હિન્દુનાં પુરાણ ઈત્યાદિ શાસ્ત્રોમાં કહેલું છે કે કળિયુગના વખતમાં જુદા ધર્મ અને પાખંડો ઊભાં થશે તથા ધુતારા અને પાખંડીઓ આડા પંથો અને આડા માર્ગો ઉપર ચલાવશે. હિન્દુશાસ્ત્ર પ્રમાણે કળિયુગને આરમ્ભ થયાને આજે પાંચ હજાર વર્ષ થઈ ચૂક્યાં છે. એ પાંચ હજાર વર્ષની મુદતમાં જેટલા નવા પંથો તથા માર્ગો હિન્દુઓમાં ઊભા થયા છે તે સઘળાં ખોટાં પાખંડ સમજવાં, એવું હિન્દુશાસ્ત્ર ઉપરથી સિધ્ધ થાય છે. હવે મહારાજોનો મૂળ પુરુષ વલ્લભ જન્મ્યાને હજુ ચારસો વર્ષ થયાં નથી. વૈષ્ણવમાર્ગનાં પુસ્તકોમાં લખ્યું છે કે વલ્લભાચાર્યનો જન્મ સંવત 1535ના વૈશાખ વદ 11 વાર રવિને દિને થયો હતો. એ વાતને આજ 381વર્ષ થયાં. અને કળિયુગ બેઠાને પાંચ હજાર વર્ષ થઈ ચૂકેલાં ત્યારે વલ્લભાચાર્યનો પંથ કળિયુગના જ વખતમાં ચાલુ થયો. જેમ દાદુપંથી, સાધુ પંથી, રામસ્નેહી, રામાનન્દી, સહજાનન્દી ઈત્યાદિ પંથો ઊભા થયા તેમ વલ્લભાચાર્યનો પંથ ઊભો થયો. એ સઘળાં પંથો, કળિયુગમાં ઊભા થયા માટે હિન્દુશાસ્ત્રના વચન પ્રમાણે પાખંડી છે!
જદુનાથજી મહારાજ કહે છે કે કોટના દરવાજા આગળથી કોઈ વાલ્કેશ્વર જવા નીકળે અને કોઈ ભાયખાલા. તેમ સઘળા વેદ અને પુરાણના મૂળ રસ્તા આગળ થઈને જુદા જુદા રસ્તા ઉપર નીકળી પડ્યા છે. આ કેવી ઠગાઈની વાત છે, એક ધર્મમાંથી દસ–પન્દર આડા રસ્તા નીકળવા જોઈએ નહીં. ધર્મનો અને નીતિનો માર્ગ એક જ હોવો જોઈએ. વાલ્કેશ્વર જવાનો સીધો માર્ગ મૂકીને ભાયખાલાનો આડો માર્ગ પકડવાની જરુર શી? દરેક પંથવાળાએ એકબીજાને પાખંડી બતાવ્યા છે અને એકબીજાની ધૂળ ઝાટકી છે, તો તેમ કરવાની જરૂર શી? પણ અમે આગળ જણાવ્યું છે કે જે હથિયારથી મહારાજ પોતાનો બચાવ કરવા બહાર પડ્યા છે, તે હથિયાર મહારાજને આડે આવીને નડશે. મહારાજ હિન્દુશાસ્ત્રોને ઈશ્વરકૃત માને છે, ત્યારે એનાથી એમ નહીં કહેવાય કે હિન્દુશાસ્ત્રનું ફલાણું વચન ખોટું છે! કળિયુગમાં પાખંડી મતો ઊભા થશે, એ વચન મજકૂર મહારાજથી એમ નહીં કહેવાય કે ખોટું છે. ત્યારે બીજા કેટલા ય પંથોની જેમ મહારાજનો પંથ કળિયુગમાં ઊભો થયો, માટે તે ખોટો અને પાખંડ ભરેલો છે એવું હિન્દુશાસ્ત્રથી સિધ્ધ થાય છે.
મહારાજનો પંથ પાખંડ ભરેલો તથા ભોળા લોકોને ઠગવાનો છે તે અસલ વેદપુરાણ વગેરેના ગ્રંથોથી ઉપર જણાવ્યા પ્રમાણે સાબિત થાય છે. એટલું જ નહીં; પણ મહારાજોનાં બનાવેલાં પુસ્તકો ઉપરથી પણ સાબિત થાય છે કે મહારાજોએ કંઈ જ નહીં; પણ નવું પાખંડ અને તરકટ ઊભું કર્યું છે. જુઓ બ્રહ્મ સમ્બન્ધ બાબત મૂળ શ્લોક ઉપર લમ્બાવીને ગોકુળનાથજીએ કેવી ટીકા કરી છે :
અર્થ – ‘તે માટે પોતે ભોગવે તે પહેલાં પોતાની પરણેલી બાયડી પણ (ગોસાંઈજી મહારાજને) સોંપવી અને પોતાનાં બેટા–બેટી પણ તેમને સોંપવાં. પરણ્યા પછી પોતે ભોગવે તે પહેલાં (ગોસાંઈજી મહારાજને) અપર્ણ કર્યા પછી પોતાના કામમાં લેવી.’
અરરરર! આ કેવું પાખંડ, આ કેવો ઢોંગ અને આ કેવી ઠગાઈ!! અમે જદુનાથજી મહારાજને પૂછીએ છીએ કે કયા વેદમાં, કયા પુરાણમાં, કયા શાસ્ત્રમાં અને કઈ સ્મૃિતમાં લખ્યું છે કે મહારાજને અને ધર્મગુરુને પોતાની પરણેલી સ્ત્રી ભોગવ્યા પહેલાં સોંપવી. પોતાની સ્ત્રી જ નહીં; પણ પોતાની બેટી અથવા દીકરીને પણ સોંપવી! અરરરર!!! આ લખતાં અમારી કલમ ચાલતી નથી. અમને અતિશય કંટાળો અને ધ્રુજારી છૂટે છે. લોકોને દેખતી આંખે આંધળા કરવા, અને તેઓની આંખમાં ધૂળ છાંટીને ધર્મને બહાને તેઓની કાચી કુંવારી વહુદીકરી ભોગવવી એના કરતાં વધારે પાખંડ અને ઠગાઈ કઈ? વલ્લભાચાર્ય સિવાય કળિયુગમાં બીજાં ઘણા પાખંડો અને ઘણા પંથો ઊભાં થયા છે; પણ મહારાજોના પંથ જેવી નફટાઈ, ખંધાઈ, બુરાઈ, લુચ્ચાઈ અને ઠગાઈ બીજા કોઈ પણ પંથવાળાએ કરી નથી. અમે જ્યારે આવા કઠણ શબ્દ વાપરીએ છીએ ત્યારે અમારા ભોળા હિન્દુિમત્રોને અમારી ઉપર ગુસ્સો આવે છે, અને તે ગુસ્સાને લીધે અમારે ઘણું શોષવું પડ્યું છે અને પડે છે; પણ જ્યાં ભોળા લોકોની આંખમાં ધૂળ છાંટીને તેમની વહુદીકરીને ભોગવવાનું મહારાજો પોતાનાં પુસ્તકોમાં લખે છે અને તે પ્રમાણે તેઓ ભોગવે છે ત્યારે અમારા પેટમાં મોટા ભડકા ઊઠે છે. અમારી કલમ એકદમ તપીને ગરમ થઈ જાય છે. અમારા ભોળા હિન્દુિમત્રો ઉપર અને તેઓની વિચારશક્તિ ઉપર અફસોસ કરવો પડે છે.
જદુનાથજી મહારાજે ‘સ્વધર્મ વર્ધક’ ચોપાનિયું કાઢવા માંડ્યું છે તેને અમે પૂછીએ છીએ કે તમે કેવી રીતે ધર્મનો વધારો કરવા માગો છો? તમારા વડિલોએ ભોળા લોકોની આંખમાં ધૂળ છાંટીને આંધળા કર્યા છે તેઓને દેખતા કરવા માગો છો કે ધર્મનું ખોટું અભિમાન ધરીને ભોળા લોકોને વધારે ઠગવા માગો છો? જદુનાથજી મહારાજ! તમે જો ધર્મનો વધારો, ફેલાવો કરવા માગતા હો તો તમે પોતે સારું આચરણ પકડીને તમારા બીજા મહારાજોને ઉપદેશ કરો, ધર્મગુરુઓ પોતે જ જ્યાં સુધી વ્યભિચારના સમુદ્રમાં ડુબેલા માલૂમ પડશે ત્યાં સુધી તેઓથી ધર્મનો બોધ થઈ શકવાનો નથી. ગોકુળનાથજીએ ઉપર જણાવેલી ટીકા કરીને તમારા વૈષ્ણવ માર્ગને મોટો ડાઘ લગાડ્યો છે તે પ્રથમ કાઢી નાખો. એ ટીકા કરનાર ઉપર ધિક્કાર નાખો, તે ટીકા પ્રમાણે મહારાજો ચાલીને પોતાના સેવકની વહુ–દીકરીઓને બગાડે છે તેથી હાથ ઊઠાવો અને રસમંડળી જેવી અનીતિનો એકદમ નાશ કરો. જ્યાં સુધી તમે તેમ કરશો નહીં ત્યાં સુધી તમારાથી ધર્મનો ઉપદેશ અને સ્વધર્મનો વધારો થઈ શકવાનો નથી, તે સત્ય જાણી લેજો.
(‘સત્ય પ્રકાશ’, તા. 21 ઓક્ટોબર, 1860)
https://govindmaru.wordpress.com/2018/06/22/k-m/
સૌજન્ય : ગોવિંદભાઈ મારુ સંચાલિત બ્લૉગ – ‘અભીવ્યક્તી’; 22 જૂન 2018