નેહરુ લોકશાહીને વ્યક્તિકેન્દ્રી નહીં, સંસ્થાઓના અને મોકળાશના જોરે ફૂલતીફાલતી જોવા ઈચ્છતા હતા
આક્રમક અંદાજમાં પૂછાતો મૂળ સવાલ તો એ છે કે કોંગ્રેસે આટલાં વર્ષોમાં શું કર્યું? પણ આજે જવાહરલાલ નેહરુની જન્મતારીખે, સાઠ વર્ષનો હિસાબ કરવાને બદલે, ફક્ત તેમની વાત કરીએ. ભારત નસીબદાર હતું કે આઝાદીની લડાઈમાં તેને ચાલુ કિસમના બાપુઓને બદલે ગાંધીજી જેવા ‘બાપુ’, હરિયાણાના માથાભારે ‘તાઉ’ દેવીલાલને બદલે નેહરુ જેવા ‘ચાચા’, અડવાણી જેવા ‘છોટે સરદાર’ને બદલે વલ્લભભાઈ જેવા સરદાર, રામરહીમ કે બીજા અનેકને બદલે આંબેડકર જેવા ‘બાબા’ અને મુલાયમસિંહને બદલે સુભાષ જેવા ‘નેતાજી’ મળ્યા.
આ બધાને ઘણી વાર એકબીજાની સામે રહેવાનું થાય કે એકબીજાના નિર્ણયની આકરી ટીકા કરવી પડે એવા પ્રસંગ આવ્યા. સાચી દાનતથી લેવાયેલા તેમના ખોટા નિર્ણયને કારણે કે માનવીય ભૂલોને લીધે કેટલુંક નુકસાન પણ થયું હશે. પરંતુ તેમના અનુગામીઓમાંથી મોટા ભાગના એવા નપાવટ નીકળ્યા કે તેમણે એ નુકસાન સરભર કરવાની કોશિશને બદલે, એ નુકસાનમાંથી પોતાનો રાજકીય ફાયદો શોધવાનો પ્રયાસ કર્યો. જૂની પેઢીના નેતાઓની ભૂલોને તેમણે પોતાની સ્વાર્થી, સત્તાલક્ષી ગણતરીઓથી વકરાવી, નાના ઘાને કાયમી ખોડ બનાવ્યા કે બનવા દીધા. જૂની પેઢીના નેતાઓ પર ‘વિલન’નું સગવડિયું લેબલ લગાડવાનો ઉદ્યોગ પણ મોટા પાયે ચલાવ્યો. તેનો સૌથી વધારે ભોગ કોઈ બન્યું હોય તો એ છે પંડિત નેહરુ.
ગાંધીજી અને સરદારની વિદાય પછી દોઢેક દાયકા સુધી કોંગ્રેસ પર એકચક્રી રાજ કરનાર પંડિત નેહરુની ઘણી મર્યાદાઓ હતી. તેમાંની કેટલીક પર અઢળક મરીમસાલો છાંટીને, પોતાની માનસિક વિકૃતિઓ ઉમેરીને, પહેલાં કોંગ્રેસ વિરોધનું અને પછી નેહરુ વિરોધનું રાજકારણ ઊભું કરવામાં આવ્યું. આજે એવી સ્થિતિ છે કે નેહરુનું નામ પડતાં માહિતીના નામે ઘણા લોકો પાસે સોશિયલ મીડિયા પરનાં ઉશ્કેરણીજનક-ગલીચ અર્ધસત્યો-જૂઠાંણાં જ હોય છે. કોઈ પણ નેતાની જેમ નેહરુ ટીકાથી પર ન હોઈ શકે. તેમની વાજબી ટીકાના ઘણા મુદ્દા છે. (તેમાંથી કેટલાકમાં તો કદાચ નેહરુ પણ સંમત થાય.) જેમ કે, તેમની આવેશમય પ્રકૃતિ, સાહિત્યમાં વિશેષતા અને રાજકારણમાં મર્યાદા લાગી શકે એવી શબ્દાળુતા, માણસોને ઓળખવામાં કચાશ, મોખરે રહેવાનો અને દુનિયા પર ભારતીય સંસ્કૃિતની છાપ પાડવાનો ઉત્સાહ, આદર્શ અને વ્યવહાર વચ્ચેનાં દ્વંદ્વમાંથી પેદા થતી અનિર્ણાયકતા અને નેહરુ-સ્પેિશયલ મનાતો ધૂંધવાટ … આવાં લક્ષણોના એકથી વધુ દાખલા નેહરુના ચરિત્રમાંથી મળી આવશે. તેનાથી થયેલી નુકસાનની વિગતો પણ મળશે. પરંતુ તેમણે ભારતને બરબાદ કર્યું અથવા તેમણે ભારતનું મોટા પાયે અહિત કર્યું છે—એમ કહેવું લોકોની આંખમાં ધૂળ નાખવા બરાબર છે. નેહરુના પ્રદાન પર અછડતી નજર નાખવાથી એ સમજાઈ જવું જોઈએ.
અને નેહરુનું પ્રદાન સમજવા માટે વર્તમાન ગાંધીપરિવારની ભક્તિમાં પડવાની બિલકુલ જરૂર નથી. ‘ગાંધીવંશ’ની શરૂઆત પંડિત નેહરુએ કરી ન હતી. પંડિત નેહરુના અવસાન પછી દેશના વડાપ્રધાન ઇંદિરા ગાંધી નહીં, લાલબહાદુર શાસ્ત્રી બન્યા હતા, એટલી સાદી વાત પણ ભૂલાવી દેવામાં આવે છે. આઝાદ ભારતના પહેલા વડાપ્રધાન પંડિત નેહરુનો સૂરજ મધ્યાહ્ને હતો ત્યારથી ‘નેહરુ પછી કોણ?’ એ સવાલ પૂછાતો હતો, પણ પંડિત નેહરુએ ઇંદિરાને (કે બીજા કોઈને પણ) રાજકીય વારસદાર જાહેર કર્યાં નહીં.
એક સાથે આઝાદ થયેલા બે દેશમાંથી પાકિસ્તાનમાં કદી લોકશાહી પાંગરી શકી નહીં અને તે અમેરિકાનું બગલબચ્ચું બનીને બરબાદીના પંથે ધકેલાયું. તેની સરખામણીમાં ભારત કેમ કટોકટીના કાળમુખા અપવાદને બાદ કરતાં લોકશાહી તરીકે ટકી રહ્યું? તેના જવાબ શોધવા બેસીએ ત્યારે તેમાં પંડિત નેહરુના લોકશાહી મિજાજનો મોટો ફાળો જણાયા વિના ન રહે. તાજા આઝાદ થયેલા દેશમાં બધાને મતાધિકાર આપવાનો આગ્રહ નેહરુનો હતો. કોઈ પણ ફિલ્મ અભિનેતા કે ક્રિકેટરને ઇર્ષ્યા થાય અને ખરેખર તો લઘુતાનો અનુભવ થાય, એવી લોકપ્રિયતા પંડિત નેહરુ ધરાવતા હતા. છતાં, તે લોકશાહીને વ્યક્તિકેન્દ્રી નહીં, સંસ્થાઓના અને મોકળાશના જોરે ફૂલતીફાલતી જોવા ઇચ્છતા હતા. એટલે ચૂંટણી પંચથી માંડીને અદાલતો અને પ્રસાર માધ્યમોને ભારતમાં પૂરી સ્વતંત્રતા મળી. સરદાર અને નેહરુને આમનેસામને મૂકીને પોતાના રોટલા શેકનારા એ ભૂલી જાય છે કે બન્ને આ દેશમાં લોકશાહી સ્થિર બને અને સામાન્ય માણસનાં દુઃખ દૂર થાય, એ માટે પોતપોતાની સમજ પ્રમાણે અને શક્ય એટલા સહયોગથી કોશિશ કરનારા હતા.
અંગ્રેજો દેશને સાવ પાયમાલ અવસ્થામાં મૂકીને ગયા હતા. તેમાંથી ઘણી બાબતોમાં એકડે એકથી સર્જન કરવાનું ભગીરથકાર્ય નેહરુ, સરદાર અને સાથીદારોના ભાગે આવ્યું. નેહરુ કરતાં 14 વર્ષ મોટા સરદારે તો 1950માં, લોકસભાની પહેલી ચૂંટણી થાય તે પહેલાં, વિદાય લીધી. પછી નેહરુએ દેશને સંભાળ્યો. સરદારે સિદ્ધ કરેલી ભારતની એકતા ભાષાના કે ધર્મના વિવાદો થકી વેરવિખેર ન થઈ જાય, એનું ધ્યાન નેહરુએ રાખ્યું. ચીન સામેના યુદ્ધમાં હાર એ નેહરુની મોટી નિષ્ફળતા હતી. એવી જ રીતે, કાશ્મીર સમસ્યાના પાયામાં પણ તેમની ભૂલ હતી. પરંતુ અડધી સદી પછી પણ કાશ્મીર કે ચીનના મુદ્દે જે સ્થિતિ છે, તેના માટે બધાં જ માછલાં નેહરુના માથે ધોવાનાં? વર્તમાન કોંગ્રેસને નેહરુ સાથે સાંકળીને નેહરુની ટીકા કરવી અને નેહરુને વર્તમાન કોંગ્રેસનાં દૂષણો માટે જવાબદાર ઠેરવવા, એ પણ કેટલી હદે વાજબી છે? વર્તમાન કોંગ્રેસનાં દૂષણોની ગંગોત્રી કોઈને ગણવાં હોય તો તે ઇંદિરા ગાંધીને ગણી શકાય – અને એ તો આજકાલ ખાનગીમાં ‘રોલમોડેલ’ ગણાય છે.
વડાપ્રધાન નેહરુના કાર્યકાળ દરમિયાન આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ ઊભી થઈ. આઇટી ક્ષેત્રે ભારતનું નામ રોશન કરનારા અને અમેરિકાની સિલિકોન વેલીમાં દબદબો ઉભો કરનારા જ્યાં ભણ્યા, તે IIT પંડિત નેહરુના રસથી ઊભી થઈ. ભાભા એટમિક રિસર્ચ સેન્ટર, નેશનલ સાયન્સ લેબોરેટરીનું દેશવ્યાપી માળખું, CSIR જેવી રિસર્ચ લેબોરેટરી સંસ્થાઓ, IIM, AIMS … આવી કેટકેટલી સંસ્થાઓ પંડિત નેહરુના શાસન દરમિયાન બની. જે ‘ISRO’નું ગૌરવ લેતાં છાતી છપ્પનની થઈ જાય છે, તે પણ પંડિત નેહરુના સાથસહકારથી વિક્રમ સારાભાઈએ સ્થાપી હતી. ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’ના લેખક નેહરુ પ્રાચીન ભારતના ગૌરવની સાથોસાથ અર્વાચીન માનવતાવાદી મૂલ્યોના પ્રેમી હતા અને તેમની વચ્ચે મેળ બેસાડવાનો પ્રયાસ કરતા રહ્યા.
હિંદુ ધર્મની વિશાળતાથી સાવ સામા છેડાના, સંકુચિત-કટ્ટર હિંદુત્વમાં રાચનારા અને તેને ભારતની પ્રાચીન સંસ્કૃિત-પ્રાચીન ગૌરવ તરીકે ઠોકી બેસાડવા માગતા લોકોને નેહરુના ‘આઇડિયા ઓફ ઇન્ડિયા’ સામે વાંધા પડે અને નહેરુ વિલન લાગે, એમાં શી નવાઈ?
સૌજન્ય : ‘વારસો’, “દિવ્ય ભાસ્કર”, 14 નવેમ્બર 2017