ગાંધીજી જેવી સેન્સ અોફ થિયેટર અાજના રાજકારણીઅોમાં જોવા મળતી નથી
પ્રચલિત અર્થો અને ધારણાઓથી જુદો જ ગાંધી વિચારનો એક અર્થ હું લઉં છું. હું માનું છું કે સંતાને માતા-પિતાનો આર્થિક વારસો માત્ર પ્રતીકરૂપે જ લેવો જોઇએ અને બાકીની વારસાઇ સંપત્તિ સમાજ ઉપયોગી કામમાં વહેંચી દેવી જોઇએ.
માતા-પિતા આમ પણ સંતાનોના ઉછેર અને ભણતર પાછળ ઘણી સંપત્તિ ખર્ચે છે. એમને લાયક બનાવે છે. સંતાનો મા-બાપનો બૌદ્ધિક વારસો જ લે તે વધુ ઉચિત છે. આ એક પ્રકારે ગાંધીજીના ટ્રસ્ટીશિપની ભાવના સાથે સુસંગત છે. આ વિચારને મેં અપનાવ્યો છે અને પિતાની સંપત્તિમાંથી માત્ર પ્રતીકરૂપ જ લીધું છે અને સંતાનોને માત્ર પ્રતીકરૂપ આપીને બાકીનું સમાજને આપવાની ઇચ્છા છે. મારા માટે 'આર્થિક વારસો કયારે ય નહીં, બૌદ્ધિક વારસો જ હંમેશાં’ એ સિદ્ધાંત ગાંધીવિચારનું જ અર્થઘટન છે.
આપણા જીવનમાં સારે-માઠે પ્રસંગે મિત્રો જ હંમેશાં સાથે હોય છે. પ્રતીકાત્મકરૂપે મિત્રોને પણ વારસામાંથી કંઇક આપવું જોઇએ. આ મારી દૃષ્ટિએ ગાંધીજીએ અપનાવેલા 'ત્યેન ત્યકતેન ભુંજીથા’ ઉપનિષદ પ્રેરિત વિચારનું મૂર્તરૂપ છે. વિચાર, આચાર અને જીવન એમ ત્રણ સ્તરે, ત્રિપરિમાણીય રીતે ગાંધીજી આજે પણ પ્રસ્તુત છે. ગાંધીજીએ કયારે ય કોઇ પણ વિચારને જેમનો તેમ સ્વીકાર્યો નથી. હંમેશાં જુદાજુદા ફિલ્ટર વડે ગાળીને તેને બને તેટલો શુદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે.
તેમણે અનુકરણીય રીતે દર્શાવ્યું છે કે માણસ ઝનૂની બન્યા વિના ધાર્મિક હોઈ શકે છે. ગાંધીજી માનતા હતા કે દરેક ધર્મમાંથી કંઇક ને કંઇક સારું ગ્રહણ કરવા યોગ્ય છે. તેઓ ધાર્મિક હતા પરંતુ એમના આશ્રમમાં કોઇ મૂર્તિઓ નહોતી. ગાંધીજીના આ ઉદાર ધાર્મિકવાદના કારણે ભારતમાં તાલિબાન જેવો ઉગ્ર અને આત્યંતિક ધાર્મિકવાદ આવી શક્યો નથી.
સત્યાગ્રહનાં મૂળિયાં જોઇએ તો તેમણે હિન્દુઓની અહિંસાને ખ્રિસ્તી ધર્મના 'એક્ટિવ લવ અને 'સર્વિસ’ના સિદ્ધાંત સાથે સાંકળી છે અને એને હિન્દુઓના અનાસક્તિના ખ્યાલમાંથી પસાર કરીને સત્યાગ્રહીને મૃત્યુનો પણ ડર નહીં રાખવાની અભયતા આપી છે. આ સંયોજન દ્વારા તેમણે સત્યાગ્રહને એક અમોઘ શસ્ત્રમાં ફેરવી દીધું હતું. એમણે ઉપવાસ માટે એવો ખ્યાલ કર્યો હતો કે, તમે જે ખોટું કર્યું છે એના માટે હું મારી જાતને પીડા આપું છું અને પીડા દ્વારા તમારા હૃદય પરિવર્તનનો પ્રયાસ કરું છું. ઉપવાસના પ્રચલિત ધાર્મિક અર્થથી એમણે જુદો જ અર્થ કર્યો હતો અને ઉપવાસનો ઉપયોગ પણ જુદો જ કર્યો હતો.ગાંધીજીએ સતત આત્મનિરીક્ષણ કરવાની ટેવ પાડેલી. તેઓ માનતા હતા કે અંગ્રેજ સામ્રાજ્યવાદીઓએ ભારતને પડાવી લીધું નથી. બલકે, આપણે એમને ધરી દીધું છે અને કોઇપણ વિચારને કે આચારને તેઓ સતત આત્મનિરીક્ષણ અને આત્મખોજની ગળણીમાંથી પસાર કરતા હતા. બાબરી મસ્જિદ વિવાદ વખતે ગાંધીજી હોત તો તેમણે એક સાવ જુદો જ ઉકેલ આપ્યો હોત.
તે જ રીતે હાલમાં ગ્લોબલાઇઝેશન અને પશ્ચિમીકરણનો જે રીતે વિરોધ થાય છે તે ગાંધીજી હોત તો એ ન કરત. આ બંનેમાંથી તેમણે સારું ગ્રહણ કર્યું હોત.
ગાંધીજી સાચા અર્થમાં વિશ્વમાનવ હતા. તેમણે જુદીજુદી સંસ્કૃિતમાંથી જે શ્રેષ્ઠ હતું, સારું હતું તેને ગ્રહણ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ જોતાં મહાત્મા ગાંધીને યુરોપમાં શરૂ થયેલા મલ્ટિકલ્ચરિઝમના 'પેટ્રન સેઇન્ટ’ કહી શકાય એમ છે. હા, એક વાત ચોક્કસ છે. ગાંધીજીના બ્રહ્મચર્ય અને એલોપેથી વિશેના વિચારો સાથે હું સંમત થઇ શકતો નથી. એમના આવા કેટલા વિચારો આજે સુસંગત નથી. આવા વિચારો સાથે સમંત થવું જોઇએ એમ હું માનતો નથી. બીજી તરફ ગાંધીજીના સંખ્યાબંધ વિચારો આજે પણ અનુકરણીય છે અને એમનું જીવન પણ અનુકરણીય છે. એમની હિંમત કાબિલેતારીફ હતી.
એમનો એક પ્રસંગ યાદ આવે છે. ૧૯૪૬માં ગાંધીજીને મેલેરિયાનો અટેક આવ્યો ત્યારે ગોડસે ચપ્પુ લઇને તેમને મારવા ગયો.
આસપાસના લોકોએ તેને વાર્યો અને પકડી લીધો. ગાંધીજીએ તેને કહ્યું હતું કે તું મારી સાથે એક અઠવાડિયું રહે, હું તને સમજાવીશ. ગોડસે તેમની સાથે એક અઠવાડિયું રહેવા તૈયાર ન થયો. ગાંધીજીએ અનુયાયીઓને કહ્યું કે એને જવા દો, ત્યારે એમના અનુયાયીઓએ કહ્યું કે એ પાછો આવશે. ગાંધીજીએ કહ્યું પાછો આવશે ત્યારે જોઇ લઇશું. એમનામાં જીવન પ્રત્યેની એક અનાસક્તિ હતી અને એ અનાસક્તિમાંથી તેમની હિંમત આવતી હતી. ગાંધીજી માનતા હતા કે જ્યાં શોષણ છે, જુલમ છે, ત્યાં કોઇ નિર્દોષ નથી. જે સહન કરે છે તે પણ દોષિત છે, અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે તે હંમેશાં તૈયાર રહે છે.
ગાંધીજી જેવી સેન્સ ઓફ થિયેટર આજે ક્યાં છે? આજના રાજકારણીઓ પાસે મુદ્દાઓ તો છે પણ ગાંધીજી પાસે હતી એવી 'સેન્સ ઓફ થિયેટર’ − મુદ્દાઓની પ્રસ્તુતીકરણની સૂઝનો અભાવ છે. જેને કારણે રાજકારણ ફિક્કું પડી રહ્યું છે. જો ગાંધીજી આજે હોત તો તેમણે ભ્રષ્ટાચારને ગંભીર મુદ્દો બનાવ્યો હોત અને લાંચ આપનારને લાંચ લેનાર જેટલો જ જવાબદાર ઠરાવી આવી વ્યક્તિઓ સામે અંતરાત્માનો અવાજ ઉઠાવવાની હાકલ કરી ઘેર ઘેર બળવો કરાવ્યો હોત.
તેમણે નોઆખલીમાં હિંસાની સામે જ્યારે મોરચો માંડયો હતો ત્યારે આ જ પદ્ધતિ અપનાવી હતી અને હિંસા કરનારાઓમાં સેન્સ ઓફ ગિલ્ટ ઊભું કર્યુ હતું અને અંતે નોઆખલીમાં શાંતિ સ્થપાઇ હતી. ગાંધીજીની દરેક વાતમાં એક અદ્દભુત પ્રસ્તુતીકરણની કળા રહેતી માત્ર પહેરવેશની વાત લઇએ તો ગાંધીજીએ તેમના જીવનમાં પહેરવેશમાં સાત વખત ફેરફાર કર્યા હતા. એ સાતેય ફેરફારો પાછળ ચોક્કસ હેતુ હતા અને એ ફેરફારો જનમાનસ પર ધારી અસર ઊભી કરવામાં કામિયાબ રહ્યા હતા. માત્ર પહેરવેશ અને વર્તનથીગાંધીજી સામેની વ્યક્તિ સુધી ધારી વાત પહોંચાડી શકતા હતા. એમના માટે એમ કહી શકાય કે એક શબ્દ પણ ઉચ્ચાર્યા વિના ઘણું કહી દેવાની અદ્દભુત શક્તિ એમનામાં હતી.
(પ્રણવ ગોળવેલકર સાથેની વાતચીતના આધારે )
(મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્ચેલર અને ગાંધી ફિલસૂફીના અભ્યાસુ)
[સોજન્ય : “દિવ્ય ભાસ્કર”, 02 અૉક્ટોબર 2013)