Opinion Magazine
Number of visits: 9448367
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સર્જકતા, સ્વાયત્તતા અને સ્વતંત્રતા

બારીન મહેતા|Opinion - Opinion|1 October 2020

આપણે અનેક મહાન વક્તાઓ, વિચારકો, ચિંતકો, લેખકો અને સર્જકોના સર્જકતા, સ્વાયત્તતા અને સ્વતંત્રતાવિષયક અનેક ઉદ્ધરણો અહીં મૂકી આપીને એ અંગે વાત કરી શકીએ અને કોઈ તારણ સુધી પહોંચી શકીએ. પરંતુ, એના કરતાં આજના વર્તમાનમાં બદલાતી અને બદલાઈ રહેલી પ્રવાહી પરિસ્થિતિના સંદર્ભમાં આપણા અનુભવનું ભાથું જ કામે લગાડીને આપણે જે કંઈ વાચ્યું-વિચાર્યું છે અને એક સમજણ ઘડવાની મથામણ કરી છે, એની વાત માંડીએ તો એ વધુ વ્યવહારુ તેમ જ ફળદાયી હોઈ શકે એમ લાગતા આ ત્રણ શબ્દના ઝૂમખા વિશે એક વિમર્શ અર્થે પ્રવૃત્ત થવાનું મુનાસિબ લાગ્યું છે.

જ્યારથી માનવ પોતે સર્જન કરવા લાગ્યો, ત્યારથી એનો મહિમા થવા લાગ્યો. એનું ગણિત બહુ સીધું છે. ત્યારે એ પૂરેપૂરો સ્વાયત્ત પણ હતો. આ સ્વાયત્તતા એની સ્વતંત્રતાને કારણે જ એને મળેલી હતી, પરંતુ જ્યારે એનું આ કે તે સર્જન એના સમાજ-કબીલાના વગદાર કે શક્તિશાળી જૂથને કઠ્યું કે એને એ જૂથ દ્વારા સૂચિત કરવામાં આવ્યું કે આ બરાબર નથી લાગતું! એથી ઊલટું આવા જૂથ દ્વારા એમને ગમે એ કરવાનું સૂચન થવા લાગ્યું અને આગળ જતાં એ આદેશ પણ બનવા લાગ્યું. આપણે જાણીએ છીએ કે આદેશ એ સર્જકની સ્વાયત્તતામાં અવરોધ ઊભો કરે છે. તબક્કાવાર સમયસંદર્ભોના લાંબા કાળપટે સમાંતરે સર્જન અને સત્તાના પલટાતા દોર પછીના દોર દરમિયાન અનેક લીલીસૂકી આવી ગઈ તો પણ સર્જકતાની સ્વતંત્રતા અને સ્વાયત્તતા એનું ગજું કાઢતાં ગયાં અને એ છીનવવાની પ્રક્રિયાઓ થઈ, ત્યારે એનો અવાજ બુલંદ થયા કર્યો.

શ્રમ અને સર્જનને સીધો નાતો છે. સર્જન શ્રમ માગે છે. જેવું સર્જન એવો અને એટલો શ્રમ, એ આપણે જાણીએ છીએ. શ્રમ કોઈ પણ પ્રકારનો હોય, કંઈક ને કંઈક સર્જન એ એનું પરિણામ છે. માનવના આદિકાળથી માંડીને આજ સુધી આપણે શ્રમ અને સર્જનની વ્યાપક તપાસ કરીએ, તો એક બાબત સીધી સામે આવે છે કે કોઈ પણ આદેશ એ સર્જકની સ્વાયત્તતામાં અવરોધ ઊભો કરે, તો એ આડકતરી રીતે શ્રમને અને એની પાછળના સર્જક વિચારને હાંસિયામાં ધકેલવાનો પ્રયત્ન કરે છે. આ પ્રયત્ન હંમેશાં સત્તા દ્વારા થતો આવ્યો છે અને એટલે સત્તાપલટામાં સર્જકોનો અને શ્રમિકોનો ફાળો સ્વાતંત્ર્યના સંદર્ભમાં રહેલો છે. વિશાળ કાળપટે ક્રમશઃ એવું જોઈ શકાય છે કે શ્રમ અને સર્જનને વ્યવસ્થા, વહેંચણી અને ઉપાર્જનના સંદર્ભે અલગ કરવામાં-રાખવામાં આવ્યાં, શ્રમિકો અને સર્જકોને વેગળા કરવામાં આવ્યા. આ એક વરવા, સત્તાપરક અને વિભાજક રાજકારણની જ એક નીપજ છે. આજે આપણે શ્રમિકો અને સર્જકો વચ્ચે જે ભેદ પાડીએ છીએ, તે આવા વરવા વિભાજક સત્તાપરક રાજકારણને જ નિર્દેશે છે. આપણે ત્યાં આઝાદી પહેલાંના સમયમાં મોટે ભાગે જે કોઈ આંદોલનો થયાં એમાં શ્રમિકો અને સ્ત્રીઓને સાંકળવામાં આવતાં જ હતાં અને સર્જકો પણ એનો હિસ્સો હતાં, કહો કે એમાં એકવાક્યતા ઉમેરવામાં આવી હતી. કહો કે સમયની તાતી આવશ્યકતા પણ હતી. સર્વસમાવેશક લોકબળ એમાં હતું. એટલે તો ધર્મભેદ, કોમભેદ, વર્ગભેદને એમાં પ્રોત્સાહન આપવામાં નહોતું આવતું. એમ ચોક્કસ કહી શકાય કે જ્યારે-જ્યારે ધર્મભેદ, કોમભેદ, વર્ણભેદ અને વર્ગભેદને વિભાજક રાજકારણે પ્રવૃત્ત કર્યા, ત્યારથી આજ સુધી એણે મોબલિંચિંગથી માંડીને રાષ્ટ્રદ્રોહ સુધી પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે અને તે એટલે સુધી કે વ્યક્તિની સ્વતંત્રતાને હણવા સુધી લઈ જાય છે. હું કે પછી અન્ય કોઈ પણ જ્યારે ભેદનાં ચશ્માંથી પ્રેરિત બને ત્યારે સહુ પ્રથમ હોડમાં મુકાય છે વ્યક્તિની પોતાની સ્વતંત્રતા. પછી એ કોઈ પણ હોય; સામાન્ય જન, શ્રમિક, ધંધાદારી, વ્યવસાયી કે સર્જક. બીજા અર્થમાં એ રાજકારણથી પ્રેરિત થઈને એનું એક હથિયાર બની રહે છે. એનાં કાર્યોમાં પછી રાજકીય બૂ પ્રવેશી જાય છે અને એની સ્વાયત્તતા ઓળપાઈ જાય છે. સાથોસાથ એ અન્યોના અને ખૂદ પોતાનાં શ્રમ અને સર્જકતાને પણ જોખમમાં મૂકી દે છે.

આ મુદ્દાને જરા જુદી રીતે જોઈએ : જન્મદત્ત સ્વતંત્રતા પ્રત્યેકને મળેલી જ હોય છે, પરંતુ આધુનિક જગત, રાષ્ટ્ર, રાજ્ય એ પ્રકારના એકમોમાં એક અધિકાર લેખે, બંધારણની રુએ અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય દરેક વ્યક્તિને આપવામાં આવ્યું છે અને એ એની વ્યક્તિ તરીકેની સ્વતંત્રતાના ભાગ તરીકે આપવામાં આવ્યું છે, ત્યારે એમાં મુકાતા કોઈ પણ પ્રકારના કાપ એ સ્વતંત્રતા સામેની એક પ્રક્રિયા થઈ ગણાય અને એ સત્તાપક્ષે વ્યક્તિની સ્વતંત્રતા ઉપર ધીમે-ધીમે મુકાતા કાપ સમાન જ હોય છે. આ સંદર્ભમાં આપણે કોઈ પણ સર્જકની સ્વયત્તતાને સમજીએ, તો કઈ રીતે સમજીએ? અને એવા સર્જકોની સાહિત્ય અકાદમી સ્વાયત્ત હોય અને એ સ્વાયત્તતા રાજસત્તા છીનવી લે, તો એને કઈ રીતે સમજાય-જોવાય ? એ ઉપરાંત, લોકશાહીપ્રથા હોવા છતાં રાજસત્તા પોતાની મનમાની કરે; તો સર્જકોએ શું કરવું જોઈએ ? આજે આપણે ગુજરાતના સાહિત્યસર્જકો એક એવા પ્રકારની સ્વાયત્તતા ગુમાવી ચૂક્યા છીએ કે જે પરત મેળવવી એ સહુ સર્જકોની ફરજ પણ બને છે, કારણ કે સ્વાયત્તતા હોવી એ અનિવાર્ય આવશ્યકતા છે. અકાદમીની સ્વાયત્તતા ગુમાવ્યાને અઢાર વર્ષો વીતી ગયાં છે. સાહિત્ય પરિષદે ૨૦૦૭માં એ અંગે ઠરાવ કરેલો. પછી ૨૦૧૫થી અમુક સ્વાયત્તતાપ્રેમી સર્જકોએ સાથે મળી સ્વાયત્ત અકાદમી-આંદોલન સક્રિય કર્યું. પરિષદ એમાં ક્રમશઃ સંકળાવા લાગી. આંદોલનના તબક્કાવાર ચઢાવો પછી પરિષદ હવે પૂરેપૂરી સક્રિય થવા જઈ રહી છે. ૨૦૧૯ના જ્ઞાનસત્રમાં ઠરાવો પણ થયા. હવે એ અંગેના ઠરાવ અને શ્રેણિબદ્ધ કાર્યક્રમો અંગેની પગલાં સમિતિ ઘડાઈને સક્રિય થવામાં હતી, ત્યાં જ કોરોનાકાળ શરૂ થયો, લૉકડાઉન આરંભાયાં. હવે તો સર્જકે અને એની સાથે સંલગ્ન સંસ્થાઓએ પોતાની સ્વાયત્ત સ્વતંત્રતાબળે કરીને એ પરત મેળવવા જે કરવું જોઈએ તે કરવા માટે સર્જક મિજાજ સાથે પ્રવૃત્ત થવાનું રહે. એક સાહિત્ય સર્જકોના એકમ લેખે પરિષદે પરિણામલક્ષી પણ હોવું ઘટે. એટલે એના કાર્યક્રમોમાં જોમ અને નર્મદ કથિત જોસ્સો, ગાંધીપ્રેરિત અપીલ, ઉમાશંકર-દર્શક જેવી દૃઢતા અને નિરંજન ભગત જેવી સ્વકીય મૂલ્યનિષ્ઠા અને એકનિષ્ઠા હોવાં જાઈએ.

આજે ૨૦૨૦નો છેલ્લો તબક્કો ચાલે છે. માથા ઉપર પરિષદ-પ્રમુખના પદ માટે ત્રિપાંખિયો જંગ મંડાઈ ચૂક્યો છે. આ સમય પ્રત્યેક સર્જકે પોતાની જાતને તપાસવાનો પણ છે. સ્વાયત્તતા વિનાની સર્જકતાનું કાઠું કેટલું બળવત્તર ? આ સવાલ એ કોઈ રાજકીય પક્ષનો નથી, સર્જકોનો પોતાનો છે : પોતાને શું ખપે છે, સરકારી સૂચનપરસ્તી કે કોઈ સત્તાધારી પક્ષની દોરવણી? સંભવ છે કે એ માટે નાણું મળે, છતાં એમાં સર્જકની સ્વાયત્તતા અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય ક્યાં ? અમુક સર્જકો કોઈ પક્ષને માનતા હોય. એ પક્ષ સર્જક અને એની સંસ્થાની સ્વાયત્તતામાં ના માનતો હોય અને એનાથી વિરુદ્ધ સત્તાબળે પોતાનાં પક્ષીય ધોરણો આવી સંસ્થાઓમાં સ્થાપવા માગતા હોય. છેવટે તો સર્જક તરીકે એ સર્જકને પણ અસર કરશે જ, જે એ રાજકીય પક્ષમાં માનતો હોય. લોકશાહીમાં આવાં રાજકીય વલણો અંતે તો સર્જકોના અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને સ્વાયત્તતાને જ નેસ્તનાબૂદ કરવા ભણી લઈ જાય છે. વ્યાપક રીતે વિચારીએ તો કોઈ પણ દેશની રાજકીય સ્થિતિ એના સ્વતંત્ર નાગરિકો ઉપર નિર્ભર હોય છે. સર્જકો પણ નાગરિકો જ છે. આપણા દેશની હાલની તમામ સરકારી ગતિવિધિઓ જોતાં માત્ર સર્જકોના જ નહીં, નાગરિકોની સ્વાયત્તતાના સવાલો ઊભા થઈ ચૂક્યા છે, ત્યારે સર્જકે રાજકીય પક્ષના ઓઠે રહેવાનો કશો અર્થ નથી. એણે તો જેવી છે તેવી, એની પોતાની અને એની સાથે સંલગ્ન તમામ સાહિત્યિક સંસ્થાઓની સ્વાયત્તતા અને અભિવ્યક્તિ-સ્વાતંત્ર્ય અંગે ના કેવળ સચેત થવાની જરૂર છે, પરંતુ એ અંગે સક્રિય ભાગીદારી કરી એવાં બળોને સાથ આપવાની જરૂર છે, જે સ્વાયત્તતા માટે મથે છે, સંઘર્ષ કરે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2020; પૃ. 05-06

Loading

1 October 2020 admin
← Was Mughal Rule the period of India’s Slavery?
દલિતવાર્તા →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved