મહાત્મા ગાંધીના જીવન અને વિચારના અભ્યાસીઓ તરીકે અમને ગયા કેટલા ય દાયકા દરમિયાન અમદાવાદમાં આવેલા સાબરમતી આશ્રમના આર્કાઇવ્ઝમાં કામ કરવાનું સદ્દભાગ્ય સાંપડ્યું છે. આશ્રમ આર્કાઇવ્ઝ ગાંધીએ લખેલાં અને તેમને મળેલા પત્રોનો સહુથી મોટો ભંડાર છે.
અમે આશ્રમની પવિત્ર ભૂમિમાં ફર્યા છીએ; ગાંધી એમનાં પત્ની કસ્તૂરબા સાથે ૧૯૧૭થી માંડીને ૧૯૩૦ની ઐતિહાસિક દાંડી કૂચ માટે અહીંથી નીકળ્યા સુધી જ્યાં રહ્યા તે ઘર પણ અમે જોયું છે. અમને સવાલ થતો રહ્યો છે કે એકવીસમી સદીમાં આ આશ્રમ કઈ દિશામાં આગળ વધી શકે. અમારા અભ્યાસનાં વર્ષો દરમિયાન અમે સાબરમતી
આશ્રમ શું બની શકે, ગાંધીના સંદેશનો ફેલાવો કરવામાં તેની શી ભૂમિકા હોઈ શકે અને વિશ્વકક્ષાની મહત્તા ધરાવતા આ સ્થળનો સહુથી અસરકારક ઉપયોગ કઈ રીતે થઈ શકે તે અંગે પણ વિચારતા રહ્યા છીએ.
અલબત્ત, ભારતના એક સહુથી મહત્ત્વનાં ઐતિહાસિક સ્થળ તરીકે, એક સંગ્રહાલય તરીકે અને એક યાત્રાધામ તરીકે સાબરમતી આશ્રમની મોટી ભૂમિકા છે. સત્યની શોધ માટે પ્રેરણા આપનારી આ જગ્યા છે. પર્યાવરણની પડતી અને હાજરાહજૂર આર્થિક અસમાનતાના આ કાળમાં, ઝીણું જોનાર મુલાકાતીને આ જગ્યા અહિંસા અને સાદગીનું મૂલ્ય બતાવે છે. એટલા માટે ગાંધીએ શીખવેલા અને આ આશ્રમમાં સાકાર થતા વિચારો પહેલાં કોઈ પણ તબક્કે હતા એટલા જ આજે પણ મહત્ત્વના છે.
ગાંધીએ નમૂના તરીકે રજૂ કરેલાં ઊંચા સ્તરના વિચાર અને જીવન માટે આશ્રમની પ્રકૃતિ અનુકૂળ છે. ગાંધી આશ્રમના પરિસરની અત્યારની સાદગી અને સુઘડતામાં એટલી બધી શક્તિ છે કે સંવેદનશીલ મુલાકાતી એની અસરથી દૂર રહી જ ન શકે. જુદો ચીલો પાડનાર વિચારક ઇવાન ઇલિચે ૧૯૭૦ના દાયકાના આખરી વર્ષોમાં સેવાગ્રામની ગાંધી કુટિર વિશે નોંધ્યું છેઃ ‘ગાંધીની આ કુટિર દુનિયાને બતાવે છે કે સાધારણ માણસનું ગૌરવ પણ શી રીતે ઊંચું લાવી શકાય. આપણે સાદગી, સેવા અને પ્રામાણિકતાના આચરણથી કેવી રીતે સુખી થઈ શકીએ એનું પણ કુટિર પ્રતીક છે.’
ઇલિચે આ વાત આટલી જ સહજતાથી હૃદયકુંજ માટે પણ કહી હોત. હૃદયકુંજ એટલે ગાંધી અને કસ્તૂરબા આશ્રમમાં જ્યાં રહેતાં હતાં તે મૂળ ઘર. પણ ઇલિચે કહ્યું તેવું સુખ સમય જતાં, ધીમી ગતિએ તેમ જ શાંતિથી કરેલાં મનન-ચિંતનમાંથી આવે છે. આવું સુખ ટોળાં હોય ત્યાંથી મળવું અશક્ય જ છે.
ભવિષ્યની દૃષ્ટિએ આશ્રમની પ્રસ્તુતતા જળવાય તેના બે રસ્તા શક્ય જાણાય છે. એક દેખીતો રસ્તો છે કે જેમાં નફા કરતાં નુકસાન વધુ હોય એમ અમને લાગે છે. એ રસ્તો પસંદ કરીએ તો આશ્રમ ‘વર્લ્ડ ક્લાસ’ ટુરિસ્ટ ડેસ્ટિનેશન એટલે કે વિશ્વ કક્ષાનું પ્રવાસન મથક બનશે. આશ્રમના રિડેવલપમેન્ટના પ્રસ્તાવ અંગેના અખબારી અહેવાલો જો બરાબર હોય તો આશ્રમ પ્રવાસીઓનું કેન્દ્ર બનશે. આ બનવાની સાથે, ત્યાં મોટરો પાર્ક કરવા માટેની વિશાળ જગ્યા, ફૂડ કોર્ટ, દુકાનો, વી.આઈ.પી લાઉન્જ હશે અને ‘૧૯૪૯નો અનુભવ લઈ શકાય શકાય તેવું આરોગ્યપ્રદ, શાંત અને ભીડભાડ વિનાનું વાતાવરણ’ પણ ફરીથી ઊભું કરવામાં આવ્યું હશે. આમાંથી સરકારને આવક પણ થશે અને કદાચ મહાત્મા અત્યારે છે તેના કરતાં ઘણાં વધુ લોકોમાં જાણીતા થશે.
એ બાબતનો પણ વિચાર થવો જોઈએ કે આશ્રમને ચોંકાવનારી સાદગીવાળી, ખાણીપીણીની દુકાનો તેમ જ વી.આઇ.પી. લાઉન્જ (આના વિશે ગાંધીએ શું કહ્યું હોત ?) વિનાની અને બીજી જગ્યાઓની સરખામણીમાં પહોંચવામાં થોડીક મુશ્કેલી પડે તેવી જગ્યા તરીકે જાળવી રાખવામાં એક વધુ ઉચ્ચ ધ્યેય સિદ્ધ થાય છે. ડિસ્નેલૅન્ડ જેવું આકર્ષણ ઊભું કરી શકે તેવો ગાંધી થીમ પાર્ક સેલ્ફી લેનારા લોકોને ખૂબ ગમે એમ બને. મરતાં પહેલાં એક વાર જોવા જેવાં સ્થળોની યાદીમાં ગાંધી આશ્રમને મૂકનારા પ્રવાસીઓને પણ અહીં આવ્યાનો સંતોષ મળે.(ગાંધીને ફરીથી દાંડી જવાનું થાય તો એ શું કહેશે ?)
જો કે બીજો પણ એક અભિગમ છે. તેની પરિકલ્પના કરવી કંઈક અઘરી છે, પણ તેમાં આશ્રમ એવી જગ્યા બને (ખરેખર તો, એવી જગ્યા તરીકે ટકી રહે) કે જ્યાં ગાંધીવાદી વાતાવરણ અનુભવી શકાય.અમદાવાદનો સાબરમતી આશ્રમ એ જગ્યા છે કે જ્યાં ગાંધીજીએ સાધનશુદ્ધિના પ્રયોગો કર્યા અને તારણો તારવ્યાં. અહીં સમૂહજીવન અને સમૂહભોજન એટલે નાતજાતના ભેદનો અંત. અહીં નિવાસીઓ એક સામ્રાજ્ય સાથે બાથ ભીડતા શીખ્યા.
આશ્રમની કાયાપલટનો અત્યારનો સૂચિત પ્રસ્તાવ ગાંધીના વિચારો અને સંદેશને ભૂસી નાખવામાં નહીં પરિણમે ? આ પ્રસ્તાવનું અમલીકરણ થયા પછી શું આપણે આશ્રમમાં ગાંધીચેતના અનુભવી શકીશું ? નુકસાન થશે તે માપી શકાય તેવું નક્કર નહીં હોય ; એ અમૂર્ત હશે, પણ એ પ્રચંડ હશે.
ગાંધીને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે તેમણે અમેરિકાની મુલાકાત શા માટે લીધી નથી, ત્યારે તેમણે એવો ડર વ્યક્ત કર્યો હતો કે લોકો એમને નવરાશમાં જોવા જેવી બાબત તરીકે મળવા માટે આવશે : ’ચાલો ને ભારતીય પ્રાણીબાગના ઓલા પ્રાણીને જોતાં આવીએ.’ ગાંધીને એવા લોકો જોઈતા હતા કે જેમને એ ખરેખર શું કહે છે તે સમજવામાં રસ હોય, એમણે એવા લોકોને આશ્રમમાં આવીને પોતાની શીખનો વિગતવાર અભ્યાસ કરવા માટે આમંત્રણ આપ્યું.
આશ્રમના પુનઃવિકાસ પ્રકલ્પમાં તેને માત્ર સહેલાણીઓને આકર્ષવા માટેના ટૂરિસ્ટ હબ બનાવવા કરતાં બીજો ઘણો અવકાશ છે. ગાંધી જ્યાં ચાલ્યા, જ્યાં તેમણે કામ કર્યું; જેના પરિસરના બાગમાં, ઘરમાં, પ્રાર્થના-મેદાનમાં ગાંધી ચેતના અનુભવી શકાતી હોય એવું આ સ્થળ – ગાંધી અને તેમના સંદેશને સમજવા માટેનું જીવંત, ધબકતું સ્થાનક બનાવવાની આ તક છે.
એમ બને કે ગાંધીવિચારના અભ્યાસી તરીકે અમારો દૃષ્ટિકોણ સાંકડો હોય. એટલે એનાથી વ્યાપક રીતે જોઈએ તો આશ્રમને એવું મથક બનાવી શકાય કે જ્યાં એકઠા કરેલ Gandhianaનું – એટલે કે ગાંધીવિચારના રાશિનું – અભ્યાસીઓ અને શાંતિસૈનિકો આદાનપ્રદાન કરી શકે. આ મથક થકી ગાંધીવિચારના અભ્યાસ તેમ જ પરિપક્વ અમલીકરણને પ્રોત્સાહન મળે, જેમાંથી કદાચ ગાંધીવિચારથી પ્રેરણા પામેલા લોકોનો એક વિશ્વવ્યાપી સમુદાય ઊભો થાય.
આશ્રમમાં ગાંધીને લગતા દસ્તાવેજો અને માહિતી ગાંધી હેરિટેજ પોર્ટલ થકી વિજાણુ માધ્યમથી પૂરા પાડવામાં આવે છે. એટલે હવે આશ્રમ ગાંધી સંશોધનનું આંતરરાષ્ટ્રીય હબ ન બની શકે ?
ગાંધી આશ્રમ અભ્યાસીઓ અને સંશોધકો માટે એકઠા થવાનું, મળવાનું, કામ કરવાનું, એકબીજાને મળવાનું, માહિતીની આપ-લે કરવાનું, ચર્ચા કરવા માટેનું દુનિયાનું સહુથી મહત્ત્વનું સ્થળ બની શકે. આવું સ્થળ ગાંધી વિચારના નિષ્ણાતોના પરસ્પર સંપર્ક ઘનિષ્ઠ બનાવે, ગાંધી પરનો સર્વોચ્ચ ગુણવત્તા ધરાવતો અભ્યાસ અહીં થઈ શકે. આ એવી જગ્યા ન બની શકે કે જ્યાં દુનિયાભરના અભ્યાસીઓ-સંશોધકો આવે અને બાહોશ સ્થાનિક વિદ્વાનો તેમ જ કર્મશીલો સાથે કામ કરે, એકાબીજા પાસેથી પ્રેરણા મેળવે?
ધ્યાનમાં રહે કે દસ્તાવેજો મળવા અને કાર્યરત સમવિચારીઓનું એકબીજાને એક સ્થળે મળવું એ બંને જુદી બાબતો છે. કોઈ જગ્યા સાદું વિદ્યાકીય ગ્રંથાલય અને આર્કાઇવ પૂરાં પાડી શકે. એ આશ્રમ પણ પૂરાં પાડે જ છે. પણ મહત્ત્વનું છે તે ગાંધી નામનું અદ્દભુત, અજોડ વાતાવરણ – એ આ ભારતના સાબરમતી આશ્રમમાં છે. એટલે આશ્રમ થકી ભારત દુનિયા માટે સત્ય અને અહિંસાના શોધક તરફનો પ્રકાશસ્તંભ બની શકે.
અનુવાદ : સંજય સ્વાતિ ભાવે
[આ લેખના એક લેખક થૉમસ વેબરે ‘ઑન ધ સૉલ્ટ માર્ચ : ધ હિસ્ટોરિઓગ્રાફી ઑફ ગાંધીઝ માર્ચ ટુ દાંડી’ પુસ્તક લખ્યું છે. ચાર્લ્સ ડિસાલ્વો ‘ધ મૅન બિફોર ધ મહાત્મા : એમ.કે ગાંધી ઍટર્ની ઍટ લૉ’ પુસ્તકના અને ડેનિસ ડાલ્ટન ‘મહાત્મા ગાંધી : નૉનવાયોલન્ટ પાવર ઇન ઍક્શન’ પુસ્તકના લેખક છે.]
સૌજન્ય : “ધ ઇન્ડિયન એક્સપ્રેસ”, 25 ઑગસ્ટ 2021
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2021; પૃ. 06-07