Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9335322
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લૉક ડાઉન કટોકટીમાં શ્રમિકો પ્રત્યેની ઉપેક્ષા

નેહા શાહ|Opinion - Opinion|26 April 2020

૧૪મી એપ્રિલે લૉક ડાઉન-૨ની જાહેરાત થઇ ત્યારથી સુરત અને મુંબઈ જેવાં શહેરોમાંથી પરપ્રાંતીય શ્રમિકોમાં ઊભા થઈ રહેલા આક્રોશના સમાચાર આવી રહ્યા છે. ૨૦મી એપ્રિલે સરકારે ઘણી છૂટછાટની જાહેરાત કરી છે. સ્થળાંતરિત શ્રમિકોને રાજ્યની સરહદની અંદર પ્રવાસ કરવાની છૂટ મળી, પણ આંતરરાજ્ય શ્રમિકોને પોતાના વતન પાછા જવાની છૂટ મળી નથી. આ લખાય છે ત્યારે, ૨૨મી એપ્રિલ સુધી તો, સંબંધિત રાજ્યનું પોલીસતંત્ર તેમને તે જ્યાં છે ત્યાં રોકી રહ્યું છે. શ્રમિકોને રેશન નહીં મળવાના, પગપાળા પાછા જવાના, થાકને કારણે રસ્તામાં થતાં મૃત્યુના કે પછી પોલીસ દ્વારા અટકાયતના સમાચાર આવી રહ્યા છે. ૨૧મી એપ્રિલના રોજ, મંગળવારે મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકારને પરપ્રાંતીય શ્રમિકોને તેમના ઘરે પરત મોકલવા ખાસ ટ્રેનોની વ્યવસ્થા ગોઠવી આપવાની વિનંતી કરી છે. એનો અર્થ એ થયો કે શ્રમિકો જ્યાં છે ત્યાં હજુ લાંબુ રોકાઈ રહેવા તૈયાર નથી અને જો આ પરિસ્થિતિ લાંબી ચાલી તો આક્રોશ મોટું સ્વરૂપ લે તેવો ભય છે.

૨૨મી માર્ચથી આજ સુધી કોરોના સામેની લડાઈના આયોજનમાં શ્રમિકો પર પડનારી અસરો અંગે કાંઈ ખાસ વિચારાયું હોય એવું દેખાતું નથી. એમનો વિચાર અને એમના પ્રત્યેની ચિંતા તો પ્રશ્ન ઊભો થયા પછીની છે. તેનો ઉપાય પણ મોટે ભાગે માત્ર ભોજન પૂરું પાડવા પૂરતો મર્યાદિત રહ્યો હોય, એવું પ્રથમ દૃષ્ટિએ લાગી રહ્યું છે. પ્રશ્ન માત્ર પેટની ભૂખનો નથી, પણ આત્મસન્માનનો અને નાગરિક તરીકેના સમાન અધિકારનો છે. આ મુદ્દો લૉક ડાઉન પહેલાં પ્લેન, ટ્રેન કે પોતાની કારમાં પોતાના ઘરે, સ્વજનો પાસે પહોંચી ગયેલાં મધ્યમ વર્ગીય લોકોને નથી સમજાતો કે નથી એ બાબતે સરકારમાં પૂરતી સંવેદનશીલતા જણાતી.

૧૪મી એપ્રિલે સાંજે સુરતના શ્રમિકો લૉક ડાઉનની અવજ્ઞા કરીને રસ્તા પર ઊતરી પડ્યાના સમાચાર આવ્યા. તેમાં લોકો ભોજનની ગુણવત્તા અંગે ફરિયાદ કરતા દેખાયા. સુરતથી આવતા સમાચાર પરથી લાગે છે કે ત્યાં અપૂરતા અને હલકી ગુણવત્તાવાળા ભોજનની સમસ્યા માત્ર નિમિત્ત બની છે. મૂળમાં પરપ્રાંતીય શ્રમિકોના મનમાં તરછોડાયાની ભાવના વધુ પ્રબળ હોય એવું વર્તાઈ રહ્યું છે. પહેલા લૉક ડાઉન વખતે પણ તેમને ઘરે જવાનો મોકો ના મળ્યો અને અમીરોમાંથી આવેલી બીમારીમાં તે ફસાઈ ગયા—એવી ભાવના આવી. નાના ઉદ્યોગોમાં કામ કરતાં શ્રમિકોને તેમનું વેતન પણ ન મળ્યું. ઉદ્યોગના માલિકોના ઈરાદા પર શંકા નથી. તેમના ધંધા પણ અટકી પડ્યા છે. એટલે નાણાંની તરલતાનો અભાવ એમને પણ નડ્યો છે, જેને કારણે તે કારીગરોને વેતન ચૂકવી શક્યા નથી. આ વાત સમજાય એવી છે, તો પણ તેની જીવન-મરણની અસર તો કામદારોને જ પડવાની છે.

લૉક ડાઉનની જાહેરાત થયા પછી સરકાર તરફથી રાહત કામગીરીની જાહેરાત બે દિવસ પછી થઈ. ભોજન અને રાહત સામગ્રીનાં વિતરણની ગોઠવણ થતાં અઠવાડિયાથી વધુ સમય નીકળી ગયો. સ્વૈચ્છિક સંસ્થાઓ અને પરગજુ લોકોએ ઘણી બધી જવાબદારી કોઈની રાહ જોયા વિના પોતાના ખભે ઉપાડી લીધી. શ્રમ મંત્રાલય તરફથી વેતન નહીં કાપવા બાબતે એક માત્ર સૂચન આવ્યું. એ સિવાય શ્રમ મંત્રાલય — રાજ્ય તેમ જ કેન્દ્રના — તરફથી કયાં પગલાં લેવાયાં, એ અંગે કોઈ માહિતી મળતી નથી. કેન્દ્રીય શ્રમ મંત્રાલય તરફથી વેતનસંબંધી ફરિયાદો સાંભળવા માટેના કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા છેક ૧૪મી એપ્રિલે થઈ. વોટ્સએપ, ઇ-મેઇલ અને ફોનથી ફરિયાદો નોધવાની ચહેરાવિહીન પદ્ધતિ લોકોને કેટલો ભરોસો અપાવી શકશે, એ તો સમય જ કહેશે, વળી, આ કન્ટ્રોલ રૂમ ફરિયાદ સાંભળ્યા પછી એનું નિરાકરણ કઈ રીતે લાવશે એ ખબર નથી.

આપણા દેશમાં કરોડોની સંખ્યામાં સ્થળાંતરિત શ્રમિકો છે, જેના વિગતે આંકડા સરકાર પાસે છે. લૉક ડાઉન સાથે આર્થિક ચક્રો બંધ થાય અને એની વિપરીત અસર આ ગરીબ વર્ગ પર પડે, એટલી સમજ તો આ દેશનું નેતૃત્વ સંભાળનાર કોઈ પણ વ્યક્તિને પડવી જ જોઈએ અને એ માટે જરૂરી આગમચેતીનાં પગલાં ભરવાની જવાબદારી સંબંધિત મંત્રાલયને પહેલા દિવસથી જ સોંપાઈ જવી જોઈતી હતી. બધું જ કામ વડા પ્રધાન અને ગૃહ મંત્રાલયના કાર્યાલયે કરવાનું ન હોય. આપણા દેશમાં કેન્દ્ર તેમ જ રાજ્યના સ્તરે શ્રમ મંત્રાલય છે. આવડા મોટા સંકટનો સામનો કરવા શ્રમિકો માટેની વ્યવસ્થાનું આયોજન તે કરી શક્યાં હોત. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મદદ લઈને માઈક્રો-પ્લાનિંગ કરવું અશક્ય ન હતું. પણ એ માટેની ઈચ્છાશક્તિ ક્યાંથી લાવવી?

શ્રમ વિભાગ આમ પણ ઉપેક્ષિત રહ્યો છે. દેશે ઉદારીકરણની નીતિ અપનાવી ત્યાર પછી ખાસ. દેશ અને રાજ્યમાં આમ પણ કાયદા સરળ બનાવવાના નામે શ્રમ કાયદાને હળવા બનાવાઈ રહ્યા છે.  નવા લેબર કોડ અમલ થવાની અણી પર છે, જેનાથી શ્રમિકોની સામૂહિક વાટાઘાટોની ક્ષમતા વધુ નબળી પડવાની આશંકા છે. વિકાસના મોડેલ સમા ગુજરાતમાં શ્રમ વિભાગ સાથે ઓરમાયું વર્તન જ થતું આવ્યું છે. લેબર ઈન્સ્પેકટરે કામનાં સ્થળની તપાસની મહેનત ના કરવી પડે, એટલે ઉદ્યોગો જ શ્રમ કાયદાના પાલન અંગે સ્વઘોષણા કરી દેતા હોય છે — અને તે પણ ઑનલાઈન. શ્રમ વિભાગમાં પાછલાં ઘણાં વર્ષોથી સ્ટાફની સંખ્યા જરૂર કરતાં ખૂબ ઓછી હોય છે એટલે સામાન્ય કામ પણ ટલ્લે ચડતાં હોય છે. સરકારી યોજનાનો લાભ મેળવવા પણ શ્રમિકોને અનેક વાર ધક્કા ખાવા પડે, એ સામાન્ય ઘટના છે. અસંગઠિત ક્ષેત્રના શ્રમિક માટે તો મુસીબત અનેક ગણી વધતી હોય છે. શ્રમિકો પ્રત્યે તંત્રની લાગણીશૂન્યતા વર્તમાન આપત્તિના સમયે સપાટી પર આવી છે.

ગરીબ શ્રમિકો પ્રત્યે નઠારા થઇ ચુકેલા તંત્રમાં કેરળનું મૉડેલ થોડી આશા જગાવે છે. ત્યાં દેશની સૌથી વધુ રાહતશિબિરો ચાલે છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપેલા રિપોર્ટ મુજબ, દેશની કુલ ૨૨,૫૬૭  રાહતશિબિરમાંથી ૧૫,૫૪૧ એટલે કે ૬૮.૮ ટકા તો માત્ર કેરળમાં છે. આ શિબિરોનું કામ ત્યાંના શ્રમ મંત્રીએ પોતાના હાથમાં લઇ લીધું છે. સ્થળાંતરિત શ્રમિકો હવે ત્યાં મહેમાન શ્રમિક કહેવાય છે. માત્ર સંબોધન બદલવાથી અભિગમમાં મોટો ફર્ક આવ્યો છે. પરપ્રાંતીય શ્રમિકોને ભોજનની બહુ મોટી સમસ્યા હોય. કારણ કે દરેક પ્રાંતની ખાવા-પીવાની ટેવો અલગ અલગ હોય. પોતાના સ્વાદ પ્રમાણેનું ભોજન આટલા લાંબા સમય સુધી ના મળે ત્યારે ઘરની યાદ બમણા જોરથી આવે અને આક્રોશ વધુ ઉછળે. આ પરિસ્થિતિને સંભાળવા માટે કેરળમાં બને ત્યાં સુધી દરેક વ્યક્તિને સીધુંસામગ્રી આપવામાં આવે છે, જેથી દરેક વ્યક્તિ પોતાને અનુકૂળ સ્વાદ મુજબની રસોઈ બનાવીને જમી શકે. જેમની પાસે રાંધવાની સગવડ નથી, તેમને માટે હવે ઉત્તર ભારતીય ભોજન પીરસાય છે. આ સાથે શિબિરમાં કૅરમ અને પત્તાં આપવામાં આવ્યાં છે, જેથી નવરાશના આટલા બધા સમયમાં કરવાને કોઈ પ્રવૃત્તિ રહે. દરેકને ફોન રીચાર્જ કરી આપવામાં આવ્યા છે, જેથી તે પોતાનાં કુટુંબીજનોના સંપર્કમાં રહે. આટલી સુવિધા આપવાથી જ્યારે લૉક ડાઉનના બીજા દોરની જાહેરાત થઈ ત્યારે ઘરે પાછા જવાની માગમાં તીવ્રતા ન હતી.

કેરળના મૉડેલ પરથી દેખાય છે કે શ્રમિકોના પ્રશ્નોને માનવીય ધોરણે સમજવા જેટલી સંવેદનશીલતા દાખવીને, રચનાત્મક ઉપાયો શોધીને, તેમનો યુદ્ધના ધોરણે અમલ કરવાની જરૂર છે.

e.mail : nehakabir00@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 26 ઍપ્રિલ 2020

Loading

26 April 2020 નેહા શાહ
← કોરોનાનો કેર અને વડાપ્રધાનની લોકપ્રિયતા બંને વધે છે
મુશ્કેલ સમયમાં (8) →

Search by

Opinion

  • ‘શેતરંજ’ પર પ્રતિબંધનું પ્રતિગામી પગલું
  • જેઇન ઑસ્ટિન અમર રહો !
  • જેઇન ઑસ્ટિન : ‘એમા’
  • ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’: એક વિહંગાવલોકન
  • ગ્રામસમાજની જરૂરત અને હોંશમાંથી જન્મેલી નિશાળનો નવતર પ્રયોગ

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • નિર્મમ પ્રેમી
  • મારી અહિંસા-યાત્રા
  • ગાંધીનો હિટલરને પત્ર 
  • ઈશુનું ગિરિ-પ્રવચન અને ગાંધીજી
  • ગાંધી : ભારતની પ્રતિમા અને પ્રતીક

Poetry

  • વિમાન લઇને બેઠા …
  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !
  • હાલો…

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved