કદર અને નિસબત
ગાંધીકથાકાર નારાયણભાઈ દેસાઈના પૌત્ર અને ‘ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’(અમદાવાદ)ના ચીફ કૉપી એડિટર સુકરાત દેસાઈએ તેમના દાદાનું લખેલું ચરિત્ર ‘ધ લાસ્ટ ઑફ ધ ગાંધીયન્સ’ (નોશન પ્રેસ, ચેન્નાઈ રૂ. ૨૩૦/-) તાજેતરમાં બહાર પડ્યું છે. ‘ઍન અન ઑથોરાઇઝ્ડ બાયોગ્રાફી ઑફ નારાયણ દેસાઈ’ એવું પેટાશીર્ષક ધરાવતા આ પુસ્તકને ઊતાવળે જોઈ ગયા પછી તેના વિશેનો પ્રાથમિક પ્રતિભાવ એવો કે એ રસપ્રદ, અસરકારક લેખનના અનેક ઝબકારાવાળું, વિવાદનો અવકાશ ધરાવતું પુસ્તક છે. આ પુસ્તકમાં સુકરાતનો સૂર, અને કેટલેક અંશે એ લખવા પાછળનો હેતુ, ‘દીવા તળે અંધારું’ એવી વ્યથા વ્યક્ત કરવાનો છે. સુકરાત નારાયણભાઈ સાથેના તેના સંબંધને ગાંધીજી અને હરિલાલ ગાંધી વચ્ચેના જાણીતા તણાવયુક્ત સંબંધની સાથે સરખાવે છે. લેખક શરૂઆતની નોંધમાં લખે છે :
એમની લોકપ્રિયતા આસમાનને અડે છે. અને હું એમનો પૌત્ર સુકરાત દેસાઈ અંધકારમાં ડૂબું છું … ગાંધીવાદી વારસાના બધાં સંતાનોને – નહેરુ પરિવારના સોનિયા અને રાહુલ, ગાંધી પરિવારના રાજમોહન અને તુષારને – રાજકારણી, લેખક કે બૌદ્ધિક તરીકેની કારકિર્દી ઊભી કરવા માટે વારસામાં એક પરફેક્ટ પ્લૅટફૉર્મ મળ્યું છે. પણ ગાંધીનો એક બદકિસ્મત બેટો હતાશામાં સરી ગયો. એ દારૂ પીએ છે અને વ્યભિચાર કરે છે. એ સાવ મામૂલી માણસ તરીકે એકલવાયી દશામાં મૃત્યુ પામે છે. ગાંધીજન એવા ઇતિહાસકાર ચંદુલાલ ભગુભાઈ દલાલે લખેલું હરિલાલનું જીવનચરિત્ર મેં વાંચ્યું. મારામાં પણ હરિલાલનાં લક્ષણો હતાં. નારાયણભાઈ ગાંધીને જીવી ગયા, ગાંધીની લઘુપ્રતિમા (મિનિએચર) બન્યા. એમની છાયામાં હું ઓઝપાઈ ગયો, અજાણતા જ હું હરિલાલની જેમ જીવવા લાગ્યો.
દાદાજીની અનેક મુલાકાતોમાંની પહેલી મુલાકાતને ટાંકીને સુકરાત લખે છે : નારાયણભાઈ ઉપરાંત મારે મારા વિશે લખવું છે – આજના જમાનાના હરિલાલ વિશે, એની આપઓળખની મથામણ (આઈડેન્ટિટી ક્રાઇસિસ), એની હતાશા, નારાયણભાઈ સાથેની એની લવ-હેઇટ રિલેશનશીપ વિશે લેખકના વ્યથાજનક અનુભવોનું વર્ણન ‘મેમરિ લેન્સ ઑફ વારણસી એન્ડ જિનેસિસ ઑફ મૉડર્ન ડે હરિલાલ’ અને ‘ગાંધી = ત્યાગ, હરિલાલ = સ્વાર્થ’ પ્રકરણોમાં છે. સુકરાતે નારાયણભાઈના જન્મથી લઈને એકંદર જીવનકાર્યનું ગૌરવપ્રેરક નિરુપણ પચીસેક પ્રકરણોમાં કર્યું છે. જેમાં આઝાદીની લડતના તબક્કા ઉપરાંત ભૂદાન, શાંતિસેના, નયી તાલીમ, બાંગ્લાદેશ, જયપ્રકાશ આંદોલન,સંપૂર્ણ ક્રાન્તિ વિદ્યાલય, સાહિત્યસર્જન, આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ ઇત્યાદિનો સમાવેશ થાય છે. પુસ્તકની શરૂઆત ગોધરાકાંડને પગલે થયેલા હિંસાચાર અને તેના ઓસડ તરીકે નારાયણભાઈને સૂઝેલી ગાંધીકથાથી કરી છે. પુસ્તકમાંથી ઝડપથી પસાર થતાં ય બે પ્રકરણો બિનજરૂરી જણાય છે. વ્યાવસાયિક અંગ્રેજી લેખનપ્રણાલીને અનુસરીને હકીકતોના બયાનમાં માત્ર ‘નારાયણ’ નામ જ વપરાયું છે, ‘ભાઈ’ એવો ઉપસર્ગ નથી. અભિવ્યક્તિ અનેક જ્ગ્યાએ અસરકારક તો ક્યારેક ખરબચડી પણ લાગે છે. સુકરાતમાં આક્રોશ છે, ક્યાંક અપશબ્દોય છે. પણ તેનાથી છળી ઊઠવાની જરૂર નથી. વેદનાને વાચા આપવામાં નારાયણભાઈની મૂર્તિ ખંડિત થાય છે એવું જણાય. પણ બધાએ મૂર્તિને જોયા કરવી કે પૂજવી એવું ય ક્યાં છે? નારાયણભાઈના ચાહકો-અભ્યાસીઓ આ મૂર્તિભંજકતા પરત્વે પ્રતિભાવ-બચાવ-પ્રતિક્રિયા આપે એમ થવું જોઈએ. સુકરાતનો આક્રોશ કેટલે અંશે સાચો અને ન્યાયોચિત (જેન્યુઇન ઍન્ડ જસ્ટિફાયેબલ) છે તેનું વિશ્લેષણ પણ થઈ શકે.
છેલ્લેથી બીજા પ્રકરણ ‘લાસ્ટ ડાયલૉગ્સ’ને અંતે સુકરાતે નારાયણભાઈને ટાંક્યા છે :
આપણે વારાણસીમાં પહેલી વાર મળ્યા ત્યારે મારા તરફની તારી નકારાત્મકતા તે બતાવી હતી. મને ખ્યાલ આવ્યો કે ગાંધીવાદી તરીકેના મારા અહમને કારણે કદાચ એ લાગણી ઊભી થઈ હોય. તારા આરોપ મુજબનો કોઈક પ્રકારનો અન્યાય પણ મેં તને કર્યો હોય. હજુ પણ તને એવું લાગતું હોય તો માફી માગવા સિવાય બીજું હું શું કરી શકું ? બેટા, મહેરબાની કરીને મને માફ કરી દે. અને અહીં હું એ બધાની માફી માગવા ઇચ્છું છું કે જેમને મેં અભાનપણે, શરતચૂકથી પણ દૂભવ્યાં હોય …
છેલ્લા તેંત્રીસમા પ્રકરણને છેડે લેખક નોંધે છે : ‘નારાયણભાઈ કે એમના ગાંધી મને ક્યારે ય ગમ્યા ન હોવા છતાં મને તેમની વાત માંડવાની અદમ્ય ઇચ્છા જાગે છે. એવી વાત કે જેના થકી આવતી પેઢીઓ એમના ગાંધીમાં રસ લેતી થાય.’ પુસ્તકના આખરી વાક્યમાં લેખક કહે છે કે એમનો નાનો દીકરો અંગ્રેજી કક્કો વાંચતાં ‘જી ફૉર ગન’ બોલતો હતો, એમણે એને અટકાવીને કહ્યું ‘જી ફૉર ગાંધી!
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2016; પૃ. 20