ઊગતા કવિઓને, પહેલાં બોલાવી લેવાનો મેઇનસ્ટ્રીમવાળાઓનો ભેદકારી ચાલ અહીં પણ જોવા મળ્યો
અકાદમીનું ૧૧મું સમ્મેલન – ૨
વ્હાલી બચીબહેન : સમ્મેલનમાં એક ખૂબ આસ્વાદ્ય વસ્તુ હતી, પન્ના નાયકનું એક જૂનું પણ ભાવવાહી ગીત – 'લ્યો, નાવ કિનારે આવી / મઝદારે મ્હાલી એ મસ્તી એક ઈશારે આવી'. અમર ભટ્ટના સ્વરનિયોજનમાં હિમાલી વ્યાસે ગાયેલું. મને થાય, પન્નાબહેનની એ ગીતસર્જકતા વિકસી હોત તો એમની કાવ્યસૃષ્ટિનું કલામૂલ્ય ઑર અદકેરું થઇ ગયું હોત.
હવે સાંભળ, અમારી બેઠકની વીતકકથા. વિષય હતો, 'નવલકથા અને નવલકથાકાર'. બે કલાકની બેઠક. ચાર વક્તા. દરેકને ૨૫ મિનિટ. ૨૦ મિનિટ મુક્તચર્ચા માટે. ગમ્ભીર વક્તાઓ વ્યાખ્યાનની પૂર્વતૈયારીમાં કલાકો ખરચતા હોય છે. તેમછતાં આવા વ્યાપક વિષયને ૨૫ મિનિટમાં ન્યાય આપવા જાય તો એઓ પણ હાંફી જાય. આ લોકોને એમ હશે કે નવલકથા જેવા સમયખાઉ સાહિત્ય વિશે બહુ બધું જાણી લઇએ તો બીજા સમ્મેલન લગીની નિરાંત થાય ! સદર્થે સેવાયેલો એ લોભ વાસ્તવિક હતો, પણ વક્તાઓને ભારે પડેલો.
મણિલાલ હ. પટેલ વિષયને વફાદાર રહેવા ઇતિહાસમાં ગયેલા. એ પછી રાવજી પટેલની નવલ 'અશ્રુઘર' વિશે કહેતા'તા. દરમ્યાન એમને સૂચના મળી કે 'તમારી પાસે પાંચ મિનિટ' છે. છતાં એમણે વાતને પૂરી તો કરેલી. મેં પહેલેથી જણાવેલું કે 'છિન્નપત્ર' અને સુરેશ જોષીના પ્રદાન વિશે બોલવાનું ઑડિયન્સને અને મને બન્નેને અઘરું પડશે. પણ સુરેશ જોષી વિશેની એમની હૉંશ પ્રશસ્ય લાગેલી એટલે સહર્ષ સ્વીકારેલું. સમય સાચવવા વ્યાખ્યાનને કાંટાકસ તોળ્યું અને ઉમેર્યું કે બાકીની વાત મેં રૅકર્ડ કરી છે, લિન્ક આપીશ. પણ હરખથી ઓળઘોળ સમ્મેલનમાં એવી લિન્કો લેવા કોણ આવે?
ઈલા આરબ મહેતાનો વિષય હતો, ગુણવંતરાય આચાર્યની નવલકથા. ગુણવંતરાય એમના પિતા, તે સ્વાભાવિકપણે જ એમનાથી વિષયની મર્યાદામાં ન રહેવાયું. હકારાત્મક દૃષ્ટિકોણ, દરિયાઇ કથાઓ, સાહસકથાઓ, કલા સાથે કલ્યાણ – એવા અનેક મુદ્દા સાથે પિતાજીનાં સંસ્મરણો, એમ લગભગ જીવનકથા જેવું જ કહેતાં'તાં. સંચાલક નટવર ગાંધીએ 'પાંચ મિનિટ બાકી' કહેલું છતાં એ કારણે ઈલાબહેનથી પછીના વક્તા રમણ સોનીનો લગભગ બધો સમય વપરાઇ ગયેલો. છૂટાં પડતી વખતે ઈલાબહેને 'સૉરિ' કહેલું. દૂધ ઢોળાઈ ગયા પછી શું કરી શકે? સંચાલકને તો એટલું હોય કે પછીના વક્તાનો સમય ઝૂંટવાઈ ન જાય. અને, માનમર્યાદામાં સમજતા અકાદમીવાળા ય શું કરે? પણ બચીબહેન, સભાનો વિવેક જો, ઈલાબહેનને સ્ટૅન્ડિન્ગ ઓવેશન આપેલું ! એવા ઓચ્છવ પછી, મુનશી અને 'પૃથ્વીવલ્લભ' વિશે રમણ સોની બોલવા તો ગયા, પણ શું બોલે? તારાવાળું ક્રિયાપદ વાપરીને કહું તો, એમને 'પતાવવું' પડેલું.
'ડિજિટલ ટૅક્નોલૉજી અને પુસ્તકોનું ભવિષ્ય' વિષય ટૅક્નિકલ હોઇને ખાસ સમજવાલાયક હતો. અપૂર્વ આશરે યુનિકોડનું સ્ટાન્ડર્ડાઈઝેશન, ટૅક્સ્ટ ટુ સ્પીચ, ફ્યુચર-પ્રૂફ પબ્લિકેશન, વગેરે મુદ્દા સમજાવેલા. વક્તવ્ય અને વીડિયો પ્રેઝન્ટેશનનું સંમિશ્રણ સાર્થક નીવડેલું. બાબુ સુથારનો મુખ્ય મુદ્દો એ હતો કે ઇ-બુક્સ સાથે આપણે કેવી કેવી રીતે ઍડજસ્ટ થવું પડશે. કેમ કે પરમ્પરાગત લેખન ને હસ્તપ્રત જતાં રહે, એટલે લર્નિન્ગ પ્રોસેસ બદલાઈ જાય. પરિણામે, આપણું સમગ્ર વર્તન બદલાઈ જવાનું. એમણે ભેટ-પુસ્તક કે પુસ્તક માત્રના ભાવિ વિશે રમૂજી શૈલીમાં સૂચક વાતો કરેલી. મને લાગેલું, બાબુભાઈ વધારે બોલ્યા હોત તો વધારે સારું થાત.
'કવિતાવિશ્વની અમેરિકાની તારિકાઓ' : કાવ્યપઠન
'કવિતાવિશ્વની અમેરિકાની તારિકાઓ' જેવા લલચામણા શીર્ષક હેઠળ અહીં પણ સ્ત્રીકવિઓનું અલાયદું કાવ્યપઠન હતું. મુકેશ જોશી સભા-સંચાલનોનો બહુ-અનુભવી જુવાન છે. સંચાલનની એની રીત નિજી અને અસરકારક હતી – એકપણ સમસામયિક સંચાલકની યાદ આવતી જ ન્હૉતી. મને આ સ્ત્રીકવિઓની કોઇ કોઇ કાવ્યાત્મક પંક્તિઓ યાદ છે : પૂર્ણિમાબહેનની પંક્તિ -તને મળ્યા પછીના સમયને હું નવ જન્મ આપીશ : રેખાબહેનની પંક્તિ – બરફમાં પડતાં પગલાં હજી ભીનાં છે : દેવિકાબહેન ધ્રુવે ગીત ગઝલ ને અછાન્દસ સંભળાવેલાં. એમની – લો અમે તો ચાલ્યાં પાછાં કલમને કરતાલે, રચના મને વધારે સારી લાગેલી. જયશ્રીબહેનની પંક્તિ – મને દઇ દો આ ટહૂકાનું આયખું, સુન્દર હતી. તને મારા અચરજની વાત કરું. મને આપણા વિનોદ અધ્વર્યુની દીકરી, ભાષાભવનની મારી વિદ્યાર્થિની, નંદિતા – નંદિતા ઠાકોર – મળેલી. કાવ્યો લખે છે ને ગાઈ જાણે છે – તારી આંખોમાં શમણાંની જેમ અમે રહીશું, એણે સરસ ગાયેલું. એની – અટૂલા માળામાં એકલવાયું પંખી એકલતાને ટીપે ટીપે ચણ્યા કરે, એ રચના મને બહુ ગમેલી. ઊગતા કવિઓને, પહેલાં બોલાવી લેવાનો મેઇનસ્ટ્રીમવાળાઓનો ભેદકારી ચાલ અહીં પણ જોવા મળ્યો. પણ આ સ્ત્રીકવિઓ સ્વાયત્તપણે જેવું લખાય એવું લખી રહી છે એ મોટી વાત છે. એમને ક્રીએટિવ સૅલ્ફ -ઍડિટિન્ગની તાલીમ મળે તો વધારે સારું લખી શકે.
સ્થાનિક લેખકો માટેની બેઠકમાં, વળીને, મોટી સંખ્યામાં કાવ્યો હતાં. અશોક વિદ્વાંસના સંચાલન હેઠળ ભૂપેન્દ્રસિંહ રાઉલ, ચન્દ્રકાન્ત દેસાઈ, હિમાદ્રીબહેન, કિશોરભાઈ, આશાબહેન, રણધીર નાયક, દિનેશભાઈ, હંસાબહેન, રમેશભાઈ, તુષારભાઈ, એમ ઘણાંએ પોતાની રચનાઓ રજૂ કરેલી. આ લોકોનો ખાદ્ય ગદ્યની તુલનામાં પેય પદાર્થ કાવ્યને વિશેનો મોહ તો તું જો – વળી, કાવ્યપઠન હતું ! આમન્ત્રિત કવિઓ માટેનું. એમાંના, ચિન્તન નાયકે ગઝલો અને અછાન્દસ રચના રજૂ કરેલી. એમની – ખુદથી વધુ ખુદાને શોધું, એવા ભાવની રચના વધારે સારી હતી. મુકેશે પોતે માત્ર સંચાલક નથી, કવિ છે, એવા ઠસ્સાથી રજૂ કરેલી રચનાઓમાં – આ માણસ બરાબર નથી, મને વધારે ગમેલી કેમ કે એ ભાવ એમાં તાદૃશ થયેલો. લાગ્યું કે એ બન્ને કવિઓ જુદા સ્વાદની રચનાઓની દિશામાં છે. (મને ઘણાની સરનેમ યાદ નથી રહી, ક્ષમા.)
અનિલ ચાવડાએ – સણસણતી ગોફણ છે, ગોફણ છે, એ પ્રલંબ લયની રચનાથી સભાને સ્તબ્ધ કરી દીધેલી. – એક નાના કાંકરે આખી નદી ડ્હૉળાય નહીં કહીને; અમદાવાદને ૨૦૮ની ઝડપે દોડતું ૧૦૮નું શહેર કહીને; એણે પોતાની હાસ્યવ્યંગશક્તિનો અચ્છો પરચો આપેલો. 'નયનસંગ બાપુ'-નો અંશ તો મને એ શક્તિનો અનેરો ઉલ્લાસ લાગેલો. તુષાર શુક્લની 'ફુગ્ગાવાળો', 'વાળવગી ઓળખ', પિતાજી અને દીકરી વિશેની રચનાઓ, સાંભળતાં લાગ્યું કે કિલકારી જેવી હળવીમધુર રીતેભાતે પણ કાવ્યપદાર્થ ઘણું કહી શકે છે. જેમ અનિલે તેમ તુષારે સૂચવી દીધેલું કે સભામાં કાવ્યપઠનના તરીકા નૉખા જ હોય પણ એ એટલા જ સાર્થક નીવડવા જોઇએ. 'ચલો ગુજરાત'-ના જાણે બોનસ રૂપે સમ્મેલનને દેવકી દવે, જય વસાવડા, સુભાષ ભટ્ટ અને નેહલ ગઢવી મળેલાં. દેવકીનું પ્રસંગોચિત વક્તવ્ય, પ્રેરક હતું. સુભાષ ભટ્ટને કારકિર્દીપરક અને જીવનવિષયક સૂચક પ્રશ્નો પૂછીને જય વસાવડાએ એ બેઠકને ઘણી ધ્યાનાકર્ષક બનાવેલી. લાગ્યું કે જય પ્રભાવક વક્તા ઉપરાન્ત નિપુણ સંચાલક પણ છે. સુભાષની ફિલસૂફી તરફી અંગત વાતો સાથે/સામે નેહલની વાસ્તવતરફી સંગત આસ્વાદ્ય હતી.
સમ્મેલન જેવા મોટા ફલકના કાર્યક્રમોમાં ત્રણ વર્ગના કાર્યકરો હોય છે – સાથ આપનારા – સહકાર આપનારા – સેવા આપનારા. રથિને એવા વર્ગ પાડીને સૌ કાર્યકરોનો નિરાંતે આભાર માનેલો. સૌએ એમનું એ આભાર-વક્તવ્ય માણેલું. બાકી, બધાં રાહ જોતાં હોય છે કે ક્યારે 'પતે' ! રથિનને મેં કહેલું – આભાર માનવાની તમારી આ વિલક્ષણ રીત હું મારા અધ્યાપકમિત્રોને જરૂર જણાવીશ. પણ બચીબહેન, આ લોકો બે વરસે સમ્મેલન કરે એ તો ન ચાલે. ભૂલી જવાય; ને ભુલાવી દે એવું છે આ અમેરિકા. આવીશ ત્યારે તું પણ અનુભવીશ.
===
https://www.facebook.com/suman.shah.94/posts/2190248351006066
શનિવાર, તારીખ ૩/૧૧/૨૦૧૮ના “નવગુજરાત સમય” દૈનિકમાં પ્રકાશિત આ લેખ સૌજન્યસહ મૂક્યો છે.