સ્વાતંત્ર્ય-ચળવળની પૃષ્ઠભૂમિમાં જઈએ તો જેલ એક મહત્ત્વનું ઠેકાણું બનીને ઊભરે છે. તે વખતના મોટાભાગના રાજકીય નેતાઓ અને ક્રાંતિકારીઓએ તેમના જીવનનો ખાસ્સો એવો સમય જેલમાં ગાળ્યો છે. અલબત્ત, ક્રાંતિકારીઓનો જેલવાસ રાજદ્વારી કેદીઓના જેલવાસની સરખામણીએ કપરો રહ્યો હતો. રાજદ્વારી કેદીઓનો જેલવાસ પ્રમાણમાં સહજ રહ્યો છે. ગાંધીજી, નેહરુ, સરદાર જેવા નેતાઓ તો જ્યારે જ્યારે જેલમાં ગયા છે, ત્યારે ત્યારે તેઓએ બહારના કોલાહલભર્યા વાતાવરણથી મુક્ત થયાનો અનુભવ કર્યો છે અને તેમણે પોતાના એ અનુભવને લખાણ દ્વારા વર્ણવ્યો પણ છે. માર્ચ, ૧૯૨૨માં ગાંધીજીને હિંદુસ્તાનમાં પ્રથમ વાર જેલ જવાનું થયું ત્યારે તેમણે ભાણેજ મથુરાદાસ ત્રિકમજીને એક પત્રમાં લખ્યું છે કે, “મારી શાંતિનો પાર નથી. અહીં તો ઘર જ છે. હજુ તો જેલ જેવું કંઈ લાગતું જ નથી. પણ જ્યારે મળનારા આવતા બંધ થશે ને જેલનો કંઈક દાબ પણ આવશે ત્યારે હું વધારે શાંતિ ભોગવવાનો, એ તો ખચીત માનજો.” અન્ય એક મિત્ર રેવાશંકર ઝવેરીને પણ ગાંધીજીએ જેલમાંથી લખેલા પત્રના શબ્દો છે : “હું તો ભારે શાંતિ ભોગવી રહ્યો છું”. આ જ ગાળામાં મહાદેવ દેસાઈ સહિત અન્ય પરિચિત લોકોને લખેલાં પત્રોમાં પણ જેલ વિશેનો સૂર કંઈક આવો જ ઝિલાયો છે. હિંદુસ્તાનમાં ગાંધીજીને થયેલો કારાવાસનો આ પ્રથમ અનુભવ તેમના જીવનનો પહેલો જેલવાસ ન હતો. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ દરમિયાન તેઓ અનેક વખત જેલમાં જઈ આવ્યા હતા અને ખાસ્સો લાંબો સમય ત્યાં વિતાવ્યો હતો. પાછળથી ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના તેમના કારાવાસના અનુભવોનું વર્ણન કરીને 'ઇંડિયન ઓપિનિયન’માં સમયાંતરે લખ્યું હતું; જે લખાણો 'મારો જેલનો અનુભવ’ નામે પુસ્તક સ્વરૂપે પ્રગટ થયાં હતાં.
યરવડા જલે , જ્યાં ગાંધીજીએ કારાવાસ નો સૌથી વધુ સમય ગાળ્યો
સાબરમતી જેલના પ્રથમ કારાવાસ બાદ ગાંધીજીની અનેક વખત ધરપકડ થઈ અને તેમને અવારનવાર કારાવાસમાં જવાનું બન્યું. સ્વાતંત્ર્ય-ચળવળ દરમિયાન ગાંધીજી સૌથી લાંબો સમય પૂનાની યરવડા જેલમાં રહ્યા. આ જેલવાસના અનુભવો વિશે પણ તેમણે 'યંગ ઇન્ડિયા’ અને 'નવજીવન’માં વિગતે લખ્યું હતું, જે 'યેરવડાના અનુભવ’ નામે પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયું છે. ગાંધીજીના કારાવાસના અનુભવોનો અંતિમ અધ્યાય સુશીલા નય્યરે 'બાપુના કારાવાસની કહાણી'ના નામે લખ્યો છે. બ્રિટિશ હકૂમતની સામે લડતના છેવટના સંગ્રામમાં ૧૯૪૨ના ઑગસ્ટ માસની આઠમી તારીખથી ૧૯૪૪ની છઠ્ઠી મે સુધી તેમને આગાખાન મહેલમાં અટકમાં રાખવામાં આવ્યા હતા. આ એકવીસ માસ ગાંધીજીના જીવનનું તેમ જ હિંદની મુક્તિની લડતનું એક વિરલ પ્રકરણ છે. સુશીલા નય્યરના આ પુસ્તકમાંથી આપણને ગાંધીજીના જેલજીવનની સાથે-સાથે કસ્તૂરબા ગાંધી, સુશીલા નય્યર, સરોજિની નાયડુ, પ્યારેલાલ, મહાદેવભાઈ દેસાઈના જેલજીવનના રોજિંદા ક્રમની વિગતો મળી રહે છે. પ્રસ્તુત પુસ્તકમાંથી 'જેલમાં બાપુની પહેલી વરસગાંઠ' નામનું એક પ્રકરણ મૂક્યું છે.
આમ, ગાંધીજીના જીવનમાં કારાવાસના અનુભવની લાંબી કહાણી છે, જેને ગાંધીજીએ પોતે જ શબ્દબદ્ધ કરી છે. જો કે આ સિવાય પણ ગાંધીજીનું જેલમાંથી સર્જાયેલું સાહિત્ય અને પત્રવ્યવહાર વિપુલ છે, જેનો ક્યાસ કાઢવો એ સંશોધનનો વિષય છે. ગાંધીજીની માફક આઝાદીના અન્ય લડવૈયાઓએ પણ પોતાના જેલવાસના અનુભવો પોતાના લખાણમાં ઉતાર્યાં છે. કાકાસાહેબ કાલેલકરે તો સાબરમતી જેલના નિસર્ગને શબ્દબદ્ધ કરીને 'ઓતરાતી દીવાલો' નામનું ઉમદા પુસ્તક આપ્યું છે. આઝાદીની લડતના અગ્રણી અને દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે જેલજીવનના હિસ્સાને આત્મકથામાં મહત્ત્વ આપીને સમાવ્યો છે.
ગાંધીજીની જેમ જવાહરલાલ નેહરુ અને મહાદેવભાઈ દેસાઈએ પણ તેમના જેલવાસ દરમિયાન ઘણુંબધું લખ્યું અને વાંચ્યું છે. તેમના એ અનુભવો વાંચ્યા બાદ તો એક વેળા મન એ સ્વીકારવા સુધી પણ લલચાય છે કે વ્યક્તિના જીવનનો સૌથી ઉત્તમ તબક્કો તેની જાત સાથેના આવા એકાંતનો જ હશે! જવાહરલાલ નેહરુએ આત્મકથા કારાવાસમાં જ લખી છે, જેની પ્રસ્તાવનામાં તેઓ નોંધે છે : "આ પુસ્તક લખવાનો મૂળ હેતુ એ હતો કે જેલજીવનના એકાંતના લાંબા સમયમાં અતિશય આવશ્યક એવું કાંઈક નિશ્ચિત કાર્ય ઉપાડી લઈને મારો સમય ભરી દેવો." નારાયણભાઈ દેસાઈએ તો પિતાના જીવનવૃત્તાંત 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ'માં મહાદેવભાઈ દેસાઈના કારાવાસ કાળના પ્રકરણને 'સત્યાગ્રહીનું સાધના-સ્થળ : કારાવાસ’ એવું રૂપાળું નામ પણ આપ્યું છે, જેમાંથી પણ અહીં કેટલાક અંશ ટાંક્યા છે.
પોતાની જેલયાત્રા દરમિયાન સાહિત્યસર્જન કરનારા સત્યાગ્રહીઓમાં એક નામ સરદાર પટેલનું પણ આવે છે. પત્રો સિવાય ભાગ્યે જ કશું લખનારા સરદાર પટેલે સાબરમતી જેલમાં તેમના દોઢ મહિનાના કારાવાસ દરમિયાન ડાયરી લખી છે. આ લખાણ આજે 'સરદારની જેલ-ડાયરી' નામે પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ છે.
જેલસાહિત્યમાં આ સિવાય પણ તે કાળની અને તે પહેલાંના-પછીના કાળની અનેક વ્યક્તિઓનો સમાવેશ થઈ શકે છે, પણ અહીંયાં આપણે ઉપર આપેલાં પુસ્તકોનાં પસંદગીનાં પ્રકરણો સમાવ્યાં છે.
જેલ અને નવજીવનનો અનુબંધ ગાંધી સાર્ધશતાબ્દી વર્ષમાં વધુ ગાઢ થયો છે તે કારણે પણ જેલ વિશેનો એક સ્વતંત્ર અંક કરવાનું વિચારાયું હતું. સાબરમતી મધ્યસ્થ જેલ સાથે નવજીવનના વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે, જેમાં બંદીવાનો દ્વારા દોરાયેલાં ચિત્રોની પ્રદર્શની, બંદીવાનો દ્વારા ગણપતિની મૂર્તિઓનું નિર્માણ, મહિલા બંદીવાનો માટે સેનિટેશન પેડનાં ઉત્પાદનના સાધનમાં સહાય, ગાંધી અને સરદાર કથા, બંદીવાનો અર્થે જેલમાં જ ચાલી રહેલો પ્રૂફરીડિંગ અને પત્રકારત્વનો કોર્સ અને સાથે સાથે કર્મ કાફે પર બંદીવાનો દ્વારા થતાં ગાંધીભજન. નવજીવન અને સાબરમતી મધ્યસ્થ જેલનો આ અનુબંધ વધુ મજબૂત બની રહ્યો છે. આને જ અનુલક્ષીને સ્વાતંત્ર્ય-સેનાનીઓના જેલ-અનુભવ અંગેનો અંક તૈયાર કર્યો છે. આશા છે કે આપણા આગેવાનોના જેલના અનુભવ સૌને વાંચવા ગમશે.
(સંપાદકીય)
પ્રગટ : “नवजीवनનો અક્ષરદેહ”, મે 2019; પૃ. 147-149