courtesy : "The Asian Age", 25 August 2017
courtesy : "The Asian Age", 25 August 2017
આશ્ચર્યની વાત છે કે વધતી જતી અવૈજ્ઞાનિક મનોવૃત્તિની સાથે-સાથે જ પોતાને વૈજ્ઞાનિકમાં ખપાવવાની પ્રવૃત્તિ પણ જોર પકડતી જાય છે. ધર્મ અને વિજ્ઞાનની સૃજનજૂની દુશ્મનાવટને વીસરી જઈને ધર્મો પણ પોતાને ‘વૈજ્ઞાનિક’માં ખપાવવા માંડ્યા છે. આ મહિને ન્યૂજર્સીમાં મળેલા (Federation of JAINA (Jain Associations in Nroth America))ના દ્વિવાર્ષિક અધિવેશનનું તો સૂત્ર જ હતું ‘જૈનધર્મ અને વિજ્ઞાન.’ બીજા ધર્મોએ પણ અવારનવાર આવા દાવા કર્યા છે. અમેરિકામાં પણ રૂઢિચુસ્ત ખ્રિસ્તીઓ આજે પણ ડાર્વિનના સિદ્ધાંતને બદલે બાઇબલ પ્રમાણે સૃષ્ટિના સર્જનની કથા ભણાવવાનો દુરાગ્રહ રાખે છે.
આમ તો જ્ઞાન માત્રને વિજ્ઞાનમાં સમાવી શકાય, પરંતુ સામાન્ય રીતે વિજ્ઞાન એટલે પદાર્થોનું ઇન્દ્રિયો દ્વારા અથવા બીજાં સાધનો દ્વારા માપી શકાય તેવું જ્ઞાન, એમ મનાય છે. તે સિવાયનું બધું અજ્ઞાન છે, તેમ નથી, પણ તેને વૈજ્ઞાનિક જ્ઞાન ન કહેવાય. વેદાંત તો વિજ્ઞાનને ‘અવિદ્યા’ જ ગણાવે છે. તો પછી ધર્મોને વૈજ્ઞાનિક ગણાવાનું ઘેલું કેમ લાગ્યું છે, તે વિચારવાયોગ્ય છે. મુખ્ય પ્રશ્ન તો એ છે કે આપણે શું સાચ્ચે જ ધર્મને વિજ્ઞાનના માપદંડથી માપવા માંગીએ છીએ?
ધર્મ કોઈ શાસ્ત્રકાર કે પરમાત્માના વચન ઉપર શ્રદ્ધા રાખે છે, તેને સર્વજ્ઞના જ્ઞાન તરીકે સ્વીકારી લે છે અને તેની સામે પછી દલીલને અવકાશ રહેતો નથી. આત્મા, પુનર્જન્મ, કર્મફળ, સ્વર્ગ, નર્ક, ઇત્યાદિમાં આપણે માનીએ કે ન માનીએ, પણ તે આ કે પેલી બાજુ સાબિત થઈ શકે તેમ નથી. ધર્મના સિદ્ધાંતો શાશ્વત ગણાય છે, અને તે સમય જતાં બદલાતા નથી, તે સનાતન સત્યો કહેવાય છે. ધર્મના સિદ્ધાંતોના અર્થ ઉપર શાસ્ત્રાર્થ અને વાદવિવાદ થઈ શકે, અને એક યા બીજો પક્ષ તેમાં હારે કે જીતે, પણ તેથી તે સિદ્ધાંત નથી પુરવાર થતો કે નથી તેને ફગાવી દેવાતો. ધર્મના માર્ગે ચાલીને માણસ પ્રગતિ કરી શકે, પણ ધર્મ પ્રગતિ કરે છે, તેવું સાંભળવામાં આવતું નથી.
આપણે નથી ધર્મનું સ્વરૂપ સમજતા કે નથી વિજ્ઞાનનું, અને તેથી આપણે વિતંડાવાદમાં ફસાઈ પડીએ છીએ, ધર્મ તથા વિજ્ઞાન-બંનેને અન્યાય કરીએ છીએ અને તેમને જોખમમાં નાખીએ છીએ. ગાડાનાં બંને પૈડાંઓની આપણને જરૂર છે, પણ એ બંનેને આપણે ભેગાં ન કરીએ તો સારું. વિજ્ઞાન પુરાવા ઉપર ચાલે છે, એવી એક ભ્રમણા છે. હકીકતમાં વિજ્ઞાનમાં કશું પુરવાર નથી થઈ શકતું. ‘સ્ત્રીઓ બાળકોને જન્મ આપે છે, ઈંડાં નથી મૂકતી,’ એ વિધાન વૈજ્ઞાનિક છે, પણ અબજો સ્ત્રીઓનો અભ્યાસ કર્યા પછી પણ તે સાબિત નથી થતું, પરંતુ એક જ સ્ત્રી જો ઈંડું મૂકતી મળી આવે, તો એ વિધાન અસત્ય છે, તેમ સ્વીકારાય છે. વિજ્ઞાન માત્ર સ્વીકાર ઉપર ચાલે છે, સાબિતી ઉપર નહીં.
વિજ્ઞાનનો કોઈ સિદ્ધાંત ખોટો નીવડે, તો તેનો શોક નથી પળાતો, કેમ કે વિજ્ઞાન ત્યારે જ આગળ વધે છે. કોઈ પણ વૈજ્ઞાનિક સિદ્ધાંતની સૌથી સારી ગતિ તો એ છે કે તે ગલત નીકળે. નવો સિદ્ધાંત તેનું સ્થાન લે, પણ તેણે જૂનો સિદ્ધાંત માત્ર ખોટો હોવાનો દાવો કર્યે ન ચાલે, પણ જૂનો સિદ્ધાંત કેમ અમલમાં આવ્યો હશે તે પણ સમજાવું પડે. ‘હું જ ડાહ્યો અને બાકી બધા મૂર્ખ’ના આધારે વિજ્ઞાન નથી ચાલતું. વિજ્ઞાનમાં ચર્ચા સૈદ્ધાન્તિક હોય છે, તે સિદ્ધાંત કોનો છે તે મહત્ત્વનું નથી. એક અદનો વિદ્યાર્થી પણ ન્યૂટન કે આઈન્સ્ટાઇનનું માનવા બંધાયેલો નથી. પંડિત, આચાર્ય, પ.પૂ.ધ.ધૂ. કે સ્વામીનો ત્યાં જરા પણ ભાર નથી પડતો.
ધાર્મિક પુસ્તકો મહદંશે તો એની એ જ વાત દોહરાવતાં હોય છે, અલબત્ત, જુદા-જુદા સ્વરૂપે. કથાઓ અને પ્રવચનોનું પણ એવું જ છે. વ્યાખ્યાનોના અંતે તો વક્તા અત્યંત નમ્રતાપૂર્વક બે હાથ જોડીને, શાસ્ત્રાજ્ઞાવિરુદ્ધ કંઈ બોલી જવાયું હોય તે બદલ ક્ષમા યાચે છે. બીજી બાજુ, કોઈ વૈજ્ઞાનિક જર્નલ ઉઘાડીને જુઓ. તેનો પ્રત્યેક લેખ, અત્યાર સુધીની મજલની વાત કરીને સત્વરે તે દરમિયાન થયેલી ભૂલો અને શરતચૂકની વાત કરીને, કોઈ એક નવા સિદ્ધાંતની રજૂઆત કરે છે, કે જે અલબત્ત, અત્યાર સુધીનું જે સંગૃહીત જ્ઞાન હતું તેની સદંતર વિરુદ્ધ જાય છે, નહીંતર તો તે લખવાની જરૂર જ શી હતી?
ધ્યાનમાં રહે કે અદ્યાપિ કોઈ દિવસ વિજ્ઞાને પોતે ધાર્મિક હોવાનો દાવો કર્યો નથી. તેણે કોઈ ધર્મગુરુને શૂળીએ ચડાવ્યા નથી કે જીવતા બાળી મૂક્યા નથી. જ્યારે ધર્મના નામે કેટલા ય વૈજ્ઞાનિકોને ‘મોક્ષ’માં પહોંચાડી દેવાયા છે. વિજ્ઞાનના ક્ષેત્રમાં વાહિયાત વાત કરવામાં આવે, તો તેની થોડી ચકાસણી કર્યા બાદ તેમાં કંઈ સત્ત્વ ન હોવાની ખાતરી થતાં જ તેને એક બાજુ ઉપર મૂકી દેવાય છે, ભવિષ્યમાં ક્વચિત્ ફરીથી તેની જરૂર પડે તે ખ્યાલથી. ધર્મ સંપૂર્ણ જ્ઞાન ધરાવવાનો દાવો નમ્રતાપૂર્વક કરે છે. જ્યારે વિજ્ઞાન સંપૂર્ણ જ્ઞાનમાં પોતાનો કાળ જુએ છે. જ્યાં જ્ઞાનની શોધ પૂરી થાય, ત્યાં વિજ્ઞાનનો અંત આવે છે.
હવે આ કોયડાને જરા વધારે ગૂંચવીએ. મારા જેવા કેટલા ય યોગભ્રષ્ટ આત્માઓ આ જગતમાં વસે છે કે જેમને ધર્મ અને વિજ્ઞાન બંનેને માટે આદર અને પ્રીતિ છે. તેઓ એ બેયની આવશ્યકતા સ્વીકારે છે અને બેમાંથી એક પણ ક્ષેત્રમાંથી તેમની હકાલપટ્ટી કરવાના પ્રયત્નો સામે તેઓ ઝઝૂમે છે. ધર્મ અને વિજ્ઞાન વચ્ચે સમન્વય કે સહઅસ્તિત્વની શક્યતાઓ સારી છે અને તે આવકારપાત્ર છે. વૈજ્ઞાનિક દૃષ્ટિ ધર્મમાંથી અંધશ્રદ્ધાને દૂર કરી શકે અને ધાર્મિક દૃષ્ટિ વિજ્ઞાનને હૃદયહીન થતું અટકાવી શકે, પરંતુ કોઈ પણ ધર્મ વૈજ્ઞાનિક છે, એવો દાવો કરનારાઓએ જરા ખમી જઈને પોતાની જાતને થોડા પ્રશ્નો પૂછવાની જરૂર છે :
૧. આપણા ફિરસ્તાઓનાં વચનો કે સિદ્ધાંતોની નિર્દય ચકાસણી માટે આપણે તૈયાર છીએ?
૨. ચકાસણીના નિર્ણયના આધારે આપણે તેમાં ફેરફાર કરવા કે તેને ફગાવી દેવા તૈયાર છીએ?
૩. સત્ય સિવાયની બધી અધિકૃતતાઓ – જેમ કે, સર્વજ્ઞ, સર્વદર્શિન, સર્વશક્તિમાન, વ્યક્તિઓને દૂર મૂકવા આપણે તૈયાર છીએ?
૪. વિજ્ઞાનમાં પુરાવાના નિયમો છે કે જેના આધારે સાબિતી સ્વીકાર્ય કે અસ્વીકાર્ય બને છે. કશું પણ સાચું છે તે કોઈ આધાર વિના, માત્ર કોઈના પવિત્ર વચન ઉપર ભરોસો રાખી માની લેવાથી આપણે દૂર રહી શકીશું?
૫. માત્ર એક યા બીજી ધાર્મિક ક્રિયા કરવાથી આરોગ્યને ફાયદો થાય છે, એટલાથી જ, આરોગ્યને હાનિકર્તા સેંકડો ક્રિયાઓને અવગણીને આપણે તે ધર્મને વૈજ્ઞાનિક કહેવાનું બંધ કરવા રાજી છીએ?
૬ ‘નારી નર્કની ખાણ છે, માસિક ધર્મ વખતે સ્ત્રી અપવિત્ર હોય છે’, ‘સ્ત્રીને વેદાભ્યાસનો કે મોક્ષનો અધિકાર નથી’, ‘દરિયો ઓળંગવાથી ધર્મને હાનિ પહોંચે છે’, ‘શાકાહારથી અહિંસાની ભાવના થાય છે (હિટલર પણ શાકાહારી હતો)’, ‘સૌ સૌનાં કરમ ભોગવે છે, તેમાં આપણે વચ્ચે પડવાની જરૂર નથી. લાખ વખત ફલાણા ભગવાનનું નામ લખવાથી મોક્ષ મળી જાય છે’, ‘જિંદગીભર નાહ્યા વગર કે દાતણ કર્યા વગર માત્ર જટા રાખવાથી કે મૂંડણ કરવાથી શરીરની અને આત્માની શુદ્ધિ થાય છે’, આ બધાં વિધાનોને આપણે વૈજ્ઞાનિક કહીશું?
એક સ્પષ્ટતા, ધાર્મિક સિદ્ધાંતો કે મંતવ્યો ખોટાં છે કે વાહિયાત છે, એમ કહેવાનું અહીં પ્રયોજન નથી. આત્મા, પરમાત્મા, પુનર્જન્મ, કર્મનો સિદ્ધાંત, ઇત્યાદિ અતિ ઊંચી વિચારધારાનાં ફળ છે, અને તેમનું માનવજાતના ઉત્થાનમાં મહત્ત્વનું સ્થાન અને પ્રદાન છે, પણ … એ સર્વે વૈજ્ઞાનિક સિદ્ધાંતો નથી જ, વૈજ્ઞાનિક સિદ્ધાંત એને જ કહેવાય કે જેને ખોટો પાડી શકાય તો પછી તે વિધાનને વૈજ્ઞાનિક ન જ કહેવાય, આપણો આ કે પેલો ધર્મ તો વૈજ્ઞાનિક છે, એવો દુરાગ્રહ શા માટે?
(આ જ લેખ જુદા સ્વરૂપે JAINAના અધિવેશનના ગૌરવગ્રંથ માટે મોકલાવેલો, પણ સુયોગ્ય કારણોસર તે છપાયો નથી, અને એ બાબત ફરિયાદનું કંઈ કારણ નથી, પણ જરા વિચાર તો કરો કે ‘ધર્મ અને વિજ્ઞાન’ના વિષય ઉપરના સામયિકમાં “Religion and Science: Sellers Beware” એવો લેખ છપાય તો વૈજ્ઞાનિકતાના આપણા દાવાને કેટલો મોટો ધોકો પહોંચે! ‘અનેકાન્તવાદ’ એટલે એકસરખા સો લેખોનો સંગ્રહ)
ગ્રેટ નૅક, ન્યૂયૉર્ક
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2017; પૃ. 10-11
સરદાર સરોવરના વિસ્થપિતોનાં સંપૂર્ણ પુનર્વસનની માગણી સાથે મેધા પાટકર અને તેમનાં દસેક સાથીદારો સત્ત્યાવીસ જુલાઈથી મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના ચિખલ્દા ગામમાં અચોક્કસ મુદતના ઉપવાસ પર હતાં. મેધાબહેનની તબિયત લથડતાં પોલીસે સાતમી ઑગસ્ટના સોમવારે તેમને બળપૂર્વક ઇન્દોરની હૉસ્પિટલમાં દાખલ કર્યાં હતાં. તેમની સાથે ઉપવાસમાં જેમની તબિયત લથડી તે સાથીદારો પણ હતાં. મેધાબહેનને હૉસ્પિટલમાં બળપૂર્વક લઈ જવાનાં પગલાનો વિરોધ કરનારા નર્મદા બચાઓ આંદોલનના કાર્યકર્તાઓ પર પોલીસે લાઠીમાર પણ કર્યો હતો, જેમાં કેટલાક કાર્યકર્તાઓને ઇજા પહોંચી હતી. હૉસ્પિટલમાં મેધાબહેનને સારવારને નામે નજરકેદમાં રાખીને સંપર્કોથી દૂર રાખવામાં આવ્યા હતાં. નવમી ઑગસ્ટે મોડી બપોરે તેમને હૉસ્પિટલમાંથી છોડ્યાં બાદ તેઓ બડવાની તરફ જઈ રહ્યાં હતાં ત્યારે રસ્તામાં તેમની પોલીસે ધરપકડ કરી હતી અને તમને ધાર લઈ ગયાં હતાં. તેમનાં ઉપવાસી સાથીદારો અને ઘાયલ સમર્થકોમાંથી કેટલાંક હૉસ્પિટલમાં છે. મેધાબહેનની ધરપકડનો દેશ અને દુનિયાના કર્મશીલોએ વિરોધ કર્યો હતો. વિશ્વવિખ્યાત બળવાખોર અમેરિકન બૌદ્ધિક નોમ ચોમસ્કીએ પણ પહેલી ઑગસ્ટ નર્મદા બચાઓ આંદોલનને ટેકો જાહેર કર્યો છે. એ પણ નોંધવું જરૂરી છે કે મેધાબહેનની સાથે સેંકડો લોકો વિરોધ કરી રહ્યા છે, ઉપવાસ પર બેઠાં છે અને પોલીસનો જુલમ-જાપ્તો સહન કરી રહ્યા છે. આ લખાય છે ત્યારે મેધાબહેન ધારની જેલમાં છે, સરકાર તેમની પર વધુ મુશ્કેલ કલમો લગાવવાની ફિરાકમાં છે અને આંદોલનના ટેકેદારો મોટી સંખ્યામાં ગિરફતારીનો વિરોધ કરી રહ્યા છે.
સાતમી ઑગસ્ટે નૅશનલ અલાયન્સ ફૉર પીપલ્સ મૂવમેન્ટસ (એન.એ.પી.એમ.) અને ભૂમિ અધિકાર આંદોલન સંગઠનોએ દિલ્હીમાં સંયુક્ત રીતે એક પત્રકાર પરિષદ યોજી હતી. તેનો હેતુ નર્મદા વૅલી અને પુનર્વસન સ્થળો પર ચાલીસ હજારથી વધુ પરિવારોના પુનર્વસનની પરિસ્થિતિ અંગે મધ્ય પ્રદેશની સરકારના જૂઠાણાંનો પર્દાફાશ કરવાનો હતો. તે પત્રકાર પરિષદનો સાર ક્રૅકટિવિઝમ, ગણશક્તિ અને ઇન્ડિયા રેઝિસ્ટ્સ નામનાં પોર્ટલ્સ પર નવમી ઑગસ્ટે મૂકાયો છે. તેમાં જણાવ્યા મુજબ પત્રકારો સાથે વાત કરનાર નિષ્ણાતો હતાં : ઑલ ઇન્ડિયા કિસાન સભાના મહામંત્રી અને પૂર્વ સાંસદ હન્નન મોલ્લાહ (Hannan Mollah), ભારત જ્ઞાનવિજ્ઞાન જાથાના પર્યાવરણ અને ઊર્જા નિષ્ણાત સૌમ્યા દત્તા (Soumya Dutta) અને નૅશનલ ફેડરેશન ઑફ ઇન્ડિયાના વિમેનના મહામંત્રી ઍની રાજા (Annie Raja).
આ નિષ્ણાત કર્મશીલોએ જણાવ્યું કે મધ્ય પ્રદેશની સરકાર નર્મદા વૅલીમાં અત્યારના સમયના એક રાજ્યસંચાલિત માનવસંહારની તૈયારીમાં આગળ વધી રહી છે. નર્મદા બંધના દરવાજા બંધ કર્યા બાદ સરદાર સરોવર જળાશયના પાણીની સપાટી વરસાદને કારણે વધી રહી છે. નિમાડ પંથકમાં આવેલું ધર્મપુરી નામનું નગર અને ૧૯૧ જેટલાં ગામ ડૂબમાં જવાનાં છે. આ ગામોમાંથી કેટલાંક પૂરેપૂરાં ડૂબવાનાં છે અને કેટલાંકનો મોટો હિસ્સો પાણીમાં જવાનો છે. નર્મદા બચાઓ આંદોલનના અંદાજ મુજબ આ ગામોમાં અત્યારે રહેતાં ચાલીસ હજાર જેટલા પરિવારોને હજુ પણ પુનર્વસનના હકો બિલકુલ અપાયા નથી, અથવા આંશિક જ અપાયા છે. જો કે સરકારના ખૂબ નીચા અંદાજ મુજબ અઢાર હજારથી વધુ પરિવારોનું પુનર્વસન હજુ બાકી છે.
મંદિરો, મસ્જિદો અને આદિવાસીઓનાં પૂજાસ્થાનો થઈને સેંકડો ધાર્મિક સ્થળો, શાળાઓ, આરોગ્ય કેન્દ્રો, હજારો દુકાનો, નાના-મોટા ધંધા-રોજગારનીની જગ્યાઓ, ફળ અને શાકભાજીની માવજતથી ઊછેરવામાં આવેલી વાડીઓ – એમ બધું જ ડૂબી જશે. સરકારી સમયપત્રક પ્રમાણે મોડામાં મોડું ઑક્ટોબરના પહેલા અથવા બીજા અઠવાડિયામાં આ થશે. કેટલાંક ગામોમાં પ્રાગૈતિહાસિક માનવવસવાટના નોંધપાત્ર પુરાતત્વીય પૂરાવા મળ્યા છે. કોઠાસૂઝ ધરાવતા ખેડૂત સમૂદાયોએ નર્મદા વૅલીને પ્રાચીન કાળથી અત્યાર સુધીના કાળમાં કુદરતી ઉત્પાદનોના ખજાના સમી બનાવી છે. અને છતાં આજે આપણે આ પાગલપનભરી તારાજી જોઈ રહ્યા છીએ – થોડાક મેગાવૉટ વીજળી માટે, અને મૃગજળ સમી અનિશ્ચિત સિંચાઈ માટે !
મધ્ય પ્રદેશની સરકારે બડવાની જિલ્લામાં નર્મદાકાંઠે આવેલી, મહાત્મા ગાંધીની સમાધિ રાતના અંધારામાં બાંધકામનાં યંત્રો વડે તોડવાનું નિંદનીય કૃત્ય પણ કર્યું છે.
નર્મદા યોજનાને કારણે વિસ્થાપિત થનાર પરિવારોનાં પુનર્વસન અંગે સર્વોચ્ચ અદાલતે ૨૦૦૦ અને ૨૦૦૫નાં વર્ષોમાં બે આદેશ આપ્યા છે. તેમાં એ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જમીન ગુમાવનાર દરેક અસરગ્રસ્ત પરિવારનું ‘જમીન માટે જમીન’ એવા સિદ્ધાન્ત મુજબ પુનર્વસન થવું જોઈએ. સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું છે કે સરકારે આ પુનર્વસન વિસ્થાપનનાં છ મહિના પહેલાં, વિકાસ માટેના ઓછામાં ઓછા સત્તર નિયત માપદંડો અનુસાર પૂરેપૂરા વિકસિત હોય તેવા વિસ્તારમાં ઘર માટેના પ્લૉટ આપીને કરવાનું છે. જેમની જમીન ગઈ નથી પણ આજીવિકા ગઈ છે તેવા અન્ય વિસ્થાપિતોનું પુનર્વસન આજીવિકાને થયેલા નુકસાનની ભરપાઈની રીતે કરવાનું છે. આ બધી બાબતો નર્મદા વૉટર ડિસ્પ્યુટસ ટ્રિબ્યુનલે તેના ૧૯૭૯ના આદેશમાં પણ જણાવી છે.
મધ્ય પ્રદેશની અને કેન્દ્રની સરકારે આ પૂર્વે સર્વોચ્ચ અદાલત સમક્ષ ફરી ને ફરી જુઠાણું ચલાવ્યું છે કે પુનર્વસન અત્યારે ‘ઝીરો બૅલન્સ’ની સ્થિતિમાં છે, એટલે કે જે કોઈનું પુનર્વસન કરવું જરૂરી હતું તે દરેકનું પુનર્વસન થઈ ચૂક્યું છે. નર્મદા કન્ટ્રોલ ઑથોરિટીએ સામજિક ન્યાય મંત્રાલયની રિલીફ ઍન્ડ રિહૅબિલિટેશન માટેની પેટા સમિતિના તદ્દન નવા અહેવાલને આધારે બંધના સત્તર મીટર ઊંચા દરવાજા બંધ કરવાની અને તેના અનુસંધાને બંધની ઊંચાઈ ૧૩૮.૬૮ મીટર વધારવાની મંજૂરી આપી. આ નિર્ણય દ્વારા પણ પુનર્વસન પૂરું થઈ ગયું છે અથવા લગભગ થવામાં છે એવો દાવો જાણે સાચો સાબિત કરવામાં આવ્યો!
સત્ત્યાવીસમી જૂને રીલિફ ઍન્ડ રિહૅબિલિટેશનની પેટા સમિતિના, હોદ્દાની રુએ વડા એવા કેન્દ્રના સમાજ કલ્યાણ મંત્રાલયના સચીવે એમ સ્વીકાર્યું કે ‘તેઓ જાણે છે’ કે ડૂબમાં જનારાં ગામોમાં હજુ પણ અઢાર હજારથી વધુ પરિવારો એવા છે કે જેમનું પુનર્વસન કરવું જરૂરી હોય. હજારો તોતિંગ વૃક્ષો પણ આ ગામોમાં ઊભાં છે, અને એ ન હોવા અંગેનો સરકારનો દાવો પણ જૂઠો છે. નર્મદા બચાઓ આંદોલન સાથે જોડાયેલાં ન હોય તેવાં જે અનેક સ્વતંત્ર જૂથોએ નર્મદા યોજનાના અસરગ્રસ્ત ગામોની ગયા ચાર મહિનામાં મુલાકાત લીધી અને તેમનાં ધ્યાનમાં આવ્યું કે પુનર્વસન અંગે સરકારના દાવા મહદંશે ખોટા છે.
પુનર્વસન માટે નક્કી કરેલી ૮૮ સાઇટ્સમાંથી મોટા ભાગની જગ્યાઓ પર હજુ તો જમીન સમથળ કરવાની બાકી છે. તો પછી પીવાનું પાણી, એ જગ્યાએ પહોંચવાના ધોરી માર્ગો અને આંતરિક રસ્તા, ગટર, વીજળી, શાળા, આરોગ્ય કેન્દ્ર જેવી સુવિધાઓની તો વાત જ ક્યાં રહી!
સર્વોચ્ચ અદાલતનો આઠમી ફેબ્રુઆરીનો આદેશ આ મતલબનો છે : જેમની માલિકીની જમીનના પચીસ ટકા જેટલી જમીન પણ ડૂબમાં જઈ રહી હોય અને જેમણે હજુ સુધી કોઈ વળતર લીધું ન હોય તેમને સરકારે સાઠ લાખ રૂપિયાનું (ખેતીની પાંચ એકર જમીનની એ વિસ્તારમાંની અંદાજિત કિંમતનું) વળતર આપવું. ત્યારબાદ અદાલતે વારંવાર સ્પષ્ટતા કરતા આદેશ આપ્યા છે કે વળતરના હકદારોમાં પુખ્ત વયનાં સંતાનોને અલગ પરિવાર ગણવાનાં છે. પહેલાં જેમણે ૫.૫૮ લાખ રૂપિયાનું નજીવું વળતર લીધું છે, પણ જે અધિકારીઓ અને જમીનના દલાલોની સાંઠગાંઠથી છેતરાયા છે તેમને કુટુંબ દીઠ પંદર લાખ રૂપિયા આપવાનો આદેશ પણ અદાલતે આપ્યો છે. ઊંચા હોદ્દા પરના સરકારી અધિકારીઓની સંડોવણીથી વિસ્થાપિતોના વળતરમાં મોટાં કૌભાંડો થયાં. આ કૌભાંડોની તપાસ માટે મધ્ય પ્રદેશની વડી અદાલતે ઝા કમિશન નીમ્યું હતું. આ કમિશને ઝીણવટભરી તપાસ કરીને આપેલો અહેવાલ જોવા જેવો છે.
જો કે સર્વોચ્ચ અદાલતના છેલ્લા આદેશમાં એમ ઉલ્લેખ છે કે જો એક વાર ગામના લોકોનું પુનર્વસન થઈ જાય પછી સરકાર તેમના પર બળપ્રયોગ કરીને ગામ ખાલી કરાવી શકે છે. આ આદેશનું ખોટું અર્થઘટન મધ્યપ્રદેશની સરકાર કરી રહી છે. આ પુનર્વસન થયું છે એવો દાવો જ વિવાદાસ્પદ છે. પુનર્વસન હજુ ઘણું છેટું છે, ઘણા કિસ્સામાં તો એ નિષ્ઠાપૂર્વક શરૂ પણ થયું નથી. એ કરવાને બદલે મધ્ય પ્રદેશની સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ ખડકી છે. આ પોલીસ ડરામણી કવાયતો કરે છે, ગામ લોકોને ગામ ખાલી કરવા માટે ધાકધમકી કરે છે.
ગામ ખાલી કરીને જવાનું ક્યાં? પુનર્વસન માટે નક્કી કરેલી ઘણી જગ્યાઓ એવી છે કે જ્યાં પહોંચવા માટે રસ્તા જ નથી. ઘર બાંધવા માટેના પ્લૉટ પણ એવી ઘણી જગ્યાઓ પર છે કે જ્યાં કાં તો ખડક હોય અથવા ખાડા! ઘણી સાઇટસ પર બ્લૅક કૉટન સૉઇલના મોટા થર છે. આવી જમીન પર ઘરનાં પાયા લેવા એ ખૂબ ખર્ચાળ બાબત છે. કેટલાંક સાઇટસ અને પ્લૉટસ એવા છે કે જેની વચ્ચેથી ચોમાસુ નાળાં પસાર થતાં હોય. ધરમપુરી કસબાની એક આવી જગ્યા પૂરઝડપે વહેતાં પહાડી ઝરણાની બિલકુલ બાજુમાં છે. આ ઝરણું દરેક સારા ચોમાસે આજુબાજુના વિસ્તારમાં નુકસાન કરે છે.
નર્મદા વૅલીમાં ધાકધમકીના ઓથાર હેઠળ જીવી રહેલાં સમૃદ્ધ અને શાંતિપ્રિય ખેડૂતોની સાથે કરવામાં આવેલા અમાનુષ વર્તન-વ્યવહારની કથાઓ અઢળક છે. આ બધાં પછી પણ હકીકત તો એ રહે જ છે કે ગુજરાતનાં જળાશયોમાં પાણી ભરાઈ ચૂક્યાં છે અને કેટલીક કૅનાલોમાં પાણીનું જોર વધવાને કારણે ભંગાણ પડવાથી ગુજરાતમાં પૂરની તીવ્રતા વધી છે.
આમાંથી ફલિત થાય છે કે સરદાર સરોવરના દરવાજા બંધ કરવાનો નિર્ણય ગુજરાત કે રાજસ્થાનના પાણીપૂરવઠા માટે લેવામાં આવ્યો નથી. પણ એ નિર્ણય ગુજરાતની ચૂંટણીઓ પર પ્રભાવ પાડવા માટેનું એક સાધન ઊભું કરવા માટે લેવામાં આવ્યો છે. નર્મદા વૅલીના લાખો લોકો ડૂબાડનારો આ નિર્ણય સરકારોના નિર્લજ્જ રાજકારણની પેદાશ જ ગણાય.
મેધાબહેને સાતમી ઑગસ્ટે તેમની ધરપકડના થોડાક જ સમય પહેલાં વોઈસ ક્લિપ પર આપેલો સંદેશ આવા વખતે ઉપયુક્ત છે :
આજ મધ્ય પ્રદેશ સરકાર હમારે બારવેં દિન અનશન પર બૈઠે હુએ બારહ સાથીયોંકો માત્ર ગિરફ્તાર કરકે જવાબ દે રહી હૈ. યે કોઈ અહિંસક આંદોલન કા જવાબ નહીં હૈ.
મોદીજી કે રાજમેં શિવરાજજી કે રાજમેં એક ગહરા સંવાદ નહીં હુઆ, જો હુઆ ઉસ પર જવાબ નહીં, આંકડોં કા ખેલ, કાનૂન કા ઉલ્લંઘન ઔર કેવલ બલપ્રયોગ જો આજ પુલીસ લાકર ઔર કલ પાની લાકર કરને કે ઉનકી મંશા હૈ. ઇસકા ઉપયોગ હમ લોગ ઈસ દેશમેં ગાંધી કે સપનોં કી હત્યા માનતે હૈ, બાબાસાહેબ કે સંવિધાન કો ભી ન માનનેવાલે, યે રાજ પર બૈઠે હૈ.
ઔર સમાજોં કે, ગાયોં કે, કિસાનોં કે, મજદૂરોં કે, મછુઆરોં કે (સમાજોં કી) કોઈ પરવાહ નહીં કરતે હૈં. યહ અબ ઇસ બાત સે સ્પષ્ટ હો રહા હૈ. ઉંન્હોંને બંદૂકોં સે હત્યા કી, ઔર યહાં જલહત્યા કરને કી મંશા હૈ, ઇસલિએ હમ ઉનકે બીચ મેં આ રહે હૈ ઐસા ઉનકા માનના હૈ. પહલે અનશન તોડો ઔર ફિર બાત કરો, યહ હમ કૈસે મંજૂર કર સકતે હૈ?
એક બાજુ મુખ્યમંત્રી ખુદ કહ રહે હૈ કી ટ્રિબ્યૂનલ કા ફૈસલા જો કાનૂન હૈ, ઉસકા અમલ પૂરા હો ચૂકા હૈ. દૂસરે બાજુ બોલ રહે હૈ અનશન તોડને કે બાદ ચર્ચા કરેંગે. ઇસકે સાથ જિન મૂદ્દોં (પર ચર્ચા કરની થી) સબ તો રખ ચૂકે હૈ. તો અબ યહ ચોટી પર જાના પડેગા, અહિંસક આંદોલન ઔર જવાબ સમાજને દેના પડેગા. નર્મદા ઘાટી કે લોગોં પર બહુત કહાર મચાને જા રહે હૈ. પ્રકૃતિ સાથે દે રહી હૈ, ગુજરાત પાનીમેં લબાલબ હૈ, યહાં પાની નહીં ભરા હૈ. લેકીન કલ ક્યા હોગા કૌન જાને?
બારહ અગસ્ત કો મોદીજીને અગર ઇસ મુદ્દે પર મહોત્સવ મનાયા ઔર જશ્ન મનાયા વહ ભી સાધુઓં કે સાથે ઔર બારહ મુખ્યમંત્રીયોં કે સાથ, તો ઉનકી સરકાર ઔર પાર્ટી કિસ પ્રકાર કે વિકાસ કો આગે ધકેલના ચાહ રહી હૈ . ઇસ દેશ કે કૌને કૌને મેં સંઘર્ષ પર ઉતરે સાથી કહ રહે હૈ, વહી બાત ફિર અધોરેખિત કરતે હૈ. હમ ઇતના ચાહતે હૈ કી ‘નર્મદાકા હો સહી વિકાસ, સમર્થકોં કી યહી હૈ આસ’ – યહ હમારા નારા કેવલ નર્મદા ઘાટી કે લિએ નહીં, દેશ મેં કોઈ ભી વિસ્થાપન કે આધાર પર વિકાસ માન્ય નહીં કરેં. વિકલ્પ વો હી ચુનેંગેં. યહી હમ ચાહતે હૈ.
૧૦ ઑગસ્ટ ૨૦૧૭
E-mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2017; પૃ. 04-05