Opinion Magazine
Number of visits: 9450023
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘બીમારી હવાઈ જહાજોંસે આઈ, સડક પર ભૂખે હમ ઘૂમ રહે હૈં’

કબીર અગરવાલ|Opinion - Opinion|22 May 2020

કોરોનાની હૃદયદ્રાવક કથાઓ

કેશવકુમારે 16 કલાક પહેલાં ખાધું હતું: ‘એક દયાળુ માણસે અમને શાક-રોટલી આપ્યાં.’ પછી કેશવ એના જેવા બીજા પંદર જણની સાથે 26 માર્ચના બુધવારની મધરાતે દોઢસો કિલોમીટર દૂર આવેલા તેના ઘર તરફ ચાલી નીકળ્યો. એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટેનાં બધાં સાધનો બંધ હતાં.

ગુરુવારે બપોરે મેરઠના ખાલીખમ બસ સ્ટૅન્ડે બેસીને એ કહેતો હતો, ‘અમે બધાં અમારા વતન ભોજપુર જઈ રહ્યાં છીએ. અત્યાર સુધી 60 કિલોમીટર ચાલ્યાં, હજુ 90 કિલોમીટર બાકી છે.’ ભોજપુર ઉત્તર પ્રદેશની પશ્ચિમે આવેલાં બિજનોર જિલ્લાનું નાનકડું ગામ છે.

કેશવકુમાર અને તેના સાથીઓ ચારસો રૂપિયાના રોજ પર નોઇડાના મામુરા ખાતે બાંધકામ મજૂરી કરે છે. લૉક ડાઉન જાહેર થયું એ વખતે તો કેશવ અને તેના સાથીઓએ ઘરે પાછા ફરવાનું વિચાર્યું ન હતું. એક સાથી વિપિનકુમારે કહ્યું, ‘અમને કહેવામાં આવ્યું હતું કે 31 માર્ચે બધું પાટે ચડી જશે. પણ જ્યારે મોદીએ જાહેર કર્યું કે ત્રણ અઠવાડિયાં માટે બધું બંધ રહેવાનું છે, ત્યારે અમારા કૉન્ટ્રાક્ટરે અમને કહ્યું કે હવે કામ નથી.’

કામ નહીં એટલે કે પગાર નહીં, અને પગાર નહીં એટલે ખાવાનું નહીં. આ જૂથે મામુરાની સાઇટ પરનું કામ હજુ હમણાં, 16 માર્ચે તો ચાલુ કર્યું હતું. વિપિને ઉમેર્યું, ‘એ કામની અમને જે મજૂરી મળી એ તો અમે 22 માર્ચ પછી ખાવા માટે ખરચી નાખી. હવે અમારા પંદરેય જણની પાસે થઈને કુલ પાંચસો રૂપિયા બચ્યા છે. મારી પાસે બે રસ્તા હતા. કાં તો નોઈડામાં ભૂખ્યા મરવું અથવા તો ચાલતાં ચાલતાં ઘરે પહોંચી જવું.’

એક અંદાજ મુજબ ભારતનાં 46.5 કરોડ શ્રમિકોમાંથી 12 કરોડ શ્રમિકો  સ્થળાંતરિત મજૂરો છે. એમાંથી હવે લાખો તેમના ઘરે પહોંચવા માટે પગપાળા ચાલી નીકળ્યાં છે. તેઓ કોરોનાનો ભોગ બને અને તેનો ચેપ તેમનાં ગામોમાં બીજાંને લગાડે એવું જોખમ છે. એ લોકો ભૂખનો ભોગ બને એ પણ બહુ જ બનવાજોગ છે. 

બપોરે હું મેરઠ પાસેનાં મોહિનુદ્દિનપુરમાં પાંચ પ્રવાસી મજૂરોના બીજા એક જૂથને મળ્યો. તેઓ નોઇડાથી 170 કિલોમીટર ચાલીને નાજીબાબાદનાં તેમનાં ઘરે પહોંચવાના છે. તેમાંથી ભોલેકુમાર પૂછે છે, ‘અહીં ખાવાનું ક્યાં મળશે?’ પાંચસો રૂપિયા રોજ કમાનાર બાંધકામ મજૂર ભોલાએ પણ બુધવારની રાતથી ચાલવાનું શરૂ કર્યું છે. જો કે મોહિનુઉદ્દિનપુરમાં એ જ્ગ્યાએ આમ તો ખાવાપીવાની લારીઓ હોય, પણ અત્યારે લૉક ડાઉનમાં બધું જ બંધ છે. એટલે ભોલે કહે છે : ‘કોરોના સે પેહેલે ભૂખ માર દેગી.’

મને મળેલા બીજા એક કામદારોના જૂથને નસીબજોગે એક ફળવાળા પાસેથી કેળાં મળ્યાં છે. એ છ જણની વચ્ચે થઈને કુલ ત્રણસો રૂપિયા છે, જે તેમણે છેક સુધી ચલાવવાના છે. આ કામદારો પગપાળા ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે દેશનાં નાણાંમંત્રી નિર્મલા સીતારામન્‌ ગરીબોને આજીવિકાની આફતમાંથી ઊગારવા માટેનું રાહત પૅકેજ જાહેર કરી રહ્યાં હતાં. જો કે ભોલેને સરકાર પાસેથી કોઈ મોટી અપેક્ષા નથી, ‘એ લોકો અમારા માટે શું કરવાનાં? એમણે ગરીબો માટે ક્યારે ય કંઈ કર્યું છે ખરું ?’ ‘બીમારી હવાઈ જહાજોંસે આઈ હૈ, હમ તો લાયે નહીં, પર સડક પર ભૂખે હમ ઘૂમ રહે હૈં.’

ઉત્તર પ્રદેશની સરકાર રાજ્યના 20.37 લાખ બાંધકામ મજૂરોના ખાતામાં એક-એક હજાર રૂપિયા જમા કરશે, શરત એ કે મજૂર એ શ્રમવિભાગ પાસે નોંધાયેલો હોવો જોઈએ. ભોલેના જૂથમાં માત્ર એના જ ખાતામાં પૈસા જમા થાય એમ છે, બાકીનાએ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. જો કે ભોલેને ય કંઈ બહુ સુખ નથી, ‘આમે ય હજાર રૂપિયા શું છે? મેં આમેય દસ દિવસની મજૂરી ગુમાવી જ છે, કારણ કે કૉન્ટ્રાક્ટરે મને એ દિવસોની મજૂરી આપવાની ના પાડી. અને હું એની પાસે વધુ દિવસ ઉઘરાણી માટે શહેરમાં રોકાઈ શકું એમ હતું જ નહીં, મજૂરી ન મળે, ઘરે પણ ન જવાય અને ભૂખે મરવું પડે!’ મેરઠથી ત્રીસેક કિલોમીટર દૂર દિલ્હી-દેહરાદૂન ધોરી માર્ગ પર સાકોટી ગામે બાંધકામ મજૂરોનું ગાઝિયાબાદથી નીકળેલું એક જૂથ મળે છે. તેમને મુઝફ્ફરનગર પાસે આવેલાં સિસોના ગામે પહોંચવા માટે હજુ સો કિલોમીટર ચાલવાનું છે. એ લોકો નામ નહીં લખવાની વિનંતી કરે છે : ‘અમે મુસ્લિમ છીએ અને કોઈ આફત વહોરવા માગતા નથી.’

હું આ કામદારો સાથે વાત કરી રહ્યો હતો ત્યારે નાણાંમંત્રીએ આર્થિક સહાયનાં પૅકેજની જાહેરાત પૂરી કરી. તે મુજબ મહાત્મા ગાંધી નૅશનલ રુરલ એમ્પ્લૉયમેન્ટ ગૅરેન્ટી ઍક્ટ (મનરેગા) હેઠળ દરેક રોજમદારના રોજમાં વીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. પણ એક મજૂર પૂછે છે, ‘બધું જ બંધ હોય ત્યારે મનરેગા હેઠળે ય કામ ક્યાંથી હોવાનું? … આમ પણ, અમને આશા નથી કે સરકાર અમારા માટે કંઈ કરે. એ અમારા માટે નથી, એ તો પૈસાદારો માટે છે.’

શહેરમાં અટવાયેલાં કે સેંકડો કિલોમીટર પર આવેલાં ઘરે જવા માટે માટે પગે ચાલી નીકળેલા શ્રમજીવીઓને ખાવા માટે અને પાણી માટે મોટે ભાગે સમાજસેવી જૂથોનો સહારો લેવો પડે છે. સરકારે હિજરતી મજૂરો માટે  ક્યાં ય સમૂહ રસોડા કે આશ્રયસ્થાનો શરૂ કર્યાં નથી.

મેરઠના બસ ડૅપોની ભોંય પર બાવીસ વર્ષનો ગૌરવ અને સોળ વર્ષનો વિષ્ણુ આડા પડ્યા  છે. ગૌરવને ગાઝિયાબાદ-મેરઠ વચ્ચે ફેરી કરતી ખાનગી બસના ડ્રાઇવર તરીકે રોજના છસો રૂપિયા મળતા હતા. તેનાથી અરધો પગાર ક્લીનર વિષ્ણુને મળે છે. બંનેનો પગાર 24 માર્ચથી બંધ છે, ખાવાનું નથી અને તેઓ બસ ડૅપોમાં અટવાયેલા છે. ચોવીસ કલાક પહેલાં પોલીસે તેમને પૂરી-શાક ખવડાવ્યાં હતાં, ત્યાર પછી તેમણે ખાવાનું ભાળ્યું નથી. ગૌરવ કહે છે : ‘અમારું વતન બુલંદશહર અહીંથી સિત્તેર કિલોમીટર છે. હું ચાલી નાખવાનું વિચારું છું, પણ આ વિષ્ણુ નાનો છે એટલે કદાચ એ છેક સુધી ચાલી ન શકે તો શું કરવું?’

[“ધ વાયર”; અનુવાદ : સંજય શ્રીપાદ ભાવે]

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 22 મે 2020

Loading

22 May 2020 admin
← મળતર
મુશ્કેલ સમયમાં (17) →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved