વડા પ્રધાને 15 ઓગષ્ટ 2022ના રોજ લાલ કિલ્લા ઉપરથી રાષ્ટ્ર જોગ પ્રવચન કર્યું ત્યારે મહિલાઓનું અપમાન સહન નહીં કરવા હાકલ કરી; અને તે દિવસે જ ગુજરાત સરકારે ગેંગરેપ / સામૂહિક હત્યા સબબ આજીવન કારાવાસ ભોગવતા 11 કેદીઓને જેલમુક્ત કરી દીધાં ! કેવો વિરોધાભાસ? ગુજરાત સરકાર આ પહેલાં MLA પોપટભાઈ સોરઠિયાના હત્યારાને આજીવન કેદની સજા સુપ્રિમ કોર્ટે કરી હતી; તેને પણ જેલમુક્ત કરી દીધો હતો !
27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરામાં 58 રામસેવકોને જીવતા સળગાવી દીધાં તે ઘટના પાશવી હતી. સરકાર માટે આ શરમજનક ઘટના હતી; કેમ કે ગુજરાતમાં આ પ્રકારની કોઈ ઘટના અગાઉ બની ન હતી. મુખ્ય મંત્રી હિન્દુઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયા હતા; તેથી લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવા ભોગ બનનારની ડેડ બોડીઓ અમદાવાદ મંગાવીને સામૂહિક સ્મશાનયાત્રા કઢાવી ! તેથી હિન્દુઓ વધુ ઉશ્કેરાયા; અમદાવાદ શહેર અને અન્ય વિસ્તારોમાં ત્રણ દિવસ સુધી સામૂહિક હિંસા ફાટી નીકળી ! 3 માર્ચ 2002ના રોજ બિલ્કીસ બાનોના પરિવારના 7 સભ્યોની હત્યા કરવામાં આવી હતી; તેમાં બિલ્કીસની 4 વર્ષની દીકરી સાલેહાની જમીન ઉપર પછાડીને હત્યા કરવામાં આવી હતી ! બિલ્કીસ બાનો ઉપર ગેંગ રેપ કરવામાં આવેલ. આ ઘટના દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં બની હતી; તે વખતે બિલ્કીસની ઉંમર 21 વર્ષની હતી; અને તે પ્રેગન્ટ હતી. આ ઘટનામાં પ્રથમ ધરપકડ 2004માં થઈ હતી ! આશ્ચર્યની / દુ:ખની બાબત એ છે કે 11 કેદીઓને જેલમુક્ત કર્યા ત્યારે મહિલાઓ દ્વારા તેમનું તિલક / આરતી કરી સ્વાગત કરવામાં આવ્યું; મીઠાઈ વહેંચી ઊજવણી કરવામાં આવી; તેમને પગે લાગી આશીર્વાદ લીધા ! ગેંગરેપ / હત્યાના આ કેસમાં ગુજરાત પોલીસે ઠાગાઠૈયા કર્યા હતા. બિલ્કીસને ગુનેગારો તરફથી ધમકીઓ મળતી હતી તેથી 2 વરસમાં 10થી વધુ વખત ઘર બદલવું પડ્યું હતું ! સુપ્રિમ કોર્ટે આ ઘટનાની તપાસ CBIને સોંપી હતી. અને ઓગષ્ટ 2004માં, કેસ મુંબઈ ટ્રાન્સફર કર્યો હતો. તત્કાલિન CMને (હાલના PMને) બહુ માઠું લાગ્યું હતું ! 21 જાન્યુઆરી 2008ના રોજ CBI કોર્ટે 13 આરોપીઓને સજા કરેલ; તેમાં 11 આરોપીઓને આજીવન કેદની સજા કરી હતી. હેડ કોન્સ્ટેબલ સોમાભાઈને આરોપીઓને બચાવવા સબબ 3 વર્ષની સજા થઈ હતી. મે 2017માં મુંબઈ હાઈકોર્ટે સજા કાયમ રાખી હતી. કેદીઓ 14 વરસ જેલમાં રહ્યા હતા.
થોડાં પ્રશ્નો :
[1] જેલમુક્તિ અંગે BBCએ બિલ્કીસ બાનોના પતિ યાકૂબનો ઈન્ટરવ્યૂ લીધો છે, જે ફેસબૂક ઉપર છે; તેમાં ભક્તોની કોમેન્ટ છે કે ‘બિલકુલ નિર્દોષ 58 હિન્દુઓને સળગાવી દીધા, એની ચર્ચા કેમ કરતા નથી? BBC એક તરફી છે !’ કટ્ટરતા હિન્દુની હોય કે મુસ્લિમની; વિનાશક / જંગલી / અમાનવીય હોય છે; એટલું ભક્તો સમજી શકતા નથી; તેમના માનસમાં IT Cell / ગોદી મીડિયાએ મુસ્લિમો વિશે ઠાંસીઠાંસીને નફરત ભરી દીધી છે ! વડા પ્રધાન ‘એકતા’ની વાત કરે છે; અને તેમના ભક્તો નફરતનું ઝેર ફેલાવ્યા કરે છે ! કેવી કાર્ય વહેંચણી?
[2] ગેંગ રેપ / હત્યા સબબ આજીવન કેદ ભોગવતા 11 આરોપીઓને જેલમુક્ત કરવાનું પગલું મહિલાઓ માટે વિનાશકારી નથી? શું આ રીતે મહિલાઓનું સન્માન થશે? આ રીતે મહિલાઓની સુરક્ષા દૃઢ બનશે? ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ એ વડા પ્રધાનનું સૂત્ર પોકળ નથી? વડા પ્રધાન અને ગૃહ મંત્રી બન્ને ગુજરાતી છે; તેઓ બન્ને ચૂપ કેમ છે?
[3] NCRB-National Crime Record Bureauના આંકડા મુજબ બળાત્કારના કેસોમાં, 30% થી ઓછા કેસમાં સજા થાય છે; ત્યારે થયેલ સજાને ટૂંકી કરવાનો કોઈ અર્થ ખરો? બળાત્કારના કેટલાંક કિસ્સામાં કેસ રજિસ્ટર જ થતાં નથી; કેસ નોંધાયા પછી વિક્ટિમને, આરોપીઓ હેરાન-પરેશાન કરે છે. આ સ્થિતિમાં બળાત્કાર / હત્યાના દોષિતો સજા મુજબ જેલમાં રહે તે ઉચિત નથી? આજીવન કેદની સજા શા માટે માફ કરવી જોઈએ? બળાત્કારીઓની સજા શા માટે માફ કરવી જોઈએ? વહેલી જેલમુક્તિમાં સમાજને ફાયદો શું?
[4] 2019માં, સુપ્રિમકોર્ટે વિક્ટિમ બિલ્કીસ બાનોને 50 લાખનું વળતર ચૂકવવા ગુજરાત સરકારને આદેશ કર્યો હતો, એનો સઅર્થ એ હતો કે બિલ્કીસ બાનો સાથે જે થયું તે શરમજનક હતું ! સુપ્રિમ કોર્ટે સજા ફટકારી હોય એવા કેસમાં સરકાર શા માટે ઉદાર બનતી હશે? ઊના કાંડ બાદ દલિતો ઉપરના કેસો / પાટીદાર આંદોલન વેળાના કેસો પરત ખેંચવામાં સરકાર ઉદાર કેમ બનતી નહીં હોય?
[5] વિક્ટિમ બધા મુસ્લિમ હતા અને સજા પામનાર બધા હિન્દુઓ હતા; એટલે ‘બહુમતી હિન્દુઓ’ને રાજી કરવા ગુજરાત સરકારે આ નિર્ણય લીધો હશે? ગેંગરેપ / હત્યાઓમાં પણ મત ખંખેરવાની નીતિ?
[6] સત્તાની બલિહારી જૂઓ; બિલ્કીસ બાનોને ન્યાય અપાવનાર તિસ્તા સેતલવાડને ખોટા કેસમાં જેલમાં પૂરેલ છે અને ગેંગરેપ / હત્યાના કેસમાં આજીવન કેદની સજા પામેલાને જેલમુક્ત કરેલ છે ! શું સત્તાનો આ દુરુપયોગ નથી?
[7] પંચમહાલ જિલ્લાના કલેક્ટરના વડપણ હેઠળની કમિટિએ સજામાફીની ભલામણ કરેલ. શું આ કમિટિએ જાતે નિર્ણય લીધો હશે; તેમ માની શકાય તેમ છે? IPS અધિકારી આર.એસ. ભગોરાને 30 મે 2019ના રોજ ગુજરાત સરકારે ડિસમિસ કર્યા છે; જેમને CBIએ બિલ્કીસ બાનો કેસમાં ફરજ નહીં બજાવવા બદલ એરેસ્ટ કરેલ હતા ! સત્તાપક્ષના નેતાઓ કહે તેમ પોલીસે / વહિવટીતંત્રે કરવાનું ન હોય; એવો બોધપાઠ પોલીસ / વહિવટીતંત્ર લેશે? આ 11 કેદીઓ કરતાં પણ વધુ સમયથી જેટલાં કેદીઓ જેલમાં છે; તેમને સરકાર મુક્ત કરશે? શું સજામાફી કમિટિ / સરકાર ચોક્કસ કેદીઓ માટે જ સંવેદનશીલ હશે?
[8] હિન્દુ મહિલાના બળાત્કારીઓના એન્કાઉન્ટર થાય અને મુસ્લિમ મહિલાના બળાત્કારીઓ માટે જેલમુક્તિ? મહિલા; મુસ્લિમ હોય કે હિન્દુ; એક સરખી નીતિ શા માટે ન હોવી જોઈએ?
[9] ગેંગ રેપ / સામૂહિક હત્યાના કેસમાં સજા ભોગવતા કેદીઓ જેલમુક્ત થાય ત્યારે મહિલાઓ તિલક / આરતી કરીને સ્વાગત કરે; એ શરમજનક બાબત નથી? મુસ્લિમ યુવતી ઉપર બળાત્કાર કર્યો, તે શું સન્માનપાત્ર કૃત્ય છે?
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર