
આવા ફોટા જોઈને કાં’થી યાદ આવે એ પાણીડાંનાં ગીતો?
કે આજ અમે પાણીડે ગ્યા’તાં સઈઅર મોરી ને જોયો સાયબો!
લખાઈ જાય છે જનમથી જ છઠ્ઠીના લેખમાં
કે મેલ કરવત પાણીડાં ને પાણીડાં!
કાં’તો નાનકાં ભઈલાને હાચવો કે નાનકી બેનડીને,
કાં’તો ઈંધણાં વીણવા જાવ ને કાં’તા પાણીડે !
ને કાં’તો દાદા-દાદીને દવાખાને લેઈ જાવ.
આ પીંછાટિયાએ કોઈ ’દિ તેલ ભાળ્યું નથી.
ને નવાં કપડાં કોને કે’વાય તે જાણે મારી બલારાત!
તમે માનો કે એખલો બાપો જ છાંટોપાણી કરે ને
માઈ કોરી રે’ય?
અરે, મારો એ બાપ માઈ છાંટોપાણી કરે ને
તો જ છોડે ની’ તો એને હારી પેઠે ઢીબે
ને હું વાત કરું?
દાદા-દાદી નિરાંતે જુએ પણ અરફ ની’કાડે.
એક દા’ડો નિહારે ગેઈલી,
બાજુવારી લેઈ ગયેલી ને પછી થોડા દાડા વધારે ગેઈ
ને લખતાંવાચતાં હીખી,
નિહારમાં નિબંધ લખવા કે’યું કે
તમારી દિનચર્યા લખો –
ને મેં તો આ બધું લઈખું
એટલે મે’તી તો રડવા લાગી!
પૂછે કે તું હાચ્ચે ઘેરે આટલું કામ કરે કે?
મેં કેયું કે ની’ કરું ને તો માઈબાપને ઢીબેડી કાઢતા વાર ની’ લાગે.
પણ લઈખું તે હારું કયરું, મે’તીને ખબર પડી એટલે
માઈ નિહાર ની’ મોકલતી ઉતી તે મે’તીએ હમજાવી એટલે
મને નિહાર જવાનું મલતું છે
ને હા……સ
કે એટલે વાર તો છૂટી એ ઘરથી.
જો કે નિહારમાં બી’ બધું કાંઈ હારું ની’મલે!
અમારી પાહે જ નિહારમાં કચરા વરાવે
ને સંડાસ બી’ સાફ કરાવે!
એમ કે’ય રે સ્વાવલંબન ને આત્મનિર્ભરતા!
આટલા ભારીન શબ્દમાં હમજ તો ની’ પડે
પણ મે’તી કે’ય કે ૨૦૨૦નો
નારો છે કે આક્મનિરભર બનો એટલે…….
બનવાનું!
તિયારે તો થાય કે જો બધે હરખું જ ઓય તો
હારું કાં ઓહે?
૮/૭/૨૦૨૦.
[આ તસવીર સૌમ્યા દ્વારા લેવાયેલી છે, એવું તસવીરમાં દેખાય છે તે જાણ ખાતર.]
![]()


‘રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ’ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાના વાર્ષિક અભ્યાસ ‘પ્રેસ ફ્રીડમ રિપોર્ટ’માં ભારત 2020માં 180 દેશોમાંથી 142મા સ્થાને છે (2019માં તે 140મા ક્રમે હતું). આ સંસ્થાએ નોંધ્યું છે કે, “દુનિયાભરમાં પત્રકારો પરત્વે આક્રમક વલણ અને ઘૃણા સુધ્ધાં વધી રહી હોવાથી કટોકટીની પરિસ્થિતિ સર્જાઈ છે.” બોલ્સોનારોના શાસન હેઠળના બ્રાઝિલને 102 અને ટ્રમ્પ-શાસિત અમેરિકાને 45મા ક્રમે મૂકીને આ અહેવાલ કહે છે કે “આ બે નેતાઓ મીડિયાને બદનામ કરતા આવ્યા છે અને પત્રકારો પ્રત્યે ઘૃણાને પ્રોત્સાહન આપતા રહ્યા છે.” એ રિપોર્ટમાં મીડિયાની વૈશ્વિક સ્થિતિનો ચિતાર મળે છે, જ્યારે ગીતા સેશુ અને ઉર્વિક સરકાર લિખિત ‘ગૅટિંગ અવે વિથ મર્ડર’માં ભારતની વાત છે. તેઓ નોંધે છે કે 2019માં પત્રકારો પર 36 વાર હુમલા થયા હતા, જ્યારે 2014થી 2019 સુધીમાં એવી કુલ 198 ઘટનાઓ બની હતી. પાંચમાંથી એક હુમલામાં હત્યા પણ થઈ હતી. આવી ઘટનાઓ વધી રહી છે તે ચિંતાની વાત છે. લગભગ દરેક કિસ્સામાં ગુનેગારને સજા થઈ નથી. મોટા ભાગના કિસ્સા તો એફ.આઈ.આર.ના તબક્કાથી આગળ જ વધ્યા નથી અને જૂજ કેસ અદાલત સુધી પહોંચ્યા છે. આ અહેવાલ અનુસાર, હુમલાખોરોમાં “સરકારી સંસ્થાઓ, સુરક્ષા દળો, રાજકીય પક્ષોના સભ્યો, ધાર્મિક સંપ્રદાયો, વિદ્યાર્થીજૂથો, ગુનેગારોની ટુકડીઓ અને સ્થાનિક માફિયા”નો સમાવેશ થાય છે.

