બધા કામદારોના ‘ભાઉ’ બનનાર લક્ષ્મણ અજિંકય
કારકૂનમાંથી બંદર બાંધવાના કોન્ટ્રેક્ટર બન્યા ભાઉ
બંદરને નામ મળ્યું ગવર્નરનું, પણ લોકો તો આજે ય કહે છે ‘ભાઉચા ધક્કા’
‘હમ હોંગે કામયાબ એક દિન’ એ ગીત ૧૯મી સદીના એક સરકારી કારકૂને તો ન જ સાંભળ્યું હોય. પણ આ ગીત પ્રમાણે જીવનારાઓમાંના એક તેઓ નહોતા. જેમના જીવન પરથી આવાં ગીત લખાય તેવા થોડાઓમાંના એક તેઓ હતા. કોલાબાના ટાપુ પર હતી અંગ્રેજ સરકારની ગન કેરેજ ફેક્ટરી. કંપની સરકારના લશ્કર માટે ત્યાં તોપ, તોપના ગોળા, અને એવો બીજો સરંજામ બને. અધિકારીઓ તો બધા અંગ્રેજ, પણ કામદારો ‘દેશી’. મુંબઈના સૌથી જૂના વસાહતીઓમાંના એક પાઠારે પ્રભુ જાતિના લોકો. એ જાતિનો એક યુવક, નામે લક્ષ્મણ હરિશ્ચન્દ્રજી અજિંક્ય. રાયગઢ જિલ્લાના ઉરણ નજીકના કરંજા નામના ગામડામાં ૧૭૮૯માં તેમનો જન્મ. એ જમાનામાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી ઘણા યુવાનો નસીબ અજમાવવા મુંબઈ આવતા. એમ તેઓ પણ આવ્યા અને ગન કેરેજ ફેક્ટરીમાં કારકૂન બન્યા.
લક્ષ્મણ હરિશ્ચન્દ્રજી અજિંક્ય ઉર્ફે ભાઉ
હવે બન્યું એવું કે એ ફેક્ટરીના એક કામદારે ચોરી કરી. ફેક્ટરી હતી લશ્કરી. એટલે લશ્કરના નિયમ પ્રમાણે પેલા ચોરને જાહેરમાં ફટકા મારવાની સજા થઈ. પણ આ રીતે તો એક મરાઠી માણુસની જાહેરમાં બદનામી થશે એમ લક્ષ્મણને લાગ્યું. એટલે પહોંચ્યા સીધા ફેકટરીના વડા રસેલસાહેબ પાસે, અને કહ્યું કે પેલા ચોર કામદાર વતી હું માફી માગું છું, પણ તેને આવી સજા ન કરો. સાહેબે પૂછ્યું કે એ જુવાન તારો કાંઈ સગો થાય છે? એના વતી તું કેમ માફી માગવા આવ્યો છે? ભાઉએ કહ્યું : મારો સગો તો નથી થતો પણ અમે બંને એક બિરાદરીના છીએ, એક ગામના છીએ. એટલે તેને નીચાજોણું થાય તે મારાથી કેમ જોઈ રહેવાય? સાહેબ પોતે અંગ્રેજ હોવાનો ગર્વ ધરાવતા હતા. એક સામાન્ય ‘દેશી’ કારકૂનને પણ પોતાના દેશની આટલી દાઝ છે એ જોઈ રાજી થયા અને પેલા જુવાનની સજા માફ કરી. એટલું જ નહિ, ત્યારથી લક્ષ્મણ અજિંક્યને ‘બ્રધર’ કહી બોલાવવા લાગ્યા. એટલે પછી બધા કામદાર પણ ‘ભાઉ’ કહેવા લાગ્યા.
માણસ મહેનતુ અને પ્રામાણિક એટલે થોડા વખતમાં મુખ્ય કારકૂન બની ગયા. મહેનત અને સૂઝને કારણે લક્ષ્મણ રસેલસાહેબના માનીતા થઈ પડ્યા. એટલે તેમના કેટલાક સાથીઓ તેમને ‘ભાઉ રસૂલ’ કહેતા. એ વખતે હજી ડબ્બાવાળા તો હતા નહિ. એટલે કામદારોને બપોરના ખાણાની બહુ મુશ્કેલી પડતી. આ વાત ભાઉના ધ્યાનમાં આવી. એટલે એક દિવસ લાગ જોઈને રસેલસાહેબને તેમણે કહ્યું : ‘સાહેબ, ફેક્ટરીના કામદારો દૂર દૂરથી આવે છે, ઘણાખરા હોડીમાં આવે છે. એટલે તેમના બપોરના જમવાનાં ઠેકાણાં રહેતાં નથી. ઘરેથી લૂખીસૂકી ભાખરી પોટલીમાં બાંધીને લાવ્યા હોય તે ખાઈને, તેના પર પાણી પીને પેટ ભરી લે છે. આ કામદારો માટે અહીં એક કેન્ટીન શરૂ કરીએ તો કેવું?' આ ‘કેન્ટીન’ શબ્દ તો આપણે વાપર્યો, તેમણે તો શુદ્ધ મરાઠી શબ્દ ‘ખાણાવળ’ શબ્દ વાપર્યો હશે. રસેલસાહેબને ગળે આ વાત ઊતરી ગઈ. તેમણે કહ્યું : ‘આ માટેની પરવાનગી તો હું આપું, પણ એક શરતે.’ ભાઉ જરા ગભરાયા હશે એટલે મૂંગા રહ્યા. સાહેબ વાત સમજી ગયા એટલે કહે : ‘મારી શરત એ છે કે એ ખાણાવળ તમારે જ ચલાવવાની.’ ભાઉને તો દોડવું હતું ને ઢાળ મળ્યો! કારકૂનમાંથી ધંધાદારી બનવાનું પહેલું પગથિયું મળી ગયું! તાબડતોબ ખાણાવળ શરૂ કરી. સાદું, પણ સારું, સ્વાદિષ્ટ જમવાનું, અને પાછું ખૂબ કિફાયતી ભાવે. એટલે બધા કામદારોના ભાઉ માનીતા થઈ ગયા.
કેન્ટીન જે રીતે ચલાવતા હતા તે જોઈ રસેલસાહેબ ખુશ થયા. વિચાર્યું કે આ માણસ છે હોનહાર. એ જમાનામાં મુંબઈની વસતી કૂદકે ને ભૂસકે વધતી જતી હતી. જેમ વધારે લોકો, તેમ વધારે કચરો ભેગો થાય. એનો નિકાલ કઈ રીતે કરવો એ સરકાર માટે મોટો સવાલ થઈ પડ્યો. આપો કોન્ટ્રેક્ટ. આ વાતની રસેલસાહેબને ખબર. એક દિવસ ભાઉને બોલાવીને કહ્યું : ‘તમે આ કચરો ઉપાડવાનો એક કોન્ટ્રેકટ લઈ લો. નોકરી છોડવાની જરૂર નથી. બંને કામ સાથે કરજો.’ આ કામ પણ ભાઉએ એવી ધગશથી કર્યું કે તેઓ બીજા અંગ્રેજ અફસરોના પણ માનીતા બની ગયા. તેમણે ગન કેરેજ ફેક્ટરીની નોકરીને રામ રામ કર્યા, રસેલસાહેબની મંજૂરી લઈને. આ નવું કામ શરૂ કર્યા પછી તેમની સામે સવાલ ઊભો થયો : રોજ રોજ એકઠા થતા આ કચરાને નાખવો ક્યાં? હવે, એ જ વખતે સરકારે દરિયો પૂરીને નવી જમીન મેળવવાનું શરૂ કરેલું. આ માટેની ‘ભરણી’ પૂરી પાડવાનો કોન્ટ્રેક્ટ પણ ભાઉએ મેળવ્યો. મૂળે ગામડાનો માણસ. એટલે જાણતો હતો કે આ ઘરગથ્થુ કચરાને દરિયા કાંઠે નાખ્યો હોય તો કોહવાઇને થોડા વખતમાં પથ્થર જેવો બની જાય. એટલે ગામમાંથી કચરો એકઠો કરે અને દરિયા કિનારે ઠાલવે. એક પંથ ને દો કાજ.
જૂદા જૂદા પ્રકારનાં શઢવાળાં વહાણ
મૂળ ઉરણના રહેવાસી એટલે ‘દેશ’માં આવવા-જવાનું તો અવારનવાર થાય. એક તો વહાણની મુસાફરી. બીજું, કિનારા પર ‘ધક્કા’ની સગવડ નહીં, એટલે વહાણ કિનારાથી થોડે દૂર નાંગરે. દરિયાનાં છીછરાં પાણીમાંથી ચાલીને, કિચડથી ખરડાયેલા પગે, માંડ કિનારે પહોંચે. પણ ત્યાંથી આગળ પણ પાકા રસ્તા નહિ. એટલે કલેકટર બ્રુસસાહેબને ભાઉએ વિનંતી કરી કે જ્યાં વહાણો નાંગરે છે ત્યાં સુધીનો પાકો રસ્તો મારે ખર્ચે બનાવવાની પરવાનગી આપો. ‘પણ એમાં સરકારને શો ફાયદો?’ બ્રુસસાહેબ ઉવાચ. ભાઉ કહે કે રસ્તાની સગવડ થશે તો દરિયા માર્ગે થતો વેપાર પણ વધશે, અને વેપાર વધશે તો સરકારની તિજોરીમાં ભરાતું મહેસૂલ પણ વધશે. એટલે દરખાસ્ત ગઈ ગવર્નર ગ્રાંટ પાસે. તેમણે મંજૂરી આપી. પણ એ વખતે સરકાર આવા રસ્તા બાંધવા માટે ફદિયું ય આપતી નહિ. હા, મહેનતના બદલામાં રસ્તાની આજુબાજુની થોડી જમીન કોન્ટ્રેક્ટરને લાંબા લીઝ પર આપતી. પરવાનગી મળી, અને મસ્જિદ બંદરથી ક્રાફર્ડ માર્કેટ સુધી અને ડોંગરીથી દરિયા કિનારા સુધીના રસ્તા ભાઉએ બાંધ્યા – પેલો રોજ રોજ ભેગો થતો કચરો વાપરીને!
ભાઉચા ધક્કા
આજે તો મુંબઈ શહેરમાં જમીનનો ખાલી ટુકડો ય શોધ્યો ન જડે. અને જડે તો એના કરોડો રૂપિયા ઉપજે. પણ એ જમાનામાં મુંબઈ શહેરમાં અને તેની બહાર પણ પુષ્કળ ઉજ્જડ જમીન પડી હતી, સરકારી માલિકીની. સરકારે પોતે તેનું ડેવલપમેન્ટ કરવાને બદલે આજે જેને ડેવલપર કહીએ છીએ તેને લાંબા લીઝ પર આપવાનું શરૂ કર્યું. આ ડેવલપરો એ વખતે ‘ખોત’ તરીકે ઓળખાતા. આવી જમીન મેળવવા માટે ભાઉએ સરકારમાં અરજી કરી. સરકારે તેમને દિન્ડોશી (ગોરેગાંવ), ચીંચવલી (મલાડ) અને આકુર્લી (કાન્દીવલી) એ ત્રણ ગામના કાયદેસરના હક્ક ભાઉને આપ્યા, અને એક વખતના કારકૂન બન્યા જમીનદાર.
પણ પ્રિય વાચક! તમે કહેશો કે અ બધું તો બરાબર, પણ આમાં બંદરની વાત ક્યાં આવી? ગયે અઠવાડિયે તો કહેલું કે આવતે અઠવાડિયે બીજા એક બંદરની વાત. જરા ધીરા પડો દોસ્ત! હવે આવે છે એક અનોખા બંદરની વાત.
એ જમાનામાં પણ એક કુદરતી બંદર તરીકે મુંબઈની નામના હતી, પણ માલસામાન કે મુસાફરો માટે ઝાઝી સગવડ નહોતી. કાંઈ નહિ તો માલસામાન માટે તો એક ધક્કો બાંધવો જોઈએ એ વાત સરકારને પણ સમજાઈ. પણ એ વખતે દરેક નાનાં મોટાં કામ માટે મંજૂરી અને પૈસા બ્રિટનથી મગાવવા પડતા. અને ત્યાંના હાકેમો આવાં કામ માટે ઝટ રાજી થાય તેવા નહોતા. એટલે ફરી જમીન લીઝ પર આપીને ધક્કો બંધાવવાનું નક્કી કર્યું અને એ માટેની જાહેરાત સરકારે કરી. આવી તક ભાઉ જતી કરે? આવું ગંજાવર કામ કરવાની ઇચ્છા તો બીજાને પણ હતી, પણ ખરચનો વિચાર કરી અરજી કરવાનું માંડી વાળ્યું. પૈસા તો ભાઉ પાસે પણ નહોતા, પણ આગે આગે ગોરખ જાગે એમ વિચારી અરજી કરી, અને તે મંજૂર પણ થઈ ગઈ. સરકારે કેટલીક શરતો મૂકી તે ભાઉએ સ્વીકારી. સરકારે બાંધવાના ધક્કાનો પ્લાન માગ્યો, તો તે ય મોકલ્યો. દરિયામાં આવતી ભરતી-ઓટના સમય, ઋતુ પ્રમાણે તેમાં થતો ફેરફાર, પાણીની ઊંડાઈ, આવતાં-જતાં વહાણોની સરેરાશ લંબાઈ, વગેરે બધી બાબતોનો અભ્યાસ કરીને ભાઉએ સરકારને પ્લાન મોકલ્યો. દરિયાનાં મોજાંની સતત થાપટો સામે માટીનો બંધ ટકે નહિ એ ભાઉ જાણતા હતા. એટલે અહીં પણ તેમણે શહેરના કચરાનો ઉપયોગ સૂચવ્યો. સરકારે વખતોવખત શરતોમાં ફેરફાર કર્યા, કેટલાક વિરોધીઓએ ભાઉની મર્યાદાઓ બતાવીને તેમને આપેલી મંજૂરી પાછી ખેંચી લેવા સરકાર પર દબાણ મૂક્યું. પણ ભાઉ મક્કમ હતા, અને સરકારમાં તેમની છાપ સારી હતી એટલે કામ તો તેમને જ મળ્યું.
ગવર્નર જેમ્સ કર્ણાક
જ્યાંથી મળ્યા ત્યાંથી પૈસા ભેગા કરવા માંડ્યા ભાઉ. પણ દોઢ લાખ રૂપિયા જેવી એ જમાનામાં મોટી કહેવાય તેવી રકમનો બંદોબસ્ત થઈ શક્યો નહિ. એટલે પોતાના ઓળખીતા અમલદારો મારફત ભાઉએ વાત ગવર્નર રોબર્ટ ગ્રાન્ટના કાને પહોંચાડી. તેમણે છ ટકાના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજથી દોઢ લાખ રૂપિયાની સરકારી લોન મંજૂર કરી. એટલે ભાઉમાં અને ધક્કો બાંધવાના કામમાં જીવ આવ્યો. અને ચાર વરસમાં તો નવો નક્કોર ધક્કો બંધાઈને તૈયાર. સરકારને જે પ્લાન મોકલેલો તેમાં ક્યાં ય નજીકમાં વખારો બાંધવાની વાત નહોતી. પણ વેપારીઓની સગવડ ખાતર ભાઉએ ધક્કા નજીક માલ સંઘરવા માટે વખારો પણ બાંધી! આખા દેશમાં વખાર સાથેનું આ પહેલું બંદર. એ ઉપરાંત બંદર નજીક છાપરાં, કચરા અને ગંદા પાણીના નિકાલની સગવડ, બંદર સુધીનો એપ્રોચ રોડ, વગેરે બધી જ સગવડો ભાઉએ ઊભી કરી. આથી અહીંનો વેપાર વધ્યો, અને એથી સરકારની આવક વધી. એટલે ભાઉ પર ખુશ થઈને સરકારે પચાસ વરસ સુધી અહીં માલની ચડ-ઉતર કરવાનો એકાધિકાર ભાઉને આપ્યો! બાંધકામ દરમ્યાન ભાઉ બને ત્યાં સુધી આસપાસના વિસ્તારોના મજૂરોને જ કામ માટે રોકતા. એટલે સ્થાનિક લોકો પણ ભાઉ પર ખુશ. એટલે લોકો તો અ જગ્યાને ‘ભાઉચા ધક્કા’ તરીકે જ ઓળખવા લાગ્યા.
પણ ભાઉની અંગ્રેજભક્તિનો પ્રભાવ હોય, કે પછી તેમની મુત્સદ્દીગિરીનો પ્રતાપ હોય, ભાઉએ તો સરકારને એક અરજી મોકલી. એ અરસામાં જ જેમ્સ કર્ણાકની નિમણૂંક મુંબઈના ગવર્નર તરીકે થઈ હતી. એટલે ભાઉએ અરજીમાં લખ્યું કે આ નવા બંદરને કર્ણાક બંદર એવું નામ આપવામાં આવે. સરકાર માટે તો ભાવતું’તું ને વૈદે કીધું. એટલે તરત નામ પાડ્યું કર્ણાક બંદર. અને નામકરણ વિધિ કરેલો ગવર્નર કર્ણાકે પોતે! પણ મુંબઈના લોકો જેનું નામ! આજ સુધી તેને ‘ભાઉચા ધક્કા’ તરીકે જ ઓળખે છે. આઝાદી પછી તો દરવાજા પર પણ એ જ નામ લખાયું.
કોંકણ ને મુંબઈ વચ્ચેની મુસાફરી માટે એ વખતે નહોતી ટ્રેનની સગવડ કે નહોતી બસની સગવડ. એટલે નાની આગબોટ એ જ મુસાફરી માટેનું એક માત્ર સાધન. એટલે કોંકણના લોકો માટે તો આ ભાઉચા ધક્કાનું બંદર એ જાણે બીજું મંદિર. ભાઉએ આ ધક્કો બાંધ્યા પછી લગભગ દોઢ સો વરસ સુધી કોંકણના લોકો એ વાપરતા રહ્યા અને ભાઉને દુઆ દેતા રહ્યા. મુંબઈમાં બંદરો તો ઘણાં છે, અને તેમાંનાં કેટલાંકની મુલાકાત હજી બાકી છે. પણ આવતે શનિવારે આપણે ઈન્ટરવલ પાડશું, કારણ ૨૭ માર્ચ એ એક ખાસ દિવસ છે. એટલે થોડી વાતો કરશું એ ખાસ દિવસ સાથેના મુંબઈના સંબંધની.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 20 માર્ચ 2021