કેન્દ્ર સરકરના એટર્ની જનરલે સેક્શન ૪૯૭ વિષે કેન્દ્ર સરકારનો દૃષ્ટિકોણ રજૂ કરતા અદાલતને સલાહ આપી છે કે મહાન ભારતીય કુટુંબ વ્યવસ્થાને નુકસાન ન પહોંચે એનું ધ્યાન રાખવામાં આવે. જો પતિની સંમતિ વિના પત્નીને ભોગવવાનો પરાયા પુરુષને અધિકાર આપવામાં આવશે, અને પત્નીની એક સ્ત્રી તરીકે શારીરિક સંબંધ માટેની ઈચ્છા અને સંમતિને તેના અધિકાર તરીકે માન્ય રાખવામાં આવશે તો આપણી મહાન કુટુંબ વ્યવસ્થા નાશ પામશે. આવી દલીલ કરવા માટે ૫૬ ઈંચની છાતી જોઈએ જે આપણા આજના શાસકો ધરાવે છે. મુસ્લિમ સ્ત્રીને મળવા જોઈતા ન્યાયની ચિંતા કરનારાઓ સ્ત્રીનો કેટલો આદર કરે છે એ આમાં જોઈ શકાય છે.
ગયા રવિવારની કોલમમાં ભારતીય દંડ સંહિતાના સેક્શન ૩૭૭ વિષે ચર્ચા કરતા મેં લખ્યું હતું કે ભારતમાં હજુ બીજા અનેક અંગ્રેજકાલીન જુનવાણી કાયદાઓ છે જેની સમીક્ષા કરવાની અને રદ્દ કરવાની જરૂર છે. જુનવાણીનો અર્થ કલાનુક્રમે નથી, પરંતુ મૂલ્ય અને માનસિકતાના સંદર્ભે છે. સમાજ આગળ નીકળી ગયો હોય, પરંતુ કાયદાઓ ન બદલાયા હોય એટલુ જ નહીં એને આધારે ન્યાય તોળાતો હોય એને જુનવાણી કે કાલબાહ્ય કાયદા કહેવાય. રવિવારે મેં લખ્યું હતું એમ દેશનું બંધારણ ઘડનારાઓએ સર્વોચ્ચ અદાલતને ચાળણી આપી હોવા છતાં કાલબાહ્ય કાયદાઓ નથી ચળાતા. ભારતીય દંડ સંહિતામાં સેક્શન ૪૯૭ આવો એક કાયદો છે.
શું જોગવાઈ છે સેક્શન ૪૯૭માં? ૧૮૬૧ની સાલમાં અંગ્રેજી ભાષામાં ઘડાયેલો કાયદો કહે છે: Whoever has sexual intercourse with a person who is and whom he knows or has reason to believe to be the wife of another man, without the consent or connivance of that man, such sexual intercourse not amounting to the offence of rape, is guilty of the offence of adultery, and shall be punished with imprisonment of either description for a term which may extend to five years, or with fine, or with both. In such case the wife shall not be punishable as an abettor.
અર્થાત્ જો કોઈ પુરુષ પોતાના પરિચિત પુરુષની પત્ની સાથે શારીરિક સંબંધ રાખે અથવા જે સ્ત્રી સાથે તે સંભોગ કરે છે એ સ્ત્રી પરિચિત પુરુષને પરણેલી છે એની જાણ હોય તો એ વ્યભિચારનો ગુનો બને છે. પણ થોભો, કાયદો કહે છે કે એ ગુનો નથી પણ બનતો. એ તે વળી કઈ રીતે એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. કાર્ય એક જ પણ એક સ્થિતિમાં એ સજાપાત્ર વ્યભિચાર કહેવાય અને બીજી સ્થિતિમાં એ સજાપાત્ર વ્યભિચાર ન પણ કહેવાય. કાયદો એમ કહે છે કે જો એ સ્ત્રીના પતિને પોતાની પત્નીના પરપુરુષ સાથેના લગ્નબાહ્ય સંબંધની જાણ હોય, તેમાં તેની સંમતિ હોય અને જો એમાં સહયોગ હોય તો એ ગુનો નથી બનતો; પરંતુ પતિની જાણબહાર અને સંમતિ વિના શારીરિક સંબંધ રાખવામાં આવે તો એ પરપુરુષ માટે વ્યભિચારનો સજાપાત્ર ગુનો બને છે. અંગ્રેજીમાં કહેવામાં આવ્યું છે: without the consent or connivance of that man.
કાયદો બીજું શું કહે છે? such sexual intercourse not amounting to the offence of rape. આવો પરિચિત પરિણીત પરસ્ત્રી સાથેનો શારીરિક સંબંધ બળાત્કાર ન ગણાય, કારણ કે એમાં સ્ત્રીની એટલે કે બીજાની પત્નીની સંમતિ છે. બળાત્કારમાં સ્ત્રીની સંમતિ નથી હોતી. તો પછી આવા ગુનાનું સ્વરૂપ શું? કાયદો કહે છે: વ્યભિચાર, સજાપાત્ર વ્યભિચાર જેમાં વધુમાં વધુ પાંચ વરસની જેલની સજા અને દંડ બન્ને થઈ શકે છે. ૧૮૬૧ની સાલમાં ઘડાયેલો કાયદો હજુ વધુ સ્પષ્ટતા કરે છે: In such case the wife shall not be punishable as an abettor. અર્થાત્ એ સ્ત્રી (બીજાની પત્ની) વ્યભિચારના ગુનામાં પ્રોત્સાહક તરીકે સજાપાત્ર ભાગીદાર ન ગણાય. તો શું ગણાય? કદાચ વિક્ટિમ ગણાય.
આ કાયદાને ઝીણી નજરે જોશો તો સ્ત્રીનો ઉલ્લેખ વાઈફ (બીજાની પત્ની) તરીકે કરવામાં આવ્યો છે, સ્ત્રી તરીકે નહીં. વુમન નહીં વાઈફ. સ્ત્રી તરીકે પોતાની પસંદગીના પુરુષ સાથે શારીરિક સંબંધ ધરાવવાની સ્ત્રીની સંમતિ કોઈ ગણતરીમાં નથી, કારણ કે એ કોઈની પત્ની છે અને તેના પર પતિનો અધિકાર છે. સ્ત્રી હોવાનું મહત્ત્વ નથી, પત્ની હોવાનું મહત્ત્વ છે. પતિ સંમતિ આપે તો એ વ્યભિચાર ન બને અને પતિની સંમતિ ન હોય તો એ સજાપાત્ર વ્યભિચાર બને, પણ સજા એને થાય જે બીજાની પત્નીનો ઉપભોગ કરે. પત્નીને નહીં કારણ કે એ તો પતિની ભોળી જણસ છે. એ ક્યાં સ્ત્રી છે. એ તો કોઈની પત્ની છે જેના પર પતિની માલિકી છે.
એકવાર નારીવાદી લેખિકા અને કર્મશીલ સોનલ શુક્લએ મને કહ્યું હતું કે અમારે પણ વ્યભિચારી અને વ્યભિચારના ગુનેગાર બનવું છે જેમાં તમે પુરુષો મદદ કરશો? સોનલબહેને જ્યારે ફોડ પાડ્યો ત્યારે મને પહેલીવાર જાણ થઈ હતી કે આપણી કાયદાપોથીમાં આવો પણ કાયદો છે. આ મથુરા રેપકેસ વખતની એટલે કે ૩૫ વરસ જૂની વાત છે અને હજુ આજે પણ એ વિચિત્ર અને જુનવાણી કાયદો કાયદાપોથીમાં સુરક્ષિત છે. શું કરે છે સર્વોચ્ચ અદાલત એવો પ્રશ્ન થાય. જવાબ અસ્વસ્થ કરી મુકનારો છે: સર્વોચ્ચ અદાલત કોર્પોરેટ કંપનીઓની સ્પેિશયલ લીવ પિટિશન સાંભળે છે જેમાં દેશના ખ્યાતનામ વકીલો વરસે કરોડો રૂપિયા કમાય છે અને સર્વોચ્ચ અદાલત તેનો ૯૨ ટકા સમય ખર્ચે છે.
તો સોનલ શુક્લ એમ કેમ કહે છે કે અમારે પણ વ્યભિચારી અને વ્યભિચારના ગુનેગાર બનવું છે. તેઓ ચોંકાવનારી ભાષામાં અન્યાય અને ભેદભાવ તરફ આપણું ધ્યાન ખેંચે છે. જો બુદ્ધિ વાપરશો તો કાયદો કેવો જુનવાણી અર્થાત્ ભેદભાવયુક્ત અને અન્યાયકર્તા છે એ સમજાઈ જશે.
એક. પત્ની તરીકે સ્ત્રી પતિની જણસ છે જેને ભોગવવાનો અધિકાર માત્ર પતિનો છે. હા, પતિની સંમતિ હોય તો બીજાને પણ છે, પરંતુ પતિની સંમતિ વિના નહીં. આનો અર્થ એ થયો કે પતિ પત્નીનો માલિક છે અને પત્ની જણસ છે.
બે. જો પત્ની પતિની જણસ હોય તો પત્નીની ઈચ્છા અને સંમતિની કોઈ કિંમત નથી.
ત્રણ, ઘા ઉપર મીઠું ભભરાવનારી વાત એ છે કે પરપુરુષ સાથે સંભોગ કરનાર સ્ત્રી વ્યભિચારી ગણાતી નથી, કારણ કે એ તો ઘરમાં પડેલા નિર્જીવ રાચરચીલાની માફક માલિક માટે ભોગવવાની વસ્તુ છે. સ્ત્રીની અંદર ચેતના છે એ વાતથી કોઈ ફરક પડતો નથી કારણ કે છે તો એ ભોગવવાની વસ્તુ. તમે ધારો તો ચેતન વસ્તુ એમ કહી શકો. ૧૯મી સદીમાં ઘડાયેલો કાયદો એ વાત સ્વીકારતો નથી કે સ્ત્રીની પણ મરજી અને સંમતિ હોઈ શકે છે અને તેનું મૂલ્ય છે અને આશ્ચર્ય એ વાતનું છે કે એ કાયદો આજે ૨૧મી સદીમાં પણ યથાવત છે.
ચાર. પત્નીની જાણકારી અને સમંતિ વિના કોઈ પરાઈ સ્ત્રી તેના પતિ સાથે શારીરિક સંબંધ બાંધે તો એ ગુનો બનતો નથી. પુરુષે બીજા પુરુષની પત્નીને ભોગવતા પહેલાં તે પુરુષની (અર્થાત્ પતિની) સંમતિ લેવાની પણ, એક સ્ત્રીએ બીજી સ્ત્રીના પતિને ભોગવતા પહેલાં એ સ્ત્રીની (અર્થાત્ પત્નીની) સંમતિની કોઈ આવશ્યકતા નથી. ભાઈ, ગુલામની તે કાંઈ સંમતિ લેવામાં આવતી હશે? એક જમાનામાં જ્યારે ગુલામોનો વેપાર થતો હતો ત્યારે ક્યાં તેમની સંમતિ લેવામાં આવતી હતી.
એટલે સોનલ શુક્લએ ૩૫ વરસ પહેલાં મને કહ્યું હતું કે અમારે પણ વ્યભિચારી અને વ્યભિચારના ગુનેગાર બનવું છે જેમાં તમે મદદ કરશો? એ દ્વારા સ્ત્રી કમસેકમ પુરુષને તો ભોગવવાની ચેતન વસ્તુ તરીકે નીચે ઉતારી શકશે અને પોતાને પતિની માલિક ગણાવી શકશે. ના. આમાં પુરુષ પ્રત્યે વેર લેવાનો કોઈ ભાવ નથી, પરંતુ અન્યાય કરનારી વસ્તુિસ્થતિનું ભાન કરાવવાનો હેતુ છે. પુરુષને આનું ભાન જ નથી, કારણ કે સેંકડો વરસથી સ્ત્રી પર આધિપત્ય ધરાવવાનો એ જન્મસિદ્ધ અધિકાર માને છે.
આના કરતાં પણ વધુ આઘાતજનક વાત એ છે કે આને કેટલાક લોકો મહાન ભારતીય (હિંદુ વાંચો) સંસ્કૃિતનો અનિવાર્ય હિસ્સો સમજે છે. ભારતીય દંડ સંહિતાના સેક્શન ૪૯૭ને અને તેની સાથે ભારતીય ફોઝદારી ધારા ૧૯૮ (૨)ને રદ્દ કરવાની માગણી કરતી એક અરજી અત્યારે સર્વોચ્ચ અદાલતમાં પડી છે. કેન્દ્ર સરકરના એટર્ની જનરલે કેન્દ્ર સરકારનો દૃષ્ટિકોણ રજૂ કરતા અદાલતને સલાહ આપી છે કે મહાન ભારતીય કુટુંબ વ્યવસ્થાને નુકસાન ન પહોંચે એનું ધ્યાન રાખવામાં આવે. જો પતિની સંમતિ વિના પત્નીને ભોગવવાનો પરાયા પુરુષને અધિકાર આપવામાં આવશે અને પત્નીની શારીરિક સંબંધ માટેની ઈચ્છા અને સંમતિને તેના અધિકાર તરીકે માન્ય રાખવામાં આવશે તો આપણી મહાન કુટુંબ વ્યવસ્થા નાશ પામશે.
આવી દલીલ કરવા માટે ૫૬ ઈંચની છાતી જોઈએ જે આપણા આજના શાસકો ધરાવે છે. મુસ્લિમ સ્ત્રીને મળવા જોઈતા ન્યાયની ચિંતા કરનારાઓ સ્ત્રીનો કેટલો આદર કરે છે એ આમાં જોઈ શકાય છે. મુસ્લિમ સ્ત્રીઓને ન્યાય એ મુસલમાનોને ભૂંડા લગાડવાનું સાધન માત્ર છે, બાકી ભૂંડા લાગવા જેવું હિંદુઓ સહિત ભારત આખામાં દરેક સમાજમાં છે. જો ખરેખર સ્ત્રીઓ માટે સરકારને આદર હોત તો આવી બેહૂદી દલીલ ન કરી હોત.
અહીં બંધારણસભા કમ લોકસભામાં થયેલી હિંદુ કોડ બીલ પરની ચર્ચા યાદ આવે છે. એ બીલ હિંદુ સ્ત્રીઓને સમાનતા અને ન્યાય મળે એ માટેનું હતું જેનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે અને ભારતીય જન સંઘે વિરોધ કર્યો હતો. એ તો જાણે ઠીક છે અને અપેક્ષિત પણ હતો, પણ મોટા પ્રમાણમાં હિંદુ કોંગ્રેસીઓએ પણ હિંદુ કોડ બિલનો વિરોધ કર્યો હતો જેમાં આપણા પહેલા રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો પણ સમાવેશ થતો હતો. ગાંધીજીના હાથ નીચે તૈયાર થયેલા કોંગ્રેસીઓને પણ મહાન ભારતીય કુટુંબ વ્યવસ્થા તૂટી પડવાનો ડર લાગ્યો હતો. પરંપરાનું એક આકર્ષણ હોય છે. ગળથુથીમાં મળેલા કેટલાક સંસ્કાર એમ આસાનીથી જતા નથી. તેને વિવેક વાપરીને દૂર કરવા પડે છે અને તેમાં પ્રયત્ન કરવો પડે છે. સદીઓથી રૂઢ થયેલા પરંપરાગત સંસ્કાર અને વિવેક વચ્ચે વિવેક કરવો એ આસન હોતું નથી.
અન્ય ક્ષેત્રોમાં મોટી બૌદ્ધિક પ્રતિભા ધરાવનારા હિંદુ કોંગ્રેસીઓને ન્યાય (માનવતા) અને પરંપરા વચ્ચે વિવેક કરવામાં મુશ્કેલી નડી હતી તો અત્યારના શાસકો તો બિચારા સંઘની શાખાઓમાં તૈયાર થયેલા ઘૂંટણિયા બુદ્ધિમાનો છે. એ લોકો પ્રાચીન ભારતની અને એ યુગની સમાજવ્યવસ્થાની યાદ આવતા ગદગદ થઈને ચોધાર આંસુએ રડવા લાગે છે. જે લોકો ગતકાલીન વૈભવને યાદ કરીને રડતા હોય અથવા બીજા અંતિમે ત્રાડો પાડીને તેનું મહિમાગાન કરતા હોય, તેમની પાસે આધુનિક રાષ્ટ્રનું નિર્માણ કરાવવાની વાત તો બાજુએ રહી, જે આધુનિક રાષ્ટ્ર બંધારણ દ્વારા આપણને મળ્યું છે એ ટકાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે.
તો હે સુજ્ઞ વાચક, નાગરિક તરીકે વિવેક કરવાનો ધર્મ તારો બને છે: અન્યાય કરનારી કેટલીક મહાન ભારતીય પરંપરા બચાવવી છે કે ન્યાય કરીને માનવતા બચાવવી છે? બીજું, મહાન ભારતીય પરંપરામાંથી અન્યાયજનક તત્ત્વો દૂર કરવાથી શું એ પરંપરા તૂટી પડે એટલી હદે તકલાદી છે? ત્રીજું, જો કોઈ પરંપરાને ટકાવી રાખવા માટે અન્યાયનો આશરો લેવો પડતો હોય તો એ પરંપરા મહાન કહેવાય? ચોથું, જેને ટકી રહેવા માટે અન્યાયના આશ્રયની જરૂર પડતી હોય તો એવી પરંપરા તૂટી પડે તો એમાં શું ગુમાવવાનું છે? ભલે તૂટી પડે, જેની સાથે અન્યાય થઈ રહ્યો છે એને છુટકારો મળશે.
હવે મારો ઉત્તર: ભારતીય પરંપરા એટલી તકલાદી નથી કે તેમાંથી અન્યાયજનક તત્ત્વો દૂર કરવાથી એ પરંપરા તૂટી પડે. ઊલટું સમયાનુસાર પરંપરાઓનું પરીક્ષણ કરતા રહેવાથી અને તેને પરિષ્કૃત કરતા રહેવાથી પરંપરાઓ વધારે સમૃદ્ધ બને છે. જગતની અન્ય સભ્યતાઓથી ઊલટું ભારતીય સંસ્કૃિત આટલાં વર્ષોથી અખંડ વહેતી આવી છે તો એનું કારણ છે પરીક્ષણ અને સંશોધન (શુદ્ધિ) કરવાની આપણા પૂર્વસૂરિઓની ક્ષમતા. દેખીતી વાત છે કે પરીક્ષણ અને પરિષ્કૃતિ માટે સત્યપરાયણતા જોઈએ, માનવનિષ્ઠા જોઈએ અને આત્મવિશ્વાસ પણ જોઈએ. ગાંધીજીમાં આ શક્તિ હતી એટલે આધુનિક ભારતનું ઠીક ઠીક અંશે નિર્માણ થઈ શક્યું છે. જ્યાં ખૂટે છે એની જવાબદારી આપણી છે. જરૂર છે માત્ર ત્રણ ચીજની: સત્યપરાયણતા, માનવનિષ્ઠા અને આત્મવિશ્વાસ.
સૌજન્ય : ‘નૉ નોન્સેન્સ’ નામક લેખકની કટાર, ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 22 જુલાઈ 2018