દુનિયાની સૌથી મોટી પાંચ અર્થવ્યવસ્થાઓમાં ત્રીજા નંબરે આવેલું જાપાન, એકલતા અને આપઘાતના એક એવા દૌરમાંથી પસાર થઇ રહ્યું છે કે પ્રધાન મંત્રી યોશિહેડે સુગાએ તેમની કેબિનેટમાં લોન્લીનેસનો વિભાગ ઊભો કર્યો છે, અને ૬૦ વર્ષના સંસદ સભ્ય તેત્સુશિ સાકામોટોને તે વિભાગના મંત્રી બનાવ્યા છે. ‘ધ જાપાન ટાઈમ્સ’ સમાચારપત્ર અનુસાર, પ્રધાન મંત્રી સુગાએ કેબિનેટ બેઠકમાં નવા મંત્રીને કહ્યું હતું કે, "દેશમાં સ્ત્રીઓ સામાજિક એકલતા અને અલગાવનો ભોગ બની રહી છે અને આપઘાતનાં આંકડા વધી રહ્યા છે. મને આશા છે તમે સમસ્યાઓનું મૂળ પકડશો અને નીતિગત ઉપાયો સૂચવશો."
જાપાન કોરોના વાઈરસની મહામારીના કારણે લોકોમાં વધેલા આપઘાત સામે ઝઝૂમી રહ્યું છે. ત્યાંની નેશનલ પોલિસી એજન્સીએ જારી કરેલા આંકડા મુજબ, ૨૦૨૦માં ૨૦,૯૧૯ લોકોએ આપઘાત કર્યો હતો. આગલા વર્ષની સરખામણીમાં એમાં ૭૫૦ આપઘાતનો વધારો થયો હતો. આપઘાતની સંખ્યામાં છેલ્લા ૧૧૧ વર્ષમાં આ પહેલો વધારો હતો. મોટા ભાગના આપઘાત સ્ત્રીઓ અને યુવાનોમાં જોવા મળ્યા હતા.
જાપાન ચીન કરતાં સમૃદ્ધ દેશ છે. ચીન વિકાસશીલ દેશ કહેવાય છે, જ્યારે જાપાનની ગણના વિકસિત અર્થવ્યવસ્થામાં થાય છે. ત્યાં લોકોનું જીવનધોરણ ચીની લોકો કરતાં ઊંચું છે. જાપાનનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સંસ્કૃતિ અને પ્રોડક્ટ્સ દુનિયાભરમાં વખણાય છે. તેની ૮૦ ટકા વસ્તી મધ્યમવર્ગની છે, એટલે ત્યાં ગરીબ-તવંગરનું વિભાજન મોટું નથી. બધા જ સમૃદ્ધ છે. સલામતીની દ્રષ્ટિએ જાપાન ટોચનમાં ૧૦ દેશોમાં આવે છે. દેશમાં ભ્રષ્ટાચાર ઓછો છે. જાપાનમાં વૃદ્ધ નાગરિકો માટે સૌથી શ્રેષ્ઠ સરકારી યોજનાઓ છે. તેની પેન્શન અને હેલ્થ સેવા સર્વોત્તમ છે.
આવો દેશ એકલતા અને અલગાવ સામે ઝઝૂમતો હોય, તે આઘાતજનક છે. કારણ કોઈને ખબર નથી. અગાઉ, ૨૦૦૮ને બેન્કિંગ કટોકટી અથવા ૯૦ના દાયકામાં શેર બજારના સંકટની અસર મુખ્યત્વે મધ્ય વયસ્ક પુરુષો પર પડી હતી, અને ત્યારે આપઘાતનું પ્રમાણ પુરુષોમાં જ જોવા મળ્યું હતું. કોરોના વાઈરસની કહાણી અલગ છે. એ યુવાઓ અને ખાસ કરીને સ્ત્રીઓને વધુ અસર કરી રહ્યો છે.
એક જમાનામાં જાપાનમાં વિકસિત દેશોની સરખામણીમાં સૌથી વધુ આપઘાત થતા હતા, પરંતુ છેલ્લા એક દાયકામાં દેશ તેને ઘટાડવામાં સફળ થયો છે. આપઘાત પર અભ્યાસ કરનાર એક પ્રોફેસર કહે છે કે સ્ત્રીઓમાં આપઘાતનું પ્રમાણ વધ્યું છે, તે અસાધારણ બાબત છે. કોરોના મહામારીએ સ્ત્રીઓનું જેમાં પ્રભુત્વ છે, તેવા ટુરિઝમ, રિટેઈલ અને ફૂડ બિઝનેસને ચોપટ કરી નાખ્યો છે તે એક કારણ હોઈ શકે.
લોન્લીનેસનો ઉપાય શોધવા માટે અલાયદા મંત્રીની નિમણૂક કરી હોય તેવો જાપાન બીજો દેશ છે. અગાઉ, ૨૦૧૮માં બ્રિટનમાં લોન્લીનેસ મિનિસ્ટરની નિમણૂક કરવામાં આવી હતી. ૨૦૧૭માં એક સર્વેમાં ખબર પડી હતી કે બ્રિટનના ૯૦ લાખથી વધુ લોકોએ તેઓ એકલતા અનુભવતા હોવાની ફરિયાદ કરી હતી. તત્કાલીન પ્રધાન મંત્રી થેરેસા મેએ ત્યારે કહ્યું હતું કે બહુ બધા લોકો માટે એકલતા એ આધુનિક સમયની ગમગીન વાસ્તવિકતા છે. તેમણે લોન્લીનેસ મિનિસ્ટરપદ પર જેમની નિમણૂક કરી હતી તે ટ્રેસી ક્રોચ ખુદ અલગાવ અને ડિપ્રેશનમાંથી પસાર થઇ ચૂકી હતી. ટ્રેસીએ કહ્યું હતું કે કેનેડા અને સ્વીડનની સરકારો પણ તેમના દેશમાં એકલતાને નાથવા માટે મારી પાસેથી માર્ગદર્શનની અપેક્ષા રાખી રહી છે.
ઓસ્ટ્રેલિયાની સરકાર પણ આવો જ વિભાગ ઊભો કરવાનું વિચારી રહી છે. ૨૦૧૦ના એક સર્વે પ્રમાણે, અમેરિકામાં ૪૫ વર્ષથી ઉપરની દર ત્રીજી વ્યક્તિ એકલતાનો શિકાર છે. અમેરિકાના સર્જન જનરલે એકલતાને આધુનિક મહામારી ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે રોજની ૧૫ સિગારેટ પીવાથી એક વ્યક્તિની જેટલી જીવાદોરી ઘટે, તેટલી જ જીવાદોરી એકલતાના કારણે ઓછી થાય છે.
યુરોપમાં એક જ વ્યક્તિના પરિવારની સંખ્યા વધતી જાય છે, અને તેઓ એકલતાના ભાવથી પીડાય છે. એક સર્વે પ્રમાણે યુરોપમાં ૧૮ ટકા લોકો સામાજિક અલગાવમાં રહે છે. તેઓ મહિને એકવાર મિત્રો કે પરિવારને મળે છે. ૮ ટકા લોકો એકલતાનો શિકાર છે. પશ્ચિમી અને ઉત્તરીય યુરોપના અમુક દેશોમાં એકલતાનું પ્રમાણ ૩ ટકા જેટલું નીચું છે, જયારે દક્ષિણ અને પૂર્વીય યુરોપના અમુક દેશોમાં ૪૦ ટકા જેટલા લોકો એકલતાનો શિકાર છે. ૬૦ વર્ષથી ઉપરના લોકોમાં એકલતા અત્યંત વસમી હોય છે.
વિકસિત અને વ્યક્તિકેન્દ્રિત દેશોમાં એકલતાનું પ્રમાણ વધુ છે? લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિકસમાં માનસિક સ્વાસ્થ્ય વિષયમાં એસોસિએટ પ્રોફેસર ડેવિડ મેકડેઈડ કહે છે કે સંયુક્ત કુટુંબની વ્યવસ્થા તૂટવાથી અને કામનાં સ્થળોએ અલગાવના ભાવથી પાછલાં અમુક વર્ષોથી લોકોમાં એકલતાની લાગણી વધવા લાગી છે. સતત કામ કરવાની અને કામ અર્થે દેશ-વિદેશમાં ફરતા રહેવાની જીવનશૈલી સમૃદ્ધિ તો લાવે છે, પણ સંબંધોનું સુખ નથી લાવતી. વૈશ્વિકરણમાં કામની અપાર તકો અને કામની સ્વતંત્રતા આવી છે, પણ એમાં અંતરંગ સંબંધો ઘટ્યા છે.
એકલતા વ્યકતિગત અનુભવ છે. માણસનું મન બુનયાદી રૂપે બોરિંગ છે, અને એ વાંદરાની જેમ ઊછળકૂદ કરતું રહે છે. એને પોતાની અંદરની છટપટાહટથી એટલી બીક લાગે છે કે, એ નિરુદ્દેશ ક્યાંકને ક્યાંક વ્યસ્ત રહ્યા કરે છે. જાત સાથે એકલા ના રહેવું એ કોઈ આજકાલની સ્થિતિ નથી. દરેક કાળમાં, દરેક સમાજમાં, દરેક માણસ બોરડમથી, એકલતાથી, અધીરાઈથી, ચીડથી અને ઉચાટથી પરેશાન રહ્યો છે, પણ જ્યારે તે સમાજના એક મોટા વર્ગની પીડા બની જાય, ત્યારે તે વ્યક્તિગત બાબતને બદલે સામાજિક અને પારિવારિક માળખાનો પ્રશ્ન બની જાય છે.
ભારત હજુ પણ પરમ્પરાગત સમાજ છે અને તેની સંયુક્ત કુટુંબની વ્યવસ્થા સલામત છે. અહીં કામ માટે ઘરથી દૂર ગયેલી વ્યક્તિ પણ લોંગ-ડીસ્ટન્સથી ઘર સાથે જોડાયેલી રહે છે. અહીં રોજ સાંજે સાથે બેસીને જમવાની સાધારણ ક્રિયા પણ લગાવનું મજબૂત સાધન છે.
પશ્ચિમના દેશોમાં લોકો સતત કામમાં એકલા હોય છે અને એકલતામાં જ ખાય-પીવે છે. ભારતમાં સંતાનો મોટાં થયા પછી પણ પરિવારનો જ હિસ્સો હોય છે. પશ્ચિમમાં સંતાનો સ્વતંત્રતામાં માને છે, એટલે વૃદ્ધ પેરેન્ટ્સ ઓલ્ડ એજમાં જીવે છે. વિભક્ત કુટુંબમાં પણ પતિ-પત્ની-બાળકો એકબીજાંથી અંતર જાળવે છે, પરિણામે મોટા ભાગના લોકો પોતાનામાં જ વ્યસ્ત હોય છે. માનવીય સંપર્કો ઓછા થવાના કારણે એકલતામાં ઉમેરો થાય છે.
એકલતા અને અલગાવ ઔધોગિકરણની દેણ છે. અગાઉ લોકો મોટા પરિવાર તરીકે રહેતા હતા અને સાથે જ કામ કરતા હતા (ભારતમાં ખેતી આજે પણ સામૂહિક ક્રિયા છે), પરંતુ મશીનો અને ઉધોગો આવવાથી ઘરના લોકો કામ કરવા માટે ઘરની બહાર નીકળતા થયા અને એમાંથી જ વિભક્ત કુટુંબનો જન્મ થયો. નોકરી-ધંધાને ધ્યાનમાં રાખીને જ પરિવારોની સાઈઝ નક્કી થતી હતી.
૧૯મી સદીમાં રેલવેના આવવાથી દૂર જવાનું આસાન થઇ ગયું. ઔધોગિકરણથી સમૃદ્ધિ આવતી હતી, એટલે લોકોએ સંયુક્ત પરિવારજીવનનું બલિદાન આપી દીધું. નાનો પરિવાર ઝડપથી સમૃદ્ધિ લાવતો હતો. આપણે જેમ-જેમ સમૃદ્ધિની સીડી ચઢતા ગયા, આપણા સામાજિક અને પારિવારિક સંબંધો પગથિયાં ઉતરતા ગયા. આધુનિક માણસ પૈસેટકે તો સુખી છે, પણ સહિયારા જીવનનું પતન થવાથી તેની એકલતા અને અલગાવની પીડા વધતી જાય છે.
પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 09 માર્ચ 2021