભા.જ.પ.નો ઝંડો લહેરાવ્યો છે. તેમણે કહ્યું છે કે હું ટીકાનું વાજબીપણું સાબિત કરવાનો નથી, માફી માગવાનો નથી, દંડ ચૂકવવાનો નથી. મારી સામે ખટલો ચલાવવાનું નાટક કર્યા વિના સજા કરીને જેલમાં મોકલી દો. તેમણે સર્વોચ્ચ અદાલતને કહ્યું છે કે મારી પાછળ જે સમય તમે ખર્ચ કરવાના છો એ સમય એવા ખટલા હાથ ધરવામાં ખર્ચો જ્યાં ન્યાયબુદ્ધિ અને રહેમદિલીની તાત્કાલિક જરૂર છે. જે ન્યાયબુદ્ધિ અને રહેમદિલી અર્ણવ ગોસ્વામી માટે બતાવી છે એ ત્યાં બતાવો. પ્રશાંત ભૂષણ કરતાં એક ડગલું આગળ. ટીકા કરી છે, તેની જવાબદારી લઉં છું, જેલ જવા તૈયાર છું; તમે સાબિત કરો કે તમે ખરા અર્થમાં ન્યાયની ખુરશી ઉપર બેસવાને લાયક ‘ન્યાયાધીશ’ છો. આટઆટલા કેસ તમારી પાસે પડ્યા છે જે ખરા અર્થમાં પ્રાથમિકતા ધરાવે છે, જાહેર હિતના છે અને ન્યાયબુદ્ધિની કસોટી કરનારા છે. ઉઠાવો ધનુષ અને આપો પરીક્ષા. મને તમે ખુશી ખુશી જેલમાં મોકલી દો.

પ્રશાંત ભૂષણ કરતાં એક ડગલું આગળ. હજુ પણ જો જજો સમર્થોની સેવા કરતા રહેશે, પક્ષપાત કરતા રહેશે, આદરને અધિકાર માનવાનું અને ડરાવીને ટીકાકારોને ચૂપ કરવાનું વલણ ધરાવતા રહેશે તો હવે પછી બીજો કોઈ કુણાલ કામરા હજુ એક ડગલું આગળ જશે. જજસાહેબોને એટલી તો જાણ હશે જ સમાજમાં બધા લોકો કાયર નથી હોતા. ભલે ઓછી સંખ્યામાં પણ સમાજ નીડર અને બુદ્ધિમાન લોકોને પણ પેદા કરે છે. જે ગુણ જજો પાસે અપેક્ષિત છે એ વિદ્વતા, પ્રામાણિકતા, નિર્ભયતા, પ્રતિબદ્ધતા અને પ્રાથમિકતા અનેક નાગરિકો ધરાવતા હોય ત્યાં તમે શું કરશો? આ લોકો ઢોરને વળગેલી બગાઈની માફક સાચું બોલીને હેરાન કરતા જ રહે છે. સોક્રેટિસે પોતાના માટે કહ્યું હતું કે હું એથેન્સને વળગેલી બગાઈ છું.

ન્યાયાધીશોએ અનીતિ આચરવાનું છીંડું પાડ્યું અને આલોચના શરૂ થઈ. જેમ જેમ છીંડું પહોળું થતું ગયું એમ ટીકા પણ આકરી થવા લાગી. હજુ વધુ પહોળું થશે તો હજુ વધુ આકરી ટીકા થશે. આ તો સ્વાભાવિક ક્રમ છે. જ્યારે પહેલી આલોચના કાને પડી ત્યારે ‘ટીકા કરી જ કેમ, આદર આપ નહીં તો જેલમાં મોકલીશ’નું વલણ અપનાવવાની જગ્યાએ ટીકા કરનાર પાસે ટીકાનું વાજબીપણું સમજવાની કોશિશ કરી હોત તો આવી સ્થિતિ પેદા ન થાત. પ્રારંભમાં કહ્યું એમ આદર રળવાનો હોય, માગવાનો ન હોય.

જજો પાસે બે વિકલ્પ છે. એક આત્મનિરીક્ષણ કરે અને પોતાને તેમ જ ન્યાયતંત્રને સુધારે. જો એમ ન કરવું હોય તો રાજકારણીઓની જેમ જાડી ચામડી કેળવે. નેતાઓની કેવી ઠેકડી ઉડાડવામાં આવે છે, પણ કોઈ માઠું લગાડે છે? આમ પણ સ્થિતિ એવી જ થવાની છે. જેવી સ્થિતિ જજોની થઈ રહી છે એવી ચૂંટણીપંચની પણ થઈ રહી છે. આ દેશમાં ન્યાયતંત્ર અને ચૂંટણીપંચ સ્વતંત્ર છે એમ કહેવાનું સાહસ કોઈ બેવકૂફ જ કરી શકે. પરમ ભક્ત પણ આવું સાહસ નહીં કરે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 નવેમ્બર 2020

Loading

22 November 2020 admin
← યશોધરા
યે તો હોના હી થા … →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved