Opinion Magazine
Number of visits: 9449106
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘શિખાબંધનમ્’ના સ્તરે અટવાયેલી સરકારી યોજનાઓ

બીરેન કોઠારી|Opinion - Opinion|26 April 2020

ઘણી બાળકથાઓ ને બોધકથાઓ એવી હોય છે કે વિવિધ પરિસ્થિતિઓમાં તે નવાં નવાં અર્થઘટન સાથે પ્રસ્તુત બની રહે. આવી જ એક કથા છે બાદશાહ અને તેના દીવાનની. એક વાર બાદશાહના દરબારમાં આવતાં દીવાનને મોડું થાય છે. બાદશાહ તેનું કારણ પૂછે છે. દીવાન હોઠે ચડ્યું એ કારણ જણાવતાં કહે છે, ‘સંધ્યા કરવા રોકાયો એટલે આવતાં મોડું થઈ ગયું.’ બાદશાહ વિધર્મી હોવાથી તેને માટે આ શબ્દ નવો હોય છે. એટલે તે પૂછે છે, ‘સંધ્યા કરવી એટલે શું?’ દીવાન માંડીને આખી વિધિ બાદશાહને સમજાવે છે. એ સાંભળીને બાદશાહને ધૂન ઉપડે છે, ‘મારેય સંધ્યા કરતાં શીખવું છે.’ દીવાનની સ્થિતિ કફોડી બની જાય છે. વિધર્મી બાદશાહથી કંઈ સનાતન ધર્મની વિધિ થાય? સાથે એ પણ મૂંઝવણ કે બાદશાહને સીધી ના શી રીતે પડાય? થોડું વિચારીને તે બાદશાહને બીજા દિવસે નદીએ આવવા જણાવે છે. નક્કી કરેલા સમયે બાદશાહ નદીએ પહોંચે છે. દીવાન અને બાદશાહ નદીનાં પાણીમાં ઊતરે છે. દીવાન સંધ્યાની શરૂઆત કરતાં પોતાના વાળની ચોટલી બાંધે છે અને બોલે છે : ‘શિખા બંધનમ્.’ બાદશાહ આશ્ચર્યથી પૂછે છે, ‘આ શું?’ દીવાન કહે, ‘શિખા બાંધો.’ મૂંઝાયેલો બાદશાહ કહે છે, ‘પણ મારે માથે શિખા નથી.’ દીવાન કહે છે, ‘તો કરાવો. માથાના વાળ ઉતારાવડાવો.’ બસ, પછી શું! માથું બોડાવવાના ખ્યાલે બાદશાહ ભડકી ઊઠે છે અને કહી દે છે, ‘નથી શીખવી મારે સંધ્યા.’ બાદશાહને સંધ્યા કરતાં શિખવવાનો મામલો સીધેસીધી ના પાડવાને બદલે દીવાન સિફતપૂર્વક ટાળી દે છે.

કોવિડ-૧૯ને કારણે ઘોષિત દેશવ્યાપી લૉકડાઉનને કારણે ઘણી સમસ્યાઓ ઊભી થઈ. અલબત્ત, આવા અભૂતપૂર્વ સંજોગો અગાઉ કદી સર્જાયા નથી, એટલે કેટલીક મુસીબતો અનપેક્ષિત હોય એ સમજી શકાય એવું છે. આમ છતાં, આવા રાષ્ટ્રીય કટોકટીકાળમાં પણ ધ્રુવીકરણ, જૂઠાણાં, વરવું રાજકારણ અને નફરતના ખેલ ખેલાવાનું ચાલુ છે. ધ્રુવીકરણ કોમનું થાય એથી પણ વધુ આભાસી અને વાસ્તવિક જગતમાં રહેતા લોકોનું થઈ ગયું છે એ વર્તમાન યુગની વાસ્તવિકતા છે. એક તરફ ઈન્ટરનેટને કારણે સુલભ બનેલાં સામાજિક નેટવર્કિંગનાં અનેક માધ્યમો અને કિલ્લા ફરતે ઘેરો ઘાલીને પડ્યાપાથર્યા રહેતા કોઈ સૈન્યના સૈનિકો જેવા તેના ઉપભોક્તાઓ છે. બીજી તરફ આ માધ્યમના અસ્તિત્ત્વ વિશે જાણ સુદ્ધાં ન હોય એવા લોકો છે. આભાસી માધ્યમના સૈનિકો જેવા લોકો પોતાની અંગતમાં અંગત બાબતો આ માધ્યમ પર જાહેર કરે છે, અને સમસુખિયાઓ સાથે તે વહેંચે છે. આવા કપરા સમયમાં તેમને પોતાને ઘેર રહેવાનો વૈભવ પ્રાપ્ત થયો છે. પરિણામે આ સમય કંટાળ્યા વિના, બને એટલો આનંદદાયક રીતે કેમ પસાર કરવો તેના નુસખા તેઓ આ માધ્યમે વહેંચતા રહે છે. તેમની આર્થિક-સામાજિક સ્થિતિ જોતાં એમાં કશું ખોટું નથી.

બીજી તરફ એવો મોટો વર્ગ છે કે જેની સ્થિતિ આ વાતાવરણમાં કફોડી બની છે. ગયા સપ્તાહે સુરતમાં અસંખ્ય શ્રમિકો રસ્તા પર ઊતરી આવ્યા અને તમામ પ્રતિબંધ અને સાવચેતીને અવગણીને પોતાને વતન મોકલી દેવાની માગણી સાથે અશાંતિ પણ સર્જી. આ ઘટના એકલદોકલ છે, પણ તેને અવગણવાને બદલે સંકેત તરીકે જોવી જોઈએ.

દિલ્હીસ્થિત બિનસરકારી સંગઠન ‘જનસાહસ’ દ્વારા ૨૭ માર્ચથી ૨૯ માર્ચ દરમિયાન એક સર્વેક્ષણ હાથ ધરાયું. શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તમામ રાજ્યના મુખ્યમંત્રીઓને ‘બિલ્ડીંગ એન્ડ  અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ (બી.ઓ.સી.ડબલ્યુ.) વૅલફેર બૉર્ડ’ દ્વારા એકત્ર કરાયેલા ઉપકરનાં નાણાં સીધા શ્રમિકોના ખાતામાં જમા કરાવવાની સૂચના આપવામાં આવી હતી. સર્વેક્ષણમાં માલૂમ પડ્યું કે ૯૪ ટકા, એટલે કે મોટા ભાગના શ્રમિકો બી.ઓ.સી.ડબલ્યુ. કાર્ડ ધરાવતા નથી. પરિણામે નાણાં મેળવવા માટે તેઓ ગેરલાયક ઠરે છે. આ સર્વેક્ષણમાં ઉત્તર અને મધ્ય ભારતના બાંધકામ ક્ષેત્રના ૩,૧૯૬ સ્થળાંતરિત શ્રમિકો પાસેથી આ વિગત મેળવાયેલી હતી. સર્વેક્ષણના આ પ્રમાણને સમગ્ર દેશ માટે લાગુ પાડવામાં આવે તો કહી શકાય કે બાંધકામ ક્ષેત્રે દેશભરમાં સાડા પાંચ કરોડ જેટલા શ્રમિકો છે, તેમાંથી પાંચ કરોડ અને દસ લાખ શ્રમિકો સુધી આ નાણાં પહોંચશે નહીં.

લેખના આરંભે જણાવેલી વાર્તામાં આવે છે એમ, દીવાને બાદશાહને સંધ્યા શિખવવાની તૈયારી બતાવી, પણ એમ કરવા માટે ‘શિખાબંધનમ્’ની શરત પૂરી થવી અનિવાર્ય હતી. શાસન કોઈ પણ હોય, મોટા ભાગની સરકારી યોજનાઓ અને તેની વાસ્તવિકતા મોટે ભાગે ‘શિખા બંધનમ્’ના સ્તરે જ અટવાયેલી રહે છે. વધુમાં ૧૪ ટકા શ્રમિકો પાસે રેશન કાર્ડ નથી અને ૧૭ ટકા પાસે બૅન્કનું ખાતું નથી. ઉલ્લેખનીય છે કે બાંધકામ ક્ષેત્રનું દેશના કુલ સ્થાનિક ઉત્પાદન(જી.ડી.પી.)માં તેનું આશરે ૯ ટકા જેટલું પ્રદાન છે. આ ક્ષેત્રે સૌથી વધુ સંખ્યામાં સ્થળાંતરિત શ્રમિકો રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે. આમાંના ૫૧ ટકા શ્રમિકોને માથે દેવું હતું, જે રોજગાર વિના ભરપાઈ થાય એમ નહોતું. વણનોંધાયેલા શ્રમિકોની સંખ્યા અલગ.

માત્ર બાંધકામ ક્ષેત્રના શ્રમિકોની આ સ્થિતિ છે. તેની પરથી અન્ય અનેક ક્ષેત્રોના શ્રમિકોની સ્થિતિની કલ્પના કરવી રહી. આવી અભૂતપૂર્વ કટોકટીની સ્થિતિમાં કોઈ પણ પ્રકારનાં પગલાં લેવામાં વિલંબ થઈ શકે એ સમજી શકાય. પણ આટલા દિવસોમાં એમ કરવા માટેનો ઈરાદો અને એ દિશામાં લેવાતા નિર્ણય કંઈક સંકેત આપે એ જરૂરી છે. ખાસ તો, ગતકડાં જેવા નિરર્થક, છતાં યુદ્ધમાં વિજેતા બની ગયા હોવાનું સૂચવતા આદેશો નિયમિત ધોરણે અપાતા હોય અને તેનું પાલન પણ ભારે ઉત્સાહભેર થતું જોવા મળતું હોય, ત્યારે આ દિશામાં કંઈક નક્કર કામ થાય એવી અપેક્ષા કેમ ન રખાય?

e.mail : bakothari@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 26 ઍપ્રિલ 2020

Loading

26 April 2020 admin
← કોરોનાનો કેર અને વડાપ્રધાનની લોકપ્રિયતા બંને વધે છે
મુશ્કેલ સમયમાં (8) →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved