courtesy : "The Daily Telegraph", 10 August 2016
courtesy : "The Daily Telegraph", 10 August 2016
લોકો જ્યારે ટોળે વળે, ચાહે એ સિનેમા હોલમાં હોય, ટીવીના પડદા સામે હોય કે પછી દેશના તારણહાર સામે હોય, તાળીઓ પડવી અને તાળીઓ માટે તમાશો થવો એ બહુ સ્વાભાવિક છે. ટોળાંનો સ્વભાવ તમાશબીનનો હોય છે. તમારો રાજ્યાભિષેક થાય ત્યારે જે ટોળું વાહવાહી કરે એ જ ટોળું તમારો શિરચ્છેદ થાય ત્યારે પણ સરાહના જ કરશે. ઇતિહાસમાં જે બ્લન્ડર થયા છે તે આવી રીતે ટોળાંને ખુશ કરવામાંથી થયાં છે.
2003માં તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ બુશ અને પ્રધાનમંત્રી ટોની બ્લેરે ચિયરલીડર મીડિયા અને તમાશબીન જનતાની ચિચિયારીઓ વચ્ચે તાનાશાહ સદ્દામ હુસેનના ‘નર્ક’ ઇરાક પર ચઢાઈ કરીને જગતભરના ટેલિવિઝન સ્ક્રીન ઉપર હોળી-દિવાળીનો તમાશો કર્યો હતો. ઘણીવાર આપણને નાસમજણનું એવું ઝનૂન ચઢે છે કે એમાં લાખો લોકો હોમાઈ જાય છે, અને એમાંથી આપણે કંઈ સમજીએ તે પહેલાં નવા તમાશાની તૈયારી કરી લઈએ છીએ. દાખલા તરીકે રાષ્ટ્રપ્રમુખપદની 2016ની ચૂંટણીના પ્રબળ દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પે એની ‘કડક’ ભાષામાં એકથી વધુ વખત ત્રીજા મહાયુદ્ધના સંકેત આપ્યા છે.
બ્રિટનમાં અત્યારે પૂર્વ બ્યુરોક્રેટ સર જોન ચિલ્કોટનો એક રિપોર્ટ ચર્ચામાં છે, જે આપણી યુદ્ધપરસ્ત માનસિકતાને ઝકઝોરી નાખે તેવો છે. એક એવું યુદ્ધ જેમાં સૈનિકો સહિત અઢી લાખથી વધુ લોકો મરી ગયા હોય અને એમાં જખ્મી, વિકલાંગ, માનસિક આઘાત ઝીલી રહેલા સૈનિકો અને નાગરિકોની સંખ્યા એના કરતાં પણ વધુ હોય, જે યુદ્ધની તબાહીમાંથી ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક એન્ડ સીરિયા (આઇ.એસ.અાઇ.એસ.) નામના દુર્જેય સંગઠનનો જન્મ થયો હોય, અગર આ યુદ્ધનાં 13 વર્ષ પછી ખબર પડે કે આ યુદ્ધ તદ્દન ગલત હતું, અન્યાયી હતું અને એના ફેંસલા માટે ટોની બ્લેરને પસ્તાવો થઈ રહ્યો છે તો વિચારો કે તમારા દિલ પર શું અસર થાય?
સર જોન ચિલ્કોટે 7 વર્ષની મહેનત પછી 6,000 પાનાંનો રિપોર્ટ પેશ કર્યો છે. તેમાં 26 લાખ શબ્દો છે અને 12 વોલ્યુમ છે. સર ચિલ્કોટને એક જ મુદ્દાને છાનબીન કરવાની હતી: 2003માં ઇરાક ઉપર ચઢાઈ કરવી જરૂરી અને ઉચિત હતી? આ રિપોર્ટમાં 28 જુલાઈ, 2002ના રોજ ટોની બ્લેરે જ્યોર્જ બુશને લખેલી એક નોંધનો ઉલ્લેખ છે, જેમાં એ વાતનો સંકેત છે કે યુદ્ધ કરવાના ફેંસલા પર જલદીથી અમલ કેમ થઈ ગયો. એમાં બ્લેરે બુશને લખ્યું હતું, ‘જે થવું હોય તે થાય, હું તમારી પડખે રહીશ.’
એ વખતે પૂરી દુનિયા યુદ્ધના વિરોધમાં હતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુદ્ધને લીલી ઝંડી ફરકાવવા ઇન્કાર કરી દીધો હતો. અમેરિકાએ ત્યાં પણ ધોંસ જમાવી હતી. અમેરિકાએ રાષ્ટ્રવાદના નામ પર એવું ઝનૂન પેદા કર્યું હતું કે યુદ્ધનો વિરોધ કરનારને આતંકવાદનો સમર્થક ઘોષિત કરવામાં આવતો હતો. અમેરિકન મીડિયાને જાણે તમાશો મળી ગયો હોય તેમ ભાવુકતા પેદા કરી રહ્યું હતું. દુનિયાના જનમતની ઐસી તૈસી કરીને ચેનલોએ એમની રેટિંગને જ જનમત બનાવી દીધો અને યુદ્ધના તમાશામાં સામેલ થઈ ગઈ.
ચિલ્કોટ રિપોર્ટ કહે છે કે ટોની બ્લેરે એમની જનતા સમક્ષ સદ્દામ હુસેનના સંભવિત ખતરાના નામે ગપગોળા જ પેશ કર્યા હતા. જ્યોર્જ બુશે સદ્દામ હુસેનને ‘દુષ્ટતાની ધરી’ (એક્સિસ ઑફ ઇવિલ) તરીકે ઘોષિત કર્યો હતો, જેણે પશ્ચિમી રાષ્ટ્રો સામે આતંકવાદની કમાન રચી હતી. ઇરાક સામે યુદ્ધ છેડવાનું એક ‘નક્કર’ કારણ સદ્દામ હુસેનનો સામૂહિક વિનાશના હથિયારનો કાર્યક્રમ હતો. અમેરિકી અને બ્રિટિશ સૈન્યએ સદ્દામનો ખાત્મો કર્યો તે પછી ખબર પડી કે સદ્દામ પાસે એવાં કોઈ જ હથિયાર ન હતાં.
ઇરાક યુદ્ધમાં બુશ અને બ્લેર બંને ભલે એમના દેશવાસીઓને ગુમરાહ કરતા રહ્યા હોય, પણ જંગના અસલી કારણની બધાને ખબર છે. ઇરાક યુદ્ધ પર ચોપડી લખનાર બ્રિટિશ સમાચાર પત્ર ‘ધ ઇન્ડિપેન્ડેન્ટ’નો પૂર્વ પત્રકાર જસ્ટિસ હગલર કહે છે, ‘ઇરાક યુદ્ધનું એક માત્ર કારણ તેલ હતું. 2003માં બગદાદમાં ધડાધડી થઈ તો અમેરિકાએ સૌથી પહેલાં તેલના કૂવાને સુરક્ષિત કરી દીધા હતા, કારણ કે તેલ જ ખરી તાકાત છે. જનતંત્ર અને માનવમૂલ્યોની સ્થાપનાનાં નામ પર અમેરિકા અને બ્રિટને ઇરાકમાં જે કર્યું, એ હવે દુનિયાની સામે છે. આવી ભયંકર તબાહીનો બીજો દાખલો ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળશે.’
આજે ડોનાલ્ડ ટ્રમ્પ જેની સામે ‘કડક હાથે’ કામ લેવાની ભાષા વાપરે છે અને જેણે બ્રિટનને આતંકની ગિરફ્તમાં લઈ લીધું છે તે આઇસીસ સંગઠન ઇરાકની આ તબાહીમાંથી પેદા થયું છે, એ આપણી યુદ્ધપરસ્ત માનસિકતામાં જડીને રાખવા જેવી હકીકત છે. ટોની બ્લેરે આ વાત સ્વીકારી છે. ઇરાક યુદ્ધ માટે માફી માગતી વખતે બ્લેરે કહ્યું હતું, ‘આતંકવાદી ઇસ્લામિક સંગઠનના જન્મ માટે મારા પર ઇલ્ઝામ મૂકી શકાય. અગર ઇરાક યુદ્ધ ન થયું હોત તો આજે આઇ.એસ. જેવું સંગઠન પૂરી દુનિયામાં હિંસા અને આતંકનો કહેર વરસાવતું ન હોત. સદ્દામ હુસેનને હટાવ્યા પછીની સ્થિતિનો અંદાજ મેળવવામાં ભૂલ થઈ હતી.’
જ્યોર્જ બુશ પણ ઇરાક યુદ્ધની ગલતી માની ચૂક્યા છે. ‘ડિસિઝન પોઇન્ટ’ નામની ચોપડીમાં બુશે લખ્યું છે, ‘ઇરાક યુદ્ધમાં ઘણી ભૂલો થઈ હતી. મારા કાર્યકાળના અંતિમ દિવસોમાં મારી હાલત એવી હતી જાણે હું એક ડૂબતા જહાજનો કપ્તાન હોઉં.’ બુશની વિદેશ મંત્રી રહી ચૂકેલી મૈડલીન અલબ્રાઇટ પણ એક સ્થાને લખે છે, ‘ઇરાક યુદ્ધ અમેરિકાની સૌથી મોટી ભૂલ હતી, જેનાં ફળ આપણે હજુ ય ભોગવી રહ્યાં છીએ.’
જંગમાંથી ઊભરેલું ઇરાક અંતિમવાદી સુન્ની સમૂહ આઇ.એસ.ના કબજામાં આવી ગયું છે. 2003થી ઇરાક અને સીરિયામાં જે ભયાનક સ્થિતિ નિર્માણ થઈ તેમાંથી બચવા લોકો પલાયન થઈ રહ્યા છે અને આઇ.એસ. એ અસ્થિરતામાં પગદંડો જમાવી રહ્યંુ છે. દુનિયાભરમાંથી જે ઇલાકામાંથી સૌથી વધુ શરણાર્થી નીકળી રહ્યા છે, તેમાં ઇરાક અને સીરિયા મોખરે છે. 2003માં બુશ અને બ્લેરે એક ‘સમસ્યા’નું ‘સમાધાન’ લાવવા ખાતરી આપી હતી. આપણે એ ખાતરીમાં તણાઈ ગયા હતા. આજે એ સમાધાન નવી સમસ્યા બની ગયું છે, અને ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી બુશની જ ભાષામાં ‘સમાધાન’ની વાત કરે છે.
બુશથી લઈને ટ્રમ્પ સુધીની જો બીજી કોઇ નિષ્ફળતા હોય તો એ છે કે લીડરોના સ્તર ઘટી રહ્યા છે. ઇરાક યુદ્ધ વખતે બુશ અને બ્લેર માનવતા અને એમના દેશવાસીઓના મસીહા તરીકે ઊભર્યા હતા. એ વખતે એમણે કેવી ભવ્ય વાતો કરી હતી એ યાદ છે? સર ચિલ્કોટના રિપોર્ટ પછી આજે બંને સામે ‘યુદ્ધ અપરાધી’ તરીકે કામ ચલાવવાની માગણી થઈ રહી છે. આપણને એમાં રસ ન પડે, કારણ કે સામાન્ય જનમાનસ તો ઝનૂનમાં જ જિંદગીનો અહેસાસ કરે છે, વિવેકબુદ્ધિમાં નહીં.
આપણા લીડરો જો શ્રેષ્ઠ અને લાયક હોય તો એ આપણામાં ભાવનાનાં પૂર પેદા ન કરે, પણ સારા-નરસાનો ભેદ પારખવાની સમજ આપે.
ઇરાક યુદ્ધમાં દુનિયાની શાંતિ તો જોખમાઈ જ, સાથે ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન જેવા ‘માથાના ફરેલા’ લીડરોનો ઉદય થયો તે બોનસમાં.
ઘણીવાર આપણી સામે એવી સ્થિતિ આવી જાય છે કે આપણે એનાં મૂળમાં જવાની હિંમત અને કાબેલિયત ગુમાવી દઈએ છીએ. આવી દરેક સ્થિતિમાં લીડરો અને મીડિયા આરપારની લડાઈનાં સમાધાન આપતાં રહે છે. આપણે આવી ગોળીઓ ગળતા પણ રહીએ છીએ. સર ચિલ્કોટનો રિપોર્ટ આપણી આ સમજને ઝકઝોરે તેવો છે. ઘણીવાર આંધળા ઝનૂનથી લેવાયેલા નિર્ણય દુનિયાને બહેતર બનાવવાને બદલે કેવી રીતે બદતર બનાવે એના સાક્ષાત્ સાક્ષી બુશ અને બ્લેર છે.
ઇતિહાસ હર મોડ ઉપર કંઇક શીખવાનો અવસર પૂરો પાડે છે. આપણે એ અવસરને તક ગણીએ છીએ કે તમાશો એના પર ભવિષ્યના ઇતિહાસનો આધાર રહે છે.
સૌજન્ય : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 07 અૉગસ્ટ 2016
https://www.facebook.com/permalink.php?story_fbid=1647581552236564&id=1379939932334062&substory_index=0
ચૂંટણી પર અસર પાડે એટલી દલિતોની વસ્તી નહીં ને દલિત નેતાઓ પક્ષીય વફાદારીના બિલ્લા પહેરી રાજી
સરખામણી જેટલી સ્વાભાવિક અને ઘણી રીતે અનિવાર્ય લાગે, એટલી જ વિચિત્ર પણ છે. ગુજરાતમાં ભાજપની સંપૂર્ણ પકડ અને કોંગ્રેસની અનંત શીતનિદ્રા છતાં ત્રણ યુવા ચહેરા નેતાગીરીની ભૂમિકામાં ઉભર્યા, જેમનાં નામ હવે એક શ્વાસમાં લેવાય છે : હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી. દેખીતું સામ્ય તેમની વયનું અને તેમના ઊભા થયેલા કે થઇ રહેલા બહોળા પ્રભાવનું. હાર્દિક પટેલ તેમની સમજ પ્રમાણે ‘પાટીદાર સમાજને થયેલા અન્યાય’ સામે લડત ચલાવે, અલ્પેશ ઠાકોર વેરવિખેર એવા અન્ય પછાત વર્ગ(ઓબીસી)ના નેતા બને અનેે તેમના હિતની—મુખ્યત્વે અનામતમાં ભાગ ન પડવા દેવાની—વાતે આગળ આવે. આ બન્નેની સરખામણીમાં જિજ્ઞેશ મેવાણીનો પ્રવેશ છેલ્લો થયો.
ઉના અત્યાચારની ઘટના બન્યા પછી જિજ્ઞેશ અને તેમના સાથીદારોએ ઉના દલિત અત્યાચાર લડત સમિતિના નેજા હેઠળ સંગઠિત લડત આપવાની શરૂઆત કરી. આ સંગઠનને કોઈ રાજકીય પીઠબળ કે જ્ઞાતિ સંગઠનોનો આર્થિક ટેકો ન હતાં. એજેન્ડા ઉનાના પીડિતોને ન્યાય અપાવવા ઉપરાંત દલિતો પર થતા અત્યાચાર અને તેના મૂળમાં રહેલા ભેદભાવના વ્યાપક મુદ્દે લડત આપવાનો હતો. અગાઉ થાનગઢમાં ત્રણ દલિત કિશોરોની હત્યા પછી સ્વયંભૂ –અને ભાગ્યે જ જોવા મળે એવો—લોકજુવાળ પેદા થયો હતો. પરંતુ ગુજરાતમાં દલિતોની વસ્તી સાત ટકાથી પણ ઓછી. ચૂંટણીનાં પરિણામો પર અસર પાડવાની તેમની ક્ષમતા નહીં. દલિત નેતાઓ પણ પક્ષની વફાદારીના બિલ્લા પહેરીને રાજી. એટલે થાનગઢ વખતે તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી દલિત લાગણીને અને તેમની ન્યાયની માગણીને ઘોળીને પી ગયા.
પરંતુ થાનગઢથી ઉના વચ્ચે ઘણો બદલાવ આવ્યો છે. હવે નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે અને ગુજરાત તેમનું હોમ સ્ટેટ એટલે કે ગૃહરાજ્ય છે. ઉના અત્યાચાર જેવી ઘટના વીડિયોસ્વરૂપે વહેતી થાય – ચગે, ત્યારે ચિંતા ગુજરાતની નથી. ગુજરાતને તો નરેન્દ્ર મોદી-અમિત શાહ ખિસ્સામાં ગણે છે, પણ ગુજરાતના દલિતોનો તીવ્ર અન્યાયબોધ ઉત્તર પ્રદેશ જેવાં નોંધપાત્ર દલિત મતો ધરાવતા રાજ્યમાં પડઘાય, તે શી રીતે પોસાય?’
ઉના દલિત અત્યાચારનો પહેલો બનાવ ન હતો અને ખેદની વાત છે કે, છેલ્લો બનાવ પણ નહીં હોય. છતાં, દલિતોના અન્યાયબોધને, તેમની સમાનતાની, ગરીમાપૂર્ણ વ્યવહાર-વ્યવસાય માટેની ઝંખનાને સુવ્યવસ્થિત સ્વરૂપે વાચા આપે એવા અવાજનો હમણાં સુધી અભાવ હતો. અમદાવાદની રેલીમાં અને એ સિવાય પણ જિજ્ઞેશ મેવાણીને સાંભળ્યા પછી ઘણાને એ અવાજની ખોટ પુરાતી જણાય છે. સવાલ ફક્ત બોલવાની છટાનો નથી. એ કળામાં તો વડાપ્રધાન કુલગુરુ બને એમ છે. પરંતુ આંદોલનનો ચહેરો બનેલા જિજ્ઞેશ મેવાણીની વાતમાં રોષ અને ઉગ્રતાની સાથોસાથ અભ્યાસ અને સંઘર્ષનો અનુભવ પણ રહેલો છે, જે હાર્દિક પટેલ સાથેની તેમની સરખામણીને અપ્રસ્તુત બનાવે દે છે.
જિજ્ઞેશ મેવાણી અચાનક, રાતોરાત આકાશમાંથી ટપકી પડેલો કે કોઈએ ઊભો કરેલો નેતા નથી. તેની પાછળ રાજકીય વ્યક્તિત્વોના દોરીસંચારની આશંકા નથી ને સમૃદ્ધ જ્ઞાતિજનોનો મજબૂત આર્થિક ટેકો પણ નથી. અત્યારે અમદાવાદથી પદયાત્રીઓ સાથે નીકળેલા અને 15મી ઓગસ્ટે ઉના પહોંચીને ધ્વજવંદન કરવા માગતા 35 વર્ષના જિજ્ઞેશ પાસે જાહેર કામનો લાંબો અનુભવ અને વાચનલેખનનો મજબૂત સંસ્કાર છે. બૌદ્ધિકતા, જોશ, કાર્યકરવૃત્તિ અને નેતૃત્વશક્તિ—આ બધાનું સંયોજન દલિતોમાં જ નહીં, સમગ્ર ગુજરાતના જાહેર જીવનમાં દુર્લભ છે.
જિજ્ઞેશ મેવાણીની નેતૃત્વશક્તિની હવે કસોટી છે, પરંતુ બૌદ્ધિક રીતે એ અત્યંત સજ્જ છે. એકાદ દાયકા પહેલાં ગુજરાતના ટોચના ગઝલકાર ‘મરીઝ’ વિશે જિજ્ઞેશે કરેલું સંશોધન ગુજરાતી સાહિત્યમાં અને પત્રકારત્વમાં મૂલ્યવાન ઉમેરો કરે એવું છે, તો ભગતસિંઘ અને ક્રાંતિકારીઓ વિશેનો તેમનો અભ્યાસ ભગતસિંઘના નામે ચરવા નીકળી પડેલાઓ કરતાં તેમને જુદા અને વેંત ઊંચા મૂકી આપે એમ છે. અમદાવાદની એચ.કે. આર્ટસ કોલેજમાંથી અંગ્રેજી વિષયમાં સ્નાતક થયેલા જિજ્ઞેશને સામાજિક સમાનતાના ઘણા પાઠ સંજય ભાવે અને સૌમ્ય જોશી જેવા અધ્યાપકો પાસેથી શીખવા મળ્યા. એ ઘડતર પર અનુભવનું ઘણું ચણતર ગાંધીવાદી ચુનીકાકા (વૈદ્ય) અને જનસંઘર્ષ મંચના ડાબેરી કર્મશીલ મુકુલ સિંહા સાથે કામ કરતાં થયું. ચુનીકાકા સાથે રહીને જમીનવિહોણાને જમીન અપાવવાની લડતથી માંડીને સફાઈ કામદારો હોય કે ગુજરાત ઇન્ડસ્ટ્રીઅલ સિક્યોરિટી ફોર્સના જવાનો, તેમની અન્યાય સામેની લડતમાં જિજ્ઞેશે જનસંઘર્ષ મંચ વતી સામેલગીરી કરી છે.
ચુનીકાકા વિશે કેતન રૂપેરાએ સંપાદિત કરેલા સ્મૃિતગ્રંથમાં જિજ્ઞેશે ચુનીકાકાનો પૂરા આદર સાથેનો, છતાં અણીદાર ઇન્ટરવ્યુ કર્યો છે. તેમાંથી ફક્ત ચુનીકાકાનું જ નહીં, જિજ્ઞેશનું પણ વ્યક્તિત્વ પ્રગટ થાય છે. ઇન્ટરવ્યુની ભૂમિકાના આરંભે જ જિજ્ઞેશે લખ્યું છે, ’ગુજરાતના જાહેરજીવનમાં ત્રણ કાકાઓ અમૂલી જણસ જેવા મળ્યા—ગિરીશકાકા (પટેલ), મુકુલકાકા (સિંહા) અને ચુનીકાકા (વૈદ્ય). ગિરીશકાકા ગાંધી અને માર્કસનું કોમ્બિનેશન કરવામાં માને, મુકુલ સિન્હા માર્કસ ને લેનિનનું કોમ્બિનેશન કરવામા માને, ચુનીકાકા ગાંધીના વિકેન્દ્રીકરણના વિચાર પર આધારિત ગ્રામ સ્વરાજ સ્થાપવા માગે. પારકી છઠ્ઠીના જાગતલ એવા આ ત્રણેય કાકાઓ ખેડૂતો-પશુપાલકો-પીડિતો-દલિતો, અસરગ્રસ્તો માટે બહુ લડ્યા …’ (હાર્દિક સાથે જિજ્ઞેશની સરખામણી કેમ અયોગ્ય છે, એ આ ત્રણ લીટી વાંચીને પણ સ્પષ્ટ થઇ જવું જોઈએ.)
નરેન્દ્ર મોદીના મુખ્ય મંત્રીપદ દરમિયાન અને ત્યાર પહેલાં પણ ગુજરાતમાં સંઘર્ષનું કામ કરનારા બહુ ઓછા નીકળ્યા, માર્ટિન મેકવાન જેવાએ એક તબક્કે સમાનતાના સંઘર્ષ અને નવસર્જનનું કામ સમાંતરે અને અસરકારક રીતે ઉપાડ્યું હતું. હવે જિજ્ઞેશ પાસે (છેલ્લાં વર્ષોમાં મેળવેલી વકીલાતની ડિગ્રી ઉપરાંત) તેમણે ગણાવેલા ત્રણ કાકાઓના સંઘર્ષનો અને એ સિવાય દલિત ચળવળનો વારસો છે. જોસ્સો (પેશન) તેમનો સ્થાયી ભાવ છે, તેનાથી દોરાવાનું નેતા તરીકે ઓળખાયા પછી જોખમી બની શકે છે, પણ કોઈ પણ બાબતને ફક્ત થિયરીના સ્તરે સમજીને સંતુષ્ટ થવાને બદલે, સંવેદનાના સ્તરે અનુભવવી એ જિજ્ઞેશની પ્રકૃતિ છે.
જાહેર જીવનમાં અને દલિત ચળવળમાં જાણકારો પાસેથી સલાહસૂચન-દિશાદર્શન લેવાનું તેમણે હજુ બંધ કર્યું નથી. તેમની સામે આંતરિક તથા બાહ્ય પડકાર ઓછા નથી. જ્ઞાતિવાદની ભયંકર આડપેદાશ જેવા દલિતોના પેટાજ્ઞાતિવાદને વળોટી જાય એવી રીતે ચળવળ ટકાવવી અને આગળ વધારવી, વાજબી રાજકીય મહત્ત્વાકાંક્ષા તથા ઉગ્રતા-કટુતાને ભયજનક સપાટીથી નીચે રાખવી, આંદોલનની વરાળથી પોતાનાં એન્જિન ચલાવવા આવી પડતા રાજનેતાઓથી સલામત અંતર રાખવું, આંદોલનની ધરી વ્યક્તિકેન્દ્રી કે વ્યક્તિવિરોધી-પક્ષવિરોધી નહીં, પણ સમાજકેન્દ્રી, સમાનતાકેન્દ્રી – અત્યાચારવિરોધી રહે તે જોવું … પડકારોની યાદી લાંબી છે. તેમાં સજ્જતાની કસોટી છે, તો પરિવર્તન માટેની તક પણ છે જ.
e.mail : uakothari@gmail.com
સૌજન્ય : ‘અમારે કેટલા ટકા?’, “દિવ્ય ભાસ્કર”, 09 અૉગસ્ટ 2016
http://www.divyabhaskar.co.in/news/ABH-jignesh-mevani-not-a-hardik-patel-article-by-urvish-kothari-gujarati-news-5391680-NOR.html