Opinion Magazine
Number of visits: 9450377
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધનજીભાઈ શાહઃ થેલાથી થાપણ સુધી …

કેતન ત્રિવેદી|Opinion - Opinion|7 April 2020

આજે [06 ઍપ્રિલ 2020] વેલિંગબરૉસ્થિત ‘બિદ્દ એન્ટરપ્રાઈઝ’ના ભીખુભાઈ શાહ પાસેથી જાણવા મળ્યું કે મુંબઈમાં ધનજીભાઈ શાહનું નિધન થયું છે. સાંભળી દુ:ખ થયું પણ સાથેસાથે જે રીતે ધનજીભાઈએ એમના જીવન દરમિયાન ગુજરાતી સાહિત્યનાં પ્રકાશનો પ્રસિદ્ધ કરી દેશપરદેશનાં ગુજરાતીઓને વાંચતાં કર્યાં એ જોતાં આપણે તેમના જીવનની સાર્થકતા માટે ઉજવણી કરવી જોઈએ, એમ માની એમને મેં મનોમન અંજલિ આપી. એમની કાર્યનિષ્ઠાને લીધે ‘નવભારત સાહિત્ય મંદિરે’ નામના મેળવી.

વોન્ડ્ઝવર્થની એથ્નિક માઈનોરિટિઝ લાઈબ્રેરીમાં ૨૫ વર્ષ કામ કર્યું, તે દરમિયાન જે રીતે ગુજરાતી પુસ્તકોનો સંગ્રહ હું સ્થાપી શકી હતી, તેનો યશફાળો મોટે ભાગે ધનજીભાઈને જાય છે. અમારા બ્રિટનના ‘સપ્લાયર’ બિદ્દ બધાં જ ગુજરાતી પુસ્તકો નવભારત દ્વારા મંગાવતા, અને મારાં વાચકોની એકેએક માગ પૂરી પાડવા માટે શાંતિભાઈ શાહને ધનજભાઈનો સંપૂર્ણ સહકાર મળતો. હરકિસન મહેતા જ્યારે અમારી લાઈબ્રેરીની મુલાકાતે આવ્યા હતા, ત્યારે એમણે કહ્યું હતું, “આટલો સુંદર ગુજરાતી પુસ્તકસંગ્રહ મેં ભારતની લાઈબ્રેરીમાં પણ નથી જોયો”. અને આનો જશ હું ખરેખર ધનજીભાઈની કાર્યક્ષમતાને આપું છું. એ નવભારતનાં જ નહીં પણ બીજા પ્રકાશકોનાં ઉત્તમ પુસ્તકોનો સંગ્રહ અમારી લાઈબ્રેરીઓ માટે ચૂંટીચૂંટીને મોકલતા.

ધનજીભાઈ પણ મારી લાઈબ્રેરીમાં આવી ગયા હતા અને તેમને નવભારતનાં પ્રકાશનોને લંડનનાં ગુજરાતીઓને પ્રેમથી વાંચતાં જોઈ આનંદ થયો જ હશે. વળી જ્યારે એમને જાણવા મળ્યું કે મારાં વંશજનો કચ્છ મુંદ્રાનાં છે ત્યારે અમારા બન્ને વચ્ચેની આત્મિયતા થોડી વધુ ગાઢ બની હતી. આવી આ ઉમદા વ્યક્તિને મારા કોટિ કોટિ પ્રણામ.

પ્રભુ તેમના આત્માને ચીર શાંતિ બક્ષે.

— ભદ્રા વડગામા

•••••••

જાણીતા ગુજરાતી પ્રકાશક ‘નવભારત સાહિત્ય મંદિર’ના સ્થાપક ધનજીભાઇ શાહનું ગઇકાલે (05 ઍપ્રિલ 2020) જ મુંબઇમાં દુઃખદ નિધન થયું. ગુજરાતી સાહિત્યજગતના અનેક પ્રતિષ્ઠિત અને જાણીતા લેખકોના પુસ્તકોને ગુજરાતીઓના ઘેરઘેર પહોંચાડવામાં ધનજીભાઇનું યોગદાન અણમોલ અને ચિરંજીવ છે. “ચિત્રલેખા” પરિવાર પણ આ ક્ષણે શોકની લાગણી અનુભવે છે અને એમને શ્રદ્ધાંજલિ પાઠવે છે.

“ચિત્રલેખા”ના વર્ષ 2017ના વાર્ષિક અંકની સાથે પ્રકાશિત થયેલી ગૌરવવંતા ગુજરાતીઓની યાદીમાં પણ એમનો સમાવેશ થયો હતો. એ અંકમાં એમના વિશે લખાયેલો આ લેખ એમને શ્રદ્ધાંજલિરૂપે અહીં પુનઃ પ્રકાશિત કરીએ છીએ.

———————————————————–

વર્ષ ૧૯૬૦ની વાત છે. માંડ એસ.એસ.સી. સુધી ભણેલો ધનજી શાહ નામનો એક કચ્છી માડુ હાથમાં ફક્ત 200 રૂપિયાની મૂડી લઈને મુંબઈમાં પગ મૂકે છે. ત્રીજા ધોરણમાં સાથે ભણતા બાળગોઠિયા ખુશાલભાઈ વોરાને મળે છે. ખુશાલભાઈનું લોખંડબજારમાં સારું કામ છે, પણ એમણે જોયું કે આ મિત્ર તો અમદાવાદમાં પુસ્તક પ્રકાશકને ત્યાં કામ કરવાનો અનુભવ ધરાવે છે. લોખંડબજારમાં એની ચાંચ કેમ ડૂબશે?  છેવટે એ પોતે જ સલાહ આપે છે કે, તને પુસ્તકની લે-વેચનો અનુભવ છે તો એ જ કામ કર. ધંધો ચાલુ કરવા ખુશાલભાઈ થોડીક મૂડીની પણ મદદ કરે છે અને એમાંથી કાલબાદેવીમાં ભાડાની જગ્યા લઈને આ યુવાન પુસ્તકની દુનિયામાં પાંખ ફફડાવે છે.

કટ ટુ ૨૦૧૭.

ગુજરાતી પુસ્તક પ્રકાશનની દુનિયામાં આજે ધનજીભાઈ શાહ અને એમણે સ્થાપેલા ‘નવભારત સાહિત્ય મંદિર’નું નામ બહુ જાણીતું છે. લોકપ્રિય નવલકથાકાર રસિક મહેતાની નવલકથા પ્રણયપ્રકાશના પ્રકાશનથી શરૂ કર્યા પછી આજ સુધીમાં નવભારત દ્વારા એમણે લગભગ પ,૦૦૦થી વધારે પુસ્તકો ગુજરાતી વાચકોને આપ્યા છે. ચંદ્રકાન્ત બક્ષી, પ્રિયકાન્ત પરીખ, ચુનીલાલ મડિયા, મોહનલાલ મહેતા, કુન્દનિકા કાપડિયા, મકરંદ દવે, કાન્તિ ભટ્ટ, તારક મહેતા અને અશ્વિની ભટ્ટ જેવાં લેખકોને પુસ્તકસ્વરૂપે દેશ-વિદેશમાં વાચકોના ઘર સુધી પહોંચાડ્યાં છે.

પિતા પ્રેમચંદભાઈ તો મુંદ્રામાં વાસણની ફેરી કરતા. બહોળો પરિવાર એટલે ધનજીભાઈ અમદાવાદ આવીને પરિવારના જ વડીલો એવા શંભુભાઈ અને ગોવિંદભાઈ સાથે એમની પ્રકાશન સંસ્થા ‘ગુર્જર પ્રકાશન’માં જોડાયા. પુસ્તકની દુનિયાનો આ પહેલો પરિચય. ગુર્જરમાં એ દિવસોમાં ધૂમકેતુ, ગુણવંતરાય આચાર્ય જેવા લેખકો આવતા. એમને નજીકથી જોયા. પુસ્તકોનું વેચાણ કેમ થાય એ શીખ્ચા. ૧૯૬૦માં મુંબઈ આવ્યા ત્યારે શરૂઆતમાં જૂનાં પુસ્તકો ખરીદીને અમદાવાદ વેચવા મોકલતા. સંઘર્ષના એ દિવસમાં સવારે નવ વાગ્યે ઘરેથી થેલામાં પુસ્તકો નાંખીને નીકળતા. સ્કૂલોમાં જાય અને વેચે. જૂના પ્રકાશકો પાસેથી વેચાણનું ઓછું કમિશન મળે તો ય પુસ્તકોનું વેચાણ વધારવા અથાગ મહેનત કરતા. “ચિત્રલેખા”માં એની અવરજવર એટલે મધુરીબહેનને મળે. વજુભાઈનાં પુસ્તકો ય વેચ્યા. “ચિત્રલેખા”ના જિતુભાઈ મહેતા અને વિજયગુપ્ત મૌર્ય જેવા લેખકોનાં પુસ્તકો ય છાપ્યા. બક્ષી અને મડિયા જેવા લોકપ્રિય લેખકો નવભારતમાં આવ્યા અને મહેનતકશ ધનજીભાઇનો ધંધો જામતો ગયો.

વણિકના દીકરાને આમે ય ધંધો કરતા શીખવાડવું ન પડે. આફ્રિકન દેશોમાં વસતા ગુજરાતીઓના નામ-સરનામાં મેળવીને એ સામેથી ઓર્ડર વિના પુસ્તક મોકલી આપે. મોટાભાગે ગુજરાતીઓ બિલ ય મોકલી આપે! વેપારની સૂઝ જબરી. ૧૯૬૭માં દરિયાઈ માર્ગે પુસ્તકો મોકલી શકવાની મંજૂરી મળતા અને એક્સપોર્ટ પર છૂટછાટ મળતા ધનજીભાઇએ જહાજમાં પેટીઓ ભરીને પુસ્તકો મોકલવાનું શરૂ કર્યું. એક વખત પુસ્તકોના વેચાણ માટે લંડન ગયા. ત્યાંની લાઇબ્રેરીમાં સંચાલક ભદ્રાબહેન મુંદ્રાના ગુજરાતી હતાં. પરિચય થયો તો જાણવા મળ્યું કે એ તો બાળપણમાં સ્કૂલમાં સાથે હતાં! એ પછી લંડનની લાઇબ્રેરીમાં ય નવભારતના પુસ્તકો વંચાતા થઈ ગયા.

મુંબઈમાં મધુરીબહેન શાહ મ્યુનિસિપલ સ્કૂલોમાં ઓર્ડર અપાવતા. સુરેશ દલાલે પણ ખૂબ સહકાર આપ્યો. સામે ધનજીભાઈએ પોતાના સરળ સ્વભાવ અને ચબરાક વાણિયાબુદ્ધિથી બક્ષી જેવા તેજતરાર લેખકને પણ નવભારતમાં સાચવી રાખ્યા! સુરેશ દલાલ લખે છે, 'નવભારતમાં છપાયેલા પુસ્તકોના અક્ષરમાંથી ધનજીભાઈની અદશ્ય છાપ ઉપસે છે.’

અલગ અલગ સ્વભાવ અને પ્રકૃતિ ધરાવતા લેખકોને એકસાથે સાચવી રાખવામાં અને એમને અક્ષરદેહે લાખો વાચકો સુધી પહોંચાડવામાં ધનજીભાઈ સફળ થયા છે. ક્યારે ય કોઈના પ્રત્યે કડવાશ રાખી નથી. બલકે, જીવનમાં થયેલા ખરાબ અનુભવોને ભૂલી જઈને ફક્ત સારા પ્રસંગો જ યાદ રાખ્યા છે. અથાગ મહેનત પછી પણ એ નમ્રતાથી કહે છે, ભાગ્ય ચડિયાતું હોય તો જ પુરુષાર્થને સાથ મળે છે.

થેલામાં પુસ્તકો રાખીને વેચવાથી શરૂ થયેલી એમની આ સફર આજે ગુજરાતી સાહિત્યની અણમોલ થાપણ સર્જી ચૂકી છે.

(તસવીર : પ્રજ્ઞેશ વ્યાસ)

કેતન ત્રિવેદી, સંપાદક : http://chitralekha.com

https://chitralekha.com/news/gujarat/navbharat-sahitya-mandir-dhanjibhai-shah/

Loading

7 April 2020 admin
← કોરોના પછીની દુનિયા : એકહથ્થુ જાપ્તો કે નાગરિક સશક્તિકરણ?
હજીયે નહીં સમજે ? →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved