હું આમ તો વિદેશી
દેશીઓના શ્વાસે-ઉચ્છવાસે
આવી પહોંચ્યો વિમાનની પાંખે
ને તમે પાછો પોંખ્યો
હવે પોંખ્યો એટલે ફૂલ્યો ફાલ્યો
આમ તો હું વિદેશી
વૈશ્વિકીકરણને વાયરે
વિદેશીઓના સથવારે
નીકળ્યા'તા પાછા કલ્યાણ(!) કરવા
આમ તો હું વિદેશી
એરપોર્ટના બારણે
ઘડીક રોકાયો, પછી પોંખાયો
બસ! પછી તો નીકળી પડ્યો લટારે
લટાર તો યાત્રા બનતી ગઈ
જો કે યાત્રા રોકવા કર્યું ઠેરઠેર લૉક ડાઉન
પણ લોકોના તો ટોળેટોળાં
મારા દુશ્મન બિચારા મારે હવાતિયાં
પણ તમારા દેશમાં તો ભારે ભીડ
ભીડ રોટલાંની, ભીડ નાણાંની
અને ભીડ સંવેદનાની
હું તો વિદેશી
હોઈ શકું નઠોર અને નિર્દય
પણ તમે તો સવાયા નીકળ્યા
રીતસરના દોડાવ્યા હોં લોકોને
ભલેને પડે પગમાં છાલા
હતી પેટમાં ભૂખ અને માથે ધૂપ
યાત્રા તો એ લોકોએ કરી
એક- બે નહીં લાખોએ
હું તો ભૈ વિદેશી
નાત-જાતને ધરમમાં હું ન જાણું
પણ તમે તો સવાયા હોં
સાવ કોરા કપાળે કરી દીધાં કલંકનાં ટીલાં
હું તો વિદેશી
ડૉકટર અને નર્સ ભલે ને મારા દુશ્મન
તમે તો સવાયા એમને ય હરાવ્યા
અને મારી યાત્રાને કહ્યું 'તથાસ્તુ'
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 22 ઍપ્રિલ 2020
![]()


“પરંપરાગત મૂડીવાદ મરી રહ્યો છે અથવા કમ-સે-કમ તે સામ્યવાદની કંઈક નજીક કહી શકાય તેવું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે”, ઓસ્ટ્રેલિયાની એક રોકાણકંપની મેકારી વેલ્થ દ્વારા તેના રોકાણકારોને તાજેતરમાં કોરોના મહામારીના માહોલમાં આમ કહેવામાં આવ્યું છે. શું ખરેખર મૂડીવાદનું સ્વરૂપ કોરોના વાઇરસને લીધે બદલાશે? 1991માં સોવિયેત સંઘનું પતન થયું અને તેના 15 દેશોમાં ટુકડા થઈ ગયા ત્યારે લંડનના માતબર અખબાર ‘ફાઇનાન્સિયલ ટાઈમ્સ’ દ્વારા તેના તંત્રીલેખનું શીર્ષક હતું: “સામ્યવાદ, એક ઈશ્વર, જે મરી ગયો!” અને મૂડીવાદે દુનિયાના નવા ઈશ્વર તરીકે તેની સાથે જ જન્મ લઈ લીધો! આજે કોરોના મહામારીને લીધે મૂડીવાદની રીતિનીતિ સામે કેટલાક સવાલ ઊભા થઈ રહ્યા છે અને તે ટકશે કે તેનો મૃત્યુઘંટ વાગશે તેવા સવાલોના જવાબ શોધવામાં આવી રહ્યા છે.