ગાંધીજીના એક બીજા અને સાચા વારસદાર અને ગાંધીમૂલ્યોના રખેવાળ, દક્ષિણ અાફ્રિકાના મુક્તિ રાહબર, 95 વર્ષીય નેલસન માંડેલાને પ્રભુએ પોતાની ગોદમાં ગુરુવાર, 05 ડિસેમ્બર 2013ના દિવસે બોલાવી લીધા. વિશ્વ સમાજ એ મહાન અાત્માની ખોટ અનુભવી રહ્યો છે. વિશ્વ વધુ ગરીબ બન્યું છે.
એ મહામાનવને યાદ કરવા, એમના જીવન-કવન અને વારસાને અંજલી અાપવા 10 ડિસેમ્બરે, મંગળવારના દિવસે, એક વિરાટ પ્રાર્થના સભા જહોનિસબર્ગ મહાનગર પાસેના સૉવેટૉ ઉપનગર માંહે મોટા ફૂટબૉલ સ્ટેિડયમમાં રાખવામાં અાવી હતી. હજારોની સંખ્યામાં, ભર વરસાદે બીંજાતા ભીંજાતા દેશબાંધવો ઊમટી પડ્યા હતા. એમની સાથે જોડાયા હતા, મોટી સંખ્યામાં, 60-70 દેશોના પ્રતિનિધિઅો – વડા પ્રધાનો – રાષ્ટૃપતિઅો અને સંગીત, સીને જગતની વિવિધ હસ્તીઅો. અંજલી અાપનારાઅોમાં મુખ્ય હતા અમેરિકી રાષ્ટૃપ્રમુખ બરાક અોબામા. એમના શબ્દોએ ઘણાને અશ્રુભીના કર્યા. રાજકીય નેતાઅો, ખાસ કરીને, અાફ્રિકી રાજનેતાઅો મડીબાના રાહ પર ચાલે અને એમના વારસાને દીપાવે, અાત્મ નિરીક્ષણ કરે એવી સલાહ પણ અોબામાએ અાપી. મડીબાની અંતિમક્રિયા અાફ્રિકી પરંપરા સાથે 15 ડિસેમ્બર ને રવિવારે એમના જન્મસ્થળ કૂનુ ગામે કરવામાં અાવી.
ગાંધીજીની શહાદતના સમાચાર અાપતા પંડિત જવાહરલાલ નેહરુએ ભારતીય પ્રજાને કહ્યું હતું, ‘અાપણા જીવનમાંથી પ્રકાશ વિલીન થયો છે.’ અા શબ્દોને સંભારી બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમેરોને નેલસન માંડેલાની વિદાય વેળાએ અંજલી અાપતા સંદેશામાં કહેલું, ‘વિશ્વ સમાજે પ્રકાશપુંજ ગુમાવ્યો છે.’ [A great light has gone out in the world.]
અાવા મહામાનવની વિદાય વેળાએ અાવી લાગણી અનુભવીએ એ ખરું, પરંતુ અાવા પ્રકાશપુંજ સામાન્ય નથી. એ પ્રકાશ અાપણને યુગો સુધી પથદર્શક બની રહે છે એની યાદ નેહરુજીએ અા શબ્દોમાં અાપી હતી : ‘The light that shone was no ordinary light. That light represented the living eternal truths.’
અાવા પ્રકાશપુંજ ગાંધીજીના હોય કે અમેરિકાના માર્ટિન લૂથર કીંગના હોય કે દક્ષિણ અાફ્રિકાના નેલસન માંડેલાના હોય. એમણે સનાતન માનવ મૂલ્યોને જીવતાં રાખ્યા છે. અાવા મહા માનવની વિદાય વેળાએ અાપણે જરૂર અાંસુ સારીએ, લાગણીશીલ બનીએ, પણ અાવા મહામાનવના જીવન-કવનમાંથી જરૂર પ્રેરણા મેળવીએ, એમના શીખ-સંદેશને અનુસરીએ. અાનો પડઘો બરાક અોબામાએ અા શબ્દોમાં પાડ્યો હતો : ‘He makes me want to be better.’ અને પછી ઉમેર્યું કે, He speaks to what is best inside me.’
નેલસન માંડેલા 27 વર્ષની કારાવાસની કાળી મજૂરીની અસર અને યાદો ભુલાવી એક ક્ષમાશીલ દેશના રાહબર બન્યા. પસ્તાવો અનુભવતી શ્વેત પ્રજા – અાફ્રિકી પ્રજાને – તેમણે ક્ષમા અાપી અને પીડિત અશ્વેત પ્રજામાં અાશાનું કિરણ જગાવ્યું. પોતાના દેશભાંડુંઅોને ભૂતકાળનું મૂલ્યાંકન કરવા સાથે ભવિષ્ય પર નજર ઠેરવવાની સલાહ-સંદેશ અાપ્યો. મડીબાએ પોતાના જીવનમાં કરેલી ભૂલોનો એકરાર પણ કર્યો અને પ્રજાને કહ્યું કે, ‘I am not a saint unless you think of a saint as a sinner.’ મડીબાની અા કબૂલાતને દોહરાવી અોબામાએ એમની અંજલીમાં જણાવ્યું કે એટલે જ અાપણે મડીબાને અાટલો અાદર અને પ્રેમ અાપીએ છીએ. ‘It was precisely because he could admit to imperfection that we loved him so.’ અોબાએ વધુમાં ઉમેર્યું કે મડીબા હાડમાંસના માનવ હતા, ‘not a bust made of marble, a man of flesh and blood, a son and father, husband and a friend.’
નેલસન માંડેલાએ પોતાના જીવન-કવનમાં નમ્રતા અને કુશાગ્ર બુદ્ધિ પ્રતિભા દેખાડી. દૂરંદેશી અને ધૈર્યનાં દર્શન કરાવ્યાં. દેશમાં રહેતી બીજી પ્રજામાં સ્નેહભાવ અને સંબંધો બાંધ્યા; લાંબી રંગદ્વેષી લડતમાં અને મુક્તિ સંગ્રામમાં એ બધા રહેવાસીઅો અને એમના નેતાઅોનો સાથ-સહકાર મેળવવામાં અત્યન્ત સફળ રહ્યા. ભારતીય વંશીય રહેવાસીઅોના નેતાઅોમાં અહમદ કથરાડા, અમીના કાચલિયા, મેક મહારાજ, યહૂદી જમાતમાંના નેતાઅોમાં રૂથ ફસ્ટ, જોન સ્લોવો વગેરેએ મુક્તિ સંગ્રામમાં ઝંપલાવ્યું અને મડીબાના કારાવાસના સાથી અને સાક્ષી બન્યાં.
અા મહા માનવે જીવનના 27 જેટલાં વરસો જેલમાં પથ્થર તોડવામાં કાઢ્યા. અામ છતાં માનવીય કડવાશથી એ સંપૂર્ણપણે અલિપ્ત રહી શક્યા. એમણે મહાત્મા ગાંધીના વ્યક્તિત્વની પ્રતિબિંબ શી વ્યક્તિ બની રહી, પ્રેમ-સ્નેહ જ્યોત પાથરી 95 વર્ષે જીવનલીલા સંકેલી લીધી. ઇતિહાસના અા મહાન પુરુષને, મુક્તિ સંગ્રામના છેલ્લા રાજબર અને મહાન અાભાને અાપણે અશ્રુભીની અંજલી અર્પીએ અને એમનો જીવનસંદેશ દિલમાં ઊતારીએ અને એમણે ચીંધેલા પથ પર ચાલીએ.
[3, Buckingham Mews, SUTTON COLDFIELD, West Midlands, B73 5PR]