ટૉલ્સ્ટૉય ફાર્મ અને ડેનમાર્કની ફોકસ્કૂલની વિચારધારાથી પ્રભાવિત થઈ, ‘દર્શક’ – મનુભાઈ પંચોળીએ પોતાની મૌલિક સૂઝથી, સર્ટિફિકેટ વગરના, નિશ્ચિત અભ્યાસક્રમ વગરના, નિશ્ચિત સમયગાળા વગરના, કોઈ પણ પ્રકારની પરીક્ષા અને ફી વગરના જીવનલક્ષી અને વ્યવસાયલક્ષી તાલીમી વર્ગો ચલાવીને ગામડાંઓનો સ્થાયી વિકાસ સાધવાના મનોરથ સાથે ૧૯૭૯માં લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ટ્રસ્ટ સંચાલિત ‘પંડિત સુખલાલજી લોકવિદ્યાલયની’ની સ્થાપના માયધાર ગામે કરી.
પાલીતાણાથી બાવીસેક કિલોમીટર દૂર, તળાજા અને પાલીતાણા તાલુકાની સરહદોને સ્પર્શતા હજારેકની વસ્તી ધરાવતા આ નાનકડા માયધાર ગામની રમણીયતા ધ્યાન ખેંચે તેવી છે. કૅનાલનાં પાણી અને ઉદ્યમી ખેડૂતોના રોજિંદા પરસેવાથી પાંગરેલી બારેમાસની લીલોતરી, આપણી અંદર-બહાર લીલી ભીનાશ ભર્યા કરે છે. હાથી જેવી ભેંસોનાં ધણ અને તેડી લેવાનું મન થાય તેવાં ઘેટાં-બકરાંનાં ટોળાં ગમે ત્યારે આવતાં-જતાં નજરે પડે તેવો આ દૂધાળો વિસ્તાર છે. કોઠાસૂઝ અને પ્રકૃતિ પ્રત્યેના લગાવથી કોઈ ખાધે-પીધે દુઃખી નથી. પરંપરાગત અંધશ્રદ્ધા અને શિક્ષણ પ્રત્યેની ઉદાસીનતાની ગરીબી જરૂર જણાઈ આવે! જીવનમાં વૈજ્ઞાનિક અભિગમનો અભાવ અને પરિવર્તનને સ્વીકારવાની માનસિકતા ઓછી હોવાથી આજના સમય પ્રમાણે આ ગામડાંઓ કુદરતી સ્રોતોથી ભરપૂર હોવા છતાં અને જાતમહેનત કરતાં હોવા છતાં પછાત જણાઈ આવે.
જીવનલક્ષી કેળવણી અને જાગૃતિ લાવવા દર્શકે તેમના ધ્યાનમંત્ર પ્રમાણે અહીં પણ ગામડાંઓના પરિચિત, ગમતાં તથા સ્વીકૃત એવા કાર્યક્રમોનું વિશેષ આયોજન કરીને સૌનો ભાગીદારીભર્યો સાથ મેળવ્યો. અહીંના સમર્પિત અને નિષ્ઠાવાન કાર્યકરોની અથાક અને નિજાનંદી સેવાથી માયધાર ગુજરાતમાં કેળવણીના અવૈધિક-શિક્ષણના એક નમૂનારૂપે ખ્યાતિ પામ્યું. દેશ-વિદેશના અનેક લોકો આ પ્રયોગ જોવા-સમજવા-માણવા અને પામવા આવવા લાગ્યા. કેળવણી, સંસ્કારઘડતર, વ્યવસાયલક્ષી તાલીમ, જીવનલક્ષી મૂલ્યો, ગ્રામવિકાસ, ખેતી, ગોપાલન, બાગાયત, જળસંચય, સજીવખેતી, ગ્રામ ટૅક્નોલૉજી વગેરેથી લઈને લોકોત્સવ સુધીના સફળ કાર્યક્રમોને માયધારની માયાને વ્યાપક કર્યા કરી. દર્શકના દર્શનને અનિલભાઈ ભટ્ટના સફળ નેતૃત્વ હેઠળ કાર્યરત એવી નિષ્ઠાવાન કાર્યકરોની ટૂકડીએ એક નમૂનેદાર વાસ્તવિક સ્વરૂપ બક્ષીને સૌને આકર્ષિત કર્યા.
આરંભનાં વીસેક વર્ષ સક્રિય રીતે ધબકતું રહેલું આ કેન્દ્ર પછી અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ ઊભી થતાં સર્વાંશે બંધ પડ્યું. પૂરાં ચૌદેક વર્ષ જાણે ‘કૉમા’માં રહ્યું. કેન્દ્રની નાની-મોટી સામગ્રીઓ અને કાઢી-ઉપાડી શકાય તેવાં બારી-બારણાં અને છપ્પરનાં પતરાં સહિતનો સામાન ‘દલા તરવાડી’ રાહે ઊપડી ગયો! સંસ્થાએ અથાક મહેનત અને બહુ મોટાં સ્વપ્નાં સેવીને વિકસાવેલી ફળઝાડની વાડી અને ફળદ્રુપ જમીન પણ સંજોગોવસાત્ વેચી દેવી પડી. સંસ્થાઓને પણ આયુષ્ય કે નસીબ જેવું હોય છે એ જાણે સાર્થક થયું. હવે બચી હતી પચ્ચીસેક વીઘા જેટલી જમીન અને ખંડેર જેવાં થોડાંક મકાનો. દર્શકદાદાએ જ્યાં બેસીને વિખ્યાત નવલકથાઓ લખેલી, ત્યાં ભેંસોનો નિવાસ હતો અને મકાનોનાં ધાબાં પર પણ ઘાસ ઊગી નીકળ્યું હતું. થોડીક ટેક્નિકલ મુશ્કેલીઓ જો નડી ન હોત, તો આ બધું પણ કાઢી નાખવાનો નિર્ણય તો લેવાઈ જ ગયો હતો.
આ કેન્દ્રને હવે બચેલી મિલકત કઈ રીતે વેચી શકાય, તેવી તપાસમાં માયધાર જવાનું થયું. જોગાનુજોગ એ ‘દર્શક શતાબ્દી વર્ષ’નો સમયગાળો હતો. મનમાં સહજ વિચાર આવ્યો કે આ કેન્દ્રને, એટલે કે ‘દર્શક-સ્વપ્ન’ને ફરી જીવંત કરીને તેમને સાચી શ્રદ્ધાંજલિ આપવાનું બીડું ઝડપવું જોઈએ. વિચારના ચમકારે સંકલ્પ મોતીડું હૃદયમાં પરોવાઈ ગયું. અને કેન્દ્રને વેચવાના આયોજનના સ્થાને હવે તેને પુનઃ ધબકતું કરવાનું આયોજન થવા લાગ્યું!
અતૂટ શ્રદ્ધા, અથાક પરિશ્રમ, દૃઢ સંકલ્પબળ, સાથી કાર્યકરોનો સહકાર વૈજ્ઞાનિક આયોજન તથા કેટલાક મુરબ્બીઓ મિત્રોની આર્થિક સહાય અને પ્રોત્સાહક હૂંફથી આ કેન્દ્રને ફરીથી ધબકતું કર્યું. લોકભારતીની પ્રથમ બૅચના વિદ્યાર્થી અને લોકભારતી અધ્યાપકમંદિરના ભૂતપૂર્વ કર્તવ્યનિષ્ઠ આચાર્ય નરેન્દ્ર દેવપાઠકનાં સુપુત્રી ભાવનાબહેને (પી.ટી.સી., બીએસ.સી., એમ.એમ.સી.એ., પીએચ.ડી.) અધ્યાપનમંદિરમાં આચાર્ય તરીકેની તમામ ફરજો પૂરી વફાદારીથી વહન કરવાનું ભેખધારી કામ યજ્ઞાર્થે સ્વીકાર્યું છે. આજે પાતુભાઈ આહિર અને તેમની કર્મઠટીમના ભાવનાબહેનનાં સીધા માર્ગદર્શનથી માયધાર ખાતે ધૂણી ધખાવીને કાર્યરત છે, તેની નોંધ લેતાં આનંદ-સંતોષની લાગણી અનુભવીએ છીએ.
બબ્બે વખત નાપાસ થયેલાં, જેના ઘરમાં કોઈ ભણેલું નહોતું, ખેતીકામમાં મોસમ વખતે શાળા છોડીને કામે જવું અનિવાર્ય હતું, પોતાની શાળાનું પરિણામ બગડે એ બીકે જેને ક્યાં ય કોઈ પ્રવેશ આપતું નહોતું, જે ફી ભરી શકે તેમ નહોતું, હજુ વાંચતાં-લખતાં જ આવડતું નહોતું, સહજ વાતચીતમાં અપશબ્દો સરળતાથી વાપરવાની ટેવ હતી, ગામ-તાલુકાનું બહારની દુનિયા જોઈ જ નથી, તેવાં બાળકોને ભણાવવાનું અમારું આ અભિયાન અમારી કસોટી પૂરતું જ રહ્યું. આ સેવાકીય માનવીય અભિગમ ધરાવતા સાહસમાં વારંવાર મદદે આવેલા દક્ષિણામૂર્તિ દેવે અમારી દરેક મુશ્કેલીઓમાં અમારું મનોબળ દૃઢ કર્યું. સમય જતાં બધું જ નિયમાનુસાર-કાયદેસર કરવા અમે એક અલગ જ ટ્રસ્ટ રચ્યું. માયધાર વિસ્તારના લોકભારતીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓથી રચાયેલ આ લોકકલ્યાણ ટ્રસ્ટના નામે શાળા શરૂ કરી. આ બધું કલ્પનાતીત એવાં ટૂંકા ગાળામાં થયું કે આજના સંદર્ભે કોઈને પણ શંકા જાય કે ટ્રસ્ટની અને શાળાની માન્યતા આટલી ઝડપથી મળે જ કેમ? સંપૂર્ણ નિઃસ્વાર્થ, સેવાકીય, માનવીય, લોકભાગીદારીથી નિષ્ઠાપૂર્વક થતા કામને ઉપરવાળો ‘તારી નાવડીના રામજી કરે રે રખોપાં …’ ભજનભાવે મદદ કરે છે, તેવી પ્રતીતિ થઈ.
આજે નવમું અને દસમું ધોરણ ચાલુ છે. આવતા વર્ષે અગિયારમું અને પછી કસોટીવાળું બારમું!
તાજેતરમાં હૈયે હરખ ઉપજાવે તેવા બબ્બે સમાચાર મળતાં જ અત્યાર સુધીના પરિશ્રમથી કંડારેલ કેડી પર ખુદ ઈશ્વર પણ આશીર્વાદની વૃષ્ટિ કરતા હોય તેવી લાગણી જન્મી. શિક્ષણ, કૃષિ-ગોપાલન, સ્વચ્છતા, શૌચાલય, જાગૃતિ, સંસ્કારઘડતર, આરોગ્ય, જળસંચય અને જળવિતરણ, ઊર્જા વગેરે ક્ષેત્રે ટૂંકા સમયમાં થયેલી પ્રવૃત્તિઓથી પ્રભાવિત થયેલ ગ્રામજનો અને સરકારી પદાધિકારીઓએ માયધાર ગામને ભાવનગર જિલ્લાના સૌપ્રથમ ‘વૃંદાવનગામ’ તરીકે જાહેર કરીને જબરી કદર કરી છે. હવે માયધાર ગામ જિલ્લાનું ભૌતિક સુવિધાઓથી સભર એવું સંસ્કારી, સુઘડ, સુંદર, પ્રાકૃતિક અને પર્યાવરણનું જતન કરી જીવનશૈલી આચરતું એવું અનોખું ભાવાવરણ ધરાવતું ગામ બનવા જઈ રહ્યું છે.
બીજા સમાચાર એ કે શૈક્ષણિક વર્ષ ૨૦૧૬-૧૭ના એસ.એસ.સી. બૉર્ડની જાહેર પરીક્ષાનું પરિણામ જાહેર થયું અને આપણી શાળાના પ્રથમ પરિણામે જ છાતી ગદગદ ફુલાવી દીધી! ધો. ૧૦માં આપણી આ નવનિર્મિત પા-પા પગલી ભરતી શાળાનું પરિણામ ૮૫ ટકા આવ્યું છે. પાશેરમાં પહેલી પૂણી જેવો ઘાટ ઘડવા બદલ નાના-નાના બાળવિદ્યાર્થીઓના કૂમળા ગાલે વહાલથી બકી ભરીને અભિનંદન પાઠવવા દોડી જઈએ એવું થાય. દર્શક-શતાબ્દી નિમિત્તે પ્રારંભેલી આ બીજા તબક્કાની માયધાર-વિકાસયાત્રા બાહુબલી-૨ જેવી બળૂકી સાબિત થવામાં છે, માયધાર કેન્દ્ર જાણે કે ફિનિક્સ પંખીની જેમ પોતાની રાખમાંથી બેઠું થઈને ઊડવા માટે પોતાની પાંખ ફેલાવી રહ્યું છે.
આજે ઊંચી શિક્ષણ ફી અને ઊંચી ટકાવારી જ ગુણવત્તાનું અને પ્રવેશનું માપદંડ બની બેઠી છે, ત્યારે જેને કોઈ ભણાવવા તૈયાર થતું નથી. તેવાની ચિંતા – કરવા બેઠા છીએ ત્યારે ઉપરવાળાથી લઈને ગાંધીનગરવાળા અમારા આ યજ્ઞાર્થે થતા પુરુષાર્થને હકારાત્મક અભિગમથી સહાય કરશે એ જ શ્રદ્ધા અમારું પ્રેરકબળ બની રહી છે.
આજે આર્થિક ઉપાર્જન અને શહેરી ભૌતિક સુવિધાઓ મેળવવાની ઘેલછામાં બહુ મોટા પાયે ગામડાંઓમાંથી શહેર તરફ સ્થળાંતર થઈ રહ્યું છે. સાથોસાથ, ગુણવત્તાસભર શિક્ષણ મેળવવા માટે પણ શહેર તરફની દોટ વધી રહી છે. આવા સંજોગોમાં જો ગામડાંઓમાં પેદા થતો કાચો માલ ત્યાં જ પાકો કરવામાં અને ગામડાંઓમાં પણ ગુણવત્તાસભર શિક્ષણ સુવિધાઓ આપવામાં આવે, તો આ સ્થળાંતર અટકાવી શકાય. હિંદુસ્તાનના તંદુરસ્ત ભવિષ્ય માટે આ સ્થળાંતર અટકવું જરૂરી નહીં, પરંતુ અનિવાર્ય છે. દક્ષિણામૂર્તિથી ગ્રામદક્ષિણામૂર્તિ તરફની નાનાદાદાની કેળવણીયાત્રા એ આ જ વિચારધારાનું પ્રતીકાત્મક અમલીકરણ હતું. ગ્રામાભિમુખ અભિગમ ધરાવતા લોકાભિમુખ શિક્ષણ દ્વારા કેળવણીના માધ્યમથી ગામડાંઓનો સ્થાયી વિકાસ સાધવાના મનોરથ સાથે આપણા માર્ગદર્શકોએ આપણી સંસ્થાની સ્થાપના કરી છે. આપણે તેમના વારસદાર તરીકે આ યજ્ઞકાર્યને ટકાવવા-વિકસાવવાનું છે. આપણી સંસ્થાઓએ અને સાથી સંસ્થાઓએ સૌએ સાથે મળીને સહિયારા સર્વોદયલક્ષી પુરુષાર્થથી એકબીજાના સહારે આ દિશામાં કાર્યરત રહેવું એ જ આપણા જીવનની ખરી ધન્યતા છે.
વાચકોને, શુભેચ્છકોને, શિક્ષણપ્રેમીઓને, વિદ્યાર્થી-વત્સલ વડીલોને, દાતાઓને અને માયધાર સાથે થોડોકે ય ઋણાનુબંધ ધરાવતાંને વિનંતી કરવાની છે કે આપની ભાગીદારીભરી આર્થિક સહાયની અપેક્ષા રાખીએ છીએ. ખાસ કરીને શરૂ કરેલી દીકરીઓ-દીકરાઓના શિક્ષણ માટે પ્રારંભિક તબક્કે વિશેષ જરૂર છે. રોકેલા શિક્ષકોનાં વાજબી મહેનતાણાં અને સાધન-સામગ્રી માટે જો આપ સહાય કરશો, તો જેને ભણવું છે પણ અનેક કારણોસર ભણી શકતાં નથી, તેવાંની ભણતરભૂખ ભાંગી શકાશે. છેલ્લાં ત્રણેક વર્ષનો ખર્ચ અમે જાતે ભોગવ્યા પછી નિઃસંકોચપણે આ સહાય માટે ગ્રામીણ વિસ્તારના ગરીબ વિદ્યાર્થીઓને અનુભવ અને અનુબંધ આધારિત જીવનશૈલીની કેળવણી આપવા વિનંતી કરીએ છીએ. કોઈ બે કે ત્રણ દાતા મોટી રકમ આપી દે તેના કરતાં નાની-નાની રકમથી, આશીર્વાદરૂપી, ચાહતરૂપી, પારકાંને પોતીકાં બનાવવાના સંસ્કારઘડતરની ભાગીદારી ઊભી કરવા, સારાં કામમાં સારપનો ગુણાકાર કરવા વિનંતી કરવા પ્રેરાયા છીએ.
લોકભારતી, સણોસરા
આપની મદદ ‘લોકભારતી’ના નામના ચૅક/ ડ્રાફ્ટથી ભરી શકો છો. પાકી પહોંચ અને ૮૦જી(૫) સર્ટિફિકેટ મોકલી આપવામાં આવશે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2017; પૃ. 13 અને 15