Opinion Magazine
Number of visits: 9446885
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી —42

દીપક મહેતા|Opinion - Opinion|2 May 2020

દોઢ સો વર્ષથી નવી રહેલી નવી વાડી

ગેબી અવાજ સંભળાયો : ‘મી આહે, મી આહે’ અને બંધાયું મંદિર

નાના શંકરશેઠની વાડીમાં ભજવાયું પહેલું મરાઠી નાટક

આ છે નવી વાડી. ઓછામાં ઓછાં દોઢ સો વર્ષથી તો નવી ને નવી જ છે. જૂની થઈ જ નથી! છે તો દાદીશેઠ અગિયારી લેનની એક બાય-લેન, અને પાછી આંધળી ગલી – બ્લાઈન્ડ લેન. પણ આ વિસ્તારમાં તેનું મહત્ત્વ ઘણું. દાદીશેઠ અગિયારી લેનના મુખ આગળથી ત્રણ-ચાર મિનિટ ચાલો, કાલબાદેવી રોડ તરફ, તો ડાબા હાથે આવે. પાઠારે પ્રભુ જમાતના લોકો મુંબઈમાં બહુ વહેલા આવીને વસેલા. ઘણાં માને છે કે ગુજરાતના રાજા બિંબદેવ(કે ભીમદેવ)ની સાથે પાટણથી મુંબઈ આવેલા. મૂળ ગુજરાતી, પણ અહીં રહી મહારાષ્ટ્રના બની રહ્યા. તેમની બોલાતી ભાષામાં આજે પણ ક્યાંક ક્યાંક ગુજરાતીની છાંટ જોવા મળે. હવે પછી ક્યારેક આપણે જ્યાં જવાનાં છીએ એ ઝાવબાની વાડી વિસ્તારમાં તેમની મોટી વસ્તી. પણ પછી ત્યાં જગ્યા ઓછી પડવા લાગી એટલે કેટલાક પ્રભુઓ નજીકના આ વિસ્તારમાં આવીને વસ્યા અને આ ગલીને નામ આપ્યું નવી વાડી. 

માહેશ્વરી માતા, નવી વાડી

આ નામ કોણે, ક્યારે આપ્યું એની વિગત મ્યુનિસિપાલિટીને ચોપડે પણ નોંધાઈ નથી. પણ આ એક નામ સિવાય બીજા કોઈ નામે તે ક્યારે ય ઓળખાતી હોય એવું પણ જાણવા મળતું નથી. આ આંધળી ગલીનો બીજો છેડો લગભગ ઝાવબાની વાડી સુધી પહોંચે છે, છતાં આ ગલીને તે વિસ્તાર સાથે જોડવાને બદલે તેને બ્લાઈન્ડ લેન કેમ રાખી હશે એ પણ સમજવું મુશ્કેલ છે. ખેર, આ નવી વાડીમાં એક મંદિર છે. બહુ વિશાળ કે ભવ્ય કે સુંદર નથી. પણ છે ખાસ્સું જૂનું. આજે આ મંદિર જ્યાં ઊભું છે એ જગ્યા અગાઉ રામચંદ્ર રઘુનાથજી ત્રિલોકેકરની હતી પણ તે વખતના દસ્તાવેજમાં આવા કોઈ મંદિરનો ઉલ્લેખ નથી. ૧૮૭૪માં એ જગ્યા પાંડુરંગ દીનાનાથજી વેલકરે ખરીદી હતી અને એ અંગેના દસ્તાવેજમાં પણ મંદિરનો ઉલ્લેખ નથી. પણ ૧૮૭૮માં જ્યારે ગજાનનરાવ વેલકરનો જન્મ થયો ત્યારે મંદિર હયાત હતું. એટલે કે ૧૮૭૪ અને ૧૮૭૮ વચ્ચે ક્યારેક તે બંધાયું હોવું જોઈએ. મંદિરના ઉત્તર દિશાના ખૂણામાં કુદરતી સ્તંભના આકારનો પથ્થર છે જેને મહેશ્વરીદેવીની સ્વયંભૂ મૂર્તિ માનીને પૂજવામાં આવે છે. લોકવાયકા પ્રમાણે આ જગ્યાએ અગાઉ એક ચંપાનું ઝાડ હતું. જગ્યાના તે વખતના માલિકને પોતાનું મકાન વધુ મોટું કરવું હતું અને તે માટે આ ઝાડ કાપવાનું જરૂરી હતું. પણ જ્યારે એ ઝાડ કાપવાની શરૂઆત થઈ ત્યારે ગેબી અવાજ સંભળાયો : ‘મી આહે, મી આહે.’ (હું છું, હું છું.) આ સાંભળીને ઝાડ કાપવાનું કામ રોકવામાં આવ્યું અને કેટલાક પંડિતોને બોલાવીને તેમની સલાહ માગવામાં આવી. તેમણે કહ્યું કે અહીં અદૃશ્ય દેવીનો વાસ છે. જમીનના માલિકે મકાન મોટું કરવાની યોજના પડતી મૂકી, ખૂબ કાળજીપૂર્વક ચંપાના ઝાડને દૂર કર્યું, યજ્ઞ કર્યો. ઝાડના મૂળ આગળ આ સ્વયંભૂ મૂર્તિ જોવા મળી. પછી એ જગ્યાએ મંદિર બંધાયું અને માહેશ્વરી દેવીની મૂર્તિની સ્થાપના થઈ. પાઠારે પ્રભુ કોમનાં મુંબઈમાં બે મુખ્ય મંદિર. એક પ્રભાદેવી, અને બીજું આ નવી વાડીનું માહેશ્વરીદેવીનું મંદિર.

આ દેવીની મૂર્તિની બે ખાસિયત છે. કેશવરાવ ખંડેરાવ ગોરક્ષકરનાં પત્નીને એક વાર અકસ્માત નડ્યો અને હાથે કાયમી ખોડ આવી. ત્યારે તેમણે આ દેવીની માનતા માની કે જો મારો હાથ સાજોસારો થઈ જશે તો હું દેવીને મારા મોઢા જેવો ચાંદીનો મુખવટો ચડાવીશ. થોડા વખતમાં તેમનો હાથ સાજોસારો થઈ ગયો અને તેમણે ચાંદીનો મુખવટો દેવીને ચડાવ્યો. જો કે આ મુખવટો દેવીને રોજ પહેરાવવામાં આવતો નથી પણ ગોરક્ષકર કુટુંબના ઘરે રાખવામાં આવે છે. પણ બીજો એક ચાંદીનો મુખવટો દેવીને રોજ પહેરાવવા માટે વપરાય છે. ગજાનન વિનાયક વેલકરે તે ભેટ આપ્યો હતો. દર વર્ષે કાર્તકી પૂનમથી નવી વાડીનો મેળો ભરાય ત્યારે ગોરક્ષકર કુટુંબના ઘરેથી આ મુખવટાને ધામધૂમથી લાવીને દેવીને પહેરાવવામાં આવે છે અને દસ દિવસ મેળો ચાલે ત્યાં સુધી તે મૂર્તિ પર રહે છે.

અગાઉ આ મેળાનું ઘણું મહત્ત્વ હતું. આખી દાદીશેઠ અગિયારી લેનમાં જાતજાતની દુકાનો મંડાતી. સાંજ પડે ત્યારે કીડિયારું ઊભરાતું. માતાનાં દર્શન માટે આખા મુંબઈમાંથી પાઠારે પ્રભુ લોકો અહીં આવતા. પ્રસાદમાં સાકરિયાં બદામ અને કાજુ વહેંચાતાં. પણ હવે વખત જતાં આ મેળાનું નથી એટલું મહત્ત્વ રહ્યું કે નથી એવી લોકપ્રિયતા રહી. આ મેળાની શરૂઆત સાથે પણ એક દંતકથા સંકળાયેલી છે. દામોદર સુંદરજીનું નાક એક વખત ખૂબ સોજી ગયું અને કેમે કરી સોજો ઓછો થાય જ નહિ. લોકો તેમને જોઈને મશ્કરી કરવા લાગ્યા. ઘણાં દવા-ઓસડ કર્યાં પણ સારું થાય નહિ. એટલે તેમણે બાધા રાખી કે જો મને સારું થઈ જશે તો હું દર વર્ષે માતાનો મેળો ભરીશ. અને થોડા જ વખતમાં તેમનો રોગ દૂર થયો. એટલે તેમના દીકરા દામોદરે કેટલાક ઓળખીતા મીઠાઈવાળા, વાસણ અને રમકડાંના વેપારીઓ, અને બીજા ફેરિયાને ભેગા કરી તરત જ મેળો ભર્યો. બાપ-દીકરો મીઠાઈ અને રમકડાં બાળકોને પોતાના તરફથી ભેટ આપતા. આ લખનાર બાળપણમાં દર વર્ષે દસે દિવસ સાંજે આ મેળામાં જતો અને રોજ બીજું કંઈ નહિ તો બે પૈસાનો ગેસનો ફુગ્ગો ખરીદીને ફુલાઈને ફાળકો થતો એ આજે ય યાદ છે. 

હવે નવી વાડીમાંથી નીકળી આગળ ચાલીએ. એક જમાનામાં અહીં જાતભાતની દુકાનો હતી. આજે હવે આખી દાદીશેઠ અગિયારી લેન પેપર માર્કેટ બની ગઈ છે. જાતજાતના કાગળ, કાર્ડ, પૂઠાં, કંકોતરી વગેરેની હારબંધ દુકાનો જોવા મળે. થોડે આગળ જતાં આવે ફણસ વાડી. આમ તો આખા મુંબઈમાં આવાં નામ જોવા મળે, પણ ગિરગામ વિસ્તારમાં થોડાં વધુ. કાંદાવાડી, ફોફળવાડી, તાડવાડી, મુગભાટ લેન, જામ્બુલવાડી, આંબેવાડી, કેળેવાડી અને આ ફણસવાડી. એક જમાનામાં આ ગિરગામનો વિસ્તાર અને તેની પાછળનો વિસ્તાર પણ ખેતરોથી ભર્યો હતો એટલે આવાં નામ. અને પેલો પાછળનો વિસ્તાર તો આજે પણ ખેતવાડી તરીકે જ ઓળખાય છે. પણ આપણે તો જવું છે ફણસવાડીમાં. હવે તેનું સત્તાવાર નામ છે સીતારામ પોદ્દાર માર્ગ. પણ લોકો તો ફણસવાડી તરીકે જ ઓળખે છે.

શ્રી બાલાજી મંદિર, ફણસવાડી

ફણસવાડીમાં દાખલ થયા પછી નજર જરા ડાબી બાજુ રાખજો. થોડું ચાલશું એટલે જોવા મળશે એક મોટો ઊંચો થાંભલો, આખો સોનાના પતરાથી મઢેલો. આ છે ફણસવાડીનું શ્રી બાલાજી મંદિર. અદ્દલ દક્ષિણ ભારતીય સ્થાપત્યશૈલી પ્રમાણે બંધાયેલું. પ્રમાણમાં નવું ગણાય આ મંદિર. તેનું બાંધકામ ૧૯૨૭માં પૂરું થયું અને એ જ વરસના જૂનની ચોથીથી દસમી તારીખ સુધી ચાલેલા ઉત્સવ દરમ્યાન તેમાં શ્રી વેન્કટેશની મૂર્તિનું સ્થાપન થયું હતું. મંદિરમાં પુસ્તકાલય અને અતિથિગૃહની વ્યવસ્થા પણ છે. જે સોને મઢેલો સ્તંભ છે તેના પર પતાકા ફરકાવવામાં આવે છે. મંદિરમાં કુલ ૧૨ થાંભલા છે. મુખ્ય દેવતા ઉપરાંત બીજા દેવ-દેવીની મૂર્તિઓ પણ અહીં છે. મંદિરના ટ્રસ્ટ દ્વારા ચલાવાતી અનંતાચાર્ય ઇન્ડોલોજિકલ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે અને સંસ્કૃત, ફિલસૂફી વગેરે વિષયોમાં એમ.એ. અને પીએચ.ડી. કરવાની સગવડ ધરાવે છે.

દર્શન કરી લીધાં? ચાલો પાછા દાદીશેઠ અગિયારી લેન તરફ. એ લેનમાં આગળ વધીએ. ફરી ડાબી બાજુ આવશે ભૂલેશ્વર રોડ. નવું નામ ડો. આત્મારામ મર્ચન્ટ રોડ. વીસમી સદીના શરૂઆતના દાયકાઓના એક સેવાભાવી ડોક્ટર. આ રસ્તો આગળ જાય છે અને પછી જમણી તરફ વળે છે ત્યાં આવેલા કબૂતરખાના સામે તેમનું દવાખાનું હતું. પણ અત્યારે આપણે એ રસ્તે આગળ નથી જવાના. ભૂલેશ્વરમાં ભૂલા પડવા માટે ફરી કોઈક વાર આવશું. દાદીશેઠ અગિયારી લેનમાં થોડે આગળ જઈએ તો આવે જી.ટી. હાઈસ્કૂલ. જી.ટી. એટલે ગોકુળદાસ તેજપાલ. ભાટિયા કુટુંબમાં ૧૮૨૨માં જન્મ. પિતા તેજપાલ અને તેમના ભાઈએ મુંબઈમાં ફેરિયા તરીકે કારકિર્દીની શરૂઆત કરી, અને ધીમે ધીમે ધન ભેગું કર્યું. ૧૮૩૩માં તેજપાલનું અવસાન થયું ત્યારે પોતાની બધી મિલકત ગોકુળદાસને આપતા ગયા. થોડાં વરસ પછી તેજપાલના ભાઈનું મૃત્યુ થયું ત્યારે તેઓ પણ પોતાની મિલકત ગોકુળદાસને આપતા ગયા. જાતમહેનતથી ગોકુળદાસ પણ ઘણું કમાયા. પણ જેવા કમાવામાં પાવરધા એવા જ દાન કરવામાં પણ પાવરધા.

જી. ટી. હોસ્પિટલ ૧૮૭૫માં શરૂ થઈ ત્યારે

આ જી.ટી. હાઈસ્કૂલ તેમના જ દાનમાંથી બંધાયેલી. આપણા કવિ નર્મદે ત્યાં થોડો વખત માસ્તર તરીકે નોકરી કરેલી. આ જ ગોકુળદાસે ગોવાળિયા ટેંક પાસે ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળા સ્થાપેલી. તેના મકાનમાં જ ૧૮૮૫માં કૉન્ગ્રેસનું પહેલવહેલું અધિવેશન ભરાયેલું. આજે ત્યાં ગોકુળદાસ તેજપાલ ઓડીટોરિયમ ઊભું છે. તેમના દાનને પ્રતાપે જ ૧૮૭૫માં ગોકુળદાસ તેજપાલ (જી.ટી.) હોસ્પિટલ શરૂ થયેલી. મૂળ તો આ હોસ્પિટલ બાંધવા માટે રૂસ્તમજી જમશેદજી જીજીભાઈએ ૧૫ હજાર પાઉન્ડ આપવાનું સરકારને વચન આપેલું. પણ સાથે શરત મૂકેલી કે સરકારે પણ દસ હજાર પાઉન્ડ આપવા. પણ અમેરિકન આંતરવિગ્રહ પૂરો થતાં ૧૮૬૫માં રૂના ભાવ તળિયે ગયા, શેર બજાર ઊંધે માથે પટકાયું, કેટલીયે બેંકો ભાંગી. એમાં જમશેદજી પણ સપડાયા. દાનની રકમ આપી શકે તેમ નહોતું. મ્યુનિસિપલ કમિશનર આર્થર ક્રાફર્ડ(તેમને વિષે આપણે અગાઉ વિગતે વાત કરી ગયા છીએ)ની નજર ગોકુળદાસ પર પડી, અને ગોકુળદાસે એ રકમ આપી. બસ. હવે આગળ વધવાની જરૂર નથી. કારણ આગળ જતાં આ દાદીશેઠ અગિયારી લેન કાલબાદેવી રોડને મળે છે અને એ રોડ પર તો આપણે અગાઉ લટાર મારી ચૂક્યા છીએ. એટલે હવે ઊંધી દિશામાં ચાલી પાછા પહોંચીએ ગિરગામ રોડ.

જગન્નાથ ઉર્ફે નાના શંકરશેઠ

પહેલાં આવે ગઝદર સ્ટ્રીટ અને પછી શંકર બારી લેન. આ ‘બારી’ તે મૂળ વાડી. એટલે મૂળ નામ શંકર વાડી લેન. આજે એને નાકે જ્યાં ‘નાનાશંકર શેઠ સ્મૃતિ’ નામની બહુમાળી ઈમારત ઊભી છે ત્યાં જ આવેલી હતી જગન્નાથ ઉર્ફે નાના શંકરશેઠની વાડી, કહેતાં વિશાલ બંગલો. આ રસ્તેથી પસાર થતાં આ લખનારે બાળપણમાં બહારથી અનેક વાર જોયેલો. તેની પાછળની જગ્યામાં કેટલીક નાની ફેકટરીઓ આવેલી હતી.  આપણા અગ્રણી કવિ રાજેન્દ્ર શાહ અને ભાલ મલજીનું લિપીની પ્રિન્ટરી નામનું પ્રેસ પણ ત્યાં જ આવેલું હતું. ત્યાં વર્ષો સુધી ‘કવિલોક’ની બેઠકો મળતી. તેમાં કેટલોક વખત જવા છતાં આ લખનારને કાવ્યલેખનનો ક પણ આવડ્યો નહિ!

મરાઠી રંગભૂમિના જનક વિષ્ણુદાસ ભાવે

અગાઉ વિક્ટોરિયા ટર્મિનસ વિષે વાત કરતી વખતે આપણે જગન્નાથ શંકરશેઠ વિષે વાત કરી જ છે એટલે અહીં વધુ વાત નહિ કરીએ. પણ તેમની સાથે સંકળાયેલી બીજી બે વાત. પહેલી, મુંબઈમાં પહેલવહેલું મરાઠી નાટક ભજવાયું તે આ નાના શંકરશેઠની વાડીમાં. ૧૮૪૩ના નવેમ્બરની પાંચમી તારીખે વિષ્ણુદાસ ભાવેએ સાંગલીના રાજાના મહેલમાં સીતાસ્વયંવર નામનું નાટક ભજવ્યું તે મરાઠીનું પહેલું નાટક. ત્યાર બાદ મરાઠી નાટકો ભજવવા માટે તેમણે સાંગલી નાટક મંડળી શરૂ કરી. આ મંડળી મુંબઈ આવી ત્યારે કેવળ આમંત્રિતો માટે નાટકનો પહેલો પ્રયોગ નાનાશંકર શેઠની વાડીમાં કરેલો. નાનાએ ગ્રાન્ટ રોડ પર એક નાટકશાળા બંધાવેલી તેમાં પછીથી આ નાટકના જાહેર પ્રયોગો થયા. મુંબઈમાં પહેલવહેલું ગુજરાતી નાટક પણ આ નાનાશંકર શેઠના થિયેટરમાં ભજવાયેલું. ૧૮૫૩ના ઓક્ટોબરની ૨૯મી તારીખ ને શનિવારે પારસી નાટક મંડળીએ ‘રુસ્તમ અને સોહરાબ’ નામનું નાટક અને સાથે ‘ધનજી ગરક’ નામનો ફારસ અહીં ભજવ્યાં અને ગુજરાતી રંગભૂમિના શ્રીગણેશ થયા. સંસ્કૃત નાટકોમાં વિદૂષક બહુ બોલ બોલ કરે ત્યારે તેને રોકતાં રાજા કહેતો હોય છે : ‘અલમ્ અતિ વિસ્તરેણ.’ (‘લાંબુ લાંબુ બોલવાનું બંધ કર.’) અત્યારે એ વાક્ય આ લખનારને પણ સંભળાઈ રહ્યું છે. એટલે ગિરગામ રોડની વધુ વાતો હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 02 મે 2020

Loading

2 May 2020 admin
← ભારતમાં કોરોનાકાળની દલિત દુનિયા
દેશમાં કોરોના વાઇરસ સામે યુદ્ધ લડાઈ રહ્યું છે તો એ કોણ લડી રહ્યું છે ? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved