ગુજરાતની સરકારના સ્વાસ્થ્યસેવાઓના પ્રધાન અને ગુજરાતના ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે ૩ માર્ચ, ૨૦૨૧માં દાવો કર્યો હતો કે અન્ય રાજ્યોમાં દરદીઓને ખુલ્લા મેદાનમાં રાખવામાં આવ્યા છે. પણ ગુજરાતમાં સ્વાસ્થ્યસેવાઓના ઝડપી વધારાને કારણે એવી સ્થિતિ આવી નથી. આ દાવો વધારે પડતો હતો. ફેબ્રુઆરીમાં શરૂ થયેલા કોરોનામાં બીજા દોરમાં ગુજરાતમાં કોરોનાના દરદીઓને હૉસ્પિટલમાં પથારીઓ મળી ન હતી. જીવનરક્ષક ઔષધિ મળી ન હતી, ઑક્સિજન પૂરો પાડવાનો પ્રશ્ન સમગ્ર રાજ્યમાં ઊભો થયો હતો. સમાજના અગ્રવર્ગો પણ આરોગ્યસેવાઓ મેળવી શક્યા ન હતા. સ્વાસ્થ્યસેવાઓનું માળખું એવું નથી કે એમાં સામાન્ય સુધારા કરવાથી તેને જરૂરિયાત પ્રમાણે સુધારી શકાય.
સરકારી હૉસ્પિટલોમાં પથારીઓની બાબતમાં ભારતનાં રાજ્યોમાં ગુજરાત બદતર સ્થિતિમાં છે. ઉપલબ્ધ આંકડા પ્રમાણે સમગ્ર દેશમાં એક લાખની વસ્તીએ ૧૩૮ પથારીઓ છે, પણ ગુજરાતમાં એ સંખ્યા ૧૦૦ કરતાં ઓછી છે. ગુજરાત કરતાં સામાજિક અને આર્થિક રીતે પછાત રાજ્યો રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં એ સંખ્યા અનુક્રમે ૧૨૩ અને ૧૩૦ છે.
ગુજરાતમાં આ ઊણપ ઓછી કરવાને બદલે સ્વાસ્થ્યસેવાઓ પાછળના ખર્ચમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ૨૦૨૧-૨૨ બજેટમાં ફાળવવામાં રૂપિયા ૯૧૪ કરોડ ફાળવવામાં આવ્યા હતા પણ ૨૦૨૧-૨૨ના વર્ષમાં સ્વાસ્થ્યસેવાઓ પાછળ ૮૫૬ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, જે માથા દીઠ રૂપિયા ૧૫૦થી ઓછા થાય છે. એની સરખામણીમાં બિહાર જેવા પછાત રાજ્યમાં વધારે રૂપિયા ખર્ચવામાં આવ્યા હતાં. ગુજરાતના સ્વાસ્થ્ય અને કુટુંબકલ્યાણ માટેના ૨૦૨૧-૨૨ના બજેટમાં રૂપિયા ૧૧,૩૨૩ કરોડ આવ્યા હતા. આનો અર્થ એવો થાય કે ગુજરાતમાં તેની રાષ્ટ્રીય આવકના ૦.૭ ટકા ખર્ચવામાં આવ્યા હતાં. આનો અર્થ એવો થાય કે ગુજરાતમાં સરકાર સ્વાસ્થ્યસેવાઓ પાછળ રોજના માથા દીઠ રૂપિયા પાંચ કરતાં ઓછું ખર્ચ કરે છે. ગુજરાતમાં ૨૦૧૮-૧૯ના વર્ષમાં સ્વાસ્થ્યસેવા માટેનું ખર્ચ ૫.૩૪ ટકા હતું. તે ૨૦૨૧-૨૨માં ૪.૮ ટકા થયું. આદર્શ એવો રજૂ કરવામાં આવે છે કે અંદાજપત્રમાં ૮ ટકા જેટલું ખર્ચ સ્વાસ્થ્યસેવાઓ પાછળ કરવું જોઈએ.
ગુજરાતમાં ૧૯૯૧માં દેશમાં અપનાવવામાં આવેલી ઉદારીકરણની નીતિની સાથે સ્વાસ્થ્યસેવાઓમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેને કારણે તે દેશનાં ‘બિમારુ’ રાજ્યોની હરોળમાં આવી ગયું છે, પણ ઉદારીકરણ માટેનું સૌથી અયોગ્ય ક્ષેત્ર સ્વાસ્થ્ય-સેવાઓ છે.
ઍલોપથી પર આધારિત આધુનિક તબીબીશાસ્ત્રે ચમત્કારો સર્જ્યા છે. પણ તે સાથે તે અત્યંત ખર્ચાળ થઈ ગયું છે. માત્ર તબીબીશાસ્ત્ર નહીં પણ એની સાથે સંકળાયેલો દવાઉદ્યોગ પણ અત્યંત મોંઘો થઈ ગયો છે. દવાઉદ્યોગમાં સંશોધન માટે ઘણું ખર્ચ કરવામાં આવે છે તે સાચું, પણ તેને આધાર બનાવીને ઘણાં વર્ષો સુધી ઉત્પાદનખર્ચની તુલનામાં ભારે કિંમત વસૂલ કરવામાં આવે છે. બીજી બાજુ ખાનગી હૉસ્પિટલો ફાઇવસ્ટાર હોટલ જેટલી સગવડો દરદીને આપે છે. પણ તેની કિંમત વસૂલ કરવામાં આવે છે. દરદીઓના હિતના નામે તબીબી શિક્ષણને બહુ લાંબું અને ખર્ચાળ કરવામાં આવ્યું છે. એના કારણે ડૉક્ટર થનાર મોટી આવકની અપેક્ષા રાખતો થઈ જાય છે. ટૂંકમાં, આધુનિક તબીબી સારવાર સાથે સંકળાયેલાં બધાં જ પરિબળો એને અત્યંત વૈભવી બનાવે છે.
આને કારણે અમેરિકા અને યુરોપ જેવા સમૃદ્ધ દેશોમાં પણ સામાન્ય કુટુંબને પરવડે એ કિંમતે આરોગ્યસેવાઓ પ્રાપ્ત થાય તે દિશામાં ગોઠવણો કરવામાં આવી છે. દા.ત. ઇંગ્લૅન્ડમાં સ્વાસ્થ્યસેવાઓ રાજ્ય દ્વારા મફત પૂરી પાડવામાં આવે છે. યુરોપના કેટલાક અન્ય દેશોમાં પણ સ્વાસ્થ્યસેવાઓ રાજ્ય પૂરી પાડે છે. અમેરિકા જેવા સંપૂર્ણપણે ખાનગી સાહસને વરેલા દેશમાં તબીબી સારવાર ખાનગી રાખવામાં આવી છે. પણ તબીબી વીમાપ્રથા દ્વારા તેને સામાન્ય કુટુંબને પરવડે એવો ઘાટ આપવામાં આવ્યો છે. આખરે તો વીમાની પ્રથામાં તબીબી સારવારનો બોજો દરદીઓ ઉપર પડે છે, આ મૉડલ સફળ થયું નથી. તબીબી સારવારનું ખર્ચ વધતાં તબીબી-સારવાર મોંઘી થાય છે અને તે સાથે મેડિક્લેમનાં પ્રીમિયમ વધતાં જાય છે. તેથી ઘણાં કુટુંબો મેડિક્લેમનો લાભ લઈ શકતાં નથી. પણ અમેરિકાએ એવી નીતિ સ્વીકારી છે કે જે લોકો તબીબી સારવાર પોતાનાં ખર્ચે લઈ શકે તેમ ના હોય તેમને રાજ્ય દ્વારા એ સેવા પૂરી પાડવામાં આવે છે. ટૂંકમાં, નાણાંના અભાવે કોઈ કુટુંબ સ્વાસ્થ્યસેવાથી વંચિત રહેતું નથી.
આ સંદર્ભમાં આપણે ગુજરાત જેવા દેશના સમૃદ્ધ રાજ્યની સ્વાસ્થ્યસેવા માટેની નીતિને તપાસવી જોઈએ. ગુજરાતમાં કૉર્પોરેટ હૉસ્પિટલોને ભારે ઉત્તેજન આપવામાં આવ્યું છે. આ હૉસ્પિટલો અત્યંત ખર્ચાળ છે. તેમાં સારવાર લેવાનું સામાન્ય માણસના ગજાબહારનું છે. કોરોનાના બીજા મોજામાં અસંખ્ય લોકોને આ ખાનગી હૉસ્પિટલો કેટલી વૈભવી છે, તેનો પ્રત્યક્ષ અનુભવ થયો છે. કોરોનાના દરદીઓને લાખોનાં બીલ ચૂકવવાનાં થયાં હોય તેવા ઘણાં પ્રસંગો બન્યા છે. માણસ પોતાનો જીવ બચાવવા માટે પોતાના ગજાબહારનું દેવું પણ કરે. પણ રાજ્યે જોવું જોઈએ કે સામાન્ય માણસ પણ તબીબી સારવારથી વંચિત ના રહે.
નોંધ : બિમારુ રાજ્યોમાં બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. ભારતીય અર્થશાસ્ત્રીઓની ચર્ચામાં આ એક સ્થાપિત શબ્દપ્રયોગ થયો છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2021; પૃ. 02