પૃથ્વી પર અહમ્-કાર અથવા હું-કાર વિનાની મનુષ્યવ્યક્તિ ન મળે. દુર્વાસા ક્રોધી હતો પણ મહા અહંકારી નથી લાગતો? રાવણનો અહંકાર અસીમ હતો. ઢૉંગી બાવાઓમાં અહંકારી ઘણા મળી આવતા હોય છે. અહંકારી કોઈ કોઈ સ્ત્રીઓ પણ હોય છે, એમને સરળતાથી નથી જીતી શકાતી. અરે, નિર્દોષ બાળક પણ ના પાડવી હોય ત્યારે ઝટકાથી ડોકું ધુણાવે છે.
કહેવાયું છે તે સાચું છે કે અહંકાર માણસની કરોડરજ્જુ છે. એને કારણે એ ટટાર ઊભો રહી શકે છે. એના જોરે એ જીવન જીવતો હોય છે. અહંકારને કાઢી નાખો તો માણસ ઢીલી માટીના લૉંદા જેવો થઈ જાય. અહંકાર છે, તો માણસ છે.
મારા મન્તવ્ય પ્રમાણે, સમ્બન્ધોમાં વ્યક્તિની જો કોઇ તાકાત, લાયકાત, કે ઓળખ હોય, તો તે અહંકાર છે.
અહંકારને હું હ્યુમન કનેક્શન્સનું પાવરહાઉસ ગણું છું. સમ્બન્ધોના દીવા મૂળે તો એનાથી ઝળહળતા હોય છે.
ફ્રૅન્ચ ફિલસૂફ રેને દેકાર્તે કહેલું – આઈ થિન્ક ધેરફર આઈ ઍમ – હું વિચારું છું એટલે છું. આપણી પરમ્પરામાં આ વચન પ્રચલિત છે – અહમ્ બ્રહ્માસ્મિ – હું બ્રહ્મ છું. આ બન્ને વચનો જુદા જુદા છેડેથી છે. એનો ફિલસૂફીપરક મહિમા અપાર છે. પણ બન્ને વચનોથી સાર જે મળે છે તે એ કે હું ફિલસૂફીના કેન્દ્રમાં છે ને હું-નો પણ મહિમા અપાર છે.
દેકાર્તે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે આપણે શંકા કરતા હોઈએ ત્યારે આપણને આપણા વિશે શંકા નથી હોતી. સાચી વાત, જુઓ ને, શંકા કરે છે ત્યારે માણસ શું કરે છે? વિચારે છે ! વિચારવાથી માણસને ભરોંસો પડે છે કે પોતે, છે. સૂચવાય છે એમ કે દરેક હું પોતાને વિશે સદાસર્વદા શ્યૉર હોય છે, કેમ કે ત્યારે તે વિચારતો હોય છે.
ગીતામાં કહ્યું છે – સંશયાત્મા વિનશ્યતિ. પણ દેકાર્તમાં તો સંશય જ્ઞાનપ્રાપ્તિની મૂળભૂત ભૂમિકા બને છે. આ વચનનો પશ્ચિમના દેશોમાં ઘણા સમય સુધી પ્રભાવ રહ્યો હતો. દેકાર્ત ૧૭-મી સદીમાં થઈ ગયા. ૧૭-મી ૧૮-મી સદી માનવસંસ્કૃતિના ઇતિહાસમાં પ્રબોધનકાળ કહેવાય છે – એજ ઑફ ઍન્લાઇટન્મૅન્ટ. જાતે વિચારવું. તર્કશક્તિનો આશ્રય કરવો. પ્રશ્નવૃત્તિ કેળવવી, પૂછવું. અન્ય પ્રમાણો ઉપરાન્ત, ઈન્દ્રિયબોધને પણ પ્રમાણ ગણવું. વગેરે વગેરે.
પોતાના અને આસપાસનાંઓનાં જીવનોનો કર્તાહર્તા હું છે. ફિલસૂફી ન ડ્હૉળું પણ વ્યવહારુ વાતો કરું :
અમથાલાલ વર રૂપે જીવકોર જોડે આજીવન બંધાયેલો છે, પણ જીવકોરને બદચલન ગણે છે, જાતભાતની શંકાઓ કરે છે. જો કે તે-તે વખતે અમથાલાલ પોતાને વિશે પૂરો ચૉક્કસ હોય છે, એને ભાન હોય છે કે પોતે શું કરી રહ્યો છે. ત્યારે એને તર્કની જરૂર જરા ય નહીં. પૂછો તો તમને સામો પૂછે – એ શી બલા છે?
પણ પ્રવીણ વિદ્યાર્થી રવિશંકર માસ્તરને સવાલ કરે એમાં તર્ક હોય છે, તીવ્ર, ક્યારેક તો માસ્તરને માથું ખંજવાળવું પડે. મનોમન રવિશંકર પ્રવીણ જોડે કચવાઈને પણ કાયમ માટે જોડાઈ જાય છે. પ્રવીણ પણ એમને ભૂલતો નથી. બન્નેના હું એકબીજાને પામી ગયા હોય છે.
બૉયફ્રૅન્ડ-ગર્લફ્રૅન્ડ આમ જ જોડાયેલાં હોય છે. એમને તર્કની કે વિચારની જરૂરત પડતી જ નથી. પતિના હું-ને પત્ની પોતાનો કરી લે અને પતિ પત્નીનાને, તો જગતના ઘણા પ્રશ્નો પતી જાય. પણ હું-થી હું ટકારાય તો શું થાય? કોઈ એક હું ભાંગી જાય. અથવા જો બે, તો જીવનનો આનન્દ આઘો ને આઘો રહે.
અહંકારથી મુક્ત થવાની વાત બહુ થતી હોય છે. આમ તો એ વાત વાત જ હોય છે. જો કે લોકો જરૂર કહેતા હોય છે – એ તો અહંકારી છે, પડતો મેલો, નહીં ફાવે – એ તો આખો વખત હું હું બહુ કરે છે, જવા દો, ભૂલી જાઓ. અહંકારને લીધે જ સમ્બન્ધો નથી થતા, હોય તે, અહંકારને લીધે જ તૂટી જાય છે. હું-કાર સમ્બન્ધ સાધે, તેમ તોડે !
લગ્નના ઇન્ટર્વ્યૂમાં રમાએ રમેશને તાતા તીર જેવા એટલા બધા પ્રશ્ન કર્યા કે રમેશે સામેથી ના પાડી દીધી. માણસ પ્રાર્થના કરે કે – અંતર મમ વિકસિત કરો, પણ એમાં એના હું-ની ગેરહાજરી હોય તો? વિકસિત નહીં થાય, અંતર જેમનું તેમ રહેશે, ઠૂંઠવાયેલું. વાર્તાકારો પોતાના નાયકના હું-ની વ્યાપ્તિ ઇચ્છતા હોય છે પણ એ બાપડો નાયિકામાં ગૂંચવાયેલો સીમિત રહી ગયો હોય છે.
હું-ને કોરાણે મૂકીને માણસ કશું મેળવવા જાય તો દયાપાત્ર થઈ જાય છે. ’સરસ્વતીચન્દ્ર’-માં અતિ કાયર અને તેથી કરુણ રટણ કોઈ હોય તો તે આ છે – પ્રમાદધન મુજ સ્વામી સાચા, પ્રમાદધન મુજ સ્વામી સાચા. સમાજમાં એના જેવી જ એક નમાલી સલાહ છે – પડ્યું પાનું નભાવી લે. સાચી સલાહ છે – છૂટે ના તો ફગાવી દે.
હું-ને દબાવીને, ગૂંગળાવીને કે અરધુંપરધું જીવતું રાખીને નથી જિવાતું. જિવાશે તો પણ, માંદલું માંદલું. સ્વસ્થ પ્રફુલ્લિત હું જ જીવનજંગ જિતાડે છે.
શૈશવથી માંડીને સમજણો થાય ત્યાં સુધીમાં માણસ સારું-નરસું ઘણું શીખી લેતો હોય છે. સંજોગવશાત્ મળેલી કે પેરવીઓ કરીને મેળવેલી નાની-મોટી સફળતાઓ કોઈ કોઈને અહંકારી બનાવી દે છે. ઘણા કલાકારો એટલે જ અકડુ જોવા મળે છે. ઇનામ-ઍવૉર્ડ મળી ગયા પછી કેટલાક સાહિત્યકારો એટલા ઊંચે ચડી જાય છે કે હાથ નથી આવતા.
નમેલી સુન્દર દેખાતી યુવતી
Picture Courtesy : Alamy :
અહંકારી જીવ ક્રમે ક્રમે સ્વકેન્દ્રી બની જાય છે. પોતાના વર્તુળને વિસ્તારવા દિવસ રાત એક કરે છે. એ કામમાં કામ આવે એવા બેચારની ટોળકી બનાવે છે. પણ ત્યારે એને ભાન નથી રહેતું કે એના એ વર્તુળની ધારો બીજાઓને અડતીનડતી ને કાપતી હોય છે. છેલ્લે તો અહંકારના પોતે જ રચેલા કિલ્લામાં એ કેદ થઈ જાય છે. એને કેદ જોઈને આસપાસનાંને દયા આવે છે, સૂગ થાય છે. ઘરનાં તો ખરાં, લોક પણ પસંદ નથી કરતું.
એવાઓને અભિમાની કહેવાય છે. પણ એ જુદું કહે છે – હું સ્વાભિમાની છું. એની ટોળકીવાળા એને નિરભિમાની ગણે છે. એણે કશો સમુદાર માનવીય પુરુષાર્થ નથી કર્યો હોતો તો પણ એ અજાતશત્રુ કહેવાય છે. હકીકતે એ અજાતમિત્ર હોય છે. પાસે કોઈ આવે તો અભિમાનની પૂંછડીથી વાનર-સપાટો લગાવે છે. સપાટો ખાધેલો જણ સૌને ચેતવે છે – એની પાસે ફરકતા નહીં, એને તો પૂંછડી છે …
આમ જુઓ તો, હું એટલે શું? એક ચૉરસમાં બીજા ચાર નાના ચૉરસ હોય છે. એ દરેક ચારને એક વધુ વાર કાપો, ફરી કાપો, ફરી કાપો, સમજાશે કે એક જ ચૉરસ કેટલા બધા ચૉરસોનો બન્યો હોય છે. હું-નું પણ એમ જ છે. આસપાસનાંઓ સાથેની અનેક વાતોનો, સાધકબાધક કેટલીયે ઘટનાઓનો, હું સરવાળો હોય છે. જાતે ઘણું વિચારે પણ એની વિચારસૃષ્ટિમાં બીજાઓના વિચારોનું સંમિશ્રણ હોય છે. જીવે જાતે, પણ બીજાંઓના દૃશ્ય-અદૃશ્ય સાથસંગાથમાં … પોતે અનેકોથી છે એવું જો એનામાં ભાન જાગે તો સૌ સાથે સમ્બન્ધાઈ શકે, હોય એ સમ્બન્ધોને ચિરંજિવી બનાવી શકે.
અહંકાર કરોડરજ્જુ છે પણ યાદ રહે કે એ એકથી વધુ મણકાઓની બનેલી છે. યાદ રહે કે કાયમ ટટાર રહેવાથી મણકા ઘસાઈ જાય છે, થાકી જવાય છે, બેસી પડાય છે. યાદ રહે કે વળવાથી કે નમી જવાથી હમેશાં સારું લાગે છે, સુન્દર દેખાઈએ છીએ – આસપાસનાંઓને તો, ખાસ …
= = =
(May 25, 2021: USA)