Opinion Magazine
Number of visits: 9446353
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

“કાયદો ગધેડો છે” અને જજ સાહેબો “ઓલ્ડ ફૂલ્સ છે”

રાજ ગોસ્વામી|Opinion - Opinion|7 September 2020

અંગ્રેજીમાં કાયદાને ગધેડો કહે છે – લો ઇઝ એન ઍસ (એ ડબલ એસ). બ્રિટિશ ઇંગ્લિશમાં 'ઍસ' એટલે ગધેડો. અમેરિકન ઇંગ્લિશમાં 'બેસવાની જગ્યા.' બ્રિટિશ વિક્ટોરિયન યુગના પ્રસિદ્ધ નવલકથાકાર ચાર્લ્સ ડિકન્સ(૧૮૧૨-૧૮૭૦)ની નવલકથા 'ઓલિવર ટ્વિસ્ટ'માં ઓલિવર નામના છોકરાની મૃત માતાના શરીર પરથી લોકેટ અને રિંગ ચોરાઈ જાય છે. તે બદલ ઓલિવર જ્યાં રહે છે, તે સરકારી વર્કહાઉસ(અનાથાલય)ના મેનેજર મિસ્ટર બમ્બલ અને તેની માથાભારે પત્નીને અદાલતમાં ઊભાં કરવામાં આવે છે.

અદાલત આ ચોરી બદલ મિસ્ટર બમ્બલને મેનેજર પદેથી હટાવવાની વાત કરે છે, ત્યારે તેનો વિરોધ કરતાં મિસ્ટર બમ્બલ કહે છે કે આ અપરાધ મેં નહીં, પણ મારી પત્નીએ કર્યો છે. માનનીય અદાલત મિસ્ટર બમ્બલનો તર્ક સ્વીકારવાનો ઇન્કાર કરીને કહે છે કે, "એ ઘટના બની ત્યારે તું ત્યાં હાજર હતો અને કાયદાની નજરમાં તું વધુ ગુનેગાર છે, કારણ કે કાયદો માને છે કે તારી પત્ની તારા કહ્યા પ્રમાણે જ કરે." આ સાંભળીને મિસ્ટર બમ્બલ કહે છે, "જો કાયદો આવું માનતો હોય, તો કાયદો ગધેડો છે – લો ઇઝ એન ઍસ."

ગધેડાઓ, અનુચિત રીતે જ, તેમની જડતા અને બેવકૂફી માટે બદનામ થયેલા છે. કાયદા માટે પણ એવું કહેવાય છે કે એ જડ હોય છે. એ કોઈ કેસ કે ઘટનાને કાયદાની એક જ નજરથી જુવે છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણના કેસમાં અદાલતની અવમાનના(કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ)નો કાયદો કંઇક આવી જ રીતે હાંસીને પાત્ર ઠર્યો છે. પ્રશાંત ભૂષણની બે ટ્વીટ સામે દેશની સર્વોચ્ચ અદાલતે આટલી ઉતાવળે કાર્યવાહી કરી તે ખરેખર જરૂરી હતી કે નહીં, તેની હવે ચર્ચા શરૂ થઇ છે.

કન્ટેમ્પ્ટનો કાયદો સદીઓ જૂનો છે. ઇંગ્લેન્ડમાં તેને કોમન લો કહેવાય છે, જે રાજાની ન્યાયિક સત્તાનું રક્ષણ કરવા માટે હતો અને રાજા જાતે જ તેનો ઉપયોગ કરતો હતો. આજે ન્યાયાધીશોની પેનલ રાજાના નામે ન્યાયિક સત્તાનું રક્ષણ કરે છે. જે કોઈ ન્યાયાધીશોના આદેશનો અનાદર કરે, તે રાજાના અનાદર કહેવાય. સમય જતાં 'અનાદર'ની વ્યાખ્યામાં અદાલતો કે ન્યાયાધીશોની સહેતુક ટીકા (જેની નોંધ પ્રશાંત ભૂષણના કેસમાં લેવામાં આવી હતી), બિનજરૂરી આલોચના અને પ્રતિષ્ઠાને હાની પહોંચાડે તેવી ટીપ્પણીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

પ્રશાંતે બે ટ્વીટ કરી હતી, જે આ કેસનો આધાર હતી :

પહેલી ટ્વીટ ૨૭ જૂનની હતી. તેમાં પ્રશાંતે લખ્યું હતું કે જ્યારે ઇતિહાસકારો ભારતના વીતેલાં ૬ વર્ષોનો ઇતિહાસ જોશે તો સમજાશે કે વગર ઈમરજન્સીએ દેશમાં લોકશાહીને ખતમ કરવામાં આવી હતી. ઇતિહાસકાર ખાસ કરીને સુપ્રીમ કોર્ટના ૪ ભૂતપૂર્વ ચીફ જસ્ટીસની ભૂમિકા પર સવાલ ઉઠાવશે. તેમણે બીજી ટ્વીટમાં હાર્લે ડેવિડસન બાઈક પર ચીફ જસ્ટીસ બોબડેનો ફોટો શેઅર કર્યો હતો અને લખ્યું હતું કે સુપ્રીમ કોર્ટ લોકડાઉન મોડમાં છે અને નાગરિકો ન્યાયથી વંચિત છે, ત્યારે સી.જે.આઈ. માસ્ક વગર કે હેલ્મેટ વગર ભા.જ.પ.ના નેતાની ૫૦ લાખની બાઈક પર સવારી કરે છે.

સુપ્રીમ કોર્ટે આને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ ગણીને પ્રશાંત ભૂષણને દોષિત ઠેરવ્યા અને એક રૂપિયાનો દંડ કર્યો છે અને દંડ ના ભરે, તો ત્રણ મહિનાની જેલ અને ત્રણ વર્ષ માટે વકીલાત પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. પ્રશાંતે દંડ ભરવાનું સ્વીકારીને તેમની સજા સામે અપીલ કરવાનું નક્કી કર્યું છે. સજા ફરમાવતા પહેલાં કોર્ટે માફી માગવાનો વિકલ્પ આપ્યો હતો.

પ્રશાંત ભૂષણે માફી માગવાનો ઇન્કાર કર્યો હતો, અને સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે "ટ્વીટ મારફતે મેં મારા પરમ કર્તવ્યનું પાલન કરવાના પ્રયાસથી વધુ કશું ન હતું. તેને આ સંસ્થાને બહેતર બનાવવાના પ્રયાસ તરીકે જોવી જોઈએ. મેં જે લખ્યું હતું, તે મારો અંગત અભિપ્રાય, મારો વિશ્વાસ અને મારો વિચાર છે. આ અભિપ્રાય અને વિચાર કરવો એ મારો અધિકાર છે."

તે પછી તેમણે આવી જ એક ટ્રાયલમાં મહાત્મા ગાંધીએ માફી માગવાનો ઇન્કાર કર્યો હતો તેને ટાંકીને કહ્યું, "હું દયાની ભીખ નથી માંગતો, અને ન તો હું તમારી પાસે ઉદારતાની અપીલ કરું છું. કોર્ટે મારી જે વાતને અપરાધ માની છે, તેના માટે કોઈ પણ સજાને હું શિરોમાન્ય રાખીશ, પણ મારી નજરમાં તે વાત ખોટી નથી, બલકે નાગરિકો પ્રત્યે મારું સર્વોચ્ચ કર્તવ્ય છે.”

મહાત્મા ગાંધીનો કિસ્સો રસપ્રદ છે. ૧૯૧૯માં જલિયાંવાલા બાગના ‘હત્યારા’ જનરલ ડાયરના રોવલેટ એક્ટ સામે દેશભરમાં સત્યાગ્રહ શરૂ થયો હતો. એમાં અમદાવાદ ડિસ્ટ્રીક કોર્ટના બે વકીલ, કાલિદાસ ઝવેરી અને જીવનલાલ દેસાઈએ, સત્યાગ્રહના સમર્થનમાં સહી કરી હતી. વકીલોના આ વ્યવહારના સંબંધમાં ડિસ્ટ્રીક જજ બી.સી. કેનેડીએ બોમ્બે હાઇકોર્ટના રજીસ્ટ્રારને એક ‘ખાનગી’ પત્ર લખ્યો હતો. તે પત્ર ‘યંગ ઇન્ડિયા’ સામાયિકના એડિટર મહાત્મા ગાંધી પાસે આવ્યો, એટલે તેમણે એને ‘અમદાવાદમાં ડાયરવાદ’ મથાળા હેઠળ પ્રકાશિત કર્યો, અને તંત્રીલેખમાં જજ કેનેડીની ટીકા કરી. એમાં બોમ્બે હાઈ કોર્ટે ‘યંગ ઇન્ડિયા’ને માફી માગવા કહ્યું.

ગાંધીજીએ લેખિતમાં ખુલાસો મોકલ્યો કે પત્રકાર તરીકે આ પત્ર પ્રકાશિત કરવાનો અને તેની પર ટીકા-ટીપ્પણી કરવાનો મારો અધિકાર છે, કારણ કે આ જનહિતનો મામલો છે. એમાં કોર્ટે ગાંધીજી અને પ્રકાશક મહાદેવ દેસાઈ સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો કેસ કર્યો. કેસ જ્યારે સુનાવણી પર આવ્યો, ત્યારે ગાંધીજીએ કહ્યું કે માફી માગવાની સલાહ મને અમાન્ય છે, કારણ કે મેં નૈતિક કે ન્યાયિક અપરાધ કર્યો નથી અને કોર્ટ જે ચાહે તે સજા કરે. કોર્ટે બંનેને દોષિત તો ઠેરવ્યા, પણ ‘ફરી આવું ના કરતા’ એવો ઠપકો આપીને સજા વગર છોડી મુક્યા.

જ્યાંથી આ કાયદો આવ્યો છે તે બ્રિટનમાં, ન્યાયાધીશો બહુ સંયમથી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો ઉપયોગ કરે છે. ૧૯૮૮માં, બ્રિટનના ગુપ્તચર અધિકારી પીટર રાઈટની આત્મકથા ‘સ્પાયકેચર’ના કેસના રિપોર્ટીંગ પર મીડિયા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો, ત્યારે ‘ધ ડેઈલી મિરર’ નામના લંડનના સમાચારપત્રએ ત્રણ માનનીય ન્યાયધીશોના ફોટા ઊંધા છાપીને ઉપર મથાળું ઠઠાળ્યું હતું; યુ ઓલ્ડ ફૂલ્સ (બેવકૂફ બૂઢિયા). તેની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો કેસ ચલવવાનો ઇન્કાર કરીને જજ લોર્ડ ટેમ્પલમેને કહ્યું હતું, “હું તો ખરેખર બુઢ્ઢો છું, બાકી રહી વાત બેવકૂફ હોવાની, તો એ તો માન્યતાની વાત છે. મને નથી લાગતું કે હું બેવકૂફ છું.”

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 06 સપ્ટેમ્બર 2020

Loading

7 September 2020 admin
← પીળા પત્રો
તૂટી ગઈ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved