મને સપનાંમાં
પોપાબાઈનું રાજ યાદ આવે.
આમ તો રાજમાં હતું કંઈ નહીં !?
એવું કહેવાય છે ને કે
ખાલી ચણો વાગે ઘણો
કે ચા કરતાં કીટલી ગરમ
શું એવું જ કંઈક હશે આ રાજમાં?
કે પછી
રાંડ્યા રાજની રાંડી પ્રજાને
પોપાબાઈના રાજથી કોઈ
મતલબ ન'તો !?
કે એવું શું પોપાબાઈ ચલવતાં
કે
નહીં
એ તો રામ જાણે!
ઘૈડિયા ય ગુજરી ગયા
ને ઇતિહાસ તો હોય જ નહીં
બિચારા પોપાબાઈના રાજનો
એટલે થયું
ચાલ આજે
કવિતામાં
પોપાબાઈનું કરીએ પુણ્યસ્મરણ!
પોપાબાઈ ગમે તેમ તો ય રાજમહિષી.
આમ તો રોજ
પણ રોજ નહીં તો
ક્યારેક જય તો કરવી જ પડેને!?
મારા પૂર્વજોએ ન'તી કરી જય
તો લ્યો હું કરું
જય જય પોપાબાઈ સરકાર!
![]()






સિરામિક્સના કળાકાર પોતાની કલ્પના મુજબ માટીમાંથી વિવિધ આકારો નિપજાવે છે અને તેની પર કાચનો રંગબેરંગી ઢોળ ચડાવે છે. બે લીટીમાં સમાઈ જતી આ પ્રક્રિયા માત્ર કળાસૂઝ, કળાની તાલીમ કે કૌશલ્ય જ નહીં, અતિશય ધીરજ, એકાગ્રતા, ખંત અને મહેનત પણ માગી લે છે. કેમ કે ચાકડા પર માટીનો આકાર બનાવી દેવાથી વાત પૂરી થતી નથી, બલકે ત્યાંથી શરૂ થાય છે. અમુક પ્રમાણમાં ભેજ રહે ત્યારે તેને યોગ્ય ટેક્નિકથી ઝડપભેર ગ્લેઝિંગ કરવું, ત્યાર પછી એ વાસણને ભઠ્ઠીમાં મૂકવું, નિર્ધારિત તાપમાને તેને તપાવવું અને પછી સાચવીને બહાર કાઢીને ઈચ્છિત પરિણામ મળ્યું છે કે નહીં એ જોવું. આ આખી પ્રક્રિયામાં દિવસો વીતે છે. સિરામિક્સ-કળાકાર પોતાની કલ્પના મુજબના આકારો સર્જે ત્યારે ગ્લેઝિંગ એ રીતે કરવું ઘટે કે એ આકાર વધુ ને વધુ ઊપસે. આ માટે જોઈએ એક પ્રકારની આંતરસૂઝ અને સમજણ. આમ તો આનો સમાવેશ ‘પૉટરી’(માટીનાં વાસણ)માં થાય છે, જે શિલ્પકળાની શાખા છે. છતાં ય દેશમાં શિલ્પકારો કરતાં સિરામિક્સનાં કળાકારો ઘણા ઓછા છે અને જ્યોત્સ્નાબહેનનું નામ એવાં ગણ્યાગાંઠ્યા કળાકારોમાં પ્રથમ હરોળમાં મૂકી શકાય.