વિચારવંત વાચકોને ઘણો રસ પડે એવું એક પુસ્તક હમણાં જોવામાં આવ્યું – ‘સ્વામી વિવેકાનંદના પત્રો’. આમ તો ૨૦૧૧માં બહાર પડેલી તેની ચોથી આવૃત્તિ છે. પણ એક રીતે તે નવું જ પુસ્તક ગણી શકાય. તેની આગલી આવૃત્તિમાં ફક્ત ૬૦ પત્રો હતા તેમાં ૨૦૫ બીજાનો ઉમેરો ચોથી આવૃત્તિમાં થયો છે. સન ૧૮૮૮થી ૧૯૦૨ સુધીમાં સ્વામી વિવેકાનંદે અમેરિકા, ઇંગ્લૅન્ડ અને ભારતમાંથી લખેલા આ પત્રોનો લગભગ ૪૫૦ પાનાંના પુસ્તકના પ્રકાશક છે રામકૃષ્ણ આશ્રમ (રાજકોટ). તેની કિંમત છે માત્ર રૂ. ૧૧૦.
પહેલા જોઈએ તેના પ્રકાશનના નિવેદનનો થોડો ભાગઃ
‘સ્વામી વિવેકાનંદના જીવનનો ઇતિહાસ ભારતના પુનરુત્થાન સાથે ગાઢ સંબંધ ધરાવે છે, પરંતુ ભારતના રાષ્ટ્રીય જીવનમાં જાગૃતિ લાવવા માટે આ વીર આત્માને કેટલાં બધાં દુ:ખો સહન કરવાં પડ્યાં હતાં! આ વિરાટ દેશ ગોકળગાયની ગતિએ પ્રગતિ કરી રહ્યો હતો, તે નિહાળીને સ્વામી વિવેકાનંદ અધીરા થઈ જતા. લોકો તેમની ‘પ્રશંસાનાં પુષ્પો વેરતાં’ હતાં. આમ છતાં ય એમના ઉત્સાહ પ્રદર્શન સાથે એમનાં વાસ્તવિક કાર્યો મેળ ખાતાં નહોતાં. એટલે જ સ્વામીજીએ ઠપકાના જોરદાર સપાટા લગાવ્યા હતા. સ્વામીજીના પત્રો દ્વારા માનવીને રાષ્ટ્રીય ચારિત્ર નિરૂપણ કાજે મહત્ત્વનાં સૂચનો સાંપડે છે. સંપથી, એકમેકના સહયોગથી કામે કરવાની શક્તિ ભારતમાં શા માટે નથી? રાષ્ટ્રીય ચરિત્રની ખામીઓ દૂર કરવાનો ઉપાય નહીં શોધીએ તો ભારતનું ભાવિ કેવું અંધરારમય બની જશે? આ પાયાના પ્રશ્નોના ઉત્તર આ પત્રોમાંથી ‘પ્રાપ્ત’ થાય છે. કેટલીકવાર તો એ ઉત્તરો ખૂબ તીખી ભાષામાં આપવામાં આવ્યો છે. પણ તે એવા મહાન મનીષીએ આપ્યા છે કે જેમનું હૃદય અગાધ પ્રેમથી ભરેલું હતું.’
* * *
સ્વામી વિવેકાનંદ એક તરવરાટભર્યો તેજસ્વી આત્મા હતા. જેમને સંબોધીને આ પત્રો લખાયા છે, તેમના દરેકના જીવનમાં તેની દ્વારા કેવું જાદુઈ પરિવર્તન થયું હશે તેની કલ્પના જ કરવી રહી. આ પત્રો ઘણાં વરસો પહેલાં લખવામાં આવ્યા હોવાં છતાં અત્યારે પણ તેમાં ભારોભાર વિચારમંત્ર ભરેલા છે.
શિકાગો (અમેરિકા) ૨૪-૧૧-૧૮૯૩
અહીંના જેવા સંસ્કારી અને સુશિક્ષિત સ્ત્રીઓ મેં બીજે ક્યાં ય જોઈ નથી. અહીં મેં એવી હજારો સ્ત્રીઓ જોઈ છે કે જેમનાં હૃદય સ્ફૂિટક જેવાં શુદ્ધ અને નિષ્કલંક છે. અહીં તેઓ કેટલી સ્વતંત્ર છે! જ્યારે આપણા દેશમાં તો સ્ત્રીઓને રસ્તાઓ ઉપર સલામતીથી ફરવા પણ ન દેવાય! આપણી સ્ત્રીઓની સ્થિતિ આપણે સુધારી શકશું તો જ આપણા કલ્યાણની આશા આપણે રાખી શકીશું.
આ દેશમાં વ્યક્તિમાત્રના ઉદય માટે તકો સાંપડી રહે છે. આજે ભલે એ ગરીબ હોય, પણ આવતી કાલે એ ધનવાન, સન્માન્ય બની જાય છે. અહીં દરેક જણ ગરીબોને સહાય આપવા આતુર હોય છે. ભારતમાં ગરીબોનાં દુઃખો માટે કેટલા લોકો હૃદયપૂર્વક રડે છે? ગરીબોની ઉન્નતિ માટે આપણે શું કરીએ છીએ? પેલા હજારો બ્રાહ્મણો ભારતની કચડાયેલી જનતા માટે તેઓ શું કરી રહ્યા છે? તેમના હોઠ ઉપર તો માત્ર ‘અડશો નહીં, અડશો નહીં’ એ જ સૂત્ર રમી રહ્યું છે. એમના હાથે આપણો સનાતન ધર્મ કેવો હીન થઈ ગયો છે!
આધ્યાત્મિકતાની બાબતમાં અમેરિકનો આપણા કરતાં ઉતરતા છે, પરંતુ એમનો સમાજ આપણા કરતાં ચડિયાતો છે. હું આ દેશમાં એ જોવા આવ્યો છું કે ભારતના ગરીબોને મદદ કરવાનું કોઈ સાધન અહીં મળી શકશે કે કેમ?
* * *
મારા જીવનની સમગ્ર અભિલાષા એ છે કે પ્રત્યેક વ્યક્તિને ઊંચામાં ઊંચા વિચારો સુલભ બને. જીવનના અત્યંત મહત્ત્વના પ્રશ્નો વિશે આપણા પૂર્વજોએ તેમ જ બીજા દેશના વિચારકોએ શું વિચાર્યું છે, તેની એમને જાણ થવી જોઈએ.
યાદ રાખજો કે સાચું રાષ્ટ્ર તો ઝૂંપડામાં વસે છે. એમનો તમે ઉદ્ધાર કરી શકશો ? એમનામાં રહેલી આધ્યાત્મિકતાનો લોપ થવા દીધા વગર એમનું ખોવાયલું વ્યક્તિત્વ તમે એમને પાછું અપાવી શકશો ? સમાનતા, સ્વતંત્રતા અને એમની ભાવનાનાં પશ્ચિમવાસી બનવાની અને સાથોસાથ ધાર્મિક સંસ્કારોની બાબતમાં પૂરેપૂરા હિંદુ બની રહેવાની શક્તિ તમારામાં છે? આપણે કરવાનું આ છે એ કરવા માટે જ આપણો જન્મ થયો છે. જીવનની છેલ્લા ઘડી સુધી ગરીબો પ્રત્યે અનુકંપા એ છે આપણો મુદ્રાલેખ, આગળ ધસો, વીર યુવાનો!
સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2018; પૃ. 14