સૌપ્રથમ તો આપણે જે લોકો મૃત્યુ પામ્યા છે અને જેમનાં મૃત્યુને આપણે માન્યતા નથી આપતા, તેમની માફી માગીએ. આ માફી માત્ર મારા એકલાની નથી. મે મહિનામાં મેં એક લેખ લખેલો. તે દિવસોમાં સંસદભવન કામ નહોતું કરતું, તો આપણી ફરિયાદો ક્યાં લઈ જવી, કોણ હતું, જેને આપણે કહી શકીએ? મારા ભા.જ.પા.ના મિત્રો અને અન્ય સહકર્મીઓએ મારી સાથે વાત કરી, મને અભિનંદન આપ્યા. મેં તે સ્વીકાર્યા અને કહ્યું કે એ આ ભવનની જવાબદારી છે કે તેમની માફી માગે, જેમનાં શરીરો ગંગામાં તરતાં હતાં.
સંસદના ઇતિહાસમાં આવું ક્યારે ય નથી બન્યું કે તેની બે બેઠકોની વચ્ચેના સમયમાં આપણે પચાસથી વધુ સભ્યો માટે શોકસંદેશા વાંચ્યા હોય. શું રાજીવ સાતવની ઉંમર આ દુનિયા છોડી જવાની હતી ? તેવું જ રઘુનાથ મોહપાત્રા માટે ? જ્યારે પણ તે મળતા, ત્યારે ભેટતા અને ‘જય – જગન્નાથ’ બોલતા. અચાનક તેઓ ક્યાં ય નથી. આ દુઃખ વ્યક્તિગત છે, હું આંકડાઓ વિષે વાત કરવા નથી માગતો. મારા આંકડા કે તમારા આંકડા. હું ઇચ્છું છું કે તમારા દુઃખમાં એ આંકડાઓને જુઓ. તમારા દુઃખના આંકડાની ગણતરી કરો.
આ દેશની એવી કોઈ વ્યક્તિ નથી, આ ભવનમાં, આ રાજ્યસભા ભવનની બહાર કે પેલા સંસદ ભવનની બહાર, જે કહી શકે કે તેણે પોતાની જાણમાં હોય તેવી કોઈ વ્યક્તિને નથી ખોઈ. હું એ વેદનાની વાત તમને કરું છું. લોકો ઑક્સિજન માંગતા હતા. આપણે તેની વ્યવસ્થા ન કરી શક્યા. લોકોએ વિચાર્યું કે તે સાંસદ છે, તે ઑક્સિજનની વ્યવસ્થા કરી શકશે. એક સો ફોન કૉલ્સ આવ્યા અને આપણે બે કે ત્રણમાં સફળ થયા. કોણ આપણને એ આંકડાઓ આપી શકશે? આપણે કોઈ આંકડા વિષે વાત નથી કરવી. આપણે એ જોવું છે કે જે ગયા તેઓ તેમની પાછળ આપણી નિષ્ફળતાનો પુરાવો છોડતા ગયા છે.
૧૯૪૭થી આજ સુધીની સરકારોની આ સામૂહિક નિષ્ફળતા છે. આપણે શું કર્યું? મને ઑક્સિજન અને હૉસ્પિટલો વચ્ચેના સંબંધની ખબર નથી. હું આ વાત પૂરી પ્રામાણિકતાથી કહું છું. હું મેડિકલ ક્ષેત્રમાંથી નથી આવતો. હું લોકોને ઑક્સિજન, રેમડેસિવિર વિષે વાતો કરતા સાંભળતો રહ્યો. પહેલાં તો હું આ દવાઓનાં નામોનો ઉચ્ચાર કેવી રીતે થાય તે સમજ્યો, જેથી હું મોટેથી એ વિષે વાત કરી શકું. આ પરિસ્થિતિ છે અને આપણે આંકડાની વાતો કરીએ છીએ?
બહાર જાહેરાતનું એક મોટું પાટિયું લગાવ્યું છે, જે કહે છેઃ ‘મફત વૅક્સિન, મફત રાશન, મફત સારવાર.’ હું આ વાત કોઈ પક્ષના સભ્ય તરીકે નથી બોલતો. હું એ લાખો લોકો વતી બોલું છું, જે ઇચ્છે છે કે તેમને અહીંયાં કોઈક સાંભળે. આપણે આપણી રાજ્યવ્યવસ્થાને કલ્યાણરાજ્ય કહીએ છીએ, બરાબર ? ભારતના કોઈ ગામડામાં કોઈ એક ગરીબ વ્યક્તિ સાબુની એક ગોટી ખરીદે છે, ત્યારે તે એટલો જ કરદાતા છે, જેટલા અદાણી કે અંબાણી છે. તમે તેને એમ કહો છો કે આ વૅક્સિન મફત છે? મફત સીધુંસામાન છે? મફત સારવાર છે? કશુંયે મફત નથી. તેનો એમાં હિસ્સો છે જ. આ કલ્યાણરાજ્યની બાંહેધરી છે. તે માણસને બદનામ ન કરો, હલકો ન કરો, તેને નાનો ન બનાવો. આ મારી વિનંતી છે.
જેવું અગાઉના વક્તાઓ કહી ગયા, કોરોનાવાઇરસ આપણે માટે પડકાર છે. નવા કાયદાઓ વિષે બહુ મોટી-મોટી વાતો થાય છે. શા માટે આપણે સ્વાસ્થ્યના હકની વાત નથી કરતા? તેમાં કોઈ ‘જો’, ‘તો’ કે ‘આવું હશે તો’ .. જેવા શબ્દો વચ્ચે લાવ્યા વગર સીધીસરળ વાત કરીએ. એ સીધોસટ્ટ આરોગ્યનો હક છે, જેની બંધારણે ખાતરી આપી છે. તેને જીવન જીવવાના અધિકાર સાથે જોડો. કોઈ હૉસ્પિટલની તાકાત નથી કે જીવન જીવવાના હક સાથે ચેડાં કરે. આપણે એવું કરવા નથી માગતા. રોજગારીનો હક, તેના પર કામ કરીએ. વસ્તીની સંખ્યા વિષે ઘણી વાતો થઈ. વસ્તીના આંકડાઓના વિશ્લેષણની વાત આંકડાશાસ્ત્રીઓ પર છોડી દઈએ. પણ આપણે આ સભામાં કે લોકસભામાં આ કામ કરી શકીએ. જીવવાના અધિકારનો અને રોજગારીના અધિકારનો કાયદો લાવો. મહામારીના સમયમાં બહુ લોકોએ પોતાની નોકરી ગુમાવી. મેં તેની સામે સતત અવાજ ઉઠાવ્યો, પણ કોઈ સાંભળતું નથી. જો તમે પણ એક સંસદસભ્યને નથી સાંભળતા તો એ કરારબદ્ધ કામદારો, જેમને તગડી મૂક્યા છે, તેમને તો કોણ સાંભળશે?
આ સમયમાં ઘણી અપ્રિય ઘટનાઓ બની કે જ્યારે હૉસ્પિટલોમાં આઇ.સી.યુ. પથારીઓ, દવાઓ બાબતે અંધાધૂંધી હતી, ત્યારે ઘણી બાબતો બની, જેમાંની એકની હું વાત કરીશ. એ અંધાધૂંધીમાં સરકારો ગૂમ થયેલી હતી. હું એકલી કેંદ્ર સરકારની વાત નથી કરતો, ઘણી રાજ્ય સરકારો પણ તેમાં સામેલ હતી .. કેવી રીતે આ દેશ એ દોઢ મહિનો જીવ્યો, જેમાં આ સંસદના કેટલાક સદસ્યો પણ હતા, જે પોતાનું જીવન ટકાવી રાખવામાં સફળ થયા. એ વાત દુઃસ્વપ્ન જેવી લાગે છે. મારો એક વિદ્યાર્થી ૩૭ વર્ષનો હતો. હું તેના માટે હૉસ્પિટલમાં પથારીની ગોઠવણ કરું ત્યાં સુધીમાં તો એ દુનિયા છોડી ગયો હતો. હું વારંવાર કહું છું, કારણ કે કે હું ઇચ્છું છું કે તમે તમારાં અંગત દુઃખોની શોધ કરો. એવું કરશો, ત્યારે જ તમે આનો ઉકેલ શોધી શકશો.
હું કશુંયે કરવા સક્ષમ નહોતો. જે લોકો આ જગતને છોડીને ગયા, તેમને મેં એક પત્ર લખ્યો છે. તેમાં મેં સરકારને કેટલીક સલાહો આપેલી. તે વખતે એવું કહેવાયેલું કે સરકાર નહીં, સિસ્ટમ નપાસ થઈ છે. સાહેબ, મને કહેશો કે આ સિસ્ટમ કોણ છે? બાળપણથી આપણે સાંભળતા આવ્યા છીએ કે સિસ્ટમની પાછળ માણસ રહેલો હોય છે, સિસ્ટમની પાછળ કલ્પના હોય છે. જ્યારે દિલ્હી કે ગામડાંની કોઈ ગલીમાં સિસ્ટમ નપાસ થાય છે, ત્યારે તે વિસ્તારની સરકાર નપાસ થાય છે. એમ ન કહો કે સિસ્ટમ નપાસ થઈ. એમ કહો કે એ નપાસ થયો, જેણે સિસ્ટમ બનાવી.
આજે ‘જયહિન્દ’ બોલવાથીયે એવો આનંદ નથી આવતો, જેવો સામાન્ય દિવસોમાં આવતો હતો. મેં એક પણ વાર ફરિયાદ નથી કરી. કોઈને પણ નહીં. હું કોને ફરિયાદ કરી શકું? મને દુઃખ થાય છે. હું ઇચ્છું છું કે હું જાગું અને તમને પણ જગાડું. ગંગા નદીમાં તરતાં એ શરીરો … જો જિંદગીને ગૌરવની જરૂર હોય, તો મોતને તો વધુ મોટા ગૌરવની જરૂર છે. આપણે ગૌરવહીન મોત જોયાં. અને જો આપણે તેને ધ્યાનમાં નહીં લઈએ તો ભાવિ પેઢી આપણને માફ નહીં કરે. તમે ‘આભાર આ માટે’ કે ‘આભાર તે માટે’ કહેવા માટે સમાચારપત્રનાં ચાર પાનાં ભરીને મસમોટી જાહેરાત છપાવી. આપણને એ તક મળવી જોઈતી હતી કે ઇતિહાસ તમારો આભાર માને. જો કોઈને મારાં વચનોથી દુઃખ થયું હોય તો, હું જે લાખો માણસો મૃત્યુ પામ્યાં છે, તે બધા વતી માફી માગું છું.
અનુવાદ : મુનિ દવે
આર.જે.ડી. સાંસદ મનોજ ઝાએ રાજ્યસભામાં ૨૦મી જુલાઈએ આપેલું પ્રવચન (૨૬ જુલાઈ ૨૦૨૧ના ‘ઈન્ડિયન એક્સપ્રેસ’માંથી સાભાર)
સૌજન્ય : “નિરીક્ષક” 01 ઑગસ્ટ 2021; પૃ. 01-02