Opinion Magazine
Number of visits: 9449513
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યુ.એસ.એ. કે ભારત, રાજકારણીઓને ગમતું સત્ય ચૂંટાય ત્યારે સમજવું કે લોકશાહીમાં ઊધઇ પેઠી છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|8 November 2020

રાષ્ટ્રીયતા આ બંન્ને દેશોમાં ‘વાદ’ બની ચૂકી છે અને અંતિમવાદી રાજકીય ધ્રુવીકરણ આ બન્ને લોકશાહી રાષ્ટ્રોની હાલની વાસ્તવિકતા છે. લોકશાહી પાંગળી બને ત્યારે તે ખતરનાક બની જાય છે.

યુ.એસ.એ.ની ચૂંટણીની ભાંજગડ આ લખાઇ રહ્યું છે ત્યારે હજી ‘જૈસે થે’ની સ્થિતિમાં છે. આ વંચાતું હશે ત્યાં સુધીમાં પરિસ્થિતિ સ્પષ્ટ થઇ ગઇ હોય એમ બની જ શકે છે. આપણે વૉટ્સએપ્પ પર એ જોક પણ વાંચી ચૂક્યા છીએ કે આપણે ત્યાં તો બપોરે જ ફટાકડા ફૂટવા માંડે એટલે ખબર પડી જાય કે કોણ જીત્યું છે અને આ લોકોને કેમ આટલી વાર લાગે છે વગેરે વગેરે …  ભારત અને યુ.એસ.એ.ની વાત થાય અને એ પણ ચૂંટણીલક્ષી ત્યારે જાતભાતનાં પાસા ચર્ચાય.

યુ.એસ.એ.નાં મતદાતાઓની વાત કરીએ તો ત્યાં 328.2 મિલિયનની વસ્તી છે પણ તે બધાં જ મત દાન કરી શકે તેમ નથી. મોટા ભાગની સરકારોએ ત્યાં મતદાતાઓ માટે અમુક નિયમો ઘડ્યા છે. યુ.એસ.માં રહેનાર દરેક વ્યક્તિ ત્યાંની ચૂંટણીમાં મત આપી શકે તેમ નથી હોતું, પણ એવા નિયમો ભારતમાં પણ લાગુ કરાયેલા છે. યુ.એસ.એ.ની પી.ઇ.ડબલ્યુ. રિસર્ચ સેન્ટર નામની સંસ્થા જે એક થિંક ટેંક છે, તે મુજબ હવે યુ.એસ.એ.માં મત આપી શકનારાઓની સંખ્યા ગત દાયકા કરતાં વધી છે. નવા મતદારોમાં એવા લોકોની સંખ્યા વધારે છે જે અશ્વેત છે અને તેમાં હિસ્પેનિક, બ્લૅક અને એશિયન મતદાતાઓની સંખ્યા મોટી છે. આમ તો યુ.એસ.એ.ની કુલ સંખ્યામાંથી લાખો લોક મત આપી શકે તેમ છે, પણ મત આપવા આવનારાઓ આની અડધી સંખ્યામાં હોય છે. 1988ની સાલમાં ડેમોક્રેટ ગ્રોવર ક્લિવલેન્ડને ચૂંટી લેવા માટે 79.3 ટકા લોકો મત આપવા આવ્યા હતા જે અત્યાર સુધીનું રેકોર્ડ બ્રેક મતદાન છે. જેમ ભારતને યુવા દેશ ગણાય છે તેમ યુ.એસ.એ.ની ચૂંટણીમાં પણ યુવા મતદારોના બોલબાલા છે. યુ.એસ.એ.ના યુવા મતદાતાઓ 2020ની ચૂંટણીનાં પરિણામ માટે કારણભૂત હોઇ જ શકે છે.

ટફ્ટ્સ યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇન્ફર્મેશન એન્ડ રિસર્ચ ઓન સિવિક લર્નિંગ એન્ડ એન્ગેજમેન્ટ અનુસાર 18થી 29 વયની વચ્ચેના મતદારો મોટી સંખ્યામાં મત આપવા તત્પર છે અને આઠ મિલિયન જેટલા જુવાનિયાઓએ અર્લી વોટિંગ અને એબ્સન્ટી તરીકે 2020ની યુ.એસ.એ.ની ચૂંટણીમાં પોતાનો મત નોંધાવ્યો છે. યુ.એસ.એ.માં પણ ડાબેરી અને જમણેરીની લડાઇ અને વિધાનો, વાયદાઓ મતદાતાઓની પસંદગી પર અસર કરે છે. યુ.એસ.એ.માં રહેતા ઇન્ડિયન અમેરિકન્સ ડેમોક્રેટિક કેન્ડિડેટને ટેકો આપી રહ્યા છે અને માત્ર 22 ટકા એન.આર.આઇ.ઝને ટ્રમ્પને ટેકો આપવામાં રસ છે. વળી જેમ આપણે ત્યાં મહિલાઓ મોદી તરફી છે તેમ ત્યાં ય મહિલાઓને ટ્રમ્પ પરત્વે ઝુકાવ છે.

ભારતના મતદારોની વાત કરીએ તો સામાજિક પૂર્વગ્રહોનો ભારતીય મતદારોની પસંદગી પર બહોળો પ્રભાવ હોય છે. આપણે ત્યાં ગ્રામીણ વિસ્તારોમાં ઝુકાવ બદલી શકાય છે અને તેવું થતું આવ્યું છે. એક વાત સ્પષ્ટ છે કે ભારતીય મતદારને વિકાસ કે નીતિને આધારે મત આપવામાં કોઇ રસ નથી હોતો. ભારતીય રાજકારણમાં જાતિવાદ સૌથી મોટું શસ્ત્ર છે અને ભારતીય રાજકારણીઓ, પછી તે કોઇ પણ પક્ષના હોય આ બાબત બહુ સારી પેઠે સમજે છે. જાતિને આધારે રાજકીય લાભ ખાટવાની સમજ ભારતના છેવાડાના માણસમાં છે જ અને તેઓ જાતિ આધારિત સમાજમાં ઉછર્યા હોય પછી તેમને માટે મતની પસંદગી પણ તેને આધારે જ થાય છે. રાષ્ટ્રવાદ, મંદિર, હિંદુત્વ કાર્ડ વગેરેનો ઉપયોગ કરીને લોકોની લાગણીઓનો ઝુકાવ બદલતા પણ રાજકીય પક્ષોને સારી પેઠે આવડે છે.

ભારતમાં મતદાતાઓની પસંદને તેમની જરૂરિયાતના ક્રમમાં મૂકી શકાય, જેમાં વ્યક્તિગત લાભને પણ અગ્રિમતા અપાય છે. આ બે પૂરા થાય પછી જાતિનું હિત અને છેલ્લે જાહેર હિતને મહત્ત્વ અપાય છે. અહીં મત આપવા જનાર સારા રસ્તા કે સુવિધાઓનો નહીં પણ પોતાને શું લાભ થઇ શકશે તેનો જ વિચાર કરતો હોય છે. આ કારણે જ ચૂંટણી ચક્ર ફરવાનું શરૂ થાય ત્યારે રાજકીય પક્ષો શરૂઆતનાં વર્ષોમાં જાહેર હિતના કામ કરે છે, અને જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય તેમ તેમ તેઓ મતદારોને મફત લાભ, પૈસા વગેરે વસ્તુઓ ધરતા થાય છે અને ધર્મ અને જાતિનું કાર્ડ તો ખેલાય જ છે. ડાબેરી અને જમણેરીની વચ્ચે આંધળુકિયાનું પ્રેશર વધે છે અને મુક્ત વિચારધારા માટેની જગ્યા સંકોરાતી જાય છે. આ હાલત યુ.એસ.એ. અને ભારત બન્નેમાં જ છે. રાષ્ટ્રીયતા આ બન્ને દેશોમાં ‘વાદ’ બની ચૂકી છે અને અંતિમવાદી રાજકીય ધ્રુવીકરણ આ બન્ને લોકશાહી રાષ્ટ્રોની હાલની વાસ્તવિકતા છે. લોકશાહી પાંગળી બને ત્યારે તે ખતરનાક બની જાય છે અને તેનું જીવતું જાગતું ઉદાહરણ અમેરિકાના હાલનાં સંજોગો છે.

જાણીતા ઇઝરાઇલી હિસ્ટોરિયન યુવલ નોઆ હરારીનું કહેવું છે કે તમે ભલે કોઇ પણ દેશમાં રહેતા હો, પણ જો તમે લોકશાહીને બચાવવા માગતા હો તો એવા રાજકારણીઓને મત આપો જે સત્ય પ્રકાશિત કરતી અને સત્યને ટેકો આપતી સંસ્થાઓની પડખે ઊભા રહેતા હોય. એ પક્ષ માટે મત આપો જે લોકોને તેમના અધિકાર સાચા અર્થમાં પામવા દે, તેનો ઉપયોગ કરવા દે અને તેમને માફક આવે અને યોગ્ય લાગે તેવી સરકારની પસંદગી કરવા દે. રાજકારણીઓને ગમતું સત્ય ચૂંટાઇને માથે બેસે ત્યારે લોકશાહી વધુને વધુ પાંગળી થતી જાય તે સમજવું જરૂરી છે.

બાય ધી વેઃ

ચૂંટણીઓ થકી કોઇ સત્યો નથી શોધી શકાતા. ચૂંટણી તો એક રસ્તો છે જેના થકી અલગ અલગ લોકોની એકબીજાથી જૂદી એવી ઇચ્છાઓનું સમાધાન શાંતિથી મળી શકે. સ્વતંત્ર સરકારોએ સાચા અર્થમાં લોકોના પ્રતિનિધિત્વ, તેમના હિતને ગણતરીમાં લેવું જોઇએ. યુવલ નોઆ હરારીનું આનું સરસ ઉદાહરણ આપે છે કે ખ્રિસ્તી કટ્ટરવાદીઓ એમ ચાહતા હોય કે જે પણ સ્ક્રિપ્ચર્સમાં લખાયું છે તે સાચું છે અને ઉત્ક્રાંતિની આખી થિયરી જ બોગસ છે અને નેવું ટકા મતદાતાઓ આ ખ્રિસ્ત કટ્ટરવાદી હોય છતાં પણ તેમની પાસે એવી શક્તિ કે ક્ષમતા ન હોવી જોઇએ કે તેઓ વૈજ્ઞાનિક સત્યને મનફાવે તેમ બદલી શકે અને વૈજ્ઞાનિકોને સંશોધન કરતા રોકી શકે. કદાચ આવા કટ્ટરવાદીઓની સરકાર એવો ધારો ય પસાર કરી દે કે ઉત્ક્રાંતિવાદની થિયરી બોગસ છે પણ આવો કાયદો સત્ય નથી બદલી નાખતો એ પણ એટલી જ સાચી વાત છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 નવેમ્બર 2020 

Loading

8 November 2020 admin
← કુળ ઈકોતેર બાળ્યા રે
ગૃહિણી દિને: →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved