કે. કસ્તૂરીનંદન સમિતિએ ૪૮૪ પાનાંનો રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ રિપોર્ટ ડિસેમ્બર ૨૦૧૮માં કેન્દ્ર સરકારને સુપ્રદ કર્યો હતો. લોકસભા ચૂંટણી પછી નવેસરથી રચાયેલી કેન્દ્ર સરકારે તે જાહેર કર્યો. આ રિપોર્ટની ત્રિભાષા ફોર્મુલાનો દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વિરોધ થતાં કેન્દ્ર સરકારે પારોઠનું પગલું ભરી તેમાં સુધારો કર્યો. દક્ષિણનાં રાજ્યો, ખાસ કરીને તમિળનાડુએ, સરકાર તેમના પર ફરજિયાત હિંદી ભાષા થોપી રહી હોવાનું જણાવી વિરોધ કરતાં સરકાર બચાવમાં આવી ગઈ અને તેણે બિનહિંદીભાષી રાજ્યોમાં હિંદી ભણાવવાની ભલામણ રદ્દ કરી દીધી.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મુસદ્દાના પ્રકરણ ૨૨માં સ્થાનિક ભાષા કે માતૃભાષામાં શિક્ષણની વાત કરતાં બહુભાષિતા, ભાષાઓની શક્તિ અને ભારતીય ભાષાઓના પ્રોત્સાહન પર ભાર મુકાયો છે. જો કે ડ્રાફટમાં હિંદીભાષી અને બિનહિંદી ભાષી રાજ્યો એવા બે ભાગ તારવી બિનહિંદીભાષી રાજ્યોમાં ત્રિભાષા નીતિ લાગુ કરી પ્રાથમિક શિક્ષણથી હિંદી ફરજિયાત કરવાની જિકર છે. તો હિંદી ભાષી રાજ્યોમાં કોઈ એક ભારતીય ભાષાના શિક્ષણની ભલામણ છે. આ ભેદ સામે દક્ષિણના રાજ્યોનો વિરોધ છે અને તેમને વાજબી રીતે લાગી રહ્યું છે કે તેમના પર હિંદી ભાષા લાદવામાં આવી રહી છે.
આઝાદી સમયે દેશમાં અ,બ,ક અને ડ એમ ચાર પ્રકારના રાજ્યો હતાં. આ ચાર પ્રકારના ઘટક રાજ્યોના અધિકારો અને દરજ્જો એકસરખાં નહોતાં. અંગ્રેજ અમલ દરમિયાન પણ તેમનું માળખું યોગ્ય રીતે ગોઠવાયું નહોતું. માત્ર ભાષાના મુદ્દે પણ આ રાજ્યોનો વહીવટ કરવો અઘરો હતો. એકલા બંગાળ પ્રાંતનો વહીવટ કરવા બંગાળી, અસમિયા, હિંદી અને ઉડિયા એ ચાર ભાષાઓ જાણવી જરૂરી હતી. ભાષાના ધોરણે રાજ્યોની રચનાની માંગ આઝાદી આંદોલન દરમિયાન જ ઊઠી હતી. ઈ.સ. ૧૯૧૯માં કૉન્ગ્રેસની પ્રાંતીય શાખાઓ ભાષાના ધોરણે સ્થપાઈ હતી. તો આઝાદી પછી ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવા કૉન્ગ્રેસ વચનબદ્ધ હતી,૧૯૫૩માં રચાયેલા ‘રાજ્ય પુનર્ર્ચના પંચ’ની ભલામણો મુજબ. ભાષાનું રાજ્ય કે રાજ્યની ભાષાની સૈદ્ધાંતિક ચર્ચા કર્યા સિવાય ૧૯૫૬માં ભાષાવાર રાજ્યોની રચના કરવામાં આવી હતી.
ભાષાકીય ધોરણે રાજ્યોની રચના પછી પણ ઉત્તર દક્ષિણનાં રાજ્યોના ભેદ કે હિંદીનો વિરોધ ચાલુ જ રહ્યાં. દક્ષિણનું પ્રથમ હિંદી વિરોધી આંદોલન ૧૯૩૭ થી ૧૯૪૦માં થયું હતું. એ સમયના મદ્રાસ પ્રાંતમાં રાજાજીના મુખ્યમંત્રી પદે કૉન્ગ્રેસની સરકાર હતી. રાજાજીએ જુલાઈ ૧૯૩૭માં માધ્યમિક શિક્ષણ સુધી હિંદી ભાષા ફરજિયાત ભણાવવાનું ફરમાન જારી કર્યું. પેરિયાર રામાસામી નાયકરના નેતૃત્વમાં તેના વિરોધમાં ઉગ્ર આંદોલન થયું હતું. હિંસા અને તોફાનો વચ્ચે આ આંદોલન ત્રણ વરસ ચાલ્યું. રાજાજી પણ નમતું જોખવા તૈયાર નહોતા. શાળા કોલેજો બંધ રહ્યાં ને જનજીવન મહિનાઓ સુધી ઠપ્પ થઈ ગયું. અંતે બીજા વિશ્વ યુદ્ધમાં ભારતની ભાગીદારીના વિરોધમાં કૉન્ગ્રેસ સરકારે રાજીનામુ આપ્યું તે પછી અંગ્રેજ ગવર્નરના શાસનમાં ફરજિયાત હિંદીનો આદેશ પરત લેવાયો ત્યારે જ આંદોલનનો અંત આવ્યો.
કૉન્ગ્રેસની ૧૯૩૭ની આ હિંદી તરફદારી બંધારણના ઘડતર વખતે હિંદીને રાષ્ટ્રભાષા બનાવવાના મામલે પણ જોવા મળી. ડો. આંબેડકરે તેમના પુસ્તક “થોટ્સ ઓન લિંગ્વિસ્ટિક સ્ટેટ”માં એક રસપ્રદ વિગત નોંધી છે. બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષની હેસિયતથી ડો.આંબેડકરની હાજરીમાં મળેલી કૉન્ગ્રેસની બેઠકમાં હિંદીને રાષ્ટ્રભાષા બનાવવાના પ્રસ્તાવ પર લાંબી ચર્ચાઓ અને વિવાદ પછી મતદાન થયું ત્યારે તરફેણ અને વિરોધમાં એકસરખા ૭૮ -૭૮ મત પડ્યા હતા. એટલે કોઈ નિર્ણય ન થઈ શક્યો. લાંબા સમય બાદ ફરી સભા મળી અને ફરી મતદાન થયું ત્યારે હિંદીની તરફેણમાં ૭૮ અને વિરુદ્ધમાં ૭૭ મત પડ્યા. આમ માત્ર એક મતની બહુમતીથી કૉન્ગ્રેસે હિંદીને રાજભાષા બનાવવાનો નિર્ણય કર્યો હતો !
ભારતના બંધારણના ૧૭મા પ્રકરણના અનુચ્છેદ ૩૪૩થી ૩૪૯મા રાજભાષા સંબંધી જોગવાઈઓ છે. તે મુજબ હિંદીને આપણે રાષ્ટ્રભાષા નહીં વહીવટની ભાષા કે રાજભાષા જ બનાવી શક્યા છીએ. બંધારણના અમલ પછીના ૧૫ વરસ સુધી અંગ્રેજી ભાષાને સહાયક રાજભાષા બનાવી હતી. ૧૯૬૫માં તેની મુદ્દત પૂરી થતાં ફરી અગાઉ કરતાં વધુ ઉગ્ર હિંદી વિરોધી આંદોલન થયાં. આ રીતે દક્ષિણના રાજ્યોને હિંદી વિરોધની તક સરકાર અવારનવાર આપતી રહે છે.
વર્તમાન હિંદી વિરોધના મૂળમાં રહેલી ત્રિભાષા નીતિ એક દંભ બની રહી છે. દક્ષિણ ભારતના રાજ્યોને આ નીતિ મુજબ પ્રાદેશિક ભાષા, અંગ્રેજી ભાષા અને હિંદી ભાષાના શિક્ષણની ફરજ પડાય છે. પરંતુ આ જ ત્રિભાષા નીતિમાં ઉત્તરના હિંદી ભાષી રાજ્યો હિંદી અને અંગ્રેજી ઉપરાંત ત્રીજી ભાષા તરીકે કોઈ એક આધુનિક ભારતીય ભાષાનું શિક્ષણ મેળવે છે. હકીકતો દર્શાવે છે કે ભલે દક્ષિણના રાજ્યો દ્વિભાષા નીતિને જ અનુસરતા હોય પણ તેઓ ધીમે ધીમે હિંદી શીખી રહ્યા છે. પરંતુ ઉત્તરના રાજ્યો કોઈ દક્ષિણ ભારતીય ભાષાનો સમાવેશ તેમના શિક્ષણમાં કરતાં નથી. તેઓ મોટા પ્રમાણમાં સંસ્કૃત કે ઉર્દૂ શીખે છે પણ તમિળ, તેલુગુ, કન્નડ કે મલયાલમ ભાષા શીખતા નથી ! ગાંધીજીએ ઈ.સ. ૧૯૧૮માં દક્ષિણના રાજ્યોમાં હિંદીને પ્રોત્સાહન મળે તે હેતુથી “દક્ષિણ ભારત હિંદી પ્રચાર સભા”ની સ્થાપના કરી હતી. તાજેતરના અખબારી અહેવાલો મુજબ વરસ ૨૦૧૮માં તમિળનાડુમાંથી ૪.૨ લાખ (ચૈન્નઈના ૧.૬ લાખ) લોકોએ હિંદી પ્રચાર સભા દ્વારા લેવાતી હિંદીની પરીક્ષા પાસ કરી હતી. આંધ્ર-તેલંગણાના ૨.૩૮ લાખ , કર્ણાટકના ૪૨,૦૦૫ અને કેરળના ૨૦,૦૦૫ વ્યક્તિઓએ હિંદી પ્રચાર સભાની હિંદી ભાષાની પરીક્ષા પસાર કરી હતી. શું હિંદી ભાષી રાજ્યો આવું દક્ષિણ ભારતીય ભાષાઓ માટે કરે છે ખરા ? સી.બી.એસ.ઈ.ના અભ્યાસક્રમમાં ૧થી ૧૦ ધોરણમાં ત્રીજી ભાષા તરીકે હિંદીનું શિક્ષણ ફરજિયાત છે. તમિલનાડુમાં દાયકા પૂર્વે સી.બી.એસ.ઈ. શાળાઓ માત્ર ૯૮ જ હતી. આજે તેમાં દસ ગણો વધારો થઈને આંકડો ૯૫૦ પર પહોંચ્યો છે. શું આ હિંદી વિરોધ છે ?
આ હકીકતો દર્શાવે છે કે દક્ષિણ ભારતના રાજ્યોનો હિંદી વિરોધ હિંદી ભાષાના વિરોધનો નથી પરંતુ તેમના પર જે રીતે હિંદી ભાષા થોપવામાં આવી રહી છે તેનો છે. દક્ષિણના રાજ્યોમાં મોટા પ્રમાણમાં ઉત્તરના હિંદી ભાષીઓ મજૂરી કરે છે એટલે હિંદી રોજગારની ભાષા બનશે તેવી દલીલ ચાલે તેવી નથી. દક્ષિણ ભારતે જે રીતે કમ્પ્યૂટર અને સોફ્ટવેરમાં કાઠું કાઢ્યું છે તે પરથી અંગ્રેજી ભાષા પ્રત્યેનો તેમનો લગાવ પણ સમજાય છે. ૧૯૩૭માં કૉન્ગ્રેસે વિરોધ સહન કરીને હિંદી શીખવવાનો આગ્રહ રાખ્યો હતો. ૨૦૧૯નો સત્તાપક્ષ હિંદી હિમાયતીની તેની છબી ઊભી ન થાય તે માટે સાવધ છે. આ સ્થિતિમાં પ્રત્યાયનનું માધ્યમ કે સંસ્કૃતિ અને વિચારની વાહક ભાષાને રાજકારણનો અખાડો મટતી બચાવવી પડશે.
e.mail : maheriyachandu@gmail.com
(પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”, 19 જૂન 2019)