હમ દુશ્મન કો
ઉસકે ઘરમે જાકર
મારેંગે !
(તાળીઓ અને ચિચિયારીઓ)
કોરોના પોતાના જ ઘરમાં
ઘૂસી
લોકોને મારી રહ્યો છે
(સન્નાટો અને અશ્રુધારા)
મહામારીનો એપ્રિલ
૨૫/૪/૨૧
હમ દુશ્મન કો
ઉસકે ઘરમે જાકર
મારેંગે !
(તાળીઓ અને ચિચિયારીઓ)
કોરોના પોતાના જ ઘરમાં
ઘૂસી
લોકોને મારી રહ્યો છે
(સન્નાટો અને અશ્રુધારા)
મહામારીનો એપ્રિલ
૨૫/૪/૨૧
સૌ પ્રથમ તો ૨૫ વર્ષ સુધી ઓપિનિયન મેગેઝીન અને ૪૦ વર્ષથી ગુજરાતી સાહિત્ય અકાદમીને જીવંત રાખી બ્રિટનમાં ગુજરાતી ભાષાને જાળવી રાખવા વિપુલભાઈએ જે ધૂણી ધખાવી છે તે બદલ હું તેમને અભિનંદન પાઠવું છું; અને મને આ બેઠકમાં બોલવા માટે મને આમન્ત્રણ આપ્યું તે બદલ પણ તેમનો આભાર માનું છું. ગૂગલની એક ડિક્ષનરીમાં ઓપિનિયન શબ્દના ૮૯ સમાનાર્થ શબ્દો આપ્યા છે. જે માટે ગુજરાતીમાં એવો એક જ શબ્દ મળવો મુશ્કેલ છે એટલે એ શીર્ષક ખૂબ વિચારપૂર્વક વિપુલભાઈએ ચૂંટ્યો છે, અને એને સાર્થક કરવા માટે ઓપિનિયનમાં વિવિધ પ્રકારની કૃતિઓ એમણે આપણને પીરસી છે. મારા માટે એક અગત્યની વાત એ છે કે એમની કૃતિઓમાં ભાગ્યે જ તમને જોડણીની ભૂલો જડશે. ભાતભાતની કૃતિઓના સંકલનમાં આવી ચીવટ રાખવામાં એમનો કેટલો સમય જતો હશે, તે હું કલ્પી શકું છું.
આજના વિષય પર આપણે જુદાં જુદાં વ્યક્તવ્યો સાંભળ્યાં, હવે હું તમને એ વિષય પર સચોટ અંગત દ્રષ્ટાંત આપવા માંગુ છું. મારી ૧૦ વર્ષની દીકરીએ મને એકવાર પૂછેલું, “હું ક્ચ્છી, ભાટિયા, ગુજરાતી, પટેલ, હિન્દુ, ઇન્ડિયન, ઇસ્ટ આફ્રિકન એશિયન કે પછી બ્રિટિશ છું?” આ પ્રશ્નમાં તેને કેટલી બધી ભૂમિઓનાં વારસા અને સંસ્કૃતિ મળ્યાં છે એ સમજાઈ જાય છે અને તેનો ડાયસ્પોરિક વિશ્વ કેટલું વિસ્તૃત છે તેનો ખ્યાલ આવે છે. તેના જવાબમાં મેં તેને કહ્યું હતું કે “તું એ બધું છે પણ અગત્યની વાત તો એ છે કે તું એક વ્યક્તિ પણ છે, જેની પોતાની એક આગવી ઓળખ છે.”
હવે એનાથી એક પેઢી આગળ જઈએ તો મારી દીકરી લોકડાઉનને લીધે ૧૫ મહિને મને બ્રિસ્ટલથી મળવા આવી ત્યારે મારી પાંચ વર્ષની દોહિત્રી, જેના પિતા અંગ્રેજ છે, તેણે મને કહ્યું, “નાની, આઈ ફીલ ઇન્ડિયન વેન આઈ કમ ટૂ યોર હાઉસ.” ત્યારે બીજી દીકરીનો પતિ ગ્રીક અમેરિકન છે એટલે એની દીકરીને ઉપર આપેલા બધા વારસ ઉપરાંત ગ્રીસ અને અમેરિકાની ભૂમિના વારસાઓ પણ મળ્યા છે. ૧૫ વર્ષની ઉંમરે આ વિવિધ વારસાને આવરી લેતું એક કાવ્ય પણ તેણે લખ્યું છે. આથી વધુ વિશાળ ડાયસ્પોરિક વિશ્વ કેવું હોઈ શકે?
ઓપિનિયનમાં આપણને ગુજરાતી લોકોના વિવિધ વારસાને આવરી લેતી કૃતિઓ વાંચવા મળે છે, પછી તે લેખ હોય, વાર્તા હોય, કાવ્ય હોય, અનુવાદ હોય, નાટક હોય, વીડિયો હોય કે છબીઓ. પૂર્વ આફ્રિકામાં પહેલવહેલાં જે ગુજરાતીઓ સ્થાયી થયાં તેમાં ભાગ્યે જ કોઈ મેટ્રિક સુધી ભણેલો હશે. અને ત્યારે નવા પ્રદેશમાં સ્થાયી થવામાં પડતી મુશ્કેલીઓનો સામનો કરવાનો હોય ત્યારે પેટિડો ભરવા ફાંફા મારતાં લોકો પાસે એમના અનુભવો વિષે લખવાની ન તો હતી આવડત કે ન તો હતો અભરખો. પણ વિપુલભાઈએ ઓપિનિયનમાં પૂર્વ આફ્રિકાના ગુજરાતી વસાહિતોનાં અનુભવો અને તેમણે લીધેલી છબીઓ છાપીને એ ઇતિહાસને લેખિત રૂપ આપ્યું છે. વિશ્વમાં ભારતીય વસાહતનો ડાયસ્પોરા સૌથી મોટો છે. કોમનવેલ્થ દેશોમાંથી બ્રિટિશ નાગરિકતા ધરાવતાં લોકોને બાદ કર્યા પછી પણ ૧૮ કરોડ જેટલાં ભારતીય નાગરિકો ભારતની બહાર વસી રહ્યાં છે.
ક્યારેક એવું પણ બને કે અમુક માબાપોએ પોતાનાં બાળકોને વારસાની ભૂમિના સંસ્કારો ન પણ આપ્યા હોય, અથવા તો બાળકોએ તેને અવગણ્યા હોય, પણ એ સંસ્કારો કદી સંપૂર્ણપણે લુપ્ત થતા નથી. આનો દાખલો ઓપિનિયનના એક અંકમાં રંજના હરીશના સુંદરી નામની સ્ત્રી વિશે લખેલા લેખમાં જોવા મળે છે. સુંદરીનાં માતાપિતા ભારતથી મલેશિયા જઈને વસ્યાં હતાં, અને ત્યાંથી પછી અમેરિકા. તેમણે સુંદરીને ન તો ભારતની કે ન તો મલેશિયાની સંસ્કૃતિ વિશે કંઈ સમજાવ્યું હતું. સુંદરીને ત્રણ મહિના સુધી સતત એક જ સ્વપનું આવતું જેમાં તેને એક મહાકાય વાનર પોતાની પાસે બોલાવતો હતો પણ તે વાનર હનુમાન હતા તે વાતથી તે સાવ અજાણ હતી. તે નર્સ હતી એટલે જ્યારે તેની હોસ્પિટલમાં એક ભારતીય નારી દરદી થઈને આવી અને તે હનુમાન ભક્ત હોવાથી તેણે ખાટલા પાસેની ટેબલ પર હનુમાનની છબી મૂકી, ત્યારે એ દરદી સાથે વાત કરતાં સુંદરીએ હનુમાનની વાતો સાંભળી. ત્યાર બાદ એ હનુમાન ભક્ત બની મંદિરમાં એમના દર્શને જતી થઈ. આમ અનાયાસે પણ એના ભારતીય વારસાએ એને જકડી લીધી.
કહેવાય છે કે માતૃભાષા ન આવડતી હોય તો એ ભાષા સાથે સંકળાયેલી સંસ્કૃતિ નથી જળવાઈ શકતી. અમુક અંશે એ સાચું છે પણ બ્રિટનમાં જન્મેલાં ગુજરાતી ભાષા ન જાણવા છતાં અમુક બાળકો અને યુવાનોને મેં ગુજરાતી ભજનો અને ગીતો ગાતાં સાંભળ્યાં છે અને તેમના પર ગુજરાતી વારસાની અસર સ્પષ્ટ દેખાઈ આવે છે.
જો આ વિષય પર વધુ વિચારણા કરવી હોય તો ૨૮/૧૦/૨૦નો ઓપિનિયનમાં વિપુલભાઈએ લખેલો લેખ: ‘બાપીકા ઓરતા: વર્ણ અને વારસાની વાતડિયું’ વાંચવા સૂચવું છું, કેમ કે એમાં ગુજરાતીઓના સંકૂચિત માનસનો પણ ઉલ્લેખ કરેલો છે. એ લેખના સંદર્ભમાં મેં તેમને લખ્યું હતું કે ‘ગુજરાતીપણાની સંકૂચિતતા વિના હું તો ભાટિયા, કચ્છી, ગુજરાતી, ભારતીય, જંગબારી, યુગાન્ડન, અને કેનિયન – દરેક પ્રાંત કે ભૂમિના ઉચ્ચ ગુણોના પલ્લામાં બેસી જ્યારે પણ મોક્કો મળે ત્યારે તેમની જયગાથા માણી, બ્રિટિશપણામાં રાચું છું.’
અને આખરે ‘જય જગત’ના સંદર્ભમાં મારે ઉમાશંકર જોશીના કાવ્યની પંક્તિઓને થોડો વળાંક આપવો છે:
જે નહિ નહિ જ ગુજરાતી
જે હો કેવળ ગુજરાતી
એ તે કેવો ગુજરાતી
જે વસ્યો છે સાગરપાર
પછી ભલે હોય તે
આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એડન કે કેનેડા,
જાપાન, ન્યૂઝીલેન્ડ,પાકિસ્તાન, કે ફીજી,
બ્રિટન, મલેશિયા, મસ્કત કે મોરિશિયસ,
યુએસએ, હોંગકોંગ કે શ્રી લંકા,
અને એ વસાહતના દેશોનાં નામે તેની ન ઉછળે છાતી?
૧૮/૦૪/૨૦૨૧
(‘રજત રાણ પડાવે ઓપિનિયન’ અવસરે, “વારસાની ભૂમિ, ડાયસ્પોરા વિશ્વ જેમ જ ‘જય જગત’” નામક અવકાશી બેઠકમાં ‘વાચકસભા’ માંહેની રજૂઆત; રવિવાર, 18 ઍપ્રિલ 2021)
આંદોલનથી ઇતિહાસ બદલવા માટે જાણીતા ગુજરાતના સંજોગો સત્તાને ઓગાળનારા લાવા બનશે?
હો ગઇ હૈ પીર પર્વત સી – પિઘલની ચાહિએ, ઇસ હિમાલય સે કોઈ ગંગા નિકલની ચાહિયે
ગુજરાતમાં અત્યારે જે પરિસ્થિતિ છે તેની ચર્ચા કરવાનો પણ થાક લાગે તેવું છે. ઓળખીતા પાળખીતા સાથે અમસ્તી વાત કરવી હોય, તો પણ જરા વિચારવું પડે કારણ કે એવું થવાની પૂરી શક્યતા છે કે તેમણે કોઇ સ્વજન ગુમાવ્યું હોય અથવા તો રેઢિયાળ તંત્રની લાપરવાહીને પગલે સતત હેરાન થયા હોય. વાઇરસ તો પોતાનું કામ કટિબદ્ધતાથી કરી જ રહ્યો છે, લોકોનો ભોગ લેવાઇ રહ્યો છે પણ કમનસીબે તંત્રની વ્યવસ્થા ખાડે ગઇ છે. આમ તો આખા દેશમાં બધું હચમચી ગયું છે, પણ રાષ્ટ્રના વડા જે રાજ્યના હોય, જે રાજ્યને ‘મોડલ’ તરીકે કે આદર્શ રાજ્ય તરીકે સતત આગળ કરાયું હોય, ત્યાંની અરાજકતા આંખમાં કણાની જેમ નહીં પણ હ્રદયમાં ફાંસની જેમ ખૂંચે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. જે ગુજરાતના રસ્તાઓ બહુ જ સરસ છેના ગાણા ગાઇને સરકારને ટેકો આપનારા ખુશ થઇ જતા હતા તેઓ એ રસ્તા પર લાંબી કતારોમાં ઊભી રહેલી એમ્બ્યુલન્સ વિશે કંઇ કહી શકે તેમ નથી. પીડાનો અગ્નિ લાવા બની શકે છે ખરો? વાસ્તવિકતા એ પણ છે કે પીડાના બોજમાંથી અત્યારે તો કળ વળે એવી કોઇ વકી નથી પણ જ્યારે થશે ત્યારે સ્વજનોની ચિતાઓ જોઇને થાકેલી આંખો સત્તા સામે અંગારા ઓકતી થઇ શકે છે.
ગુજરાતના રાજકીય ઇતિહાસ પર નજર કરીએ તો એવું વર્તાય ખરું કે જ્યારે જનાક્રોશ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે ત્યારે સત્તાપલટો થયો છે અથવા તો જે તે પક્ષની પકડ ઢીલી પડી ગઇ છે. ૧૯૭૩માં મોરબી એન્જિનિયરિંગ કૉલેજના વિદ્યાર્થીઓના ફૂડ બિલમાં અસાધારણ વધારો થયો, ત્યારે તેનો વિરોધ કરવાની શરૂઆત કરી. આમ તો આ વિદ્યાર્થી આંદોલન જ હતું પણ તેને વ્યાપક સહકાર મળ્યો. વિદ્યાર્થી આંદોલન જનઆંદોલન બન્યું. આ આંદોલન સ્વાભાવિક રીતે જ પૂર્વ આયોજિત ન હતું. ગુજરાત એ રાજ્ય છે જ્યાં પહેલીવાર એવું આંદોલન થયું જેને કારણે મુખ્ય મંત્રીએ રાજીનામું આપવું પડ્યું હતું. નવ નિર્માણ આંદોલનને કારણે જ ગુજરાતમાં વિધાનસભા વિસર્જિત કરવી પડી હતી. મોરબીની કૉલેજની હૉસ્ટેલના ફૂડ બિલમાં ૨૦ ટકા વધારો કરાયો અને ૨૦મી ડિસેમ્બર ૧૯૭૩ના વિદ્યાર્થીઓએ પહેલી હડતાળ પાડી. જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં ગુજરાત યુનિવર્સિટીની બધી કૉલેજીઝે સજ્જડ બંધ જાહેર કર્યો અને એક અઠવાડિયામાં તો આખું રાજ્ય આ આંદોલનમાં જોડાઇ ગયું હતું. દિલ્હીના ઇન્દ્રાસન સુધી આ બંધનો રણકો પહોંચ્યો અને ત્રણ મહિનાના આ આંદોલનને પહેલા તો સરકારે હળવાશથી લીધું પણ જ્યારે સાન આવી ત્યારે ઘણું મોડું થઇ ચૂક્યું હતું. નવ નિર્માણ આંદોલનને પગલે ચીમન પટેલને મુખ્ય મંત્રીપદેથી છ મહિનામાં રાજીનામું આપવું પડ્યું હતું. સ્વતંત્ર ભારતનું આ પહેલું આંદોલન હતું જેમાં જનાક્રોશના વિરોધે ચૂંટાયેલી સરકાર હટાવી દીધી હતી. ચીમન પટેલના ભ્રષ્ટ શાસન અને રાજ્યસરકાર સામેનું આ આંદોલન ભલે વિદ્યાર્થીઓએ શરૂ કર્યું હતું પણ અંતે તેમાં સમાજના જુદા જુદા વર્ગના અને વ્યવસાયો સાથે સંકળાયેલા લોકો જોડાયા હતા. ૧૯૭૪ની સાલમાં આ આંદોલન અને વિરોધને પગલે ૪૪ શહેરોમાં કર્ફ્યુ લદાયો હતો અને રાજ્યમાં કાયદો તથા વ્યવસ્થા લશ્કરને સોંપાયાં હતાં.
ગુજરાતમાં જન આંદોલનને પગલે સરકાર બદલાઇ ગઇ હોય તેવો આ પહેલો કિસ્સો હતો પણ છેલ્લો નહીં. ૧૯૭૫માં કટોકટીના સમયે ડિસેમ્બર ૧૯૭૬માં માધવસિંહ સોલંકીને મુખ્ય મંત્રી બનાવાયા પણ કટોકટીનો અંત આવ્યો અને કેન્દ્રના સત્તા પલટાની અસર રાજ્યમાં પણ પડી અને જનતા મોરચાની સરકાર ૧૯૭૭માં સત્તા પર આવી. ગુજરાતનું કટોકટીમાં જે યોગદાન હતું તે વાત લાંબી છે એટલે અહીં તેની ચર્ચા ટાળીએ પણ ૧૯૮૦માં ઇંદિરા ગાંધી કેન્દ્રમાં ફરી આવ્યાં અને માધવસિંહ સોલંકી ફરી ગુજરાતમાં મુખ્ય મંત્રી બન્યા. આ વખતે તેઓ પાંચ વર્ષની આખી ટર્મ પૂરી કરી શક્યા અને ઇંદિરા ગાંધીની હત્યાને પગલે ૧૯૮૫ની ચૂંટણીમાં કૉન્ગ્રેસને ગુજરાતે ખોબલે ખોબલે મત આપ્યા અને ફરી એકવાર માધવસિંહ સોલંકી સત્તા પર આવ્યા જો કે અનામત આંદોલનની ઝાળ તેમના રાજીનામાનું કારણ બની. ચાર જ મહિનામાં અનામત આંદોલનને પગલે માધવસિંહ સોલંકીને રાજીનામું આપવું પડ્યું. અને અમરસિંહ ચૌધરીને મુખ્ય મંત્રી બનાવાયા અને ૧૯૯૦માં હાર કોટે ન વળગે તે માટે કૉન્ગ્રેસે ફરી માધવસિંહ સોલંકીને સત્તા પર બેસાડ્યા પણ ત્યારે કૉન્ગ્રેસ ન જીતી અને જનતાદળની સત્તા આવી. આ વખતે અયોધ્યાનો મુદ્દો ઉઠ્યો અને ભા.જ.પ.ના પ્રધાનોએ રાજીનામા આપ્યા, જનતાદળમાંથી ચીમનભાઇ કૉન્ગ્રેસ તરફ દોડ્યા અને જનતાદળ-કૉન્ગ્રેસ એક થઇ ગયા. કૉન્ગ્રેસથી કંટાળેલી પ્રજાએ ૧૯૯૫માં ભા.જ.પ.ને ગુજરાતનું સુકાન સોંપ્યું.
ભા.જ.પ.ના અંદરના વાંધા વચકામાં મુખ્ય મંત્રીઓ બદલાતા રહ્યા પણ કેશુભાઇ પટેલને ૧૯૯૫ પછી ફરી એકવાર ૧૯૯૮માં ગુજરાતના મુખ્ય મંત્રી પદે બેસાડાયા. કેશુભાઇ પટેલની સત્તા સામે અનેક ફરિયાદો ઊઠી. ૨૦૦૧માં ભૂકંપ આવ્યો અને ત્યારે ગુજરાતની તારાજી વચ્ચે કેશુભાઇનું ઇન્દ્રાસન પણ ડોલ્યું. તેમણે રાહત ભંડોળના દૂરઉપયોગ કર્યો હોવાના અવાજો ઉઠ્યા, ભ્રષ્ટાચારની ફરિયાદો થઇ અને રેઢિયાળ તંત્ર સામે પણ આંગળી ઊઠી. પેટા ચૂંટણીમાં પણ ભા.જ.પ.નો દેખાવ નબળો હતો. બે વાર મુખ્ય મંત્રી બન્યા પણ કેશુભાઇ પોતાનો કાર્યકાળ પૂરો ન કરી શક્યા.
ગુજરાતમાં આંદોલનો મજબૂત રહ્યા છે, પ્રબળ રહ્યા છે. કોવિડ-૧૯ના ભરડામાં સરકારનું વ્યવસ્થા તંત્ર કેવું વગર ઑક્સિજનના વેન્ટિલેટર જેવું સાબિત થયું છે, તે વિશે વારે વારે અથવા તો વિસ્તારે લખવાની જરૂર નથી. ગુજરાતમાં જે રીતે પરિસ્થિતિ ખાડે ગઇ છે તે જોતા એવું ધારી શકાય ખરું કે એક દિવસ આવશે જ્યારે લોકો રાજકીય સત્તા સામે અવાજ ખડો કરશે? સત્તા સામે શાણપણ નકામું એ એક સત્ય છે તો બીજું સત્ય એ પણ છે કે જનાક્રોશ સામે સત્તાનું કાંઇ ચાલતુ નથી. પ્રજા ધૃતરાષ્ટ્ર બનીને લાંબો સમય નહીં જ રહી શકે એવું જો સત્તાધીશો સમજે તો સારું નહીંતર હાલાકીના માહોલમાં જનતાનો રોષ જો આસમાને પહોંચ્યો તો એક તબક્કે બધું હકાલી કાઢવા સજ્જ થઇ જ શકે છે. સરકાર કે સત્તાને માઇબાપ માનનારી જનતા પોતે ચૂંટી કાઢેલા પક્ષ પાસેથી આવા આકરા સંજોગોમાં સારા વહીવટની અપેક્ષા રાખે એમાં કંઇ ખોટું નથી અને સત્તાધીશો તેમાં નિષ્ફળ જાય તો પછી …
બાય ધી વેઃ
ગુજરાતમાં જે હાલત છે તેના દર્દનું કોઇ બેરોમીટર નથી. દેશ ગુંગળાઇ રહ્યો છે, રુંધાઇ રહ્યો છે અને ‘સાહેબ’નું ગુજરાત દિવસે દિવસે બદતર સંજોગોમાં ધકેલાઇ રહ્યું છે ત્યારે દુષ્યંત કુમારની આ કવિતા ટાંકવી જ રહી.
“હો ગઇ હૈ પીર પર્વત સી – પિઘલની ચાહિએ,
ઇસ હિમાલય સે કોઈ ગંગા નિકલની ચાહિએ.
આજ યહ દિવાર, પરદોં કી તરહ હિલને લગી,
શર્ત થી લેકિન કિ યે બુનિયાદ હિલની ચાહિએ.
હર સડક પર, હર ગલી મેં, હર નગર, હર ગાંવ મેં,
હાથ લહેરાતે હુએ હર લાશ ચલની ચાહિએ.
સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં,
મેરી કોશિશ હૈ કિ યે સૂરત બદલની ચાહિએ
મેરે સીને મેં નહીં તો તેરે સીને મેં સહી
હો કહીં ભી આગ, લેકિન આગ જલની ચાહિએ.”
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 ઍપ્રિલ 2021