ક્યાંક તણખા, ક્યાંક ભડકા થાય છે,
શી ખબર કેવી હવા અહીં વાય છે.
દૂરથી એ સૂર શું-શું લાવતા ?
કાં અહીં ઓળખ બધી બદલાય છે ?
ગામ, ખેતર, કોસ, કૂવા – આટલું
આગને વેશે બધે ફેલાય છે.
ચાલ મેલી આ કડાકૂટ ગોંદરે,
ઈંટ, પથ્થર ને ચૂનો પણ જાય છે.
ત્યાં હવે કોઈ સલામત ક્યાં રહ્યું?
ક્ષણેક્ષણે આઝાદ મન હોમાય છે!
રક્ત જો આ માર્ગ પર વ્હેતું દીસે,
ચાલ તું, પગલાં બધાં રંગાય છે.
પાગલો ભેળા થયાના છે ખબર,
કોણ જાણે ક્રાંતિગીતો ગાય છે.
દોસ્ત, ઝાઝી ના ગતાગમ જો પડે,
નોંધ તું, દરિયો હવે ઊભરાય છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2018; પૃ. 07
![]()


મનમોહન સિંગની આગેવાની હેઠળની સરકારે નવેમ્બર 2004માં વિશ્વવિખ્યાત કૃષિવિજ્ઞાની એમ.એસ. સ્વામીનાથનના અધ્યક્ષપદે નૅશનલ ફાર્મર્સ કમિશનની રચના કરી. તેનો હેતુ દેશમાં ખેતી પર આવી પડેલી આપત્તિનો ઉકેલ લાવવાનો હતો. ખેતીમાં નજીવી આવકને કારણે અનેક રાજ્યોમાં સેંકડો ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. વિરલ પત્રકાર પી. સાઈનાથના અભ્યાસ મુજબ 1997 થી 2005 દરમિયાન ભારતમાં દર અરધા કલાકમાં એક ખેડૂતે જિંદગી ટૂંકાવી હતી. આ કટોકટીમાં સ્વામીનાથન્ આયોગે તેનો પહેલો અહેવાલ ડિસેમ્બર 2004માં અને પાંચમો (અને અત્યાર સુધીમાં) આખરી અહેવાલ ઑક્ટોબર 2006માં આપ્યો.