ઉત્તર પ્રદેશમાં કૈરાનામાં લોકસભાની પેટા ચૂંટણીમાં બી.જે.પી.ના થયેલા પરાજય માટે સ્થાનિક લોકો કહે છે કે ગન્ના(શેરડી)ને જિન્નાહ કો હરાયા. કહેવાનું તાત્પર્ય એ કે દેશભરમાં ખેડૂતો ખેતીને લગતા અનેક પ્રશ્ને દુ:ખી છે અને આંદોલિત છે ત્યારે શાસક પક્ષ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી મહમ્મદ અલી જિન્નાહની તસ્વીર હટાવવાની ક્ષુલ્લક વાતને વિવાદનો મુદ્દો બનાવ્યો હતો. તેમને એમ લાગતું હતું કે રાષ્ટ્રવાદ અને દેશપ્રેમના ભાવનાત્મક મુદ્દાઓ ઉઠાવતા રહીશું મતદાતાઓ પેટના પ્રશ્નો ભૂલી જશે. આ દેશપ્રેમ પણ એક લક્ઝરી છે. જેના પેટ ભરાયેલા હોય અથવા દશપ્રેમ દ્વારા જેના પેટ જરૂરત કરતાં પણ વધુ ભરાતા હોય, એવા લોકો તારસ્વરે દેશપ્રેમની ગર્જના કરતા હોય છે. બીજા પ્રકારના લોકો માટે દેશપ્રેમ એક ધમધમતો ઉદ્યોગ છે.
અહીં બે ફિલ્મ જોવાની ભલામણ કરું છું; એક હમણાં જ રિલીઝ થયેલી મેઘના ગુલઝારની ‘રાઝી’ ફિલ્મ, જેમાં ગળા ફાડીને પ્રદર્શિત કરવામાં આવતા ઘોંઘાટિયા દેશપ્રેમ કરતાં નક્કર ટકોરાબંધ સો ટચના સોના જેવો દેશપ્રેમ જોવા મળશે. કોઈ નિંદા નહીં, કોઈ અભિનિવેશ નહીં, માત્ર મિશન. મિશન છે દેશનું હિત. બીજી ફિલ્મ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની નવલકથા ‘ઘરે બાહિરે’ પર આધારિત સત્યજીત રાયની એ જ નામની ફિલ્મ છે. એમાં ત્રાડો પાડીને પ્રજાને ઉશ્કેરનારો દેશપ્રેમી જ્યારે ખરાખરીનો વખત આવ્યો, ત્યારે કઈ રીતે પ્રજાને રામભરોસે મૂકીને નાસી જાય છે એની કથા છે. એ વખતે પ્રજાના પડખે એ માણસ ઊભો રહે છે જેને આજકાલના યુગમાં દેશપ્રેમીઓ કાયર અને સુડો સેકયુલરિસ્ટ તરીકે ઓળખાવે છે.
પણ એ વાત અહીં જવા દઈએ. ચર્ચાનો મુદ્દો એ છે કે ભાવનાત્મક મુદ્દાઓ ઉછાળી ઉછાળીને ક્યાં સુધી યોગક્ષેમના વાસ્તવિક પ્રશ્નોને કાર્પેટ તળે ધકેલી શકાશે? કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી એ પછી દેશભરના ખેડૂતોએ છ મહિના રાહ જોઈ હતી કે નવી સરકાર કાંઈક કરશે. સ્વામીનાથન કમિશનની ખેતપેદાશોના ભાવ ઠરાવવાને લગતી મહત્ત્વની ભલામણ સ્વીકારવામાં આવશે, એવું નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું. વચન એક નહીં અનેકવાર આપવામાં આવ્યું હતું. સ્વામીનાથન કમિશને ખેતપેદાશની પડતર કિંમત ગણવાને લગતી જે એકેડેમિક મેથડ અપનાવી હતી, એનું દેશી ભાષામાં સરળીકરણ કરીને ત્યારે વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી કહેતા હતા કે એના માટે થોથા વાંચવાની ક્યાં જરૂર છે. લાગત વત્તા શ્રમ એ પડતર કિંમત અને તેના ચાર ગણા ભાવ આપવાના. કોંગ્રેસના શાસકો બેઈમાન છે એટલે એકેડમિક મેથડનો આશરો લે છે, બાકી જો ઈરાદો હોય અને ઈમાન હોય તો ચપટી વગાડતા ખેડૂતોને ન્યાય કરી શકાય. ખેડૂતોએ ત્યારે ભરોસો મૂક્યો હતો અને છ મહિના વાટ જોઈ હતી.
આવી જ રીતે સેનાના નિવૃત્ત જવાનોને તેમણે ચપટી વગાડતાં વન રેન્ક વન પેન્શન આપવાનું વચન આપ્યું હતું. તેમણે એક ક્ષણ માટે પણ વિચાર નહોતો કર્યો કે શા માટે ઇન્દિરા ગાંધી જેવા ઇન્દિરા ગાંધીએ બાંગ્લાદેશનું યુદ્ધ જીત્યા પછી એ સમયના લશ્કરી પાંખના વડાઓને વિશ્વાસમાં લઈને વન રેન્ક વન પેન્શનની જોગવાઈ રદ કરી હતી. આ બધા વિચાર એણે કરવાના હોય જે શાસક તરીકે ગંભીર હોય. નરેન્દ્ર મોદી શાસક તરીકે ગંભીર ત્યારે પણ નહોતા, અને આજે પણ નથી, એ મારું નમ્રતાપૂર્વકનું તથ્યો આધારિત નિવેદન છે.
તો નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી લશ્કરી જવાનોએ અને ખેડૂતોએ છ મહિના રાહ જોઈ હતી અને છ મહિનામાં જ્યારે ખાતરી થઈ ગઈ કે સરકાર ગંભીર નથી ત્યારથી તેઓ બન્ને આંદોલિત છે. જી હા, સાડા ત્રણ વરસથી લશ્કરી જવાનો અને ખેડૂતો રસ્તા પર છે. ખોળામાં બેસી ગયેલા બીકાઉ પત્રકારો તેના વિષે વાત નથી કરતા અને વખત આવ્યે નાસી જનારા દેશપ્રેમીઓ બીજા ફાલતું વિષયે ઘોંઘાટ કરી રહ્યા છે, એનો અર્થ એવો નથી કે વાસ્તવિકતા મટી ગઈ છે. સતાવનારી વસ્તવિકતાઓને અન્ય ઘોંઘાટમાં દબાવી દેવી, કાર્પેટ તળે ધકેલી દેવી અને તેનો સામી છાતીએ સામનો કરવો એમાં જમીન-આસમાનનો ફરક છે. ભલે સફળતા ન મળે પણ પ્રયાસ તો કર્યો! પ્રજા પણ પ્રયાસની નોંધ લેતી હોય છે.
આજે ખેડૂતોને મેસેજ એવો ગયો છે કે આ સરકાર તેમની સમસ્યાની બાબતે ગંભીર નથી. ગંભીર નથી એટલે ત્યાં સુધી ગંભીર નથી કે વડા પ્રધાને, આય રિપીટ, વડા પ્રધાને લાલ કિલ્લા પરથી જાહેરાત કરી દીધી હતી કે ૨૦૨૨ સુધીમાં ખેતીની આવક અર્થાત્ કૃષિવિકાસદર બમણો કરવામાં આવશે. બોલતા પહેલાં બે ડાહ્યા માણસને પૂછ્યું હોત તો તેમણે આવું બોલતા વાર્યા હોત. કૃષિવિકાસદર બમણો કરવો હોય તો ૧૪ ટકાનો વિકાસદર જોઈએ અને આખી ૨૦મી સદીમાં આ જગતના કોઈ દેશે એટલો વિકાસદર હાંસિલ કર્યો નથી, એમ આસુતોષ વાર્શનેય જેવા જાગતિક કીર્તિ ધરાવતા વિદ્વાન કહે છે. હરિયાળી ક્રાંતિના યુગમાં પણ નહીં, જ્યારે આજે તો અનેક દેશોમાં કૃષિવિકાસદર નેગેટિવ છે. જ્યારે ફેંકવું જ હોય અને ફેંકવાથી પ્રજા મુઠ્ઠીમાં રહેવાની છે, એની ખાતરી હોય ત્યારે તથ્યો ચકાસવાની માથાકૂટમાં કોણ પડે. આ વરસના બજેટમાં ખેડૂતોને તેની ખેતપેદાશની પડતર કિંમત પર દોઢ ગણો ટેકાનો ભાવ આપવાની જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ પડતર કિંમતની ગણતરીની પદ્ધતિ બદલી નાખવામાં આવી છે. વડા પ્રધાને જે દેશી હિસાબની વાત કરી હતી, તેના કરતાં જુદી રીતે. આ છેતરપિંડી હતી અને ખેડૂતો એ જાણે છે.
ધીરે-ધીરે કરતાં ખેડૂતોનું સ્થાનિક અંદોલન રાષ્ટ્રીય બનવા લાગ્યું છે. દસ કરતાં વધુ રાજ્યોમાં ૧૧૦ સંગઠનોએ ગાંવબંધી કરી છે, એટલે કે તેઓ તેમનું ઉત્પાદન ગામની બહાર મોકલતા નથી અને તેમાં દૂધનો પણ સમાવેશ થાય છે. ફેંકી દેશું કે ઢોળી નાખશું પણ લૂંટાશું નહીં એવી તેમની માંગણી છે. આ માગણીમાં ખોટું શું છે? કયો વેપારી કે ઉદ્યોગપતિ ખોટ કરીને દેશની સેવા કરે છે? આટલાં બધા રાજ્યોમાં એકસાથે આંદોલન ચાલતું હોય, ૧૧૦ જેટલા સંગઠનો સંગઠિત થયા હોય અને દિવસો વીતે એમ આંદોલન વિસ્તરતું હોય, ત્યારે કોઈ પણ શાસક તેને ગંભીરતાથી લે, પણ આપણા અત્યારના શાસકો તો વિલક્ષણ છે.
હરિયાણાના મુખ્ય પ્રધાન કહે છે કે ખેડૂતોનું આંદોલન એ નોંધ લેવી જોઈએ એવો મુદ્દો જ નથી. એ નોન-ઈશ્યુ છે. કેન્દ્રના કૃષિ પ્રધાન કહે છે કે ખેડૂતોનું આંદોલન એ આંદોલન નથી, પણ સ્ટંટ છે. કેન્દ્રના ગૃહ પ્રધાન રાજનાથ સિંહ કહે છે કે આંદોલન પાછળ કોંગ્રેસનો હાથ છે. જો એમ હોય તો શાસક પક્ષે કોંગ્રેસને હસી કાઢવાની જગ્યાએ ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ. કોંગ્રેસમાં એટલી શક્તિ આવી ગઈ છે કે તે એક ડઝન રાજ્યોમાં લોકોને એક સાથે આંદોલિત કરી શકે છે. ડહાપણભર્યું નિવેદન એક માત્ર કેન્દ્રના ટ્રાન્સપોર્ટ ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ કર્યું છે. તેમણે કહ્યું છે કે કૃષિ સમસ્યા અત્યંત પેચીદી સમસ્યા છે એટલે તેને ગંભીરતાથી સમજવી પડશે અને ઉકેલવી પડશે. નીતિન ગડકરીનું નામ આજકાલ ૨૦૧૯ પછીના વડા પ્રધાન તરીકે લેવામાં આવે છે એ યોગાનુયોગ નથી. અને વડા પ્રધાન? તેઓ હંમેશ મુજબ ચૂપ છે, વિદેશયાત્રાએ છે અને ફિઝિકલ ફિટનેસ વિષે મંત્ર આપે છે. તેમની પાસે શાસન સિવાય દરેક કામ માટે સમય છે.
ખેડૂતો, યુવાનો, દલિતો અને સ્ત્રીઓ ૨૦૧૯નો ખેલ બગાડી નાખે તો આશ્ચર્ય નહીં.
સૌજન્ય : ‘કારણ તારણ’ નામે લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 04 જૂન 2018