‘નિરીક્ષક’ના છેલ્લા બે અંકમાં હવે ગુજરાતી સાહિત્ય પરિષદે શું કરવું જોઈએ, આ ચૂંટણી તો પાંખી બહુમતીથી જીતી છે, તો આવડો શો શોરબકોર, હર્ષદ ત્રિવેદી પણ સ્વાયત્તતાના પક્ષે જ હતા. એમની પહેલી પ્રચારપત્રિકામાં તો સ્વાયત્તતાના મામલે જ રાજીનામું આપેલું એમ પણ કહેવાયું હતું. પરિષદ નરી નિષ્ક્રિય થઈ ચૂકી છે, એવી ફરિયાદો આદરણીય શેખસાહેબ, પલાણસાહેબ અને સોનીસાહેબે વ્યક્ત કરી છે.
ત્રણેય મહાનુભાવો મારા માટે અત્યંત આદરણીય છે. છતાં એક મંત્રી તરીકે, વ્યક્તિ તરીકે મારે કંઈક કહેવું છે. પ્રકાશભાઈ, જીત્યાનો હરખ શેખસાહેબને થવો જોઈતો હતો. બીજું, એમણે જેમને સમર્થન આપ્યું હતું, એ હર્ષદ ત્રિવેદીએ બેઉ સંસ્થામાંથી આક્ષેપો થતાં રાજીનામું આપ્યું હતું. લડાઈ અધૂરી છોડી, રણ છોડી પલાયન કરેલું. ‘આક્ષેપો’ કરનારાઓનો સબળ મુકાબલો ન કર્યો જ્યારે પ્રકાશભાઈ પરિષદની અંદર અને બહાર હરહંમેશાં રણમોઝાર જ રહ્યા છે એ બધા જાણીએ છીએ. સામા પક્ષે હું પ્રવીણ પંડ્યાની એ વાતમાં સંમત નથી કે હર્ષદ ત્રિવેદી ‘રાજસત્તાના પીઠબળથી ઊભેલા’ ઉમેદવાર હતા. છતાં એટલું ઉમેરું શેખસાહેબ કે પ્રકાશભાઇ અને હર્ષદભાઈમાં તમારો ઝુકાવ હર્ષદભાઈ તરફી હોય એ મારા ગળે ક્યારે ય ઊતરી શકશે નહીં. જરાક સ્ટુડિયોની બહાર આવીને જુઓ, તો તમને સમજાશે કે આપણને પ્રકાશભાઈની આજે કેટકેટલી જરૂર છે! ભોગીલાલ ગાંધીની એ જીવંત પરંપરા છે. ‘હૂ હૂ’ નવલકથા લખ્યા પછી પણ પલાણસાહેબ તો સમયાંતરે ‘નિરીક્ષક’ને લાભાન્વિત કરતા રહે છે, તેથી એ પ્રકાશભાઈ તરફી ન હોય એ તો દીવા જેવું સ્પષ્ટ છે.
શેખસાહેબે પ્રેરિત બે વ્યાખ્યાનમાળાની ફરિયાદ બિલકુલ સરમાથા પર તેમ છતાં આખેઆખી પરિષદને એટલા માત્રથી નિષ્ક્રિય ન ગણાય તેમ જ પ્રકાશભાઈ પરથી પસંદગી બીજે ઢોળી ન દેવાય. ગયા તબક્કામાં પ્રકાશભાઈ કેવળ ને કેવળ મધ્યસ્થ સમિતિના સભ્ય હતા. ત્રણ દાયકાની સેવાનો બદલો ટપલીદાવથી લેવાનો? સોશિયલ મીડિયામાં તો ‘નિરંજન ડોહાની લાશ પરિષદમાંથી નીકળી હતી, હવે પ્રકાશ ડોહાની નીકળશે’, એવું લખવામાં આવ્યું! કેમ મહામંત્રી, ઉપપ્રમુખો, કારોબારી સભ્યો અને મધ્યસ્થ સમિતિને કોઈ પૂછતું નથી? હજુ તો પ્રમુખ અને મધ્યસ્થનાં પરિણામો જાહેર થયાં, ત્યાં તો આપણા સાલસ કવિમિત્ર અને સરસ નવલકથાકાર અશોકપુરી ગોસ્વામીએ લખ્યું -‘પરિષદમાં નકારાત્મક જૂથ ચૂંટાઈ આવ્યું છે.’ અભિપ્રાયમાં આવી ઉતાવળ? કોણ નકારાત્મક છે જણાવોને ! મહામંત્રીએ તો જાહેરમાં થતાં આક્ષેપો સામે મૌનવ્રત ધારણ કર્યું છે, એટલે એ પ્રફુલ્લ જ રહેશે.
મારે થોડી પેટછૂટી વાત કરવી છે, જાંઘદર્શન કરાવવું છે. પરિષદ જેટલી રઘુવીર ચૌધરીના મંત્રીકાળમાં, પ્રકાશ ન.શાહના મંત્રીકાળમાં સક્રિય હતી, એટલી ક્યારે ય ન હતી. તેમ છતાં ચંદ્રકાન્ત ટોપીવાળાના ગાળામાં જે સંમેલન/જ્ઞાનસત્રો અને સિતાંશુભાઈના ગાળામાં જે સંમેલનો/ જ્ઞાનસત્રો થયાં એનું સ્તર કેટલું ઉન્નત હતું, એ આ મહાનુભાવોને કહેવાનું ન હોય. આ ગાળામાં ડર. પારુલ દેસાઈએ તૈયાર કરેલાં ઇતિહાસગ્રંથો, સ્વાધ્યાયપીઠ દ્વારા સંપાદિત થયેલી ચાર રચનાઓ, પરીક્ષિત જોશીએ કરેલી અઢળક ગ્રંથાલય-પ્રવૃત્તિ-આ કામ નથી? ‘પરબ’ રાબેતા-મુજબ જ નીકળતું રહે છે. સોનીસાહેબને જણાવવાનું કે એમાં ‘શબ્દસૃષ્ટિ’ના લેખકો પણ લખે છે. હું કોરોનાપૂર્વે થોડીક વ્યાખ્યાનમાળાઓ યોજી શક્યો.
શેખસાહેબ પ્રેરિત બેઉ વ્યાખ્યાનમાળાઓ એમની સહાયથી સરસ જ ચાલતી હતી. એ વ્યાખ્યાનમાળામાં લબ્ધપ્રતિષ્ઠ વ્યક્તિઓ જ આવતી હોય છે. આ વખતે ઈ-મેઇલ પર ઈ-મેઇલ કરવા છતાં જવાબ ન આવ્યા. ત્યાર પછી મેં અશોક ભૌમિકનું નામ સૂચવ્યું એમણે સ્વીકાર્યું. બે વ્યાખ્યાનો માળાના ત્રણ વક્તા સર્વશ્રી સુનિલ કોઠારી, શિરીષ પંચાલ અને અશોક ભૌમિક છે. ભૌમિકજી ઑનલાઇન વ્યાખ્યાન આપવા તૈયાર જ નથી, સુનિલ કોઠારીએ વ્યાખ્યાનની પ્રત આપી છે, પણ વ્યાખ્યાન કોરોનાનું પતવા દો પછી એમ કહે છે. શિરીષભાઈ સાથે મેં વાત કરી રાખી છે. ઑનલાઇનમાં ગરિમા જળવાતી જ નથી. હું અને પીયૂષ ઠક્કર મળીને બેઉ વ્યાખ્યાનમાળાઓ ગરિમાપૂર્ણ રીતે કરીશું, એની ખાતરી આપું છું.
ગયા વખતની ચૂંટણીમાં સિતાંશુભાઈ અને બળવંતભાઈ સામસામે હતા. ત્યારે બેઉ સામે મારો એક જ સવાલ હતો કે તમને આ ઉંમરે પરિષદ એકાએક કેમ સાંભરી? આ વખતે બળવંત જાની, શેખસાહેબ અને શિરીષ પંચાલ સમર્થિત હર્ષદ ત્રિવેદી સાથે હતા! ગયા વખતે હર્ષદ ત્રિવેદી સિતાંશુભાઈના સમર્થનમાં હતા! એ વખતે મારું સમર્થન બેમાંથી એકેય ઉમેદવારને ન હતું. પરિષદ સાથેના લગાવને લઈને મને પ્રશ્નો હતા. સિતાંશુભાઈ માટે પત્રિકાથી માંડી સમર્થન લગી. રમણ સોની, જયદેવભાઈ, શિરીષ પંચાલ બધા જ હતા. સિતાંશુભાઇ પ્રમુખ બન્યા પછી હું લગભગ ખડેપગે એમની સાથે રહ્યો છું. જરૂર પડી છે, ત્યારે એમને પ્રશ્નો પૂછ્યા જ છે. આજે પણ દિલથી કહું છું કે જે પણ જીત્યા હોત, એમની સાથે એટલી જ સારી રીતે કામ કરત. પરિષદ આપણી અગ્રિમતા હોવી જોઈએ, અંગત રાગદ્વેષ નહીં.
મૂળ વાત મારી એ છે કે પરિષદનું કે પ્રકાશભાઈનું ચુસ્ત અમ્પાયરિંગ કરતાં મિત્રો અકાદમીની વાત આવે, ત્યારે વિકેટકીપિંગ કરતાં હોય છે! પલાણસાહેબ સ્વાયત્તતામાં માને જ છે. તેમ છતાં અકાદમીના કાર્યક્રમોમાં ઘણી વાર શોભામાં અભિવૃદ્ધિ કરતાં રહ્યા. મને આશ્ચર્ય એ થતું હતું કે પલાણસાહેબ, મધુ રાય, આશા ગોહિલ જો અકાદમીના કાર્યક્રમોમાં જતાં હોય, તો એ એમનો અધિકાર છે પણ જ્યાં લગી ‘નારાયણ દેસાઈ ઠરાવ’, સામાન્યસભામાં પસાર કરાયેલ ઊભો હતો, ત્યાં લગી એ પરિષદના કાર્યક્રમોમાં શા માટે ? એ સવાલ મેં સિતાંશુભાઈને પૂછ્યો જ છે. બીજી તરફ મેં અજય રાવલનું નામ વડાલી કૉૅલેજમાં એક વ્યાખ્યાન સંદર્ભે મૂક્યું અને નિમંત્રણ છપાયાં પછી મહામંત્રીએ ન થવા દીધું! મોટાને સહુ માફ જેવું આ ગણાય. પરિષદના ઠરાવની આમન્યા ન જાળવીને ચૂંટાયેલા મધ્યસ્થ સમિતિના સભ્યો અકાદમીના કાર્યક્રમોમાં જવા માંડ્યા કે પુરસ્કાર સ્વીકારવા માંડ્યા. સ્વાયત્તતાના સંમેલનમાં મંત્રીઓ પણ ઉપસ્થિત ન હોય, બૅનર ન હોય, પ્રેસનોટ ન હોય, તો આ ચૂક ન ગણાય?
વધુ વિગતમાં જેમને રસ હોય એમને નિષ્ક્રિયતાનું નેરેટિવ કેવી રીતે ઊભું થયું એ જણાવીશ. એક વર્ષ પહેલાં સોંપાયેલાં સંપાદનોની વિગત આજ લગી સંપાદકોને મળી નથી! આમાં પ્રમુખનો જ માત્ર વાંક? મારી પ્રતીતિ એ રહી છે કે વિદેશ હતા ત્યારે પણ સિતાંશુભાઈ સતત સક્રિય હતા. વસ્તુતઃ પ્રમુખ મોટે ભાગે નીતિનિર્દેશક હોય. ખરું કામ બે ઉપપ્રમુખો, કારોબારી સભ્યો, મધ્યસ્થ સમિતિ અને મંત્રીઓએ કરવાનું હોય. નિષ્ક્રિયતાનો સવાલ પૂછવો હોય, તો આ સહુને પૂછવો પડે. મને યાદ નથી કે કોઈના ય કામમાં પ્રમુખ તરીકે સિતાંશુભાઈએ દખલ કરી હોય. એનાથી ઊલટું એમણે આનંદની ઉજાણી કે ‘ઇ’ મૅગેઝિન શરૂ કર્યું હોંશથી, તો એ હોંશ જોવાના બદલે ઘણા મિત્રોએ કહ્યું કે કારોબારીની સંમતિ લેવી જોઈએ! સિતાંશુભાઈ સિવાયના મેં ઘણા પ્રમુખો જોયા છે એ શું અતિ સક્રિય હતા ?
મારી સહુ મિત્રોને વિનંતી છે કે પરિષદમાં સહુ સક્રિય બનો. બહારથી, ‘પ્રેક્ષાગાર’માંથી કિકિયારીઓ ન પાડો. શરીફાબહેન, નરેશભાઈ, પલાણસાહેબ સહુ આવો. પોતે સહુ સ્વાયત્તતામાં માને છે, તો પોતાની સંસ્થામાંથી ગુજરાત સરકારને સ્વાયત્તતા અંગે આવેદનપત્ર મોકલો.
કનુભાઈ સૂચકે બરાબર સૂચવ્યું કે ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાનો ઠેકો કેવળ પ્રકાશભાઈ જ શા માટે ઉપાડે ? અન્ય મિત્રો ઉપાડે. હર્ષદભાઈ પ્રમાણમાં યુવાન છે, આ આંદોલન સક્રિય બનાવી ભાવિ પ્રમુખ બની જ શકે. પલાણસાહેબની આગેવાનીમાં પણ હું લડવૈયા તરીકે જોડાવા તૈયાર છું.
‘૮૩માં બારમું ધોરણ પાસ કરી મેં પરિષદમાં પગ મૂકેલો, આજે હું જે કાંઈ છું, એ પરિષદને આભારી છે. મેં મારી પહેલી ચોપડી જ પરિષદના ગ્રંથપાલ સ્વ. પ્રકાશ વેગડને અર્પણ કરેલી. ‘ગ્રંથાલયધારાના પ્રચંડ હિમાયતી સૂચિપુરુષને ….’ માતૃસંસ્થાની ચિંતામાં બે શબ્દો વધુ લખાઈ ગયા હોય, તો મિત્રો માઠું ન લગાડે એવી હૃદયથી વિનંતી છે. મુનશી, ઉમાશંકર જોશી, રઘુવીર ચૌધરી, સિતાંશુભાઈની પરંપરા આપણે આગળ વધારીએ એવી આશા સાથે.
ડિસેમ્બર ૫, ૨૦૨૦.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2020; પૃ. 15