પશ્ચિમ પંજાબ ગુમાવેલા સિખો બાકીના પંજાબના વિભાજનની માગણી કરીને નાના પણ સિખોની બહુમતીવાળા અલાયદા રાજ્યનો આગ્રહ કરશે. પંજાબી અસ્મિતા કરતાં સિખ અસ્મિતા કેટલી પ્રબળ છે એ આમાં જોઈ શકાય છે. એટલે તો ભારત સરકારે સતર્ક રહેવાની જરૂર છે. ધર્મ અસંગઠિત હશે તો દેશ સંગઠિત રહી શકશે
મારું મારા બાપનું અને તારામાં મારો ભાગ એવા વલણનું કેટલીક વાર અવળું પરિણામ આવતું હોય છે જેનો પંજાબના સિખોને હવે અનુભવ થઈ રહ્યો છે. હરિયાણા સરકારે હરિયાણામાંના સિખ ગુરુદ્વારાના પ્રબંધનનો અધિકાર શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) પાસેથી લઈ લીધો છે અને એની જગ્યાએ હરિયાણા માટે અલગ હરિયાણા શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (HSGPC)ની રચના કરી છે. ગુરુદ્વારાના પ્રબંધનની આ વ્યવસ્થા હરિયાણા વિધાનસભામાં ખરડો પસાર કરીને કરવામાં આવી છે અને નવા ખરડાને હરિયાણાના રાજ્યપાલ જગન્નાથ પહાડિયાએ મંજૂરી પણ આપી દીધી છે. હરિયાણા સરકારના અલગ HSGPC રચવાના નિર્ણયનો પંજાબે વિરોધ કર્યો છે. પંજાબના મુખ્ય પ્રધાન પ્રકાશ સિંહ બાદલે કહ્યું હતું કે આ ભારતના સિખોને વિભાજિત કરવાનું કૉન્ગ્રેસનું કાવતરું છે. પંજાબના અકાલીઓએ હરિયાણાના રાજ્યપાલને ખરડો પાછો મોકલવાનો આગ્રહ રાખ્યો હતો, પરંતુ રાજ્યપાલે પ્રતિસાદ આપ્યો નહોતો. હરિયાણા રાજ્યપાલની મુદત આવતા મહિને પૂરી થાય છે. હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં યોજાવાની છે. હવે પછી રાજ્યપાલ BJPના આવશે અને ચૂંટણીમાં કૉન્ગ્રેસનો પરાજય થશે ત્યારે આ કાયદો રદ કરાવીશું એવું આશ્વાસન મુખ્ય પ્રધાન પ્રકાશસિંહ બાદલે પંજાબના સિખોને આપ્યું છે. દરમ્યાન અમૃતસરના અકાલ તખ્તે હરિયાણાના ત્રણ સિખ નેતાઓને પંથબહાર કરવાની જાહેરાત કરી છે. આ ત્રણ નેતાઓએ HSGPC માગણી કરી હતી અને HSGPCને સિખોનો ટેકો મળે એ માટે પ્રયાસ કર્યો હતો.
સંગઠિત ધર્મ માનવસમાજ માટે ઉપકારક કરતાં અપકારક વધારે નીવડે છે. સિખ ધર્મ આમ તો હિન્દુ ધર્મના અનેક પંથોમાંનો એક પંથ જ હતો. એને ૩૦૦ વર્ષ પહેલાં ગુરુ ગોવિંદ સિંહે ચોક્કસ ઓળખ આધારિત સંગઠીત સ્વરૂપ આપ્યું હતું. એ પછી ક્રમશ: સિખ પંથ ધર્મનું સ્વરૂપ પામવા લાગ્યો હતો. એને હિન્દુથી અલગ ધર્મનું સ્વરૂપ આપવામાં સિખો જેટલો જ અને કદાચ વધુ ફાળો અંગ્રેજોનો અને આર્યસમાજીઓનો છે. ધર્મ જેટલો સંગઠિત એટલો એ વધુ આગ્રહી હોવાનો અને ધર્મના નામે જ્યારે આગ્રહો રાખવામાં આવે છે ત્યારે સ્વતંત્ર વિચાર ધરાવનારાઓને કે ભિન્ન ઉપાસના પદ્ધતિમાં માનનારાઓને સતાવવામાં આવે છે. સિખ ધર્મમાં આવું એક સદીથી બની રહ્યું છે. પંજાબમાં ખાલિસ્તાનના નામે અલગતાવાદી-ત્રાસવાદી આંદોલન થયું હતું એ પણ સિખ ધર્મના આ સ્વરૂપનું પરિણામ છે. બાકી અલગ-અલગ રાજ્યોનાં ગુરુદ્વારાઓના પ્રબંધનની અલગ- અલગ વ્યવસ્થા હોય એમાં શું ફરક પડે છે? એનાથી સિખો સિખ મટી નથી જવાના કે નથી સિખ ધર્મને કોઈ આંચ આવવાની. હા, SGPCનો SGPC દ્વારા સ્થાપિત અને અંકુશિત અકાલી દળની વગમાં ઘટાડો થાય એવું બને. ધર્મના ઠેકેદારોને આ વાતની પીડા છે અને આવી આ લોકની પીડાને પરલોક સાથે સંબંધ ધરાવતા ધર્મ સાથે જોડીને તેઓ પોતાનો સ્વાર્થ સાધતા હોય છે.
SGPC રચના અંગ્રેજોએ કાયદો કરીને ૧૯૨૫માં કરવી પડી હતી. સિખો પંજાબમાં ગુરુદ્વારા કબજે કરતા હતા અને પંજાબમાં મહંતોના હાથમાંથી ગુરુદ્વારા છોડાવવાનું અથવા કહો કે પડાવી લેવાનું હિંસક આંદોલન ચાલતું હતું. છેવટે અંગ્રેજ સરકારે સિખો સામે ઝૂકી જઈને બધાં જ ગુરુદ્વારાનો વહીવટ SGPC દ્વારા કેન્દ્રીય રીતે થાય એની વ્યવસ્થા કરી આપી હતી. એ સમયે પંજાબ બૃહદ પંજાબ હતું જેમાં અત્યારના પંજાબનો, પાકિસ્તાનના પંજાબનો, આજના હરિયાણાનો અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થતો હતો. એ આખા પ્રદેશના ગુરુદ્વારાઓનો વહીવટ SGPC પાસે હતો. ૧૯૪૭માં ભારતનું વિભાજન થયું અને પશ્ચિમ પંજાબનાં ગુરુદ્વારાઓનો વહીવટ સિખોની વસ્તી વિનાના પાકિસ્તાન સરકારના હાથમાં આવ્યો. એ ગુરુદ્વારાઓમાં નાનકદેવના જન્મસ્થાને બંધાયેલા નાનકાનાસાહેબ ગુરુદ્વારનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાન સરકારે પાકિસ્તાન ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના કરી છે જે ગુરુદ્વારાઓનો વહીવટ કરે છે. બાકીના પંજાબનું વિભાજન SGPC અને અકાલી દળના આગ્રહના કારણે ૧૯૬૬માં થયું હતું અને પંજાબી ભાષાની બહુમતીવાળા આજના પંજાબની રચના કરવામાં આવી હતી. અકાલીઓ તો ધર્મના ધોરણે સિખ સુબાની એટલે કે સિખોના અલાયદા રાજ્યની માગણી કરતા હતા જેનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો અને ભાષાના ધોરણે પંજાબની રચના કરવામાં આવી હતી.
પંજાબનું વિભાજન કરવાની માગણી હરિયાણાના અને હિમાચલ પ્રદેશના લોકોએ નહોતી કરી. વિભાજન પછી લાહોરથી લાલા લજપતરાયનું બાવલું એ સમયના પંજાબની રાજધાની શિમલામાં સ્થાપવામાં આવ્યું હતું. ત્યારે કોઈએ કલ્પના નહોતી કરી કે પશ્ચિમ પંજાબ ગુમાવેલા સિખો બાકીના પંજાબના વિભાજનની માગણી કરીને નાના પણ સિખોની બહુમતીવાળા અલાયદા રાજ્યનો આગ્રહ કરશે. પંજાબી અસ્મિતા કરતાં સિખ અસ્મિતા કેટલી પ્રબળ છે એ આમાં જોઈ શકાય છે. માટે તો ભારત સરકારે સતર્ક રહેવાની જરૂર છે. પંજાબનું વિભાજન થવા છતાં અને હરિયાણા અને હિમાચલ પ્રદેશ પંજાબથી અલગ રાજ્ય બનવા છતાં ગુરુદ્વારાઓનો વહીવટ આજ સુધી SGPCના હાથમાં હતો. એક બાજુ ધર્મના નામે રાજ્યને વિભાજિત કરવું અને બીજી બાજુ ધર્મના નામે બીજાં રાજ્યોનાં ગુરુદ્વારાઓના વહીવટી અધિકારો માટે આગ્રહ રાખવો એ વિસંગતિ છે. હરિયાણાના સિખોએ જ અલગ ગુરુદ્વારા પ્રબંધક સમિતિની માગણી કરી હતી જે તેમને આપવામાં આવી છે.
આગળ કહ્યું એમ સંગઠિત ધર્મ માનવજાત માટે ઉપકારક કરતાં અપકારક વધુ છે. અકાલીઓને અલગ ઓળખ પણ જોઈએ છે અને વગ વિસ્તારવી પણ છે. ધર્મના કોમવાદી રાજકારણનો આ સ્વભાવ છે. પ્રકાશ સિંહ બાદલે વડા પ્રધાનને દરમ્યાનગીરી કરીને હરિયાણા સરકારે ઘડેલા HSGPC ધારાને રદ કરવાની માગણી કરી છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણી પછી નરેન્દ્ર મોદી અકાલી દળ પર કૃપા કરે તો નવાઈ નહીં. અહીં એક વાત નોંધવી જોઈએ કે ૧૯૮૦ના દાયકાના અનુભવ પછી અકાલીઓના ખાલસા રાજકારણને પ્રોત્સાહન આપતાં પહેલાં સો વાર વિચારવું જોઈએ. ધર્મ અસંગઠિત હશે તો દેશ સંગઠિત રહી શકશે.
સૌજન્ય : ‘મંતવ્ય-સ્થાન’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 24 જુલાઈ 2014
http://www.gujaratimidday.com/features/columns/sikh